પૃથ્વી પર માનવજાતિના ઉદ્ભવ અને વિકાસના ઇતિહાસ પર નજર કરીએ
તો, એક સ્પષ્ટ પેટર્ન ઉભરી આવે છે: સમૂહમાં
જીવવાની અને એકબીજા સાથે જોડાણ સાધવાની અનિવાર્યતા. આ માત્ર સામાજિક કે સાંસ્કૃતિક
ઘટના નથી, પરંતુ માનવ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક
મૂળભૂત જૈવિક અને વૈજ્ઞાનિક અનિવાર્યતા છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી તરીકે ઓળખાય
છે. માનવીઓ નાના સમૂહોમાં શિકાર કરતા,
ખોરાક એકત્રિત
કરતા, અને સંરક્ષણ મેળવતા હતા. આ સામુહિક
જીવનશૈલીએ જ જ્ઞાનના સ્થાનાંતરણ,
શ્રમનું વિભાજન
અને સમસ્યા ઉકેલ (collective problem-solving) ને જન્મ આપ્યો.
એકલા જીવતા પ્રાણીઓથી વિપરીત,
માનવીઓ એકબીજાના
સહયોગથી જ જટિલ સાધનો બનાવવામાં,
ભાષા વિકસાવવામાં
અને સંસ્કૃતિનું નિર્માણ કરવામાં સક્ષમ બન્યા. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, સામાજિક સંકલન એ માનવ પ્રજાતિને ટકી
રહેવા અને વિકસવા માટે એક મોટો ઉત્ક્રાંતિગત લાભ પૂરો પાડ્યો છે.
પ્રયાગરાજનો ભવ્ય મહાકુંભ હોય કે અન્ય નાના-મોટા મેળાઓ અને
ઉત્સવો, આ બધા જ પ્રસંગો માનવજાતિની સહજ સામુહિક
વૃત્તિના જીવંત ઉદાહરણો છે. કુંભ જેવા વિશાળ મેળાઓમાં લાખો લોકો ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક બંધનોને મજબૂત
કરવા એકઠા થાય છે. આ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નથી,
પરંતુ તે માનવીય
સમુહિક ઓળખ અને સભ્યતાના સંવર્ધનનું પ્રતીક છે. આ ઘટનાઓ દર્શાવે છે કે માનવીય
ચેતના અને માનવતાવાદ સમૂહમાં જીવવાથી જ પોષાય છે અને વિકસે છે.
વર્તમાન સમયમાં,
પૃથ્વી પર આપણે
અનેક જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ – અતિશય ગરમી, ઠંડી કે વરસાદ, કોરોના જેવા રોગચાળા, આર્થિક અસમાનતા અને ખાસ તો સામાજિક તણાવ.
આમાંની ઘણી સમસ્યાઓનું મૂળ કારણ માનવજાતિનું "ભેગા રહેવાનું ભૂલી જવું"
છે. જ્યારે સમુદાયો, દેશો, કે વૈશ્વિક સ્તરે માનવીઓ એકબીજાથી વિમુખ
થાય છે, ત્યારે સંયુક્ત પ્રયાસો અને સર્વસંમતિથી
ઉકેલ શોધવાની ક્ષમતા ઘટી જાય છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે સામાજિક મૂડી (social capital) – એટલે કે, સમાજમાં લોકો વચ્ચેના સંબંધો, વિશ્વાસ અને સહયોગના નેટવર્ક – એ કોઈપણ
સમાજની સ્થિરતા અને પ્રગતિ માટે અનિવાર્ય છે. જ્યારે આ સામાજિક મૂડીનું ધોવાણ થાય
છે, ત્યારે સમસ્યાઓ વધુ વકરતી જાય છે.
વ્યક્તિગતવાદનું વધુ પડતું પ્રભુત્વ,
અવિશ્વાસ, અને સંવાદનો અભાવ એ વૈશ્વિક સમસ્યાઓના
ઉકેલ લાવવામાં સૌથી મોટી અડચણો છે. આ સ્થિતિ હવે માત્ર દેશો કે સમાજો પૂરતી સીમિત
નથી રહી, પરંતુ દરેક ઘર અને કુટુંબમાં પણ અનુભવાઈ
રહી છે; જ્યાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ વડે
પોતાના વિશ્વમાં જીવી રહી છે અને વાસ્તવિક રીતે તેમની સાથે કોણ છે તેની તરફ તેમનું
ધ્યાન પણ નથી. એક કુટુંબ પણ જાણે ભેગા થવાનું અને રહેવાનું ભૂલતું જાય છે. આધુનિક
યુગમાં, જ્યાં ટેકનોલોજી આપણને ભૌતિક રીતે
એકબીજાથી દૂર કરી રહી છે,
ત્યાં
સામુહિકતાનું મહત્ત્વ વધુ વધી જાય છે.ભેગા થવું અને ભેગા રહેવું એ માત્ર સાંસ્કૃતિક
પરંપરા નથી, પરંતુ માનવ અસ્તિત્વ, ઉત્ક્રાંતિ અને ભવિષ્યની પ્રગતિ માટે એક
વૈજ્ઞાનિક અનિવાર્યતા છે. આ મૂળભૂત સિદ્ધાંતને યાદ રાખીને જ અમે અમારા
ગ્રામોત્સવને મૂલવ્યો છે.
અમારા નવાનદીસર પર
કુદરતના એવા આશીર્વાદ છે કે અમે સૌને હવે જીવતા આવડ્યું છે – એવું જીવન જેમાં મોજ
હોય, મુશ્કેલીઓ હોય પણ એ તકલીફ ન આપે. જ્યાં
વ્યક્તિગત અહંકારો ખરી પડે અને દરેકના હૃદયમાં શ્રદ્ધા, વિશ્વાસ અને આનંદનું ફૂલ ખીલે. બાકીની
દુનિયા જે પ્રકારે જુદા જુદા વાડાઓ બનાવીને જીવે છે તેના કરતાં અમે સાવ વિપરીત, રચાઈ ચૂકેલા વાડાઓને ખોલીને અમારા ભવિષ્ય
માટે સુંદર મેદાન બનાવવામાં વ્યસ્ત છીએ. અમને એ ફરક નથી પડતો કે કોણ અમને શું કહી
રહ્યું છે – અમને શુભ અને અશુભ બંનેથી ઉપરની એક વસ્તુ જડી ગઈ છે કે – જે થાય છે એ
બધું આપણું છે - એ બધું જ પ્રસન્ન કરનારું છે.
એક વર્ષ છોડીને આ વર્ષે ઉત્સવની ઉજવણી શરૂઆતમાં મુશ્કેલ
લાગી, કારણ કે બધા એટલા વ્યસ્ત હતા કે કોઈ સમય
જ આપી શકતું ન હતું. (શાળા તરીકે અમારા માટે એ આનંદની વાત કહેવાય કે ગામના દરેક
હાથ પાસે કામ છે.) પરંતુ આ તો નવાનદીસરનો જાદુ છે. ગ્રામોત્સવ હોય એટલે અમારા માટે
અમારા બધા કમિટમેન્ટ એ ઉત્સવ સામે કંઈ જ નથી. દર વર્ષની જેમ ઘરે ઘરે, ખેતરે ખેતરે ફરીને – ગ્રામોત્સવની તિથિની
જાણ કરવી, ફાળો લેવાથી લઈ જાણે પોતાના ઘરનું લગ્ન
હોય એમ વિવિધ વસ્તુઓની પસંદગી કરવી. સાઉન્ડ સિસ્ટમ હોય કે ફૂલહાર – બધી જ બાબતોની
ઝીણી ઝીણી કાળજી લેવાઈ. આ બધાથી ઉપર – ગામમાં કોઈ એવું નહોતું કે જેને લાગતું હોય
કે મેં તો મારા ભાગનો ફાળો આપી દીધો હવે યુવાનો બધું કરી લેશે. તેઓ ખભેખભો મિલાવી
સૌની સાથે રહ્યા. અને આખરે ઉજવણી થાય એ તો બધા જ જોઈ શકે, પરંતુ અમને લાગે છે કે આ બધા માટે
વારંવાર ભેગા થવું એ સૌથી અગત્યનું સેલિબ્રેશન હતું. જ્યાં સૌ પોતપોતાના મંતવ્યો
લઈને આવે અને પરત ફરે ત્યારે સૌના મંતવ્યો એક થઈને સામૂહિક મેઘધનુષી રંગ ધારણ કરી
છૂટા પડે.
ગ્રામોત્સવનો એ દિવસ (અને એ આખા દસે દિવસો – હજુ ય જો કે
વાતોમાં ઉત્સવ ચાલુ જ છે!) જે રીતે જીવાયો છે એ યાદ કરીએ તો લાગે કે એ સત્ય હતું
કે સપનું. જે રીતે ગામને શ્રદ્ધા છે કે તેના ઉત્થાનનું સ્થાન એ સૌથી પવિત્ર હોવું
જોઈએ, તે ભાવનાએ સૌને રંગી દીધા. બે-અઢી હજાર
માણસો એક જ જગ્યાએ ઉનાળાની રાત્રીમાં – છ-સાત કલાક એક જગ્યાએ બેસે – એ પોતાના
ભવિષ્યને ઓળખે, માણે,
જાણે, બિરદાવે – એ સમગ્ર ખુશીની ચમક લઈને ગરબે
ઘૂમે કે પછી ક્યારેય ન નાચ્યા હોય એવા સૌ પણ એકબીજાની આંખોમાં ડોકાતા આનંદને ઝીલી
લેવા નાચે – ત્યારે લાગે કે અમારૂ કોઈ એકલું-અટૂલું અસ્તિત્વ છે જ નહીં.
અમે સૌ એક જ છીએ અને આ બધા જે જુદા જુદા દેખાય છે એ અમારા
અસ્તિત્વના જુદા જુદા અંગો છે. જેમ એક શરીરને વિવિધ અંગ હોય પણ એ આખરે તો એક જ છે, એમ આ અમે બધા માનવીઓ એક જ સમૂહ છીએ જેને
મોજ મળી ગઈ છે. અને મોજની ડૂબકી લગાવી અમે સૌ છૂટા પડ્યા છીએ – વાયદા સાથે કે ફરી
મળીશું, આ જ સ્થળે ફરી આ જ કુંભ – નયા કુંભમાં
આનંદની ડૂબકી લગાવવા!
જેમ્સ ક્લિયર એમના પુસ્તક ઍટોમિક
હેબિટ્સમાં કહે છે. :
આપણે
ત્રણ સામાજિક જૂથોની આદતોનું અનુકરણ કરીએ છીએ : નજીકની વ્યક્તિઓ (પરિવાર અને મિત્રો),
સમૂહો (સમાજ કે જ્ઞાતિ), અને પ્રભાવશાળી લોકો (દરજ્જો અને પ્રતિષ્ઠા ધરાવતા). આપણે
એવી આદતો અપનાવીએ છીએ કે જે આપણી આસપાસના લોકો દ્વારા વખાણવામાં આવતી હોય અને તેના
માટે બધાની સહમતિ હોય, કારણ કે આપણે સમૂહને અનુકૂળ થવા ઇચ્છીએ છીએ.
આ સ્થિતિમાં કોઈ વ્યક્તિને તેના જીવનમાં બદલાવ
લાવવા માટે પ્રેરિત કરવામાં એ જે સ્થિતિમાં રહેતી હોય એ સૌથી મોટો અવરોધ હોય છે. ખાડામાંથી
નીકળવાનો પ્રયત્ન કરતાં દેડકાની વાર્તા આપણને ખબર જ છે. જેવો કોઈ એક દેડકો એમાંથી બહાર
નીકળવાનો પ્રયત્ન કરે કે બીજા દેડકાઓને લાગે કે તેને નુકસાન થશે એટલે તે બધા ભેગા થઈને
તેને અંદર તરફ ખેંચે છે. અને ખેંચાખેંચીમાં જે સાંભળી શકતો નથી એવો દેડકો બહાર નીકળી
જાય છે. આ અજાણે થતી ક્રિયા છે એ માટે સમૂહમાં દ્વેષ જ હોય એ જરૂરી નથી.
કોઈક
સ્થિતિમાં રહેવાની આ ટેવ - કોઈ ક્રિયા સતત ચાલુ રાખવાની ટ્રીક તોડી નાખવા માટે વિમાનના
નિયમોને અનુસરવું પડે. જે બદલાવ આપણે ઇચ્છતા હોઈએ એ બદલાવ માટે કઈ દિશામાં જવાનું છે
? - એ વિચારી પ્રથમ કદમ લઈ લેવું પડે. દરેક બદલાવની એક પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયાના
પગલાં વિચારી કાર્ય શરૂ કરવું જોઈએ. જેમ કે તમારે ફિટનેસ મેળવવી છે - તો નિયમિત કસરત
કરવી અને તે પણ રોજેરોજ અડધો કલાક કસરત કરવી - એવો આપનો ગોલ હોય ! પરંતુ જો તમે આજે
જરા પણ કસરત નથી કરી રહ્યા તો એ ક્યારેય શક્ય બનવાનું નથી કે તમે આવતીકાલે 30 મિનિટ
કસરત કરી તેની તે જ સ્ટ્રીક ચાલુ રાખી શકશો. (આ સ્ટ્રીક શબ્દ વિષે સ્નેપ ચેટ વાપરતા
યુવાનોને પૂછજો.) આ સ્ટ્રીક તો જ ચાલુ રહે જો એ આપણી પહોંચમાં હોય અને આપણને ચેલેન્જ
પણ કરતી હોય. એના માટે વેગોસ્કીએ zone of proximal development ની થિયરી આપી છે.
દાખલા
તરીકે તમે 25 વર્ષના યુવાન છો અને સરસ રીતે ક્રિકેટ રમી શકો છો. એવામાં તમને જો ફળિયાના સાતઆઠ વર્ષનાં બાળકો સાથે
ક્રિકેટ રમવાનું કહેશે તો તમે રમશો ખરા, પરંતુ એ બાળકોનુંમનોરંજન કરવા માટે ! આ રમત તમને ચેલેન્જ કરી
શકશે નહીં. એ જ રીતે અચાનક તમને આંતરરાષ્ટ્રીય
ક્રિકેટ રમતા હોય એ ટીમમાં રમવાનું કહેશે તો પણ એ તમને તમારી પહોંચની બહાર જણાશે.
ઝોન
ઑફ પ્રોક્સિબલ ડેવલપમેન્ટની થિયરી મુજબ જો તમારે કોઈ કાર્યને સતત ચાલુ રાખવું હોય,
તો એ કાર્ય તમને ચેલેન્જ પણ કરતું હોવું જોઈએ અને સાથે સાથે તમારી પહોંચમાં છે એવું
તમને લાગતું પણ હોવું જોઈએ. આટલું લાગ્યા પછી તે માટેના પ્રક્રિયા અને પગથિયાં નક્કી
કરી લેવાં જોઈએ.
·શાળામાં વિદ્યાર્થીઓને શાળાનું સંચાલન કરે. - તેઓ જ નિર્ણયો લે.
·તેઓને શાળામાં આવતી વખતે કોઈ પણ પ્રકારનો ભાર ન અનુભવાય.
·શાળાના સમગ્ર કેમ્પસ અને તેનાં સંસાધનોનો તેઓ તેમને યોગ્ય લાગે તે રીતે
ઉપયોગ કરે. -એ ઉપયોગ કરતી વખતે સામૂહિક શિસ્તના નિયમો તારવે.
આ પ્રક્રિયા
શાળામાં સતત ચાલતી રહી તેનાં પરિણામો હવે ધીમે ધીમે મળતાં થયાં છે. થોડાંક વર્ષો પહેલાં કોઈ પણ માટે ભણવું એ સાવ નગણ્ય
બાબત હતી, એ ધીમે ધીમે સૌની પ્રથમ જરૂરિયાત બનતી ગઈ છે. આ બદલાવ કળીમાંથી ફૂલ બને એ પ્રકારનો છે: એટલે ક્યારે
શું બન્યું એ સ્પષ્ટ રીતે કહી શકાય નહીં ! પરંતુ બંને સ્થિતિ જોનાર આ બાબતને સ્પષ્ટ
રીતે જોઈ શકે છે. જે સમાજ પાઘડી ઉતારીને અમને
કહી દેતો હતો કે ‘સાહેબ છોડિયુંને શું ભણાવવી છે?’ એ ગામ-સમાજ એકત્ર થઈને કોઈ દીકરીના
ભણતરને વધાવી લે ! એ ઘટના આ કળીમાંથી ફૂલ બનવાની જ ઘટના છે. એ ઘટના પ્રક્રિયાઓનાં પગથિયાં જાળવી પ્રક્રિયા સતત
ક્રિયાન્વિત રાખવાનું ઉદાહરણ છે.
આ જ પ્રક્રિયાઓ વર્ગમાં,વર્ગ બહાર, ઘરે, સમાજમાં
ફેલાતી જાય છે અને જે જે પરિણામો મળે છે તે બધાંમાં અમને એનાં ઉદાહરણો લાગે છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, નેશનલ મેરીટ કમ સ્કોલરશીપ,
જ્ઞાનસાધના, ખેલ મહાકુંભ કે અન્ય કોઈ એવી સ્પર્ધાઓ કે જેમાં પરિણામો જોઈ શકાય છે; ત્યાં
શાળા તરીકે અમને અમારી પ્રક્રિયાઓનું પ્રતિબિંબ દેખાય છે. આવા દરેક પરિણામ વખતે અમે
શાળા તરીકે રિફ્લેક્ટ કરીએ છીએ કે આ પરિણામ સુધી પહોંચવા માટેનું પહેલું પગથિયું કયું
હતું અને એ દરેક પગથિયે મળેલી એ પ્રક્રિયાની મોજ સૌને પ્રેરિત કરતી રહે છે !
જોઈએ કેટલીક પ્રક્રિયાઓનાં
પરિણામોની ઝલક ! > દર વર્ષની જેમ સ્પર્ધાત્મક પરીક્ષામાં રાજ્યના સંભવિત
મેરિટમાં સ્થાન પામનાર ધોરણ 5 અને ધોરણ 8નાં બાળકો
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની મિજાજે “मस्ती की पाठशाला” એવી નવાનદીસર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. જો આપ એક શિક્ષણ રસિક હો તો "આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે સાથે-સાથે તે એક ‘‘સમાજ ઉપયોગી’’ નાગરિક પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં અમે બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રાખ્યો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપશ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે. Contact us on : nvndsr1975@gmail.com આ ઉપરાંત આપ અમારી શાળાને ફેસબુક https://www.facebook.com/navanadisar પર પણ નિહાળી સુચનો આપી શકો છો. અમારી મુલાકાત બદલ આભાર સહ – નવાનદીસર પ્રાથમિક શાળા પરિવાર !!!! શાળાના મિજાજને જાણવા માટે લોગો પર ક્લિક કરો !!
જો તમે શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !
શિક્ષકમિત્રો, બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ[આજ્ઞા] માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટે કોઈપણ જાતની ગરણી વિના સીધી જ મગજ [માન્યતા]માં ઉતારી દેતાં હોય છે.અને તે જ કારણે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે “ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.” મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું એવું જ માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે. આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. મિત્રો,બાળકે આપણા પર મૂકેલ આ વિશ્વાસ તથા વર્તમાન સમાજે “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ તેમનો “અંધવિશ્વાસ” નથી- તે હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું .
અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"
૧ લી મે, ૨૦૧૦ (ગુજરાત સ્થાપનાદિન) થી આપણી નવા નદીસર પ્રાથમિક શાળાએ તેનું ઈ-મુખપત્ર શરૂ કર્યું છે. જેનું નામ છે બાયોસ્કોપ. જેને અમે દર માસની પહેલી તારીખે પ્રકાશિત કરીશું.-અમારા માટે બાયોસ્કૉપનો ઉદ્દેશ શાળામાં ચાલતી પ્રવ્રુત્તિઓને પ્રોત્સાહન મળે, શાળાની પ્રવ્રુત્તિઓમાં રહેતી ત્રુટિઓ અને શિક્ષણકાર્યમાંની કોઇ મુંઝવણોમાં આપશ્રી જેવા અનુભવીશ્રીઓનું માર્ગદર્શન મળી રહે તેમજ કોઇ શાળાને પ્રેરણાત્મક સ્ત્રોત મળી રહે તે માટેનો છે. જો આપ આ અંકને આપના મેઈલ બોક્ષમાં ઇચ્છતા હો તો “Get Bioscope” લખી અમને મેઈલ કરો .. અમારું ઈ- સરનામું છે- nvndsr1975@gmail.com [ મિત્રો, અમારા અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના સંગ્રહસ્થાને પહોંચવા ઉપરોક્ત ફોટોગ્રાફ પર ક્લિક કરો .]
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉજવાતા ગુણોત્સવના બેનર પર આપણી શાળાની બાળાઓને મળેલું સ્થાન.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...
"જો તમે મુખ્યમંત્રી નહિ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોત તો?
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?
દિવ્યભાસ્કરના શાળા વિશેના લેખને વાંચવા ઉપરના image પર ક્લિક કરો
" मस्ती की पाठशाला " વિશે ...
"ભેલપૂરી" - ઈ-મેગેજીનમાં શાળા વિશેનો આ આર્ટિકલ વાંચવો તમને ગમશે [image પર ક્લિક કરો ]
શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે
શાળાએ અનુભવેલી સંવેદનાઓના લેખને વાંચવા ઉપરોક્ત image પર ક્લિક કરો.
બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?
'બાળ-સ્વચ્છતાં" - વિગતે વાંચવા IMAGE પર ક્લિક કરો
નાગરિક ઘડતર
અમારી શાળાને સ્વયં-સંચાલિત બનાવી બાળકોમાં એક જવાબદાર નાગરિકનો ગુણ વિકસાવતી પ્રવૃત્તિને જોવા ઈમેજ પર ક્લિક કરો.
આઝાદી એટલે સમાન તક !!!
શાળામાં ઉજવાયેલ ઉજવણીને માણવા IMAGE પર ક્લિક કરો
શાળા પહોંચે સમાજ સુધી !
શાળાનું પ્રાર્થના સંમેલન ગામમાં જ [ વિગતો માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો ]
ઇકોક્લાસ
જાણે કે ઋષિઓની કોન્ફરન્સ [વિગતે જાણવા ઉપરોક્ત image પર ક્લિક કરો ]
A Model School
BALA [A Model School ] ને વિગતે જાણવા ઈમેજ પર ક્લિક કરો
ચક્કીબેનનું ઘર
પ્રજ્ઞા શિક્ષણ
વિગતે વાંચવા માટે image પર ક્લિક કરો
સાયમન ગો બેક!
ઇતિહાસ શિક્ષણ..આ રીતે પણ...તે વખતે ખરેખર તેમને શું અનુભવ્યું હશે..?? જરા અનુભવી લઈએ!
ગાંધીહાટ
"ગાંધીહાટ" અન્વયે બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી જેમ કે પેન-પેન્સિલ-નોટબુક-રબર-સંચા વગેરે દરેક ખાનામાં વ્યવસ્થિત ગોઠવી તેના પર સ્પષ્ટ વંચાય તેમ તે વસ્તુની કિંમત લખેલી હોય છે.કોઈ બાળકને જયારે,જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તે બાળક જાતે જ ત્યાંથી જરૂરી વસ્તુ લઇ તેની બાજુમાં રહેલા ખુલ્લા ખાનામાં તે વસ્તુની કીમત પ્રમાણેના પૈસા મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. દર પંદર દિવસે જયારે,જ્યારે જૂથોની કામગીરી બદલાય ત્યારે તે બાળકો ગાંધી હાટનો હિસાબ જે તે જૂથના નેતાને સુપ્રત કરી દે છે. ગાંધીહાટમાં ખૂટતી વસ્તુઓ લાવવા માટે જવાબદારી સંભાળતા જૂથના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીનો સંપર્ક કરે છે. આવી નાનકડી પ્રવૃત્તિથી બાળકોમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થાય છે. જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરતા શીખે છે. જાણે અજાણે સૌ સહકારથી જીવવાનો ગુણ કેળવે છે.
આજના ગુલાબ
બાળકો માં સ્વચ્છતાનો ગુણ વિકસાવવો એ ખુબ જ અઘરી બાબત છે. કારણકે દોડવું,કુદવું ,ધૂળમાં રમવું,પડવું વગેરેની કોઈ વાત કરે કે તરત જ આપણને બાળકો જ દેખાય. બાળકોની આવી સ્વાભાવિક રમીતિયાળ અને તોફાની પ્રવૃતિઓ ન અવરોધાય અને સ્વચ્છતાનો ગુણ વિકસાવવો તે જરૂરી છે. "આજના ગુલાબ " પ્રવૃતિથી અમે તેમ કરવામાં અમે લગભગ સફળ રહ્યા છીએ. રોજ પ્રાર્થના સમયમાં બે મીનીટનો સમય ફાળવી...ધોરણવાર બાળકોને ઉભા કરવામાં આવે છે. જે જૂથને પ્રાથના સંમેલનની કામગીરી ફાળવેલ હોય તે જૂથના બાળકો અન્ય વિધાર્થીઓને તપાસે છે. જેમાં *વાળ ઓળેલા છે કે નહિ?*તેલ નાખેલું છે કે નહિ?*નાખ કાપેલ છે કે નહિ?*યુનિફોર્મ ધોયેલો છે કે નહી?* શરીર પર નો મેલ સાફ કરેલ છે કે નહિ? જેવી બાબતો ધ્યાનમાં રખાય છે. તપાસનાર જૂથ ધોરણવાર એક -એક બાળકનું નામ જાહેર કરે છે. તેને ઢોલકની ત્રણ તાલ - બધાની ત્રણ તાલીનું માન અપાય છે. શિક્ષક્ તે બાળકોના નામ ધોરણવાર શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર નોધે છે.આનાથી કેટલક સુખદ પરિણામો અમને મળ્યા છે તેમાં બાળકો સમયસર શાળાએ આવે છે...સ્વચ્છ રહેવાની તંદુરસ્ત હરીફાઈ .... રોજ સ્નાન કરવાની ટેવ..હાથ ધોઈનેજ જમાય તેવી ટેવ...મળ્યા તે ઉપરાંત વાલીઓમાં પણ પોતાના બાળકની સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે તે વધારાનો ફાયદો.
ખોયા-પાયા
"ખોયા-પાયા" નું હાર્ડબોર્ડનું ખોખું અમે ઓફીસ રૂમની બહાર લગાવેલ છે. જેમાં બાળકોને વર્ગ ખંડ કે મેદાનમાંથી કોઈ વસ્તુ મળશે તો તે ખોયા -પાયમાં મૂકી દેશે. જ્યારે કોઈ બાળકની વસ્તુ ખોવાઈ ગઈ હશે તો પણ તે અન્ય જગ્યાએ શોધવાનો સમય વેડફ્યા વગર ખોયા-પાયામાંથી જ મેળવી લેશે. અહી બાળકો પોતાના સિવાયની બીજાની વસ્તુ પોતાની પાસે ના રખાય તેવી સમજ કેળવશે ..ચોરીની કુટેવ હશે તો દુર થશે ...વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળશે. અહી વિધાર્થીઓમાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ સમજાવવો. તેમને સમજાવવું કે ફક્ત જરૂરી વસ્તુઓ જ "ખોયા-પાયા "ના બોક્ષમાં મુકવી
ઉત્સવો
બાળકો તહેવારોની ઉજવણી હમેશા પોતાના ઘરના -શેરી-મહોલ્લાના રસ્તાઓ પર કરવાનું પસંદ કરે છે.પરંતુ જો તહેવારના દિવસે શાળાનું વાતાવરણ તેમના ઘર જેવું બનાવી દઈએ તો?