July 31, 2014

શૈક્ષણિક કાર્ય & Technology !!!


J શૈક્ષણિક કાર્ય & Technology :

                                  મિત્રો, આજથી દસકા પહેલાં કોઈને કલ્પના પણ નહોતી કે ટેકનોલોજી ક્ષેત્રે દેશ-દુનિયા આટલી આગળ વધશે. મારું કે તમારું - આજે દરેક વ્યક્તિનું જીવન ધીમે-ધીમે ટેકનોલોજી સમર્થિત બનતું ગયું છે, તમે જોશો કે તમારી આસપાસ જે લોકોએ પોતાના જીવનમાં અથવા તો કહીએ કે પોતાના વર્તનમાં “ટેકનોલોજી પ્રવેશ નિષેધ’ એવું કહેતાં અથવા તો રહેતાં  જોશો તો તમને લાગશે કે જાણે તેઓની પ્રવૃત્તિઓમાં કે પ્રકૃત્તિમાં જાણે કે હજુ કંઈક ખૂટે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરતાં માણસો પોતાના કામોને સરળ બનાવી શક્યા છે, જ્યારે નિષેધાત્મક વલણયુક્ત વ્યક્તિઓ હજુ પણ જે કામ ટેકનોલોજી વડે સરળતાથી થઇ શકે છે, છતાં પણ તેઓ પોતાના કામો પાછળ ઘણી તકલીફો સહન કરી રહ્યા છે. અને હા તેઓની સમય અને પૈસાની બરબાદી તો ખરી જ !  જેનું સરળ ઉદાહરણ આપું તો શાળાકીય માહિતી માટે જો આપ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી એકવાર બાળકોની સમગ્ર માહિતી નાખી દો, પછી કોઈ પણ પત્રક હોય શિષ્યવૃત્તિ કે પાઠ્યપુસ્તક વહેંચણી, પછી તો જ્યારે પણ માહિતી પત્રકો ભરવા પડે બસ copy એન્ડ paste ! કહેવાનો મતલબ એટલો છે કે ટેકનોલોજીએ આપણા મોટાભાગના કામોને ખૂબ જ સરળ બનાવી દીધા છે.
                                              જો આપણે આપણા વર્ગખંડમાંના શૈક્ષણિક કાર્યોને સરળ બનાવવા હશે તો આપણે આપણા વર્ગખંડોની પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો પણ સમાવેશ કરવો જ પડશે. “જ્વાળામુખી’ કે “લાવારસ” વિષેનું તમારું વર્ણન કે તમે બતાવેલ ફોટોગ્રાફ્સ કરતાંય youtube અથવા અન્ય સ્ત્રોતોમાંથી મેળવેલ વિડીયો તે બાળકની સંકલ્પના વધારે સ્પષ્ટ કરી શકશે. કદાચ કોઈ કવિતા આપણે એટલી સારી રીતે બાળકો સમક્ષ રજુ ન કરી શકીએ જેટલી સરસ રજૂઆત તેની Mp3 કરી શકે, આપણે આપણા મોબાઇલમાં આપણા અવાજમાં રેકોર્ડ કરેલ કોઈ પાઠનું આદર્શ વાંચન બાળકોને વારંવાર સંભળાવી [સાથે-સાથે સમજાવી] બાળકોનું વાંચન સમૃદ્ધ બનાવી શકીએ, તેમજ તે પાઠના પ્રસંગોને બાળકની સ્મૃતિમાં સમાવી શકીએ, વર્ષ દરમ્યાન કરાતા શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન પ્રવાસના રૂટમાં આપણે અભ્યાસક્રમને આનુસાંગિક તમામ સ્થળોનો સમાવેશ નથી કરી શકતાં. જેમકે ગોધરાના બાળકોને સાબરમતી આશ્રમની મુલાકાત કરાવવી હોય તો લોથલ સ્થળને પડતું મુકવું પડે છે. આવા સમયે આપણી મદદે આવે છે- “ટેકનોલોજી’ ભલેને આપણો વર્ગખંડ લોથલ ન જઈ શક્યો, પરંતુ ટેકનોલોજી ધ્વારા આપણે લોથલને આપણા વર્ગખંડોમાં કેમ ન લાવી શકીએ? જેમકે ગોધરાના કોઈ શાળાના શિક્ષકે લોથલ બતાવવું હોય તો તે શિક્ષક લોથલ પાસે રહેતાં પોતાના શિક્ષકમિત્રને કહી લોથલના ફોટોગ્રાફ્સ/વિડીયો  સોશ્યલ મીડિયા ધ્વારા મંગાવી બાળકોને બતાવી શકે છે, અને આજ રીતે લોથલ પાસેના વિસ્તારની શાળાના બાળકો પણ ટેકનોલોજી ધ્વારા પાવાગઢ જોઈ શકે છે અથવા તો પંચામૃત ડેરીને જોઈ/જાણી શકે... આપ આને ટેકનોલોજી ધ્વારા Educatational Material Exchange Programme [E.M.E.P] પણ કહી શકો છો. આ રીતે થયેલો ટેકનોલોજીનો ઉપયોગ આપણા વર્ગખંડમાંના કાર્યને સરળ અને વિષયવસ્તુની સમજને સચોટ બનાવી દે છે  હા, એક પ્રશ્ન તો રહેશે કે ટેકનોલોજીનો કેટલો – ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો ?? તેનો જવાબ તો વર્ગ-નિયામકની વિવેક બુદ્ધિ અથવા તો આપસુઝ  પર જ આધારિત છે.  



July 24, 2014

Unicef Team At NavaNadisar


Unicef Team & SSAM State Team At our school


શાળામાં કાર્યાન્વિત પ્રજ્ઞા અભિગમ અંતર્ગત રચાયેલા #Child Friendly વાતાવરણ, ફાયદાઓ અને તેમાં આવી રહેલા પડકારો વિષે શાળામાં રૂબરૂ મુલાકાત અને ચર્ચા માટે આવેલ  જરૂ માસ્ટર,ગુજરાત યુનિસેફ હેડ તથા પુષ્પાબેન,યુનિસેફ ની સાથે એસ.એસ.એમ. ગાંધીનગરના પ્રતિનિધિ પ્રકાશભાઈ અને ગોધરા ના બી.આર.સી.સી.ઓ ને વરસાદે શાળામાં સત્કાર્યા !
  વર્ગખંડોની મુલાકાત અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ 



પ્રજ્ઞા અભિગમ - વિદ્યાર્થી કઈ રીતે શીખે છે - ચર્ચા 




એસ.એમ.સી., નવાનાદીસરના સભ્યો સાથે ચર્ચા 

















વિઝીટ-બુકને સ્પષ્ટ વાંચવા માટે ક્લિક કરો >  full page of visit-book
યુનિસેફની  મુલાકાતને જોવા માટે નીચે આપેલ વિડીયો પર ક્લિક કરો... 


July 19, 2014

સામાજિક જ્ઞાનનું વિજ્ઞાન...


સામાજિક જ્ઞાનનું વિજ્ઞા
                સમાજમાંથી આવતા બાળકોને સમાજ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે સમાજને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જોવા માટેનું વલણ કેળવવા માટે સામાજિક વિજ્ઞાનનો વિષય આપણે ભણાવીએ છીએ – અથવા વિદ્યાર્થીઓ ભણે છે. એના મુખ્ય હેતુઓ છે –

Ø  સંસ્કૃતિક વારસાનું જતન....
Ø  લોકશાહીની સભાનતા.....
Ø  પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમ....
Ø  સામાજિકતા.......
Ø  કાર્ય-કારણ સંબંધ....



              ........................... ત્યારે આ વિષય વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે લઇ જવો? આ વિષયના કેન્દ્રમાં ‘સમાજ’ છે તે જ - આ વિષયની તાકાત અને મર્યાદા બંને છે !વિદ્યાર્થીઓના સમાજનો આધાર લઈએ તો એ જીવંત બને પણ પુસ્તકમાં છાપેલા વાક્યો વાંચી સંભળાવીએ તો -  તે જે સમાજને જુએ-અનુભવે છે તે અને તેની સામે આવેલ પુસ્તકિયા વાક્યો વચ્ચે દ્વંદ પણ રચાય. જેના પછી સમગ્ર સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ ફક્ત માહિતી પ્રધાન બનીને રહી જાય છે..... 
        આપણી શાળાનો જ એક પ્રસંગ જોઈએ……….
:શિક્ષક :  ડેટિંગ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે.
                                             (ડેટિંગ પદ્ધતિ વિષે સમજ્યા પછી.)  
:જયપાલ : અવશેષ એટલે શું ? 
:શિક્ષક : તમે ભાગાકાર કરો છો. તેમાં એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગો અને અંતે જે બચે એને શું કહો છો ?  
:જયપાલ : શેષ  
:શિક્ષક : એમ જ જુના સમયના નગર-ગામ-સંસ્કૃતિઓ સમય જતા જમીનમાં દબાઈ ગઈ. કેટલીક વ્યવસ્થાઓ સમય જતા લુપ્ત થતી ગઈ. તે પૈકીમાં જે હજુ આપણને મળી આવે તેને આપણે અવશેષ કહીએ છીએ. આપણા ગામમાં પહેલા ખેતરમાં પાણી પીવડાવવા શાનો ઉપયોગ કરતા હતા ? 
: હંસા : કુવાનો.   
:શિક્ષક : હા, પણ કુવાનું પાણી બહાર કાઢવા ?  
:હરેશ : ચોમડાનો કોથરો..  
:શિક્ષક : બિલકુલ સાચું ! એને કોશ કહેવાય ! અત્યારે એ કોશ તમને જોવા મળે છે? 
:હરેશ : અમારા વતનમાં એક જુનો કોશ પડ્યો છે. 
:શિક્ષક : તો એ પણ એ સમયની સિંચાઈ પદ્ધતિનો અવશેષ કહેવાય. તેના ઉપયોગથી આપણે એ સમયની સિંચાઈ પદ્ધતિનો ખ્યાલ મળી આવે. તમે ઘરેથી આવી બીજી કઈ વસ્તુઓ-વ્યવસ્થાઓ પહેલા ઉપયોગમાં હતી તેની યાદી બનાવી લાવજો.
                                       …………..તો અહીં શિક્ષકે નવાનદીસરના પાણીના કોષને યાદ ન કર્યો હોત ? કે તેને ગણિત સાથે જોડી – “શેષ” શબ્દનો અર્થ ન સમજાવ્યો હોત તો ? – વિદ્યાર્થીઓ માટે ડેટિંગ પદ્ધતિથી પુરાતાત્વિક અવશેષો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે. એ માત્ર પુસ્તકનું એક વાક્ય માત્ર બની રહેત. અને વિદ્યાર્થીઓમાં સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન – નહિ પણ – માત્ર ગોખેલા કેટલાક મુદ્દાઓ જ બચત. અને તેના દ્વારા તે ‘પાઠ’ તો શીખત પણ સામાજિક વિજ્ઞાનનો – પોતાના સંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃત બની શકત ? તેના જતન માટેની પ્રેરણા મેળવત ?
પ્રશ્ન પુસ્તકની માહિતીનો નહિ – તેને રજુ કરવામાં વપરાતી પદ્ધતિનો છે. બીજા ક્યાં એવા મુદ્દા છે –જેની પર આપણે આવી ચર્ચા યોજી શકીએ ? જરૂરથી જણાવજો ! 

July 18, 2014

Pre-Writing..


Pre-Writing..
                            ધોરણ પહેલાના બાળકના હાથના કાંડાનો મરોડ યોગ્ય બને તે માટે શાળામાં  BALA અંતર્ગત ઉપલબ્ધ Pre-Writing  TLM ધ્વારા એક બાળક પ્રયત્ન કરી રહ્યો છે. જો આખી દિવાલને આપણે સ્લેટ ગણીએ તો તેને તમે મહાવરો પણ કહી શકો છો. મજાની વાત એ પણ છે કે તેની સાથેનો તેનો જ મિત્ર કે જે આ પ્રવૃત્તિમાંથી પસાર થઇ ચુક્યો છે, તે જરૂર પડે આ બાળકને મદદ પણ કરી રહ્યો છે, વિગતે આપ નીચે આપેલ વિડીયોમાં જોઈ શકો છો...


July 13, 2014

છાપકામ...


અંગુઠા અને આંગળીઓ વડે છાપ પાડી આકૃતિ /ચિત્ર ઉપસવતા બાળકો... [ધોરણ-૫ ] 
 



¹watch video


July 01, 2014

સ્વરાજ્યથી સુરાજ્ય.....



સ્વરાજ્યથી સુરાજ્ય.....
        ભારતની એક સવાર એવી હોય - જ્યાં દરેક નાગરિકને પોતાના હક અને ફરજોનું જ્ઞાન છે. ઘડાતા કાયદાઓને પાલન કરવામાં સરકારીતંત્ર કરતાં નાગરિકો વધુ પ્રતિબદ્ધ હોય જાહેર સ્થળોની જાળવણીની જવાબદારીઓ સહિયારી હોય. એકબીજાને મદદ કરવામાં દરેકને ખુશી પ્રાપ્ત થતી હોય. જેની કલ્પના આઝાદીના લડવૈયાઓએ કરી હતી એવું ભારત આપણી નજર સામે હોય.
-: ઉપરના ફકરામાં “હોય” શબ્દ વાંચતાં જ થાય છે કે ‘હા! આવું હોવું જોઈએ! પણ હોય કેવી રીતે???”
                          રાષ્ટ્રનું ભાવી તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આપણા આપણા સુરાજ્યના સપનાં સાકાર થઇ શકે છે. આપણી શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને એમને જે તે ઉંમરે પ્રાપ્ત હકોની જાગૃતતા હોય અને જે હક ન મળતાં હોય તો તેને લોકશાહી ઢબે મેળવવાની ટેવ હોય. [ જો આવું થાય તો બસને સળગાવી પેટ્રોલ વધારાનો વિરોધ કરવાના વિચારો અટકી જાય] પોતાના હક એ કોઈની ફરજ બજાવવાથી પ્રાપ્ત છે, એમ જ પોતાની જવાબદારી છે કે પોતે ફરજ બજાવી બીજાના  હકોનું પણ રક્ષણ કરે.
                      આપણા સ્વરાજ્યને સુરાજ્યમાં પલટવા શાળામાં “નાગરિક ઘડતર’ નામની એક પ્રવૃત્તિ ચાલે છે. સમયાંતરે પ્રવૃત્તિ એનું “પ્રવૃત્તિ” તરીકેનું સ્વરૂપ ગુમાવીને શાળાનો પ્રાણ બની ચુકી છે. શાળામાં ભણતો દરેક વિદ્યાર્થી શાળાને પોતાનું BEST આપવાનો પ્રયત્ન કરે છે. પોતાને યોગ્ય લાગે તો પોતાની ભાષામાં યોગ્ય ઢબે અવાજ ઉઠાવે છે. ખાસ તો એ પોતાને સમગ્ર શાળા સંચાલનનો મહત્વનો હિસ્સો સમજે છે. અમારી શાળા વ્યવસ્થાપન સમિતિ જાણે કે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોથી બનેલી છે.“નાગરિક ઘડતર” ની આ પ્રવૃત્તિને કાગળ પર ઉતારવી એ જરા મુશ્કેલ છે,પણ નીચેની લીંકો તેની રચના અને સંચાલનનો સચોટપણે ખ્યાલ જરૂરથી આપશે.
¹è -:  part-1   part-2   part-3      part-4     part-5   part-6  patr-7    patr-8
અમારા નાગરિક ઘડતરનું સ્વરૂપ એ કોઈ સ્થિર-જડતા ભર્યું નિર્જીવ નથી, માટે એમાં યોગ્ય બદલાવ માટે આપના સૂચનો પણ આવકાર્ય છે. 

“Guide” તરીકેની આપણી સજ્જતા કેટલી ?


U  બાળકના શૈક્ષણિક સફરમાં Guide તરીકેની આપણી સજ્જતા કેટલી ? 
       મિત્રો, નવીન શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચુકી છે. આપના વર્ગખંડો નવા બાળ-સાથી મિત્રોથી સજ્જ થઇ ચુક્યા હશે. બાળકોની આંખોમાં એક નવીન કુતૂહલ આપને વંચાતી હશે.આપ પણ આપણા આ નવા સાથી મિત્રો સાથે શૈક્ષણિક સફરમાં જવા ઉત્સાહથી ભરેલા હશો. આપ જયારે ગાઈડ તરીકે  આ બાળકોની સાથે એક વર્ષની શૈક્ષણિક સફર કરવાના છો ત્યારે આપે એક યોગ્ય ગાઈડની ભૂમિકાની સમજથી આપ સજ્જ છો ખરા ?? ચાલો, માની લો કે તમે પ્રવાસે નીકળ્યા છો અને તમને નીચે જેવી કોઈ વ્યક્તિ Guide તરીકે મળે જેમ કે ...

1.      તમે જે સ્થળોની મુલાકાત લેવાના છો તે સ્થળો અને તેના સંદર્ભથી અજાણ હોય..
2.      તે તમારી સાથે પૂરેપૂરો સમય ન ફાળવતા મોબાઈલ અથવા તો અન્ય કામમાં વારે-વારે વ્યસ્ત રહેતો હોય...
3.      કોઈ વસ્તુ-વ્યક્તિ વિષે પૂછતાં જવાબ ટાળવાની વૃત્તિ ધરાવતો હોય અથવા તો તેનો વળતો જવાબ તુમાખી ભર્યો હોય...
4.      કોઈ વસ્તુ વિષે તેને પૂછતાં પણ તમને ડર લાગતો હોય..
5.      તે તમને સારી રીતે [એટલે કે તમે સહેલાઈથી સમજી શકો તેવી ભાષામાં] વ્યક્તિ/ સ્થળ વિષે સમજાવી ન શકતો હોય... અને છેલ્લે ફકતને ફક્ત તમે પૂછો તેટલી જ માહિતી આપતો હોય..
               મિત્રો, આવો ગાઈડ આપણે નથી ઇચ્છતાં કારણ કે તમને લાગશે કે આવા ગાઇડને સાથે લઈને પૈસા પડી જાય તેના કરતાં તો વગર ગાઈડે સ્વ-પ્રયત્ને વધારે સારું જોઈ/જાણી શકીશું. પરંતુ કમનસીબે આવો Option આપણી પાસે હોય છે પરંતુ વર્ગખંડોમાં બાળકો પાસે નથી હોતો !!
 So, God bless them !!