June 01, 2021

‘મને અનુકૂળ હોય-મને સગવડભર્યું લાગે તે કરું.’ -:એક વાયરસ



‘મને અનુકૂળ હોય-મને સગવડભર્યું લાગે તે કરું.’ -:એક વાયરસ


એક ગામના કૂવામાં રાત્રે એક પ્રાણી પડ્યું અને તે તેમાં મૃત્યુ પામ્યું. સવારે તો તેમાંથી દુર્ગંધ આવવાની શરૂ થઈ ગઈ. કૂવામાંથી આવતી દુર્ગંધની વાત પણ દુર્ગંધની જેમ આખા ગામમાં ફેલાઈ ગઈ. જેટલા માણસો એટલા મગજ અને જેટલા મગજ એટલી યુક્તિઓ!

આપણા તળાવ કિનારે જે ઘાસ થાય છે એ ઘાસ લાવીને કૂવામાં નાખીએ તો ગંધ જતી રહેશે. બે-ચાર યુવાનો જઈને ઘાસ વાઢી લાવ્યા કૂવામાં નાખ્યું.. રાહ જોઈ.. દુર્ગંધ ઓછી થઇ નહીં. બીજાએ બીજો  ઉપાય સૂચવ્યો. ફલાણા ભાઈની દુકાનેથી જો અત્તર લાવીને નાખીએ તો દુર્ગંધ જતી રહેશે. અત્તર પણ નાખવામાં આવ્યું. દુર્ગંધ ઓછી પણ ના થઇ ને વળી નવો ઉપાય કર્યો, વનસ્પતિના જુદા જુદાપાંદડાં નાખ્યા. બીજા ગામમાંથી ટેન્કરમાં પાણી મંગાવી એ પાણી કૂવામાં ઉમેર્યું.  કૂવામાં સતત કંઈક ઉમેરવાનું ચાલુ રાખ્યું. બધાને દુર્ગંધ ન હટવાની નિરાશા તો હતી પણ સતત મળતા ઉપાયોને જોઈ ઉત્સાહ રહેતો. 

        આવું ત્રણ ચાર દિવસ ચાલ્યું ગામના છોકરાંને તો કૌતુક થયું. ‘આપણા મોટેરાઓ જે રોજ કૂવામાંથી પાણી બહાર કાઢતા હતા એના બદલે કૂવામાં આ બધા પ્રકારની સામગ્રી કેમ નાખતા હશે ?’ છોકરાંનું તોફાની ટોળું  કુવા પાસે પહોંચ્યું. સ્વાભાવિક રીતે જ ત્યાં બેઠેલા મોટેરાઓએ તેમને ધમકાવીને દૂર રહેવા કહ્યું.  એક ટાબારીયાએ સવાલ કર્યો, “કેમ કૂવામાં આ બધું નાખો છો ?” વડીલોએ કહ્યું, “તમને સમજણ ના પડે. આમાં એક પ્રાણી પડ્યું અને તે અંદર જ મૃત્યુ પામ્યું તેથી પાણીમાંથી દુર્ગંધ આવે છે. તે દુર્ગંધને બંધ કરવા.” પેલા ટાબરિયાએ બીજો  સવાલ કર્યો, “કયુ પ્રાણી પડેલું ? બહાર કાઢ્યું? - ને વડીલોને ચમકારો થયો કે આ બધી દવાઓ કરતાં પહેલાં જે મુખ્ય કારણ હતું તે દૂર કરવાનું તો રહી જ ગયું.  આ બધું કરવાનું તો હતું જ પણ એ તો પછી ના ઉપાય હતા ! જે મુખ્ય ઉપાય હતો એ તો આપણે કર્યો જ નહીં ! પછી શું થયું હશે એ તો  આપણે સમજી શકીએ.

આવું જ કંઈક આપણામાં પણ થાય છે ? આપણી ભીતર દુર્ગંધ ફેલાવનાર ગુણ  (કે અવગુણ?)

‘મને અનુકૂળ હોય- મને સગવડભર્યું લાગે તે કરું.’

        આ વાત આપણા શિક્ષકના વ્યવસાયમાં પણ લાગુ પડે છે. દરેક શિક્ષકને પોતાના વર્ગખંડનાં બાળકોની સતત ચિંતા થતી રહેતી હોય છે. ન શીખી શકનાર બાળકો માટે આપણે સતત નવી પધ્ધતિઓ કે પ્રવૃત્તિઓ વિશે વિચારતાં રહેતા હોઈએ છીએ અને તેના વડે મથતાં રહેતા હોઈએ છીએ. છતાં પરિણામ નથી મળતું તેવું જ લાગ્યા કરે. તે માટે સૌથી વધુ જવાબદાર આપણામાં રહેલો “મારી અનુકૂળતાવાળો” વાયરસ છે જે હમેશાં બાળકો માટે મથવાની પધ્ધતિઓ અને પ્રવૃત્તિઓમાં બાળકોનીને શીખવા સમજવાની અનુકૂળતાની જગ્યાએ વાયરસ પોતે પોતાની અનુકૂળતા અને પોતાની સગવડને પ્રાધાન્ય આપતો હોય છે. આથી જ પેલા વાયરસને બહાર નહીં કાઢી મૂકીએ ત્યાં સુધી તે આપણા આયોજનોને સંક્રમિત કરી નિષ્ફળતાઓ આપ્યા જ કરશે અને આપણે ટેમ્પરરી ઑક્સિજન સપોર્ટ રૂપે નવાનવા પ્રયત્નો કર્યા જ કરીશું.

શું કહો છો આપણે પણ પહેલુ કામકયું કરવું જોઈએ ? બીજા ઉપાયો તો તેના પછીના પગથિયા પર આવે. તમે જ વિચારો કે તમને તાવ, શરદી, ઊલટી, દુખાવો બધુ એક સાથે થયું હોય તો ડૉક્ટર પહેલાં ઊલટી બંધ કરવાની જ ગોળી આપશે. કેમ ? 

હવે આ વિશે વધુ તમે જ વિચારજો અને અમને કહેજો પણ ખરા !


May 02, 2021

જોણું છે તો આંખો છે !

જોણું છે તો આંખો છે !

       દરિયામાં ઊંડે ને ઊંડે જ રહેતી કેટલીક માછલીઓને આંખો નથી હોતી. કેમ ? જો જોવાનું હોય તો આંખો હોય. આપણી આસપાસ અને આપણી ભીતર જે છે એ જરૂરી છે એ ટક્યું છે. જેમ જોવાનું હોય તો આંખો હોય, સાંભળવાનું હોય તો કાન હોય.. એમ વાંચનાર હોય તો લખાણ હોય.

કોને ખબર હતી કે એક પ્રાથમિક શાળાનું મેગેઝીન 11 વર્ષ સતત દર મહિને નિયમિત પ્રગટ થઈ શકશે ! (અમને પણ એમ જ હતું કે જોઈએ બધાને ગમશે તો લખીશું.શરૂઆતમાં તો કોઈ પ્રતિભાવ જ ના મળે, ને અચાનક કોઈક મળે અને કહે કે તમારું બાયોસ્કોપ મળે એટલે ખબર પડે કે આજે ચોક્કસ પહેલી તારીખ હશે. આવી નિયમિતતા જાળવી શક્યા કારણકે શાળા સાથેનું કમિટમેન્ટ હતું કે કે એકવાર ચૂકી જઈએ તો છોડી દઇશું. બીજું ય હતું કે જે દિવસે શાળાનો સમય આ મેગેઝીન માટે આપવો જ પડે એમ લાગે ત્યારે છોડી દઇશું. બંને બાબતો અગિયાર વર્ષ થયા.. એમ જ સચવાયેલીરહી છે.

બાયોસ્કોપે અમને માત્ર ઓનલાઈન મિત્રો આપ્યા એવું નથી. એ વાંચીને શાળાની રૂબરૂ મુલાકાત કરનાર.. શાળાના કાયમી મિત્ર બની તેમના અનુભવ અને કૌશલ્ય વડે શાળાને મદદરૂપ થનાર પણ મળ્યા છે. રાજ્ય અને રાજ્ય બહારથી લઈ વિદેશથી કોક શાળાની મુલાકાતેઆવે એ આ બાયોસ્કોપમાં જોયા પછી જ તો આવે છે.

નામ પણ સરસ રખાઇ ગયું બાયોસ્કોપ અમારી સંવેદનાઓ અને લાગણીઓને એકે એક કરીને વાચક જુએ.. અને પછી આવી પહોંચે અમારો જ હિસ્સો બનવા.. કેટલીય સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને શાળાઓ અને ગામ સૌ હવે જાણે અરસપરસ જોડાયેલા છીએ એ અનુભૂતિને જન્મ આપનાર છે આ બાયોસ્કોપ – બારમાં વર્ષમાં પ્રવેશ સમયે જૂના બધા અંકો આ સાથે જોડેલ છે.. નીચે ફોટો પર ક્લિક કરી તમારો એ અંક શોધી કાઢો.. 



April 30, 2021

“નિષ્ઠા” અને સંસ્થા

    આપણે સૌ ટીમવર્કની તાકાત વિશે ખૂબ સારી રીતે જાણીએ છીએ. એક સારું ટીમવર્ક કોઈપણ સંસ્થા કે જૂથને સર્વોચ્ચ સ્થાન તરફ લઈ જાય છે. ટીમવર્કની સાથે સફ્ળતાઓની પાછળ સુચારું સંચાલન પણ એટલું જ મહત્ત્વ ધરાવતી બાબત હોય છે. પરંતુ જો ટીમવર્ક અને સુચારું આયોજન બંનેને એકસાથે જોઈએ તો તેમને એક સિક્કાની બે બાજુ ગણી શકાય. બંને એકબીજાનાં પૂરક એટલા માટે કે જ્યાં દરેક કાર્યનું સુચારું આયોજન હોય તેવી સંસ્થામાં ટીમવર્ક ત્વરિત આકાર પામતું હોય છે અને દરેક કાર્ય ખૂબ જ  સરળતાથી સફળતાપૂર્વક પાર પડતું હોય છે. એ જ રીતે જ્યાં ટીમવર્ક પહેલેથી જ આકાર પામેલ હોય છે ત્યાં કેપ્ટને સુચારું આયોજન કરવામાં બહુ પાપડ વણવા પડતા નથી. કેટલીક જગ્યાએ આયોજનમાં ઊણપ  હોય તો પણ સારું ટીમવર્ક ધરાવતાં સભ્યો એકબીજાનું કામ ખૂબ સારી રીતે કરી લેતા હોય છે. આવી જ રીતે આયોજન અને ટીમવર્ક એકબીજાને પૂરક કામ કરી સંસ્થાને ઊંચાઈ પર લઈ જવા માટે મહત્ત્વનું પરિબળ બની રહે છે.

ટીમવર્કમાં સૌથી અગત્યનું પરિબળ છે ટીમના સભ્યોની નિષ્ઠા. આમ જોઈએ તો નિષ્ઠા વિના ટીમવર્ક શક્ય નથી. ઘણીવાર ઘણા લોકો અપેક્ષા રાખતા હોય છે કે ટીમવર્ક એટલે કે દરેક સભ્યો શક્તિશાળી અથવા તો નિપુણતા ધરાવતા હોય પરંતુ એવું બનતું નથી હોતું. કેમ કે  ટીમવર્ક એ નિપુણ વ્યક્તિ વડે નહીં પણ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા ધરાવતા વ્યક્તિઓ દ્વારા બનતી હોય છે. બની શકે કે ટીમની વ્યક્તિ કોઈ બાબતમાં અપૂર્ણ પણ હોય પરંતુ તેમની સંસ્થા માટે કામ કરવાની નિષ્ઠા - તેમને ટીમના મહત્ત્વના વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરી શકે છે. ઘણીવાર બની શકે કે તે જ વ્યક્તિ આખી ટીમનું સંચાલન પણ કરતી હોય. તેનામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા હોવાને કારણે તેના શબ્દોમાં અથવા તો તેના આયોજનમાં વજન હોય છે અને તેના જ પરિણામે દરેક સભ્યો તેને સરળતાથી ફૉલો કરતા હોય છે.  સફળ થયેલ તમામ એજન્સીઓ/કાર્યાલયો/સંસ્થાઓ પાછળ આવી – નિષ્ઠા ધરાવતી – વ્યક્તિઓનો ખૂબ જ મહત્ત્વનો ભાગ હોય છે. આવી વ્યક્તિઓની નોંધવા જેવી અથવા તો અસરકારક બાબત એ હોય છે કે તેઓના કેન્દ્ર સ્થાનેસંસ્થાહોય છે.

આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલીક નિષ્ઠાવાન વ્યક્તિઓ એવી પણ હોય છે કે જે પોતાના પ્રયત્નો વડે પોતાનું કામ ખૂબ સારી રીતે કરી લેતાં હોય છે પરંતુ તેઓ ટીમનો ભાગ બની શકતાં નથી. તેઓ એકલપંડે પ્રયત્નોમાં લાગેલા હોય છે. તેનું કારણ... 'ફલાણાં સાથે મને ન ફાવે.' આમ વિચારી પૂર્વાગ્રહી બની મથ્યાં કરતાં હોય છે. આવી વ્યક્તિઓથી સંસ્થાને નિષ્ઠાવાન વ્યક્તિનું મળવું જોઈએ તેટલું પૂરું વળતર મળતું હોતું નથી. એટલે જ, કાર્યદક્ષ  નિષ્ઠા હોવાની સાથે સાથે કેન્દ્રસ્થાને સંસ્થાનું હિત હોય તે મહત્ત્વનું છે. 'હું જે કરું છું તે સંસ્થા માટે કરું છું.' - એવી ભાવના સાથે કાર્ય કરતાં સભ્યો જ સંસ્થાને પ્રગતિ પર લઈ જઈ શકે છે. આવી ભાવનાથી કામ કરતી વ્યક્તિઓ 'આયોજનમાં કયું કામ કોનું છે?' એવી પળોજણમાં પડવાને બદલે, બીજાંથી ન થતું કે ન થઈ શકતું અથવા રહી ગયેલું કામ કરી લેતી હોય છે કારણ કે તેઓને મન દરેક કામ એ સંસ્થાનું કામ છે. માટે જ આવા વ્યક્તિઓ જે તે સંસ્થામાં કેન્દ્રસ્થાને હોય છે, અને વાત રહી કામમાં નિપુણતાની – એ તો કામ કરતાં કરતાં શીખી જવાય.

આપણે એક ઉદાહરણ જોઈએ તો, કોઈએક શિક્ષક એવો હોય કે જે પોતાના વિષયમાં શ્રેષ્ઠ ન હોય પરંતુ જો તે પોતાના વર્ગખંડ માટે નિષ્ઠાવાન હોય તો તેનું શૈક્ષણિક કાર્ય ખૂબ જ રસપ્રદ બની રહેતું હોય. રસપ્રદનો અર્થ છે કે બાળકો સરળતાથી સમજી શકે તેવી પ્રક્રિયાઓ તે શિક્ષક કરતો હોય. તેની વર્ગખંડ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેવી બધી પ્રક્રિયાઓ તેને મળી આવતી હોય છે. વિષયવસ્તુની થોડી કચાશ હોય તો પણ તેની પ્રક્રિયા ખૂબ રસિક હોય છે અને આ જ કારણે બાળકો ખૂબ ઝડપથી તેના ક્લાસમાં  શીખતાં હોય છે. આ જ રીતે સંસ્થાના વડાની વાત કરીએ તો કદાચ તે પણ પહેલેથી નિપુણ ન હોય પરંતુ ઘણીવાર એવું બને કે તેની સંસ્થા પ્રત્યેની નિષ્ઠાને કારણે તે પોતાની ટીમના સભ્યોને પૂછીપૂછીને પણ, અથવા તો તેની સાથે રાખીને પણ તે તેઓની સંસ્થાને સફળતા તરફ  લઈ  જઈ શકતો હોય છે.

આ આખી વાત અત્યારે તાજી થવાના બે કારણ : એક તો મનુભાઈ પંચોળીની આત્મકથા 'સદભિ: સંગ:'નું વાંચન અને આપણી શાળાના ગણિત-વિજ્ઞાન વિષયશિક્ષકની બદલી.

પિન્ટુભાઈ હંમેશા ટીમ નવા નદીસરને યાદ રહી જશે. ચૂપચાપ જ રહે એવું વ્યક્તિત્વ, બોલવાનું તો જાણે... પરાણે બોલાવવા પડે. અભ્યાસ પછી પાંચેક વર્ષ ડેટાએન્ટ્રી વગેરે કામ કરેલાં. અચાનક નવી જગ્યા પર અજાણ્યા કામમાં ભૂલા પડયા હોય એમ મૂંઝાયેલા રહે. પરંતુ મનુભાઈએ કહ્યું હતું એમ… સંસ્થાઓ નિષ્ઠાવાન માણસોથી ટકી છે. તેમની શાળા અને બાળકો માટેની નિષ્ઠાએ તેમને ત્રણ જ વર્ષમાં શાળાના ગમતા શિક્ષક બનાવી દીધા. સૌથી વધુ કલબલાટ એમના વર્ગમાં થાય. સૌથી વધુ બાળકો એમના વર્ગમાં ખૂલીને – ઇચ્છા પડે એ બોલી શકે. તેમને પિન્ટુભાઈ તેમના શિક્ષક નહીં, દોસ્ત જ લાગે. મુન્ના જેવા ચાર-પાંચ તો રિસેસમાં એમના ખભે હાથ મૂકી મેદાનમાં ફરતા હોય. એક શાળા માટે આનાથી વધુ સંતોષકારક દૃશ્ય બીજું શું હોય!

પિન્ટુભાઈ, આવા જ મૈત્રીપૂર્ણ રહો તેવી શુભેચ્છા!

April 12, 2021

કોઈ તો રોક લો..


કોઈ તો રોક લો..


'રાંઝણા' (ધનુષવાળું) ફિલ્મ જેવું આપણું આખું વર્ષ રહ્યું. માંડમાંડ કોઈક રસ્તો શોધી લઈએ ત્યાં તો મૂવીમાં જેમ ઝોયાને બીજું કશુંક પસંદ આવી જાય એમ આપણા શૈક્ષણિક માર્ગોના વળાંકો આપણે જોઈ રહ્યા હોઈએ ને તે આડા ફંટાઈ જાય. 

વાલીઓ, બાળકો અને ફળિયામાં ટ્યુનિંગ કરાવીને ઓનલાઈન શીખવા માટેનું વાતાવરણ બરાબર સેટ કર્યું. હવે, છૂટી જતાં એ બાળકો સુધી બીજા બાળકો ય સંદેશ પહોંચાડી દેતા. જેમ રૂબરૂ આવતા ત્યારે એકબીજાને 'લેસન કર્યું?' એમ પૂછતા તેમ હવે ફોનથી-મેસેજથી એકબીજાને શીખવા તરફ ધક્કો મારતા થઈ ગયેલાં. ત્યાં જ ધોરણ 6 થી 8 ખોલવાનો નિર્ણય આવ્યો ને શરૂઆતમાં કેટલાંક બાળકોએ તો રીતસર દોટ જ મૂકી. શિક્ષકો, બાળકો, વાલીઓ – એમ બધાં જાણે જીવનમાં પહેલીવાર શાળાઓ ખૂલી હોય એમ અનુભવતાં હતાં. વર્ગો પ્રમાણમાં શાંત લાગે. અરે! આપણે કહ્યું હોય કે છૂટાછૂટા બેસી ખાજો, તો એ વાત માને! (અમારા માટે તો એ નવાઈ હતી કે બાળકો આટલાં બધાં કહ્યાગરાં થઈ ગયાં.)

કેટલાંક છેલ્લી પાટલી પર એકલા એકલા બેઠા હસતાં રહેતા... મંદમંદ... ('થ્રીઇડિયટ્સ'માં આમિર ખાન હસે એમ...  'મજા આ રહા હૈ... કઈ મહિનોં સે સપના થા કિ મૈં સ્કૂલ મે લાસ્ટબેન્ચ પર બૈઠા હૂ ઔર ટીચર પઢા રહે હો... ઔર આજ વો સપના સચ હો ગયા હૈ.ટૂંકમાં ભણવું - ન ભણવું એ બધાં કરતાં એકબીજાને મળવું (દૂરથી તો દૂરથી) જાણે અમૃત જેવું હતું. નિદાન કસોટી આવી, એમાં પણ તેઓએ સંપૂર્ણ – જાણે કે પરીક્ષા આપવાનીય મજા પડતી હોય એમ હાજરી આપી.  

બધું જ મસ્ત ચાલતું હતું. (આપણી ભીતર રહેલો કુંદન હવે ખુશ હતો કે હવે તો બધું જ ઓલ સેટ જ છે.) ત્યાં ધીમે ધીમે ઝોયાએ રંગ બદલવાનું શરૂ કર્યું. છાપામાં આપણાથી દૂર – કેસ વધવાના અને સેકન્ડ વેવ, ડબલ મ્યુટેશન જેવા શબ્દો; પહેલાં છૂટકછૂટક અને પછી જથ્થાબંધ વધ્યા. અમે તેમને ફરી ઓનલાઈન ભણવાનું થાય તો શું કરીશું, તેમને શું મુશ્કેલી પડે, તેમણે તેમાં ટેક્નિકલ રીતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી – જેવી ચર્ચાઓ કરતાં. (પણ મનમાં તો એમ જ કે, 'ના રે! હવે ગુજરાતમાં એટલા બધા કેસ ન જ આવે કે શાળાઓ બંધ કરવાની થાય.') અમારી આ ટ્રેન હવે પાટા પર પૂરપાટ દોડતી હતી. ધોરણ 1 થી 5 ના બાળકો પણ હવે તેમને લેવા ટ્રેન ક્યારે ઊભી રહેશે તે માટે પૂછપરછ કરતાં હતાં, ને અમેય કહેતાં કે હવે બસ થોડાક દિવસ. ત્યાં તો ગુજરાતમાં કેસ – પંચમહાલમાં કેસ – ગોધરા તાલુકામાં – પરિઘ નાનો થતો ગયો. કેટલાંક બાળકોના વાલીઓએ બાળકોને ટ્રેનમાંથી ઉતારવા માંડયા અને દેખાદેખીથી શરૂ થયેલી આ ઘટમાળ પછી તો ભયના ઓથાર હેઠળ – ટ્રેન મોટી ને પૅસેન્જર ઓછા એવા હાલ થઈ ગયા. અમે પણ કાળજીના ભાગરૂપે બાળકોને વર્ગમાં બેસાડવાનું જ બંધ કરી દીધું. ફોનથી સંપર્ક ફરી શરૂ કર્યા. છતાં લાગતું હતું કે  હવે થોડોક સમય, પાછું બધું બરાબર થઈ જશે.  

પણ ત્યાં જ – ટ્રેન રોકો અને પૅસેન્જર ખાલી કરો – એવી હાલત આવી ગઈ.

એ પછીના ચોવીસ કલાક અમારા માટે 'રાંઝણા'ના કુંદનના છેલ્લા સીન જેવા -मेरे सीने की आग या तो मुझे जिंदा कर सकती थी या मुझे मार सकती थी,पर साला अब उठे कौन? कौन फिरसे मेहनत करे दिल लगाने को... दिल तुडवाने कोअबे कोई तो आवाज दे के रोक लो!ની જેમ એક એક કરીને બધાં દૃશ્યો આંખ સામે ભજવાતાં જતાં હતાં.ફરી એક ફૉર્મ લઈ સર્વે, ફરી કેટલાયના નંબર બદલાઈ ગયા હશે, કેટલાકના ટીમ્સ એકાઉન્ટ કાઢી નખાયા હશે. કેટલાકના વાલીઓ 'હવે શું કરવો છે!' કરી ફોન વેચી આવ્યા હશે.કરી શકીએ એમ તો હતાં જ પણ એમ મન ભરાઈ આવેલું કે, “કૌન સાલા ફિર સે ઉઠે!" એવુંય થતું કે, "કોઈ તો રોક લો...ને એ જ  સાંજે ફોન –સાહેબ, કાલે કેટલા વાગ્યે ઓનલાઈન ક્લાસ?”  આટલા જ શબ્દો ને –યસ, કાલે સવારે કહીએ ને વોટ્સએપ ગ્રુપમાં...બધું ગોઠવી દેવાની તાકાત આવી ગઈ. ફટાફટ આયોજન ટાઇપ થયું.

નાગરિક ઘડતરની જેમ જ 6 થી 8 ની વર્ચ્યુઅલ સંસદ કરી, તેમની સામે સવાલો મૂક્યા, તેમણે સૂચનો આપ્યાં. અમે ભેગાં કરી માળખું કર્યું... ને ... શું! અમારી ફિલ્મ તો હેપ્પી હેપ્પી જ છે.😊ફરી અમારી પડતાં-આખડતાં, અથડાતાં-કુટાતાં શીખવાની જર્ની શરૂ થઈ ગઈ છે.



March 21, 2021

મિત્રની ટકોર મિત્રને - શાળા બેનર

મિત્રની ટકોર મિત્રને - શાળા બેનર 

કોરોના કાળ પછી ખુલેલી શાળાઓનું વાતાવરણ હવે પહેલા જેવું નથી રહ્યું. નિયમો બદલાય એટલે રહેણી કરણી પણ બદલાય એ આપણે સૌ જાણીએ છીએ. કોરોનાની એન્ટ્રી એ આપણા શાળા જીવનના નિયમોમાં મોટો ફેરફાર ઊભો કરી દીધો છે. બાળકો એકબીજાને ખભે હાથ મૂકીને શાળા કેમ્પસમાં ફરતાં ત્યારે કેવી મજાની મિત્રતા છે તેવો અહોભાવ થતો. હવે તે દ્રશ્ય બાળકોમાં સંક્રમણ ફેલાવશે તેવો ડર પેદા કરી રહ્યો છે. કોરોના એ આપણા સૌની જોવાની દ્રષ્ટિ જાણે કે બદલી જ નાખી છે. બાળકો સાથે અંતર જાળવીને અંતરથી [મનથી] જોડાવાનો સમય હવે આવ્યો છે. અને આવામાં એક શિક્ષક તરીકે ગંભીરતા ન સમજતાં બાળકો સાથેનું અંતરવાળું વર્તન પણ તેને ઓછું ન છાજે તેનું ધ્યાન રાખવું એ પણ એક કઠિન વાત છે. કારણ કે પહેલીવાર શિક્ષકો માટે આવી સ્થિતિ પેદા થઈ છે – હવે સમજાય છે કે બે ત્રાજવામાં પગ રાખી મત્સ્ય વેધ કરતા એ અર્જુન માટે આવી જ  સ્થિતિ પેદા થઈ હશે. કારણ કે એક શિક્ષકના જીવે તો બાળકો સાથે પણ રહેવું હોય છે, બાળકોના હિતમાં સંક્રમણથી બચાવવા અંતર પણ જાળવવું  હોય છે અને વર્ગખંડોમાં સાથે જીવવું હોય છે.

એવું નથી કે ફક્ત વર્ગખંડમાં જ આની અસર વર્તાઇ છે. કોરોના પૂર્વે શાળામાં થતી પ્રવૃત્તિઓ  મોટાભાગે સામૂહિક પ્રવૃત્તિઓ હોવાને કારણે પણ શાળાની ચિંતાઓ હવે વધી રહી છે. આવા સમયમાં બાળકો જેટલા બને એટલા સંક્રમણથી બચે તે માટે તેમનામાં જાગૃતિની સાથે સાથે તેમની ટેવોમાં ફેરફાર લાવવા માટે શાળાઓએ હવે મથવાની શરૂઆત કરી દીધી છે. બાળકો માટે સાવચેતી અને સલામતી એ શાળાની પહેલી ફરજ છે. પરંતુ આ બાબતમાં બાળકોની ટેવોને તેના અનુકૂલનમાં ફેરવવામાં ન આવે ત્યાં સુધી બાળકોને સતત ટકોરવા પડે તે સ્વાભાવિક છે. માણસ સ્વભાવ જ રહેલો છે કે ટેવ એ જલ્દી બદલી શકતો નથી અને એટલે જ આપણાં મિત્રો કે આપણાં વહાલાં આપણને તે બાબતે સતત ટોકતાં રહેતાં હોય છે. કેટલીકવાર આપણી ટેવો સુધારવા આપણા પરિવારજનો પણ આપણા મિત્રોની ભલામણ લાવતાં હોય છે – કારણ કે બધાને એમ જ હોય છે કે મિત્ર જ મિત્રની ટેવમાં જલ્દી ફેરફાર લાવી શકે છે. આવા જ એક પ્રયત્ન રૂપે જ્યારે શાળામાં કોરોના સંક્રમણ અંગે સાવચેતી માટે સૂચના આપતાં બેનર બનાવવાના થયાં ત્યારે અમે પણ તેમાં શાળાનાં બાળકોનો જ  મોડલ તરીકે ઉપયોગ કર્યો. સગાં- વહાલાંની  જેમ અમને પણ આશા છે કે > અમારા બાળમિત્ર જ તેમના મિત્રની ટેવમાં જલ્દી ફેરફાર લાવી શકશે !  










March 14, 2021

શાળાનું સામૂહિક જીવન અને કોરોનાનું ગ્રહણ !

 શાળાનું સામૂહિક જીવન અને કોરોનાનું ગ્રહણ !

શાળા એટલે ફક્ત ભણવું – ફક્ત ગણવું એટલું જ નહીં પરંતુ શાળા એટલે એક પ્રકારે જીવવું. એટલે જ  તો ભણતર અને ગણતર બંને ભેગાં કરતાં જ ઘડતર શબ્દ વપરાય છે. શાળા બાળકોનું ઘડતર કરતી હોય છે. સમાજમાં શાળા સિવાય એવું કોઈ પ્લેટફોર્મ નથી કે જ્યાં બાળક સરળતાથી સામૂહિક જીવનના પાઠ શીખી શકે. સમૂહમાં જીવવા માટે શાળાકીય જીવન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.  શાળા એટલે જ સામુહિકતા એમ કહીએ તો પણ ખોટું નથી. ભવિષ્યમાં બાળક જ્યારે સમાજની વચ્ચે ઊભા રહી કામ કરવાનું થશે ત્યારે આજનું તેના ઘડતરમાં વણાયેલું સામૂહિક જીવન તેને મોટું મદદરૂપ બનશે.

શાળામાં ચાલતી નાગરિક ઘડતરની પ્રવૃત્તિ પણ બાળકોમાં આવા જ સામૂહિક જીવનને વધારે પ્રબળ બનાવવાના ઉદેશ્યથી શરૂ થઈ હતી. ધીમે ધીમે બાળકોમાં નાગરિકતાના ગુણોનો સંચય થાય, બાળકો શાળાની નાની નાની જવાબદારીઓનું સંચાલન કરતાં કરતાં જવાબદાર બને. તેમનામાં મારી શાળા  - મારું ગામ  - મારો દેશના ગૌરવવાળા એક નાગરિકના ગુણો વિકસે તે આ પ્રવૃત્તિનું હાર્દ રહ્યું છે. શાળા બાળકોની છે – એવું કહેવું પડે તેના કરતાં તેઓ આ પ્રવૃત્તિમાં જોડાઈને તેવું અનુભવતાં થયાં છે. શાળાના દરેક ખૂણા પર  બાળકનો હક અને તેમની ફરજનો અહેસાસ કરાવે છે. શાળાના નિર્ણયોમાં પણ તેમની પ્રત્યક્ષ ભાગીદારી એ જાણે કે તેમની પરોક્ષ જવાબદારીનું વહન થતું હોય છે. આવી પ્રવૃત્તિ સાથે જીવતી શાળાઓ એટલે કે સમૂહમાં જીવતી શાળાઓ માટે હવે કોરોના રૂપી વિલને પ્રવેશ કર્યો છે. આવા વિલનના કારણે  હવે બાળકોએ શાળામાં પણ સાથે સાથે ને બદલે સામે સામે અને દૂર દૂર રહેવા માટે મજબૂર કરી દીધા છે. ભેગાં રહેવું, ભેગાં થઈ રમવું એ બાળકોનો સહજ સ્વભાવ હોય છે. કોરોના પૂર્વે જ્યારે સમૂહમાં ભેગાં થવાની વાત આવે ત્યારે શાળાની એ આનંદિત પળો હતી. હજુ પણ છે પરંતુ હવે ચિંતાઓ અને જવાબદારીઓ વધી છે. કોરોના કારણે શાળામાં શું શું ફેરફાર થયાં ?  એવા પ્રશ્નોના જવાબમાં પ્રથમ તો શાળાનું સંચાલન કરતી બાળ ટોળકીઓ માટેના ગ્રુપ વિભાજન માટે બાળકો જાતે જ ચિઠ્ઠીઓ બનાવતા – પોતાના હાથે ખેંચતા અને મિત્રની ટોળકીમાં નામ આવ્યું હોય તો દોડીને કિલકીલાયરી સાથે ભેટી પડતાં. પરંતુ કોરોના વિલને આ આનંદને ઓછો કરી દીધો. આ વખતે સંક્રમણ થી સાવચેતી માટે બાળકે ફક્ત ચિઠ્ઠી બતાવશે અને શિક્ષક તેને તેના ગ્રૂપનું નામ કહેશે. બાળક ડિસ્ટન્સ જાળવી પોતાના ગુપમાં બેસી જશે. પ્રક્રિયામાં અને બાળકોની આંખોમાં ઉત્સાહની ઝાંખપ દેખાઈ પરંતુ શું થાય? – જોઈએ હજુ આગળ આગળ શું થશે તે તે સમય જ બતાવશે. પરંતુ બાળકોમાં સાવચેતી સાથે આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે એ અમારી પ્રાથમિકતા છે જ પરંતુ બાળકોના સ્વાસ્થ્ય પછીની .. ચાલો જોઈએ નાગરિક ઘડતર પ્રવૃત્તિમાં ગ્રુપ વિભાજન સમયના કેટલાંક દ્રશ્યો.. 









વિડિયો 


February 28, 2021

હમ તૈયાર હૈ, કયા આપ તૈયાર હૈ?

હમ તૈયાર હૈ, કયા આપ તૈયાર હૈ?

તમારી ખૂબ જ તીવ્ર ઈચ્છા પૂરી થાય ત્યારે તમારું પોતાનું રીએક્શન કેવું હોય ? જીવનભરની ઈચ્છા હતી કે મારુ સંતાન ડૉક્ટર બને- અને એવામાં જ મેડિકલમાં પ્રવેશ યાદીમાં તેનું નામ જોવા મળે તો તમારું સૌથી પહેલું રીએક્શન શું હોય ?

તમને થશે કે અરે ! એમાં શું પૂછવાનું ખુશી જ હોય ને?

એ તો સ્વાભાવિક છે, રિ-એકશન શું હોય ? ખુશ થઈ જઈ તમે શું શું કરો ?

કોઈ કહે મીઠાઇ વહેચું, તો કોઈ કહે સોશીયલ મીડિયામાં તરત સ્ટેટ્સ મૂકું , તો કોઈ કહે તરત સગાં વ્હાલા ને ફોન કરું. વગેરે.. જવાબ અલગ અલગ પ્રકારે હોય શકે પરંતુ સર્વનો સાર એ તો નીકળે જ કે આનંદ નો પાર ન રહે ત્યારે મારી ખુશીમાં સૌને ભાગીદાર બનાવું.

જેને ટેકનોલીજી નો “ટ” હજુ હવે ભણવાનો છે, અને સોશિયલ મિડિયાનો “સ” હજુ હવે લખવાનો થશે એવી બાળકી તેના લોકલ મીડિયા એવી બૂમો ધ્વારા ઊભા ફળીયે જ્યારે કહેવા દોટ મૂકે કે - એં .. મારુ નામ નિશાળમાં લખાઈ ગયું. રોજ જે દુકાને સામાન લેવા જાય છે ત્યાં જઈને પણ બૂમ પાડે - છોટુકાકા મારુ નામ શાળામાં દાખલ કરી દીધું.”

શિક્ષક તરીકે આ વિચારીએ ત્યારે જ આપણને આ પળ માટે અહોભાગ્ય ઉપજતું હોય તો એ ઉર્વશીને બોલતી અને બૂમો પાડતી જોઈ તે પળ પણ  કેટલી આનંદદાયી હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. ઉર્વશી ની જેમ શાળામાં પ્રવેશ કરવાનો બાળકોમાં અનેરો ઉત્સાહ હોય છે. બાળકો માટે શાળામાં નામ લખાવવું એટલે જાણે એમનું સપનું પૂરું થયાનો અહેસાસ કરાવતું હોય છે.

શાળામાં પહેલું ધોરણ ભણાવતાં શિક્ષકો માટે આ આનંદની વાત સાથે સાથે મોટી જવાબદારી પેદા કરનારી પણ છે. આવા અનેરા ઉત્સાહ સાથે આવતાં બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે સાથે સાથે તેમને અનુકૂળ વર્ગખંડ બનાવવાનો એ શિક્ષકો માટે સૌથી મોટી ચેલેન્જ હોય છે. એક વાતાવરણમાંથી કોઈ છોડને નવા પર્યાવરણમાં લઈ જઈએ ત્યારે ગમે તેટલો સોળે કળાએ ખીલેલો કેમ ન હોય, શરૂઆતમાં થોડીક નર્વસતા તો આવી જ જતી હોય છે. માટે જ શાળામાં નવીન પ્રવેશતાં બાળકો માટે આ સમયગાળો પારિવારિક પર્યાવરણ અને ફળિયાનું મુક્ત વાતાવરણમાંથી બદલાઈ શાળાકીય વાતાવરણમાં ઢાળવાનો હોય છે. એટલા માટે ખૂબ જ કાળજી લેવા માટેના આ દિવસો હોય છે,  જો આ ચેલેન્જમાં આપણે સૌ પાસ થઈ જઈએ તો કહી શકે કે આ બાળકોના શૈક્ષણિક કારકિર્દીનો પાયો ચણવા માટે ખૂબ સારું પ્લેટફોર્મ બનાવી શક્યા છીએ. શાળાના ભવિષ્યના શૈક્ષણિક ગુણવત્તાના ગ્રેડમાં પણ આવા જ  દિવસોમાં કરાયેલા પ્રયત્નો ખૂબ જ મોટો ભાગ ભજવતાં હોય છે. કદાચ આજે આની ચર્ચા નીકળી એટલે આપણે સૌએ તે તફર વિચાર્યું. પરંતુ ચાલો હવે “જગ્યા ત્યાંથી..” વાળી કહેવતને યાદ કરી થોડા સમયમાં જ શાળામાં પ્રવેશનાર આવી ઉર્વશીઓ માટે શાળાકીય પર્યાવરણમાં તેમના માટેની અનુકૂળ જમીન તૈયાર કરવાની મહેનતમાં લાગી જઈએ.