July 31, 2020

પરિણામ કરતાંય પ્રયત્નો આનંદાયી !


પરિણામ કરતાંય પ્રયત્નો આનંદાયી !

શાળાએ જૂન માસમાં અનુભવ્યું કે કૂલ ૩૨૫ બાળકો પૈકી કોઈપણ રીત અપનાવો અને ગમે તેટલો સમય આપો દૈનિક – ૧૦૦ થી ૧૨૦ થી વધુ બાળકો સુધી શાળા તરીકે પહોંચી શકાતું નથી. ગામ અને શાળાનો તાલેમલ એકદમ સારો હોય છતાં ક્યાં મુશ્કેલી પડી રહી છે – તે સમજવા માટે એક સર્વે હાથ ધર્યો.
એક ગૂગલ ફોર્મમાં દરેક બાળકની માહિતી (ભૌતિક માહિતી  – લાગણીઓ ઝીલવાની ક્ષમતા હજુ ગૂગલે નથી કેળવી. 😉 ) એકત્ર કરી. તેના આધારે સમજાયું કે જો આપણે ટ્યુનીંગ કરી આપીએ તો ગામના બધા બાળકો સુધી પહોંચી શકાય એમ છેદરેક વાલીના મોબાઇલમાં તેના વર્ગશિક્ષકનો નંબર સેવ રાવ્યો. (એટલે વોટ્સેપ બ્રૉડકાસ્ટ મળી શકે.) જેમની પાસે સાદો ફોન હતો તેમણે રૂબરૂમાં પૂછી લીધું કે તમને આ ફળિયામાં એવું કોણ છે જે તમારા સુધી આ લેશન પહોંચાડે ? તેમને મળીને તેમનામાં લાગુ પડતાં નંબર સેવ કરાવ્યા.. આ બધી વિગતો દરેક શિક્ષક પાસે હતી. દરરોજ સાંજે સાત વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો કે આટલા વાગ્યે ૧૫ મિનિટ માટે તમારે જે ઘરકામ આપ્યું હોય તે લખાવી  દેવાનું. (એક કડક સૂચના પણ  અપાઈ કે તેના માટે બાળકના હાથમાં ફોન આપવાનો નથી.) બે દિવસની આ મહેનતમાં દરેક વર્ગના ૬૦% જેટલા બાળકો સુધી પહોંચી જવાય તેવું તો થઈ ગયું. 
દરેક શિક્ષક પોતાના વિષય માટે સ્વાધ્યાય કાર્ય બનાવે (પ્રશ્નો સંખ્યાની દ્રષ્ટિએ પાંચથી વધુ ના હોવા જોઈએ પણ તેના જવાબો શોધવા માટે તેને વધુ પ્રયત્ન કરવો પડે તે પણ જોવું.) બધાએ બનાવેલા પ્રશ્નો અમારા ગ્રુપમાં ભેગા થાય. ક્વોલિટી ચેક પોઈન્ટ રાખ્યો. તમે લખ્યું હોય એ તમારા સિવાય બધાને સમજણ પડે એવું હોવું જોઈએ. ના હોય તો સુધારો થાય. અને જે ફાઈનલ થાય એ દરેક વર્ગશિક્ષક પોતાના ધોરણના બાળકોને બ્રોડકાસ્ટ કરે.
આ કામ તો સહેલું હતું. હવે ચેલેન્જ એ હતી કે એવું આપણે એવું શું કરીએ કે બાળકો જે તે પુસ્તક ખોલે ! વર્ગમાં હાજર હોય ત્યારે તો આપણી  શરમે તેણે પુસ્તક ખોલ્યું હોય. (બંધ મગજ રાખીને.) અને હવે તો આપણે ઇચ્છીએ છીએ કે તે શીખે !
ભાષામાં પ્રશ્ન ઝડપથી હલ થયો કે દરેક પાના મુજબ અર્થગ્રહણના એવા પ્રશ્નો આપીશું કે જેથી તમામ બાળકો તેના જવાબ શોધવા માટે વાંચે.
સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન આપેલી માહિતીને અત્યારના સમય સાથે જોડીને પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કર્યો. તેમાં પ્રશ્નમાં જ આપણે જે માહિતી પર તેમનું ધ્યાન દોરવું છે તે આવી જાય અને પ્રશ્ન પણ રસપ્રદ રહે તેવી કોશિશ કરી. જેમકે વનરાજ ચાવડાએ રાજા બન્યા પછી તેના શહેરનું નામ અણહિલપુર રાખ્યું તો તમારા પપ્પા ને પૂછો કે જો તેઓ રાજા બને તો તેમના નગરનું નામ શું રાખે? એ જ રીતે વિજ્ઞાનમાં આપેલી માહિતીને હાલના પરિપ્રેક્ષમાં મૂકીને પ્રશ્નો બનાવ્યા.
ગણિતને માત્ર ગણાવી દેવાને બદલે વંચાવવાનું પણ નક્કી કર્યું. તેમાં પણ આપેલી સમજણમાંથી અર્થગ્રહણના પ્રશ્નો પૂછ્યા અને દરેક ઉદાહરણની સંખ્યામાં નાનકડો ફેરફાર કરી તે ઉદાહરણના આધારે અમે મોકલેલો દાખલો ગણો. આ તેમણે એચિવેબલ લાગ્યું..
(અને હા અહીંયા પ્રશ્નો એટલે માત્ર પ્રશ્નો જ નહીં. તેમાં પણ રોજેરોજ કૈક નવો ફેરફાર કરવા માંડ્યા.. જેમ કે નીચે આપેલા વાક્યો માંથી કયું વાક્ય ખોટું છે તે પુસ્તકનું અમુક પેજ વાંચી નક્કી કરો; આ પેજ ઉપર ખેતી માટે ઉપયોગી સાધનોના નામ વધારે વખત છે કે ખેતીની પ્રક્રિયાના ?; આ પાઠ માટેનું ચિત્ર તમને દોરવા કહે તો તમે અત્યારે આપેલ ચિત્રમાં શું શું ફેરફાર કરો.. )
નાના ધોરણમાં બાળકો સાથે તેમના વાલીઓ જોડાય તેવા પ્રયત્નો શરૂ થયા.. ને તેમણે આખી પ્રક્રિયા જ મોકલવા માંડી. જેથી તેઓ બાળકો સાથે કેવી રીતે કામ કરવું તે સમજી શકે.
(આશ્ચર્ય એ હતું કે બાળકો સાથે વાલીઓને આ કામમાં મજા આવવા માંડી.)
આ રીતે શરૂઆત કર્યાને પંદર દિવસ થયા છે. બે અસરો દેખાય છે: એક તો બાળકો શીખાય કેવી રીતે એ શીખી રહ્યા છે. (એવું એટલિસ્ટ અમને તો લાગે છે.) અને બીજું વિષયનું બંધન છોડી અમે સૌ બધા વિષયો શીખી રહ્યા છીએ.
હા, હજુ દૈનિક બાળકો સુધી પહોંચવાની સંખ્યામાં નજીવો ફેરફાર થયો છે. (જૂન મહિનામાં ૧૨૦ હતા, તે વધીને ૧૯૦ સુધી પહોંચીએ છીએ.) ૩૨૫ કુલ સંખ્યા સામે આ આંકડો હતાશા આપે એવો છે પણ આપણે આટલું ય ના કરી શકયા - એવા અફસોસની દુનિયામાં નથી જવું તો આ પ્રયત્નની દુનિયામાં મથ્યા કરીએ.

અસ્તિત્વની -: પહેલી શરત અને બીજી શરત !


અસ્તિત્વની -: પહેલી શરત અને બીજી શરત !  

અનુકૂલન સાધવું એ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પહેલી શરત છે. ડાયનાસોરની વાત નીકળે ત્યારે આ વાક્ય અચૂક બોલાય. અનુકૂલનનો અર્થ તે સ્થિતિને શરણે થવું એવો લેશો તો મુશ્કેલી વધી જશે. અનુકૂલન માટેની વ્યાખ્યા કરીએ તો પ્રતિકૂળ સંજોગોમાં સ્વ-હિત અથવા તો વર્તમાનના ધ્યેયને સિધ્ધ કરવા માટેના પ્રયત્નોને  વિપરીત સ્થિતિને  અનુકૂળ બનાવી દઇએ તો ફક્ત આપણું અસ્તિત્વ ટકાવી રાખવામાં જ નહીં દુર્દશા થી બચી આગળ વધવામાં પણ ઉપયોગી બને. આને કહેવાય ખરી અનુકૂલનતા ! વિપરીત પરિસ્થિતિમાં ફક્ત તેને અનુકૂળ બનવાથી અસ્તિત્વ ટકી રહે છે પરંતુ અસ્તિત્વ પછી બધુ શૂન્ય થઈ જાય છે. જેને મોબાઈલ ટેકનોલોજીની ભાષામાં ફેકટરી રીસેટ કહી છીએ.

કોરોનાના કહેરે બાળકો, શિક્ષકો અને વાલીઓ માટે વિપરીત સ્થિતિ ઊભી કરી દીધી છે. ભગવાન કરે અને શાળાઓમાં શિક્ષણ માટે સ્થિતિ  જલ્દીથી કિલકિલાટ વાળી બની જાય. પરંતુ જ્યાં સુધી શક્ય નથી ત્યાં સુધી  તે સ્થિતિના અનુકૂલન માટેની દિશામાં આપણા સૌના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. આપણા સૌની ચિંતા અને ચિંતન એ જ દિશામાં ચાલી રહ્યું છે કે આવી સ્થિતિમાં શાળામાં બાળકોને ન બોલાવવા. તો પછી શું કરવું ? અને કેવી રીતે કરવું ? 

આપણે સૌ શિક્ષકો છીએ એટલે બાળકોને વર્ગખંડમાં શીખવવાની પ્રક્રિયા વડે આપણે પણ ઘણું શીખ્યાં છીએ. માટે જ અલગ અલગ બાળકો સાથે અલગ અલગ પ્રક્રિયા વડે બાળકોને શીખવવાનું કામ એ આપણા સૌ માટે નવી બાબત નથી. નવી બાબત ઉમેરાઈ છે તે બાળકોની શીખવાની અને આપણી તેઓને શીખવવાની સ્થિતિ. હવે આંગણું એ વર્ગખંડ બની ગયો છે. જેમાં શૈક્ષણિક પ્રક્રિયા દરમ્યાન બાળકો/વાલીઓ  આપણી સાથે ક્યારેક ઓનલાઇન ક્લાસમાં સામે છે, તો ક્યારેક રૂબરૂ મુલાકાતમાં સાથે છે, તો વળી ક્યારેક ફોન પર ફક્ત તેમના કાન એટલે કે શ્રવણ જ  શૈક્ષણિક પ્રક્રિયાનું માધ્યમ છે. શૈક્ષણિક પ્રક્રિયાને જીવંત રાખવા આવા ઉપાય આપણે સૌએ શોધી કાઢ્યા છે ! જે ખરેખરા અનુકૂલન સાધવાની વ્યાખ્યામાં આવે છે.

કામ આરંભીએ અને  સ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે સ્વભાવિકપણે વિઘ્નો ન આવે તો ચિંતા ! અને તેમાંય સારા કામમાં સો વિઘ્ન – કહેવત આપણને ખબર જ છે. માટે જ આવી સ્થિતિમાં જ્યારે કામ કરવાનું થાય છે ત્યારે કેટલાક પ્રશ્નો અને ફરિયાદો પણ સૌની સામે છે જેમાં પહેલો પ્રશ્ન ટેકનોલોજી અને બીજા નંબરનો પ્રશ્ન તો સામા પક્ષે ક્યાંક વાલીઓમાં ઉત્સાહનો અભાવ ! કેટલીકવાર આ બે પ્રશ્નો આપણા ઉત્સાહને હતાશા તરફ વાળી દેતા હોય છે. પરંતુ આવી સ્થિતિમાં પણ જો આપણે અનુકૂળતાઓ શોધવાની શરૂ કરીએ તો જ આપણે એ બધુ બચાવી શકીશું, જે જીવનની સાથે સાથે બચેલા જીવન માટે જરૂરી છે.

આપણા પ્રશ્નોમાં ટેકનોલોજીનો અભાવ એવો શબ્દ પ્રયોગ કરું છું ત્યારે અમને બે પ્રશ્નવિધાન સામે દેખાય છે

 

પ્રશ્ન 1. જેમાં વાલીઓ પાસે ટેકનોલોજી છે પરંતુ શિક્ષણ માટે ઉપયોગ કરવો એનું શિક્ષણ નથી [ જેને મહદ અંશે આપણા જેવી જ સ્થિતિ કહી શકાય કારણ આપણે પણ ટેકનોલોજી વડે શીખવવાની વાતમાં નવા છીએ ]

****

પ્રશ્ન 2. બીજો “ટેકનોલોજીના સંશાધનનો અભાવ.” હવે આ કારણ એ સીધો જ વાલીઓના આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે [હા આપણે સૌ જાણીએ છીએ કે લોકડાઉન વડે અસરગ્રસ્ત બની પરંતુ ફરી આપણે સૌ પાટે ચડી રહેલા છીએ અને આ વાલી પણ તેમાંનો એક છે ] ત્યારે તેમાં આપણે કઈ જ કરી શકતાં નથી.

આપણે બાળક સાથે રૂબરૂ થવાના અન્ય ઉપાયો શોધ્યા જ છે. સાચું કહું તો આ પ્રયત્નો જ આપણા સૌનું શિક્ષક તરીકેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું સૌથી મોટું પરિબળ સાબિત થશે. બની શકે કે પ્રયત્નો પછી વર્ગખંડ જેવુ જ ધાર્યું પરિણામ ન મળે !  કારણ કે  જે રીતે બાળકોને શીખવવા માટેની આ સ્થિતિ આપણા માટે નવી છે તેમ વાલીને પોતાના બાળકના અભ્યાસની કાળજી માટે અને બાળકોને પોતે શીખવા માટે પણ આ સ્થિતિ નવી છે. આવા સમયમાં બાળકોના હિતમાં જેટલું પણ બચાવી શકાશે તે ફક્ત આપણા પ્રયત્નો દ્વારા જ બચાવી શકશે તે ગાંઠે બાંધી લેવા જેવી વાત છે .  

થોડો સમય બાળકો ન શીખે તો શું થાય ? આવા કેટલાક મિત્રોના પ્રશ્ન સામે પ્રશ્ન એ પણ થાય છે કે થોડો સમય એટલે કેટલો સમય ? એનો જવાબ તો પૂછનાર પાસે પણ નથી.

અને હા થોડો સમય બાળક ન શીખે તો શું થાય ? તેનો જવાબ એ જ છે કે ભણાવી દેવું તેના કરતાંય આપણા રૂબરૂ કે દૂરવર્તી પ્રયત્નોથી તેનામાં શીખવાની પ્રક્રિયા ચાલુ રહે તે છે ! માટે ફરીથી કહી કે..

અનુકૂલન સાધવું એ પહેલી શરત છે અને બાળકો સાથે પ્રક્રિયા રૂપી પ્રયત્નો ક્રમશઃ ટકાવી રાખવા એ બીજી શરત !


July 30, 2020

બાળકના બાળપણના ભોગે કંઈ જ નહિ !

બાળકના બાળપણના ભોગે કંઈ જ નહિ ! 

શાળા માટે આજે સ્થિતિ જેવી ઊભી થઈ છે તેવી ક્યારેય નહોતી થઈ. કોરોના અંગેનો ખતરો દુર ન થાય અને બાળકો જ્યાં સુધી શાળામાં કિકિયારી કરતાં ન થાય ત્યાં સુધી મોટાભાગે વાત આવી લાગણીઓથી જ શરુ કરવી એ મજબૂરી છે. 

અત્યારે બાળકો સાથે સાથે વાલીઓની પણ વ્યસ્તતા વધી ગઈ છે. સૌથી વધારે વ્યસ્ત અને મસ્ત હોય તો તે ધોરણ પહેલાંના બાળકોના વાલીઓ છે. આ વાલીઓમાં બાળકોની શૈક્ષણિક કારકિર્દી શરુ થયાનો આનંદ અને જુસ્સો સામેલ છે. સાથે સાથે તે વાલીઓ પહેલીવાર શાળાઓ સાથે ડીલ કરી રહ્યાં હોઈ તેઓને  શાળા કેવી રીતે કામ કરતી હતી ? આવી બાબતો અંગે કોઈ પુર્વાનુભવ નથી. માટે જ શાળાના તમામ વાતો એટલે કે બાળકોના અભ્યાસ માટેની સૂચનાઓ તેઓ એ જ ફોરમેટમાં અનુસરે છે જે એક શિક્ષક શાળામાં અનુસરે છે. આવા સમયમાં શાળાની જવાબદારીઓ ખુબ વધી જતી હોય છે. કારણ કે શાળાએ બાળકો સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે. તેમજ શાળામાં કોઈ બાળક જલ્દીથી ન શીખતો હોય ત્યારે શિક્ષક તરીકેનો આપણો અનુભવ આપણને ધીરજ ધરવા અને નવીન પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરતો હોય છે. પરંતુ વાલીઓ પાસે આવા અનુભવો નથી હોતા. બાળક ધીમેથી શીખે છે – એવો સ્વિકાર એ વાલીઓ માટે ખુબજ મહત્વનો બની જાય છે.

પહેલું ધોરણ એટલે શિક્ષણની નિસરણીનું પહેલું પગથીયું હોય છે. આવા સમયે જયારે બાળકમાં  શીખવા પ્રત્યેનો અભાવ પેદા થવો અથવા તો વાલીઓમાં બાળકને શીખવવા પ્રત્યે હતાશા આવી જવી બંને ખતરનાક સાબિત થઇ શકે છે. આવા સમયે શાળા અને તેમાંય ધોરણ પહેલાના શિક્ષકનું મુખ્ય કામ એ - બાળકોના શિક્ષણ કાર્ય પ્રત્યેના વાલીના થનગનાટને સંતોષવી પરંતુ, સાથે સાથે બાળક પર - જલ્દી શીખી લે – જેવા ચાબખા ન પડે તેનું ધ્યાન રાખવું – એ મહત્વનું છે. બાળકોને ઘરે પ્રવૃત્તિ કરવા માટેનું ઘરકામ પણ વાલીઓ જો ચાલો ભણી લઈએ- વાળા ટોનમાં શરુ કરે તો ત્યાંથી જ શિક્ષણ પ્રત્યે બાળકની વિમુખતા શરુ થાય અને કદાચ વાલીને ખ્યાલ પણ ન આવે. અને આને તો ભણવું જ નથી. આવા ચાબખા શરુ થઇ જાય. 

આવા સમયમાં શાળા ધ્વારા શરૂઆતના દિવસોમાં બાળકોનું ઘરકામ એવા મેસેજ સાથે બાળકોને ઘરે શું કરાવવું તે માટેના મેસેજ અને રૂબરૂ વખતે ખાસ નોંધ – ના નામે અમે નીચે મુજબની વિનંતીઓ વારંવાર કરવાની શરુ કરી.

  • આ પ્રવૃત્તિ બાળકને કંઈક શીખવી દેવાના ઉદેશ્ય સાથે ન કરવી.
  • બાળકને મજા આવે તે રીતે પ્રવૃત્તિઓ કરાવવી. બાળક કંટાળો કરે તે સમયે તેની ઈચ્છા મુજબની વાતો કરવી અથવા કરવા દેવી.
  • એક જ વારની પ્રવૃત્તિના અંતે બાળક તે બધું જ શીખી જશે તેવી અપેક્ષા ન રાખવી.
  • કેટલીકવાર તમને લાગે કે એક મૂળાક્ષર નથી યાદ રહેતો? – આવા સમયે ગુસ્સો કરવો નહિ શાળામાં આ માટે એક સપ્તાહની પ્રવૃત્તિઓ હોય છે.
  • તમારો બાળક બધું જ શીખશે – પરંતુ તે તમારી ધીરજ પર આધારિત છે.

શરૂઆતની આવી સુચના સાથે અપાતા ઘરકામથી ફાયદા પણ ખુબ થયા છે. શાળાને  તેઓ ઘરે જે પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે તેના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ મળવા લાગ્યા. તે સોશ્યલ મીડિયા અને શાળાએ બનાવેલા વાલીઓના ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યાં છે. ઉદેશ્ય એ જ કે બાળક બાળક ને જોઈ શીખશે [ ઈ-પીઅર લર્નિંગ હા..હા.. હા. ] વાલી ધ્વારા બાળકને કરાવાતી પદ્ધતિ જોઈ વાલી શીખશે. અને જ્યાં જ્યાં શાળાની જરૂર પડશે ત્યાં શાળા પણ શીખવશે.

મોટો ફાયદો શું થયો ખબર છે ? બધાં બાળકો શીખે છે એ ? – અરે એ તો થશે જ પણ વર્ગખંડમાં એકપણ દિવસ સાથે ન ભણ્યાં હોવા છતાં મોટાભાગનાં બાળકો એકબીજાને ઓળખે છે !








અને હા......

લોકડાઉનમાં ઘરે બાળકો સાથે શૈક્ષણિક કાર્ય કરતાં વાલીમિત્રો માટે ઉપયોગી આ ત્રણ વિડીયો..

ક્લિક કરો અને જુઓ

વાંચન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?


લેખન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?

ગણન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?