યે નયાકુંભ હૈ !!
પૃથ્વી પર માનવજાતિના ઉદ્ભવ અને વિકાસના ઇતિહાસ પર નજર કરીએ
તો, એક સ્પષ્ટ પેટર્ન ઉભરી આવે છે: સમૂહમાં
જીવવાની અને એકબીજા સાથે જોડાણ સાધવાની અનિવાર્યતા. આ માત્ર સામાજિક કે સાંસ્કૃતિક
ઘટના નથી, પરંતુ માનવ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક
મૂળભૂત જૈવિક અને વૈજ્ઞાનિક અનિવાર્યતા છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી તરીકે ઓળખાય
છે. માનવીઓ નાના સમૂહોમાં શિકાર કરતા,
ખોરાક એકત્રિત
કરતા, અને સંરક્ષણ મેળવતા હતા. આ સામુહિક
જીવનશૈલીએ જ જ્ઞાનના સ્થાનાંતરણ,
શ્રમનું વિભાજન
અને સમસ્યા ઉકેલ (collective problem-solving) ને જન્મ આપ્યો.
એકલા જીવતા પ્રાણીઓથી વિપરીત,
માનવીઓ એકબીજાના
સહયોગથી જ જટિલ સાધનો બનાવવામાં,
ભાષા વિકસાવવામાં
અને સંસ્કૃતિનું નિર્માણ કરવામાં સક્ષમ બન્યા. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, સામાજિક સંકલન એ માનવ પ્રજાતિને ટકી
રહેવા અને વિકસવા માટે એક મોટો ઉત્ક્રાંતિગત લાભ પૂરો પાડ્યો છે.
પ્રયાગરાજનો ભવ્ય મહાકુંભ હોય કે અન્ય નાના-મોટા મેળાઓ અને
ઉત્સવો, આ બધા જ પ્રસંગો માનવજાતિની સહજ સામુહિક
વૃત્તિના જીવંત ઉદાહરણો છે. કુંભ જેવા વિશાળ મેળાઓમાં લાખો લોકો ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક બંધનોને મજબૂત
કરવા એકઠા થાય છે. આ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નથી,
પરંતુ તે માનવીય
સમુહિક ઓળખ અને સભ્યતાના સંવર્ધનનું પ્રતીક છે. આ ઘટનાઓ દર્શાવે છે કે માનવીય
ચેતના અને માનવતાવાદ સમૂહમાં જીવવાથી જ પોષાય છે અને વિકસે છે.વર્તમાન સમયમાં,
પૃથ્વી પર આપણે
અનેક જટિલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ – અતિશય ગરમી, ઠંડી કે વરસાદ, કોરોના જેવા રોગચાળા, આર્થિક અસમાનતા અને ખાસ તો સામાજિક તણાવ.
આમાંની ઘણી સમસ્યાઓનું મૂળ કારણ માનવજાતિનું "ભેગા રહેવાનું ભૂલી જવું"
છે. જ્યારે સમુદાયો, દેશો, કે વૈશ્વિક સ્તરે માનવીઓ એકબીજાથી વિમુખ
થાય છે, ત્યારે સંયુક્ત પ્રયાસો અને સર્વસંમતિથી
ઉકેલ શોધવાની ક્ષમતા ઘટી જાય છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે સામાજિક મૂડી (social capital) – એટલે કે, સમાજમાં લોકો વચ્ચેના સંબંધો, વિશ્વાસ અને સહયોગના નેટવર્ક – એ કોઈપણ
સમાજની સ્થિરતા અને પ્રગતિ માટે અનિવાર્ય છે. જ્યારે આ સામાજિક મૂડીનું ધોવાણ થાય
છે, ત્યારે સમસ્યાઓ વધુ વકરતી જાય છે.
વ્યક્તિગતવાદનું વધુ પડતું પ્રભુત્વ,
અવિશ્વાસ, અને સંવાદનો અભાવ એ વૈશ્વિક સમસ્યાઓના
ઉકેલ લાવવામાં સૌથી મોટી અડચણો છે. આ સ્થિતિ હવે માત્ર દેશો કે સમાજો પૂરતી સીમિત
નથી રહી, પરંતુ દરેક ઘર અને કુટુંબમાં પણ અનુભવાઈ
રહી છે; જ્યાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ વડે
પોતાના વિશ્વમાં જીવી રહી છે અને વાસ્તવિક રીતે તેમની સાથે કોણ છે તેની તરફ તેમનું
ધ્યાન પણ નથી. એક કુટુંબ પણ જાણે ભેગા થવાનું અને રહેવાનું ભૂલતું જાય છે. આધુનિક
યુગમાં, જ્યાં ટેકનોલોજી આપણને ભૌતિક રીતે
એકબીજાથી દૂર કરી રહી છે,
ત્યાં
સામુહિકતાનું મહત્ત્વ વધુ વધી જાય છે.ભેગા થવું અને ભેગા રહેવું એ માત્ર સાંસ્કૃતિક
પરંપરા નથી, પરંતુ માનવ અસ્તિત્વ, ઉત્ક્રાંતિ અને ભવિષ્યની પ્રગતિ માટે એક
વૈજ્ઞાનિક અનિવાર્યતા છે. આ મૂળભૂત સિદ્ધાંતને યાદ રાખીને જ અમે અમારા
ગ્રામોત્સવને મૂલવ્યો છે.

અમારા નવાનદીસર પર
કુદરતના એવા આશીર્વાદ છે કે અમે સૌને હવે જીવતા આવડ્યું છે – એવું જીવન જેમાં મોજ
હોય, મુશ્કેલીઓ હોય પણ એ તકલીફ ન આપે. જ્યાં
વ્યક્તિગત અહંકારો ખરી પડે અને દરેકના હૃદયમાં શ્રદ્ધા, વિશ્વાસ અને આનંદનું ફૂલ ખીલે. બાકીની
દુનિયા જે પ્રકારે જુદા જુદા વાડાઓ બનાવીને જીવે છે તેના કરતાં અમે સાવ વિપરીત, રચાઈ ચૂકેલા વાડાઓને ખોલીને અમારા ભવિષ્ય
માટે સુંદર મેદાન બનાવવામાં વ્યસ્ત છીએ. અમને એ ફરક નથી પડતો કે કોણ અમને શું કહી
રહ્યું છે – અમને શુભ અને અશુભ બંનેથી ઉપરની એક વસ્તુ જડી ગઈ છે કે – જે થાય છે એ
બધું આપણું છે - એ બધું જ પ્રસન્ન કરનારું છે.
એક વર્ષ છોડીને આ વર્ષે ઉત્સવની ઉજવણી શરૂઆતમાં મુશ્કેલ
લાગી, કારણ કે બધા એટલા વ્યસ્ત હતા કે કોઈ સમય
જ આપી શકતું ન હતું. (શાળા તરીકે અમારા માટે એ આનંદની વાત કહેવાય કે ગામના દરેક
હાથ પાસે કામ છે.) પરંતુ આ તો નવાનદીસરનો જાદુ છે. ગ્રામોત્સવ હોય એટલે અમારા માટે
અમારા બધા કમિટમેન્ટ એ ઉત્સવ સામે કંઈ જ નથી. દર વર્ષની જેમ ઘરે ઘરે, ખેતરે ખેતરે ફરીને – ગ્રામોત્સવની તિથિની
જાણ કરવી, ફાળો લેવાથી લઈ જાણે પોતાના ઘરનું લગ્ન
હોય એમ વિવિધ વસ્તુઓની પસંદગી કરવી. સાઉન્ડ સિસ્ટમ હોય કે ફૂલહાર – બધી જ બાબતોની
ઝીણી ઝીણી કાળજી લેવાઈ. આ બધાથી ઉપર – ગામમાં કોઈ એવું નહોતું કે જેને લાગતું હોય
કે મેં તો મારા ભાગનો ફાળો આપી દીધો હવે યુવાનો બધું કરી લેશે. તેઓ ખભેખભો મિલાવી
સૌની સાથે રહ્યા. અને આખરે ઉજવણી થાય એ તો બધા જ જોઈ શકે, પરંતુ અમને લાગે છે કે આ બધા માટે
વારંવાર ભેગા થવું એ સૌથી અગત્યનું સેલિબ્રેશન હતું. જ્યાં સૌ પોતપોતાના મંતવ્યો
લઈને આવે અને પરત ફરે ત્યારે સૌના મંતવ્યો એક થઈને સામૂહિક મેઘધનુષી રંગ ધારણ કરી
છૂટા પડે.
ગ્રામોત્સવનો એ દિવસ (અને એ આખા દસે દિવસો – હજુ ય જો કે
વાતોમાં ઉત્સવ ચાલુ જ છે!) જે રીતે જીવાયો છે એ યાદ કરીએ તો લાગે કે એ સત્ય હતું
કે સપનું. જે રીતે ગામને શ્રદ્ધા છે કે તેના ઉત્થાનનું સ્થાન એ સૌથી પવિત્ર હોવું
જોઈએ, તે ભાવનાએ સૌને રંગી દીધા. બે-અઢી હજાર
માણસો એક જ જગ્યાએ ઉનાળાની રાત્રીમાં – છ-સાત કલાક એક જગ્યાએ બેસે – એ પોતાના
ભવિષ્યને ઓળખે, માણે,
જાણે, બિરદાવે – એ સમગ્ર ખુશીની ચમક લઈને ગરબે
ઘૂમે કે પછી ક્યારેય ન નાચ્યા હોય એવા સૌ પણ એકબીજાની આંખોમાં ડોકાતા આનંદને ઝીલી
લેવા નાચે – ત્યારે લાગે કે અમારૂ કોઈ એકલું-અટૂલું અસ્તિત્વ છે જ નહીં.
અમે સૌ એક જ છીએ અને આ બધા જે જુદા જુદા દેખાય છે એ અમારા
અસ્તિત્વના જુદા જુદા અંગો છે. જેમ એક શરીરને વિવિધ અંગ હોય પણ એ આખરે તો એક જ છે, એમ આ અમે બધા માનવીઓ એક જ સમૂહ છીએ જેને
મોજ મળી ગઈ છે. અને મોજની ડૂબકી લગાવી અમે સૌ છૂટા પડ્યા છીએ – વાયદા સાથે કે ફરી
મળીશું, આ જ સ્થળે ફરી આ જ કુંભ – નયા કુંભમાં
આનંદની ડૂબકી લગાવવા!

તમને ય આવકાર છે અમારા નયાકુંભનો પવિત્ર રંગ ઝીલવા! ઝીલી લો ! - નવાનદીસર પરિવાર તરફથી
No comments:
Post a Comment