August 30, 2026

વે બચ્ચે હૈ, વે કુછ ભી કર શકતે હૈ !

વે બચ્ચે હૈ, વે કુછ ભી કર શકતે હૈ !

સફળતા મેળવવા માટે પ્રશિક્ષક અથવા વિષય નિષ્ણાત શિક્ષક હોવા ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. પરંતુ, કોઈ શિક્ષક કે કોચને સ્કેટિંગ જેવી રમત ન આવડતી હોય, અને છતાં તે શાળાના બાળકો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવીને ઇતિહાસ રચે, તો તે આશ્ચર્ય સાથે ઉપરની માન્યતાઓને તોડી નાખે છે અને ગર્વની વાત બની જાય છે. સ્કેટિંગની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પહેલો,બીજો અને ત્રીજો નંબર આપણી શાળાનાં બાળકોએ મેળવ્યો ત્યારે વિચાર આવ્યો કે - बच्चें कुछ भी कर शकते है !

બાળકોની આ સફળતા પાછળ શાળામાં ચાલતી અતિ મહત્વપૂર્ણ 'નાગરિક ઉઘડતર' જેવી પ્રવૃત્તિઓનું ખૂબ મોટું યોગદાન છે. શાળામાં ચાલતી આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકો જૂથમાં રહીને એકબીજા સાથે મળીને શાળાનું સમગ્ર સંચાલન કુશળતાપૂર્વક સંભાળે છે, જેના કારણે બાળકોમાં પરસ્પર સહકાર, જવાબદારી અને નેતૃત્વના ગુણો સહજ રીતે વિકસે છે. આ જ મજબૂત આંતરિક આવડત, જવાબદારીની ભાવના અને શિસ્તના કારણે બાળકો સ્કેટિંગ જેવી રમતમાં પણ ઉત્તમ 'પીઅર લર્નિંગ' કરી શક્યા અને કોઈ પણ ઔપચારિક કોચ વગર જાતે જ શીખીને આખી ટીમ તૈયાર કરી શક્યાં.

શાળા દ્વારા બાળકોમાં શાળા સંચાલન અને સ્વ-વ્યવસ્થા માટે કરાતા આવા પ્રયત્નોને લીધે તેમનામાં જે અદભુત કૌશલ્યો વિકસ્યા છે, તેનું જીવંત ઉદાહરણ આપણી વિદ્યાર્થીની ભારતી છે. આત્મવિશ્વાસ અને સખત મહેનતના બળે ભારતીએ ચક્ર ફેંક સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે તે ગર્વભેર રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જઈ રહી છે! બાળકોના આ કૌશલ્યો અને આત્મવિશ્વાસ પાછળ શાળાનું યોગદાન માત્ર માર્ગદર્શકનું નહીં, પણ બાળકોને આગળ આવવા માટે એક યોગ્ય પ્લેટફોર્મ અને નૈતિક સમર્થન પૂરું પાડનાર સાધનનું રહ્યું છે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતો માત્ર મનોરંજન નથી, પણ જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. રમતોથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને છે, શિસ્ત અને ટીમ વર્ક દ્વારા ખેલદિલીની ભાવના કેળવાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે જેથી બાળકો જીવનના કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ બने છે. આવા કિસ્સાઓમાંથી પ્રેરણા લઈને દરેક શૈક્ષણિક સંસ્થાએ વિદ્યાર્થીઓની છૂપી પ્રતિભાને ઓળખીને તેમને પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ. બાળકો જાતે કંઈક નવું શીખી રહ્યા હોય ત્યારે તેમાં અડચણરૂપ બનવાને બદલે તેમને પ્રોત્સાહિત કરવા, શક્ય હોય તેટલા સંસાધનો પૂરા પાડવા અને વિજેતા બાળકોનું સન્માન કરી અન્ય બાળકોમાં પણ રમત પ્રત્યે ઉત્સાહ જગાવવો એ એક સંસ્થા તરીકે આપણી મુખ્ય જવાબદારી છે.

              બાળકો આ માટે તો અભિનંદન પાત્ર છે જ - પરંતુ “ તું આમ નહીં, આમ શીખ, આવી ભૂલ ન કર , ફલાણું ઢીંકણું … વગેરે ડાયલોગ બોલી બોલી બાળકોને ન નડયાનો અનહદ આનંદ અમને પણ છે ! 

રીડિંગ રીલ્સ :

બાળકો પરસ્પર સહકારથી અને પોતાના જૂથમાં રહીને વયસ્કોના માર્ગદર્શન વગર પણ શ્રેષ્ઠ કૌશલ્યો કુદરતી રીતે શીખી શકે છે. -લેવ વાયગોત્સ્કી

બાળકોની રમત માણવા ક્લિક કરો.








August 15, 2026

ફ્રી બ્રેઇન્સ બિલ્ડ્સ ફ્રી નેશન!

ફ્રી બ્રેઇન્સ બિલ્ડ્સ ફ્રી નેશન!

આઝાદી કે સ્વતંત્રતાનો અર્થ 'મને જે ગમે તે હું કરું' એવો ક્યારેય નથી થતો. સ્વતંત્રતાનો સાચો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનનું તંત્ર 'ક્રિટિકલ થિંકિંગ' કરીને પોતે જ ઘડે. એક સમાજ કે રાષ્ટ્ર તરીકે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની શરૂઆત તેના ભવિષ્યના નાગરિકોથી જ કરવી ફરજિયાત બને છે. ભારતીય દર્શનમાં પ્રશ્નો પૂછવા, જૂના જ્ઞાનને પડકારવું અને કેવળ 'પહેલેથી ચાલ્યું આવે છે' માટે જ સ્વીકારી લેવાને બદલે; તે સમયે શા માટે નક્કી કરાયું હતું અને અત્યારે પણ તે સર્વહિતાય છે કે નહીં. તેની ચકાસણી કરીને જ અમલમાં મૂકવાની વિચારણા કરવા માટે 'યંગ માઇન્ડ્સ'ને તૈયાર કરવા જરૂરી છે. કારણ કે આવાં સ્વતંત્ર થયેલાં મગજો જ એક સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.

યુવાવસ્થા એ રાષ્ટ્રની સંસ્કૃતિને આકાર આપવાની અવસ્થા છે. જ્યારે યુવાનોને પોતાની આસપાસ જે ચાલતું હોય તે બરાબર ન લાગે અને તેમનો શારીરિક તથા માનસિક જુસ્સો તે બધાની સામે અવાજ ઉઠાવવા ઉશ્કેરતો હોય, તેવામાં જે મથામણો થાય, જે ધમાચકડી કે અસમંજસ ઊભી થાય. તે મંથનમાંથી જ નવનીત મળે છે. જો તેમને એ મંથન ન કરવા દેવાય કે તેમના એ નૈસર્ગિક જુસ્સાને પ્રગટ થતાં અટકાવવામાં આવે, તો તે કોઈપણ રાષ્ટ્ર માટે અત્યંત જોખમી બાબત છે.

આપણી 'નવા નદીસર પ્રાથમિક શાળા પીએમશ્રી - ગુજરાત 'નો અભિગમ આપ સૌના સૂચનો અને શુભેચ્છાઓને કારણે એવો રહ્યો છે કે શાળાનો કોઈપણ પ્રસંગ વિદ્યાર્થીઓ પોતે જ આયોજિત કરે છે અને તેનો અમલ પણ તેઓ જ કરે છે. મોટેરાઓની ભૂમિકા માત્ર તેમના આયોજન મુજબ મદદનીશ તરીકેની જ રહે છે. આ વર્ષે ૧૫મી ઓગસ્ટની ઉજવણીની જગ્યા બદલવી કે નહીં, વરસાદને કારણે નવા મેદાનમાં વિદ્યાર્થીઓને ઊભા રાખવા કે ન રાખવા – એવી મથામણ ચાલતી હતી. એવામાં વિદ્યાર્થીઓએ વાંચેલા તિરંગા યાત્રાના સમાચાર પરથી પોતે પણ 'આપણે તિરંગા યાત્રા કાઢીશું' તેવું નક્કી કર્યું.

નવા નદીસર ગામનો મિજાજ પણ એ જ રહ્યો છે કે બાળકોના ઉત્સાહમાં ઉમેરો કરવો અને તેમની સાથે રહેવું. ગામમાંથી તિરંગાઓની વ્યવસ્થા તો થઈ જ ગઈ, સાથે નજીકની કોલેજના યુવાનોએ યોજેલી તિરંગા યાત્રામાં ત્રણ રંગનો લાંબો પટ્ટો વપરાયો હતો, તે પણ આપણી શાળાના બાળકો માટે આવી પહોંચ્યો.  પહેલેથી બધું જ આયોજિત ન હોય, પણ જેમ જેમ સૂઝ પડે તેમ કરતા જવાનો આ અભિગમ અમને આનંદની અનેક ક્ષણો આપી ગયો.

યાત્રા શરૂ થવાની જ હતી ત્યાં ગામના યુવાનોને વિચાર આવ્યો કે ડ્રોન વ્યુ લઈએ તો શાળા, ગામ અને તિરંગો – ત્રણેયની એક સુંદર સ્મૃતિ કંડારી શકાશે. યાત્રા દરમિયાન બેન્ડમાં શું વગાડીશું, કેવી રીતે વગાડીશું અને કોણ વગાડશેતે બધું તો પ્રમુખ અને ઉપપ્રમુખ તથા સચિવોની ટીમે જ નક્કી કરી લીધું હતું.

સ્વાભાવિક છે કે બેન્ડ વાગતું જાય એટલે ગામના લોકો ઘરોમાંથી બહાર નીકળે. કેટલાકે હાથથી તો કેટલાકે મનોમન તિરંગાને સલામી આપી. અમારા સૌ માટે ભાવનાત્મક ક્ષણ એ હતી કે, એક ઘર પાસેથી પસાર થતી વખતે, જેમ કોઈ માતાજી કે ભગવાનનો વરઘોડો નીકળે ત્યારે તેમને ચોખાથી વધાવવામાં આવે, તેમ જ તેમણે તિરંગાને પણ ચોખાથી વધાવ્યો! સૌ શાળાના કેમ્પસમાં પાછા ભેગા થયા, આનંદપૂર્વક તિરંગા સાથે ફોટોગ્રાફી કરી અને તિરંગો લહેરાવ્યો. સૌ શાળાના બિલ્ડિંગમાં છત સુધી પહોંચી અવનવી વાતો કરીને છૂટા પડ્યા.

બીજા દિવસે પણ આ જ જુસ્સા સાથે જ્યારે ભાષાભવનના આંગણે આપણા તિરંગાને સલામી આપવા ભેગા થયા, ત્યારે સંભળાયેલા 'વંદે માતરમ્'ના નાદથી શાળા કેમ્પસ બહાર દૂર પોતાના વાડામાં કામ કરતા વડીલો પણ બાળપણ યાદ કરીને આ ગીતને માન આપવા માટે સાવધાનની સ્થિતિમાં ઊભા રહી ગયા! આ દ્રશ્ય જોઈને લાગ્યું કે આપણી શાળાની ભૌતિક સીમાઓ હોઈ શકે, પણ તેની ભાવાત્મક બાબતોની કોઈ જ સીમા નથી.

દૂર-દૂરથી આવેલા વાલીઓ સાથે વાલી મિટિંગ દરમિયાન તેમના પ્રશ્નો, બાળકોના ભવિષ્ય અંગેની ચર્ચાઓ અને તેમનો આનંદ સચવાય તથા સારું શિક્ષણ મળે તે માટેની મથામણો, આ બધું જ અમને અહેસાસ કરાવી ગયું કે સમાજ આજે પણ બાળકોને લઈને કેટલો જીવંત છે. અમને લાગ્યું કે આ જ રીતે આગળ વધતા રહીશું તો શાળાનો મંત્ર 'સર્વે ભવન્તુ સુખીનઃ' એ આપણા રાષ્ટ્રનો પણ મંત્ર બનીને આ જગતને એક વધુ સારું જીવન જીવવાની દિશા આપશે. > તીરંગા યાત્રાને ડ્રોનની આંખે નિહાળવા ફોટો પર ક્લિક કરો

















August 09, 2026

હાથ, હૈયું અને મસ્તક: સર્વાંગી કેળવણીનો સાચો ત્રિવેણી સંગમ

હાથ, હૈયું અને મસ્તક: સર્વાંગી કેળવણીનો સાચો ત્રિવેણી સંગમ


સાચી કેળવણી એ માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ વ્યક્તિના વ્યક્તિગત અને સામાજિક વિકાસનો પાયો છે. મહાત્મા ગાંધીજીથી લઈને અનેક કેળવણીકારોએ સ્પષ્ટ કર્યું છે કે સાચું શિક્ષણ એ જ છે જે મનુષ્યના ત્રણ મુખ્ય અંગો : હાથ, હૈયું અને મસ્તકનો સંતુલિત અને સર્વાંગી વિકાસ કરે. જો આ ત્રણેયમાંથી એક પણ પાસું છૂટી જાય, તો શિક્ષણ અધૂરું રહે છે.

મસ્તક એ વિચાર, તર્ક અને નિર્ણયશક્તિનું કેન્દ્ર છે. મસ્તકની કેળવણી દ્વારા વિદ્યાર્થીમાં જિજ્ઞાસાવૃત્તિ, વિશ્લેષણાત્મક વિચારસરણી અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે છે. તે બાળકોને વિવિધ વિષયોનું નું જ્ઞાન આપે છે. પરંતુ, માત્ર મસ્તકની કેળવણી મેળવીને આપણે બાળકોને પૂર્ણ અથવા કહીએ તો સર્વાંગી કેળવણી તરફ લઈ જઈ શકતા નથી. તે માટે બાળકોના હદયની કેળવણી પણ જરૂરી છે.

કેટલીકવાર કોઈ વ્યક્તિ સમાજમાં એવું કંઈક આચરણ કરે ત્યારે આપણે એક કહેવત સંભળાવતા હોઈએ છીએ કે - ભણ્યો પણ ગણ્યો નહીં ! હૈયું એ લાગણી, દયા, કરુણા, પ્રેમ અને નૈતિક મૂલ્યોનું સ્થાન છે. હૈયાની કેળવણી બાળકને સંવેદનશીલ બનાવે છે. જ્યારે કોઈ બાળક મોટો થઈ  માનવજાત - પર્યાવરણ - સમગ્ર સૃષ્ટિ માટે ઉપયોગી કાર્ય કરે ત્યારે આપણે સૌ કહેતા હોઈએ છીએ કે - એણે સમાજનું ઋણ ચૂકવ્યું. આ સમાજ - સૃષ્ટિ - પર્યાવરણ - માટે બાળકમાં સંવેદના ઊભી કરવાનું અને તેને બનાવી રાખવાનું કામ એટલે જ હૈયાની કેળવણી ! ચારિત્ર્ય નિર્માણ અને માનવીય મૂલ્યો માટે હૈયાની કેળવણી અનિવાર્ય છે.

હાથ એ ક્રિયાશીલતા, શ્રમ અને વ્યવહારિક કૌશલ્યનું પ્રતીક છે. હાથની કેળવણી એટલે કે સ્વાવલંબન અને હસ્તકળા. શ્રમનું મહત્ત્વ સમજીને પોતાના હાથ વડે કાર્ય કરવાની ટેવ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે. વિચારો (મસ્તક) અને લાગણીઓ (હૈયું) ને વાસ્તવિક દુનિયામાં સાકાર કરવાનું કામ ‘હાથ’ કરે છે. બાળકોના જીવનમાં આ ત્રણેયનો  સમન્વય ખૂબ જરૂરી છે. જ્યારે આ ત્રણેય તત્વો ભેગા મળે છે, ત્યારે જ સંપૂર્ણ કેળવણી એટલે કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા પરિપૂર્ણ થાય છે.

  વિચારવું - અનુભવવું - અને નિર્માણ કરવું - આ બધી જ પ્રક્રિયાનો સમન્વય એટલે આપણો બાળમેળો 

આપણા માનવ શરીર અને મનની રચના કોઈ અલગ-અલગ ખાનામાં વહેંચાયેલી નથી, એકબીજા સાથે રીતે જોડાયેલ એક અદ્ભુત તંત્ર છે. પ્રાથમિક શાળા એ બાળકના આ જટિલ તંત્રને ખીલવવાની સૌથી ફળદ્રુપ ભૂમિકા છે, કારણ કે “માહિતી વડે મળેલ જ્ઞાન માત્ર માહિતી ભરે છે, પણ પ્રવૃત્તિઓ સમજણ અને સર્જનાત્મકતા મળે છે - જેના વડે આખું જીવન ઘડાય છે."

બાળકો માટીમાંથી રમકડાં બનાવે છે કે કાગળમાંથી મોડેલ ઘડે છે, ત્યારે મસ્તક ભૂમિતિનો હિસાબ માંડે છે, આંગળીઓનું સૂક્ષ્મ હલનચલન સ્પર્શ અનુભવીને તે જ્ઞાનને ભૌતિક આકાર આપે છે, અને આ નિર્માણ પૂરું થતાં જ બાળકના હૈયામાં આત્મસંતોષની અનુભૂતિ કરાવે છે. પ્રાથમિક શિક્ષણમાં બાળકના બાળસહજ વર્તનને સાચી દિશા આપવા માટે કહી શકાય કે: ત્યારે જ બાળકના નાનકડા મનમાં સાચા શિક્ષણનો દીવો પ્રગટે."

બાળમેળામાં ચિત્રકામ કે રંગોળી પૂરવાની પ્રક્રિયાથી બાળકની એકાગ્રતા - સંતુલન વધે છે અને હૈયાને શાંતિ મળે છે. પ્લમ્બિંગ, ઈસ્ત્રી કરવી કે કપડાંની ગળી વાળવા જેવા વ્યવહારુ કામો બાળકોમાં સ્વાવલંબન અને ગૌરવની ભાવના જગાડે છે. "કૌશલ્ય વગરનું ભણતર એ પાંખો વગરના પંખી જેવું છે"—તેથી જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી વખતે બાળકમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને 'ડાઇવર્જન્ટ થિંકિંગ' ખીલે છે. વળી, શાળામાં સંગીતનું વાદ્ય વગાડવાથી મગજના બંને ભાગો મજબૂત બને છે અને લિંબિક સિસ્ટમ સક્રિય થાય છે.

ન્યુરોસાયન્સના નિયમ મુજબ, પ્રાથમિક શાળાની વયે જ મસ્તક વિશ્લેષણનો બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાનું, હૈયું ધૈર્ય ઉમેરવાનું અને હાથ સ્નાયુઓને તાલીમ આપવાનું શીખે છે.

બાળકનું - વિચારવું -  વિચારનું ભાવના સાથે જોડાવું  અને તે મુજબ હાથ-પગનું ક્રિયાવંતિત બનવું - જ્યારે  એકધારા પ્રવાહમાં વહે છે, ત્યારે જ બાળ જીવનમાં સાચો સર્વાંગી અને અખંડ વિકાસ શક્ય બને છે.

રીડિંગ રીલ્સ :

શિક્ષણ એવું હોવું જોઈએ જે બાળકના શરીર, મન અને આત્મા ત્રણેયનો શ્રેષ્ઠ વિકાસ કરે."

-       ગાંધીજી નઈ તાલીમમાં

 ચાલો માણીએ આપણી શાળાના બાળમેળાને > વિડીયો

નકામું જ કામનું 🎉🤟 આનંદનો મેળો 🤟 બાળમેળો 🎉































પ્લમ્બિંગ નો પ્રયત્ન 🤟 બાળમેળો 🎉 આનંદનો મેળો 🤟













હથિયારને હસ્તે 🤟 બાળમેળો 🎉 આનંદનો મેળો 🎉






આપણું કામ આપણે કરીએ 🎉 શીખીએ.. બટન ટાંકતા..  કુકર ખોલબંધ કરતાં..ઈસ્ત્રી કરતાં..ગળી વાળતાં.. 















રંગોને રંગીએ!!






આનંદનો મેળો 🤟 બાળ મેળો 🎉  માટી સાથે મસ્તી 💫







































વીડિયો પણ માણીએ!!!