February 28, 2020

સ્વાનુભવશાળા જ વિજ્ઞાનનું ખરું શિક્ષણ !



સ્વાનુભવશાળા જ વિજ્ઞાનનું ખરું શિક્ષણ

 આપણી આસપાસ પર્યાવરણ વીંટળાયેલું છે. હવે તેને જો વધારે અપડેટેડ વાક્યમાં કહીએ તો આપણી આસપાસ વિજ્ઞાન પણ એટલી ગાઢ રીતે  સમાયેલું છે કે હવા ક્યાં ક્યાં છે? આવા પ્રશ્ન સમયની મુંઝવણની જેમ આપણી સર્વ સામાન્ય મૂંઝવણ એ છે કે જયારે વિજ્ઞાન ક્યાં ક્યાં છે ? એવો પ્રશ્ન પુછાય ત્યારે જ તેને શોધવા અથવા તો દેખવાની ‘નજર’ આંખો પર ચઢાવીએ છીએ. આનો અર્થ એ જ થાય છે કે જેમ આપણે હવા સાથે એકાકાર થઇ ગયાં છીએ તેવું જ વિજ્ઞાનમાં બન્યું છે ! વિજ્ઞાન વિના હવે જીવન શક્ય નથી. આવું એટલા માટે કહીએ છીએ કે જો તમે સવારથી સાંજ સુધી એટલી વસ્તુઓનો ઉપયોગ બંધ કરી જુઓ કે જેમાં વિજ્ઞાનને આભારી છે તો તમે જાણે દુનિયાથી પર અને જીવ્યા જ ન હોવ તેવું અનુભવાશે. આપણા રોજીંદા જીવનમાં સરળતાથી થઇ શકતી કેટલીય પ્રક્રિયાઓ તે દિવસે એટલી બધી  કઠિનાઈનો અનુભવ કરાવશે કે સાંજ પડતાં જ બોલી જવાય “આના કરતાં તો જીવન ન હોય એ સારું.” એટલે જ હવે તો એવું લાગવા લાગ્યું છે કે જાણે વિજ્ઞાન જ આપણને જીવડાવે છે અથવા જીવતાં હોવાનો અહેસાસ કરાવે છે. માટે પ્રાથમિક શાળાઓમાં હવે આવા સુત્રો વાપરવાનો સમય આવી ગયો છે કે  “વિના વિજ્ઞાન, નહિ ઉદ્ધાર”.
શાળાઓમાં વિજ્ઞાન વિષય એને હવે ત્રીજો ચોથો કે પાંચમો વિષય ગણવાને બદલે બોલવું- વાંચવું-ગણવું-જાણવું-અનુભવવું ક્રમશઃ આ બાબતો ભાર આપવો પડશે. બાળકો જીજ્ઞાસાવૃત્તિથી સભર હોય છે - બાળકો માટે નથી કહેવાયું. આ બાબત દરેક ઉંમરની વ્યક્તિ માટે લાગુ પડે છે. દડા પાછળ કુતૂહલવશ દોડતા કુતરાને જોઈએ ત્યારે એવું લાગે કે આ વાત તો કદાચ બધા જીવને લાગુ પડતી હશે. [ જો કે આ બાબતમાં આમારો દાવો નથી 😊] કુતુહલતાનો એ ગુણ જ બાળકને વિજ્ઞાન વિષય સમયે વર્ગખંડમાં રહેવા પ્રેરિત કરતો હોય છે. તેમાંય જ બાળકને જો સ્વાનુભવ કરવા મળે તો આનંદ જ આનંદ.. સ્વાનુભવ એટલા માટે કે  નિદર્શન અને સ્વાનુભવમાં ઘણો ફેર છે. બગીચાને દુરથી જોવો એ નિદર્શન છે અને બગીચામાં જઈ ટહેલવું એ સ્વાનુભવ છે. જેમ કોઈને હિમાલયના દૂર- દર્શન કરાવવાથી તેની શીતળતા નો અહેસાસ આપી શકાતો નથી તેવું જ વિજ્ઞાનનું છે એટલે જ ઘણા વર્ષ પહેલાં પણ બ્લોગ પર વાત કરી હતી કે પ્રયોગશાળા નહિ સ્વાનુભવશાળા જ વિજ્ઞાનનું ખરું શિક્ષણ છે. વિજ્ઞાન દિને શાળાના ગ્રીન હોલમાં વિજ્ઞાન શિક્ષકો અને બાળકો ધ્વારા ઉભી કરેલ સ્વાનુભવ શાળાનો વર્ચ્યુઅલ  સ્વાનુભવ કરીએ.... 
 





 














 






February 24, 2020

પદ્મશ્રી પ્રો.અનીલ ગુપ્તા


પદ્મશ્રી પ્રો.અનીલ ગુપ્તા 

પ્રથમ વખત શાળા વિશે તેમણે સાંભળ્યું હતું રાજ્યના પ્રથમ ઇનોવેશન ફેરમાં. તે દિવસે તેમણે પ્રાથમિક શાળાઓની સમસ્યાઓ અને તેના માટે કેટલાક વ્યક્તિઓએ કરેલા ઉપાયો વિશે જણાવ્યું. દરેક બાબતની તેમની સ્પષ્ટતા જોઈ છક્ક રહી જવાયું હતું.
 પ્રો.અનીલ ગુપ્તા હવે આપણા સૌ માટે અજાણ્યું નામ નથી. શાળાના બ્લોગ અને ફેસબુકના માધ્યમથી તેઓ શાળાના વર્ચ્યુઅલ માર્ગદર્શક રહ્યા છે. International Conference for Grassroot innovators માં વિવિધ દેશોમાંથી આવેલા વ્યક્તિઓ સમક્ષ શાળાની વાત કરવાનો મોકો તેમણે જ આપ્યો હતો.. તેમણે જ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ સરને નવાનદીસરનો પરિચય આપ્યો. તેના પછી તેમણે ટકોર કરી કે આવી એકાદ પ્રાથમિક શાળાથી સંતોષ મેળવી લેવાને બદલે બાળકો વડે સંચાલિત થતી હોય તેવી વધુ શાળાઓ બનાવવા માટે પ્રયત્નો થવા જોઈએ. શાળા વિષે DNA માં એક આર્ટિકલ તેમણે લખ્યું જેનું હેડીંગ હતું, There should be More Masti Ki Pathashalas”  તે પછી શાળાની મુલાકાત લેનાર એસ.એમ.સી., શિક્ષકો અને હેડ ટીચર્સ તરફના અમારા અભિગમમાં ચેન્જ આવ્યો. સૌને માત્ર શાળાની પ્રવૃતિઓ કહેવાને બદલે કઈ સમસ્યાનો શું ઉકેલ કર્યો અને તેના શું પરિણામ મળ્યા ? વિદ્યાર્થીઓ પાસેથી મંતવ્ય કેવી રીતે માગી શકાય? શાળા સંચાલનમાં વિદ્યાર્થીઓની ભાગીદારી કેવી રીતે વધારી શકાય ? જેવા મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરી. અને આ પ્રકારની ચર્ચાથી માત્ર મુલાકાત લેનાર જ નહિ અમને પણ અમારા અભિગમમાં સ્પષ્ટતા મળતી ગઈ.
આમ શાળા સાથે સતત આ રીતે જોડાયા બાદ શાળાની રૂબરૂ મુલાકાત કરી. શાળાનું કેમ્પસ અને વર્ગખંડો સમય ઓછો હતો તો પણ નિરાંતે જોયા. તેમણે અગાઉથી કરેલા આયોજન મુજબ ૪૫ મિનીટ જેટલું રોકાવાનું નક્કી હતું. પરંતુ, સવા કલાકથી વધુ શાળામાં રોકાયા. શાળાના વિદ્યાર્થીઓ સાથે આઈડિયા કેમ મહત્વના છે? અત્યાર સુધીમાં બાળકોએ આપેલા નાનકડા આઈડિયા કેવડી મોટી અસર કરી શક્યા છે? જેવા મુદ્દાઓ પર વાત કરી. શાળામાં કોઈપણ આવે ફિરદૌસને તો મળે જ. શાળા જોઈ રહ્યા પછી અમને પણ કેટલાક આઈડીયાઝ આપ્યા. એમાંથી એક વિશે શાળાએ પ્રયત્નો કર્યા હતા પણ એ છૂટાછવાયા.. તેમણે કહ્યું કે ગામમાં જે અનુભવી અને વૃદ્ધ વ્યક્તિઓ પાસે છે તે જ્ઞાન આપણે સંગ્રહ કરી લેવું જોઈએ. આ સિવાય કેમ્પસમાં પણ કેટલીક જગ્યાએ નવું શું કરી કેટલીક જગ્યાએ નવું શું કરી શકાય તેની વાત કરી.
એ સવા કલાકનો સમય અને તેમની તરફથી મળતા વિચારો બંનેમાંથી કોની ઝડપ વધુ હતી તે નક્કી કરવું મુશ્કેલ હતું.
 આપ સૌને પણ અપીલ છે કે બાળકો પાસેથી સમસ્યાના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરી જુઓ. તેઓ આપણા કરતાં વધુ અસરકારક ઉપાયો શોધી કાઢશે. અને  આ અનુભવ ગમે તો અમારા આ ઈ સરનામા Facebook : https://www.facebook.com/navanadisar  પર અમને જરૂરથી લખજો. ત્યાં સુધી મુલાકાતને માણીએ 


 






 

 











VIDEO