November 30, 2014

સામાજિક વિજ્ઞાન માં ‘સમાજ’ માટે શું ?


સામાજિક વિજ્ઞાન માં સમાજ માટે શું ?

                         ધોરણ આઠના વિદ્યાર્થીઓ સાથે સામાજિક વિજ્ઞાન અંતર્ગત “ધાર્મિક અને સામાજિક જાગૃતિ” અંગેની ચર્ચા કરતો હતો. અગાઉથી તેમાં આપેલ માહિતી જોઈ ગયો હતો- મુખ્યત્વે – રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, દાદાભાઈ નવરોજી, અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટી, જ્યોતિબા ફૂલે, ઠક્કરબાપા – આ બધા વિષે મારે તેમની સાથે ચર્ચવાનું હતું ! સવાલ ત્યારે થયો કે આ બધાને સામાજિક હીરો તરીકે જ તેમની આગળ રજુ કરીશ તો તેમને કેવી રીતે પ્રેરિત કરીશ કે “તેઓ એ પણ હજુ તેમના સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરવાનું બાકી છે !”
એકાદ સપ્તાહ ચાલેલી ચર્ચાનો ક્રમ કૈક આવો હતો –
  રાજા રામમોહન રાય વિષે જણાવ્યું - અને તેમને વિચારવાનું કહ્યું કે માની લો કે રાજા રામમોહન રાયે “સતી પ્રથા” નો વિરોધ ના કર્યો હોત તો આજે તેની શું અસર પડત ?  એમને જે તે સમયે એ ઝુબેશ ઉપાડી તેનું આજે શું મુલ્ય છે ? તેનો ફાયદો તે સમય પૂરતો હતો કે તેની અસર આજે પણ છે ? દયાનંદ સરસ્વતી એ વેદ તરફ પાછા વાળો – અને વિવેકાનંદે ગરીબની સેવા એ જ પ્રભુ સેવા કહ્યું – એ બધાથી આજે આપણા જીવનમાં કોઈ ફર્ક પડ્યો છે ?
..છૂટક છૂટક અને ત્રુટક ત્રુટક પણ અસરકારક જવાબો મળ્યા.
“આજે અમે છોકરીઓ નિશાળમાં ના હોત !”

“અમે ય ના હોત નિશાળમાં – અમનેય કોણ ભણવા દેત ?” – છોકરાઓનો ઉદગાર...
>“કોઈકના પપ્પા મરત તો એની જોડે એની માં નું મારવાનું નક્કી હોત તો – છોકરાનું શું થાત ?”
            તીર નિશાના પર હતું ને  મેં બીજો ઘા કરી દીધો – “તમને તમે જે ગામ રહો છો તેમાં હજુ આવી બદીઓ દેખાય છે ? કે હવે બધું જ બરાબર છે ? “
સોનલ : છે સાહેબ... ઘણી વાતો છે –બધાએ થઇ યાદી કરવા માંડી
“નાના છોકરાં ને પૈણાવી દેવા, ભુવા ધુણવા, છોકરી પરણાવતી વખત છોકરાવાળા પાસેથી પૈસા લેવા, મહીસાગરે મરઘી ચડાવવી “...વિગેરે
.....અને મારો આખરી સવાલ “તો શું આપણે કોને શોધી લાવશું ? – આ બધા વહેમ, અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દુર કરવા ?”   
> “સાહેબ એમ તો કોણ આવે આપણે જ કરવું પડે ને ?”

સમાપનમાં બધા વિષે ફરી કહીને કહ્યું કે “વ્યક્તિગત રીતે વિચારીને કહેજો કે તમે શું કરી શકો આ સમાજમાં એક નાનકડો ફેરફાર કરવા ?”

November 20, 2014

Gunotsav Shubhechchhao..

આપે વર્ગખંડમાં કરેલી મહેનત ગુણ ના ઉત્સવ - દરમ્યાન પુરેપુરા વળતર સાથે પરિણામમાં પરિણમે તેવી સૌ  પ્રાથમિક  શિક્ષક મિત્રોને    શાળા પરિવાર તરફથી  શુભેચ્છા  

November 15, 2014

બાળ-સ્વચ્છતાને જવાબદારીઓમાં ન વહેંચીએ..


બાળ-સ્વચ્છતાને જવાબદારીઓમાં ન વહેંચીએ
મિત્રો, અમિતાભ બચ્ચન સાહેબનો બાળ-સ્વચ્છતાં માટેની ઝુંબેશનો એક વિડીયો ટેલિવિઝન ઉપર પ્રસારિત થાય છે. જેના ધ્વારા દર્શાવાય છે કે દર વીસ સેકન્ડે એક બાળકનું મૃત્યુ જમતાં પહેલાં હાથ ન ધોવાને કારણે થાય છે.
                  હવે વિચારો કે જે માત્ર વીસ સેકન્ડે એક બાળક આપણાથી દૂર થઇ રહ્યું છે તે દુનિયામાંનું  એક સ્થળ એ આપણી શાળા પણ છે. ત્યારે આપણને બાળકોની સ્વચ્છતા અંગેની ગંભીરતા સમજાય છે. પરંતુ જ્યારે પણ શાળામાં બાળકોની સ્વચ્છતા માટેનો મુદ્દો ચર્ચવામાં આવે છે ત્યારે ફેસબુક કે વોટ્સઅપના નોટિફિકેશનની જેમ જવાબદારીનું તીર ઘર-વાલી-સમાજ તરફ તકાય છે. ક્યારેક આર્થિક પરિસ્થિતિનો દોષ - તો ક્યારેક વાલીની અજાગૃતતા બે મુદ્દા આગળ ધરી ચર્ચાને વિરામચિહ્ન લગાવી દઈએ છીએ. અને જો સાચું કહું તો તે માટેની ચર્ચા કર્યાથી અથવા તો એક-બે વાર વાલીને સૂચનો આપ્યેથી આપણે બાળકની સ્વચ્છતા માટે ઘણો જ પ્રયત્ન કર્યો હોવાનો અહેસાસ કરી લઈએ છીએ. મિત્રો, વાલીની પરિસ્થિતિ અથવા તો અજાગૃતતા જ જો આ માટેનું કારણ હોય તો વિચારો કે આપણે અથવા તો આપણી પેઢીનો સ્વચ્છ બનનાર એ પ્રથમ વ્યક્તિ સ્વચ્છતાના પાઠ કોની પાસેથી શીખ્યો હશે? કોઈક તો હશે જ કે જેને આપણી પેઢીને સ્વચ્છ બનાવવા કમર તોડ પ્રયત્નો કર્યા હશે જ ! જેના ફળ રૂપે સ્વચ્છતા આપણી જીવનશૈલીમાં વણાઈ. પરંતુ સત્ય એ પણ છે કે આપણે જાગૃત નાગરિક તરીકે પણ કદી સ્વચ્છતાનાં આગ્રહી નથી બની શક્યા. ઉદાહરણ રૂપ આપણા સૌની શિક્ષક તરીકેની ભૂમિકા રૂપ સિક્કાની બીજી બાજુની વાત કરીએ તો આપણે આપણા પોતાના નાના બાળકોમાં સ્વચ્છતાં માટે ઘર કક્ષાએ કોઈ સ્પે.સમય અથવા તો સૂચનનું પ્રમાણ પણ નહીવત  જણાશે. ક્યારેક ક્યારેક તો ઘરમાં બાળકની અસ્વચ્છતા દેખાતાં એવો પણ સૂર સંભળાય છે કે “ આટલા મોટા નખ ! તારા સાહેબ નિશાળમાં તને કશું કહેતાં પણ નથી?  

 હવે નવાઈ ત્યારે લાગે છે કે શિક્ષક તરીકેની ભૂમિકામાં વર્ગખંડના બાળકોની સ્વચ્છતાં માટે વાલીને સુચના આપીએ છીએ અને કેટલાક આપણા વ્યવસાયી મિત્રો વાલી તરીકેની ભૂમિકામાં શાળા પાસે આ બાબતની અપેક્ષા સેવે છે, ત્યારે એક મોટો પ્રશ્ન આકાર પામે છે કે બાળકને “સ્વ-સ્વચ્છતા” તરફ માર્ગદર્શિત કરવાની જવાબદારી કોની? મિત્રો, શું આપણે સૌ આવી ગંભીર બાબત અંગેની જવાબદારી મારી નહી હોવાનું સાબિત કરવામાં જ સમય વ્યય તો નથી કરી રહ્યાને? આપણા નવાનદીસર શાળા પરિવારની વાત કરીએ તો શાળા પરિવારે પણ “બાળ-સ્વચ્છતા” માટેની જવાબદારી શિક્ષકની હોય તો પણ અને ન હોય તો પણ તેને સ્વીકારી હવેથી તે બાબત પર વધુ ધ્યાન આપવાની શરૂઆત કરી દીધી છે. જાગ્યા ત્યાંથી.....  અમે, અમારા વર્ગખંડમાંના બાળકોની પેઢીના એ પુણ્યશાળી વ્યક્તિ બનવા માંગીએ છીએ- જે કોઈએ આપણી પેઢીને સ્વચ્છ બનાવવા જેવું ભગીરથ કાર્ય કર્યું હતું. અત્રેના પ્રયત્નોમાં શાળાએ દરેક વર્ગમાં એક નેઈલ મોનીટર એક હેર મોનીટર તો કોઈ બાળક ક્લોથ મોનીટરની રચના કરી છે, વર્ગશિક્ષક દરેક મોનીટરને માર્ગદર્શિત કરી જરૂરી ઉપકરણ પૂરા પાડશે –જેમ કે નેઈલ મોનીટરને જરૂરી નેઈલ કટર તો હેર મોનીટરને કાંસકા – હેર ઓઇલ વગેરે. આ ઉપરાંત સમયાંતરે સામુહિક દાતણ અને તેના ધ્વારા દાતણ-દાંતનું મહત્વ વગેરે કાર્યક્રમો તો ખરા જ !   

મિત્રો સાથે વહેંચણી.....
 સામુહિક "બ્રશોત્સવ" અથવા તો "દાતણોત્સવ" પણ કહી શકો છો....
બાળકોમાં સામૂહિકતાનો આનંદ...
શૌચાલયમાં લટકાવેલ સાબુ વડે હાથ ધોવાની યોગ્ય રીત સમજાવતા શિક્ષકમિત્ર.. 

November 05, 2014

અમારા ધ્વારેથી...

बाल स्मिताय नम :
                            મિત્રો, શાળા પર્યાવરણ બાળકોથી જ હર્યું ભર્યું લાગે છે, આપણે જો રજાના દિવસે કોઈ કામ અર્થે શાળાએ જઈએ અથવા તો બાળકોના છૂટ્યા પછીના સમયનું શાળા પર્યાવરણનું અવલોકન કરીએ તો આપણને સમજાશે કે બાળકોની હાજરી માત્રથી એક સ્થળ શાળા બની જાય છે, બાકી બાળક વિના તો શાળા પણ સ્થૂળ બની જાય છે. શાળામાં બાળકોના સસ્મિત ચહેરાનું પણ એટલું જ મહત્વ છે. બાળકો ‘હસતાં-હસતાં ભણે’ અને ‘રમતાં-રમતાં ગણે’ તેવું આયોજન પણ આપણા તરફથી હોવું જ જોઈએ. આપણું ઘર હોય કે ઓફિસ, થિયેટર હોય કે બાગ-બગીચા- જો ત્યાંનું વાતાવરણ બિનજરૂરી શિસ્તના નામે ઉભા કરેલ નિયમોના “હાઉ” વડે શણગારેલ હશે તો આપણે કાંતો ત્યાં જવાનું ટાળશું અથવા જો જવું ફરજીયાત હશે તો જેમ બને તેમ કામ પતાવી તે સ્થળ છોડી દેવાના પ્રયત્નમાં હોઈશું. શાળાકીય પર્યાવરણમાં પણ આ વાત સીધેસીધી બેસે છે. શાળાકીય શૈક્ષણિક વર્ગકાર્યની સફળતાની ટકાવારી પણ આ પરિબળ પર વધારે આધાર રાખે છે, ચાલો નવા વર્ષના નજરાણા પેટે શાળાકીય પર્યાવરણમાં બાળકોને એવું કઈંક અનુકુલન કરી આપીએ કે બાળકોના ચહેરો “ઘડીભર” નહિ પણ “ઘડિયાળ-ભર” સ્મિત ચીપકેલું રહે ! “સદાય હસતાં રહેવું એ જો ઈશ્વરની સર્વોપરી ભક્તિ હોય તો પછી સદાય હસાવતાં રહેવું એ તો જાણે ખુદ ઈશ્વર જ બનવું – શાળા પરિવાર તરફથી આપના બાળકોને અગામી "નવીન દ્વિતીય સત્ર" માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ...

November 04, 2014

મર્યાદિત સંશાધનો.. ???

મર્યાદિત સંશાધનો વડે અમર્યાદિત આનંદ

                             મિત્રો, રમત-ગમત એ બાળકોને  આનંદપ્રમોદ કરાવતો મોટામાં મોટો સ્ત્રોત છે. બાળકો માટે રમતનું મેદાન એટલે કે જાણે સ્વર્ગ ! વર્ગખંડમાં બૂમ પડે કે “સાહેબ, મેદાન પર બોલાવે છે.” - તો ગમે તેટલાં સૂચનોને ભૂલી એકવાર તો બાળ-સેનાનો ઓ...ઓં....ઓ... નો નાદ ન સંભળાય- તો જ નવાઈ ! બાળક હંમેશાં રમતપ્રિય રહ્યું છે. હા, પ્રિય રમત માટે વિવિધતા હોય તે એક અલગ વિષય છે. રમતો પણ બે પ્રકારની હોય છે – Out  Out Door Game  એટલે કે રૂમ બહારની- મેદાનમાં રમાતી રમતો અને બીજી હોય છે - In Door Game એટલે કે રૂમમાં બેસીને રમી શકાય તેવી રમતો, જેવી કે ચેસ – કેરમ- ટેબલ ટેનિસ – સાપસીડી - વગેરે. આવી બધી રમતોની વાત આવે ત્યારે શાળા તરફથી પહેલો પ્રશ્ન બાળકોની સંખ્યા અને તે માટે ઉપલબ્ધ સંસાધનોનો જ આવે છે ! તેમાંની વાત નીકળે એટલે મૂંઝવણ રજુ કરતાં સૂરમાં વહીવટ અને વર્ગખંડ બંને એકમેકના વિરોધાભાસમાં હોય છે. વહીવટ માટે નાણાંકીય મૂંઝવણ તો વર્ગખંડ માટે સંખ્યાકીય મૂંઝવણ. હા, બંને પોતાને સ્થાને સાચા પણ છે ! તો  હવે બાળકોના આનંદનું શું ? આવી જ પરિસ્થિતિ ત્યારેઉભી થઇ કે જ્યારે ધોરણ પાંચના વર્ગખંડમાં કેરમ રમતની ચર્ચા અને ત્યાર બાદ રમવા માટેની બાળ-જીદ ઉભી થઇ. પરંતુ આપણી નવાનદીસર શાળાના ધોરણ-૫નાં બાળકો એ વાતે નસીબદાર હતાં કે વર્ગશિક્ષક અને વહીવટકર્તા બંને એક જ સિક્કામાં સમાયેલા હતાં, એટલે જ તેઓ બધી જ તરફની મુશ્કેલીઓથી વાકેફ હતાં. કેરમ સેટ-૧ અને જિદ્દી ખેલાડીઓ સત્તાવીસ. હવે? શાળા પરિવારમાં આ જ મનોમંથન શરૂ થયું , કે બાળકોના આનંદ માટે આવી પરિસ્થિતિમાં સારામાં સારું શું કરી શકાય ? –. અંતે બાળકોના આનંદિત ચહેરાઓ તરફી નિર્ણય લેવાયો, જે મુજબ કેરમને એક ટેબલ પર ગોઠવવામાં આવ્યું. બે બાજુ બે છોકરા-છોકરીઓને સરખે ભાગે ટીમો બનાવી ઉભા રાખવામાં આવ્યા. સામસામે એક-એક બાળકનો દાવ નક્કી કરવામાં આવ્યો. કુકી પાડનારને બીજો દાવ મળે અને સ્ટ્રાઈકર પડી જાય તો તે આઉટ. આવા જરૂરિયાત મુજબના હંગામી નિયમો વડે રમતની શરૂઆત કરી. બાળકો દોડાદોડી – ધક્કામુક્કી કરી જે આનંદ-ઉત્સાહથી રમતાં હતાં, ત્યારે તેમના આનંદિત ચહેરાઓ જોઈ કેરમની રમત માટેના નિયમોને તોડ્યા-મરોડ્યા બદલનો અમારો સંશય ક્યાં ભાગી ગયો? તેની અમને ખબર જ ન પડી ! કારણ કે આવા પ્રયત્ન વડે અમારો ઉદેશ્ય મર્યાદિત સંસાધનો ધ્વારા બાળકોને અમર્યાદિત આનંદ આપવાનો જ હતો !  

November 03, 2014

एक कदम ...


એક થા મોહન કે એક હૈ મોહન ?
"મમ્મી,વચન આપ કે ઘરની આસપાસ ગંદકી નહી કરે !!"
૨જી ઓકટોબરે આપણા મોહનદાસ કરમચંદ ગાંધી વિષે ઘણી બાબતોની ચર્ચા  તો થવાની !
                   ...એમની સત્યપ્રિયતા અને સ્વચ્છતાપ્રિયતા ઉપરાંત જો કોઈક બાબત સૌથી અસરકારક હોય તો – “પરિસ્થિતિ પ્રત્યે તેમની ઇનોવેટીવ દ્રષ્ટિ !  ઉપલબ્ધ સંસાધનોનો અનોખી સૂઝ બુઝથી ઉપયોગ કરવાની આવડત ! જ્યાં અન્ય વ્યક્તિઓનું વિચારવાનું અટકી પડતું ત્યાંથી એમનું વિચારવાનું શરૂ થતું !
આઝાદી અને રેટિયો નું કોમ્બીનેશન ગાંધી વગર કોને સુઝે ?
 દેશના પ્રત્યેક વ્યક્તિને દેશ સાથે જોડાયેલા હોવાની અનુભૂતિ કરાવવા માટેના તેમના પ્રયાસો ખેડૂતથી માંડી ઉદ્યોગપતિ સૌને એકસમાન રીતે પ્રેરિત કરવા ! બહુ મોટા પાયે અશક્યલાગે તેવા કાર્યક્રમ આપવાને બદલે, સૌ જોડાઈ શકે એવા કાર્યક્રમ દેશને આપવા ! લોકો શાની સાથે સૌથી વધુ જોડાઈ જશે તે વસ્તુઓ શોધી કાઢવાની તેમની દ્રષ્ટિ ! મીઠાના કર ને દુર કરવા કરેલી દાંડી યાત્રા એ આ બાબતનું ઉદાહરણ છે.
                  ધન-દાન માટે ઓટોગ્રાફ આપવાથી માંડી અને ધન ના હોય તો શ્રમ દાન અને સમય દાન મેળવવા માટેના પ્રયાસો ! ધીમે પણ મક્કમ પગલે દેશભરના લોકોની તાસીર બદલાતા ગયા અને અંગ્રેજસત્તાકમાંથી પ્રજાસત્તાક બની શકાયું !
                                આવા ગાંધીનો બર્થડે આ વખત ગામમાં સ્વચ્છતા માટેની જાગૃતતા ફેલાવી ઉજવ્યો ! પ્રયાસ નાનકડો લાગે પણ અસર નાની નહિ જ હોય
લાંબામાં લાંબો પંથ કાપવા લેવાયેલું પહેલું પગલું તો નાનકડું જ હોય છે !
એક કદમ ગાંધી ઔર સરદાર કી ઓર !











રેલીના વળતાં સમયે જોવા મળતાં દ્રશ્યોમાંની એક ક્લિક - આ નિયત મુજબનું હતું કે પછી રેલીની અસરકારકતા હતી -તે અમે ચોક્કસપણે નથી કહી શકતાં !!
¹ વિડીયોગ્રાફી જોવા માટે નીચે ક્લિક કરો !