March 31, 2012

ઇકો ક્લાસ - ઋષિઓની કોન્ફરન્સ !



જરૂરિયાત શોધખોળની જન્મદાતા છે.. 


અમારો “ઈકોક્લાસ”




વર્ગખંડો જ્યારે સિમેન્ટનાં પતરાંના ઢંકાયેલા હોય ત્યારે કોઈ કંપનીનો પંખો વર્ગખંડોમાંથી ગરમી દૂર કરી શકેશે નહી તેવી નિરાશા એ અમારા આ ઇકોક્લાસના જન્મનું મૂળ કારણ હતું...ગરમીના દિવસોમાં પતરાંવાળા વર્ગખંડોમાં જયારે ગરમીનું જ સામ્રાજ્ય હોય અને તે પણ કેવું ?... કે જેની સામે ભલભલા પંખાઓએ પણ શરણાગતિ સ્વિકારી ગરમીની સાથે ભળી જઈ હવા પણ ગરમ ફેકતાં હોય અને આવા વાતવરણમાં જયારે આપણે બાળકોને કહીએ કે ચાલો,આજે આપણે વિષુવવૃત્તના પ્રદેશો વિશે જાણીશું....ત્યારે કદાચ બાળકોમાં જન્મજાત રહેલ સહનશીલતા અને શાળાએ શીખવેલ શિસ્તના ગુણોને કારણે જો વર્ગકાર્ય ક્રમશઃ ચાલી જાય....તો નવાઈ નહી,અને આવા જ વિચારો તેમજ, કહેવાય છે ને કે “જરૂરીયાત એ શોધખોળની જન્મદાતા છે.” તે સૂત્રની સાર્થકતા રૂપે અમારા ઇકોક્લાસના નિર્માણની યોજના બની..અને તેમાં પહેલી શરત એ હતી કે તે માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો નહી...અમે તે બનાવતાં પહેલાં શાળા છુટતાં સમયની સમૂહ પ્રાર્થનામાં બાળકો સાથે ચર્ચા કરી અને તે ચર્ચા દરમ્યાન બાળકો તેમજ શિક્ષકમિત્રોના ઘણાં સૂચનો  મળ્યા.. 
આવા સૂચનોના અંતે નીચે મુજબનું આયોજન બન્યું.......
v ઇકોક્લાસની જગ્યા એવી પસંદ કરવામાં આવી કે જે વર્ગખંડોથી થોડી દૂર હોય અને જ્યાં શાળા સમયમાં મોટાભાગે  છાંયડો રહેતો હોય..
v ઇકોક્લાસની બેઠક એવી બને કે તે ચર્ચાપદ્ધત્તિ તેમજ નિદર્શનપદ્ધત્તિમાં ખૂબ ઉપયોગી નીવડે...દરેક બાળક શિક્ષક સાથે અને શિક્ષક દરેક બાળક સાથે નિકટતાથી ચર્ચા કરી શકે... અને તે માટે શિક્ષકને બેસવાની જગ્યાનો ભાગ સહેજ ઉંચો રાખવાનું નક્કી થયું.
v ઇકોક્લાસનું બાંધકામ પાકું[સિમેન્ટ વડે બનેલું] ન હોય જેથી જે તે સમયે કોઈ કારણસર જયારે ખસેડવા માટે વધારે મહેનતની જરૂર ન પડે..
v ઇકોક્લાસ બનાવવા માટે સિમેન્ટ નહી તો શું??...વિકલ્પોમાંથી અમે છાણ અને માટી વડે લીંપણનો વિકલ્પ પસંદ કર્યો..અને તેમાં પણ ગાયના છાણનો જ ઉપયોગ કરવાનું નક્કી કર્યું કે જેની જવાબદારી અમારી શાળામાં ભણતાં ભરવાડ જાતિના બાળકોએ લીધી...
v જરૂરી ઈંટોની જવાબદારી ૩ થી ૭ ના તમામ બાળકોએ લીધી જેમાં ઘરેથી અથવા તો શાળામાં આવતાં સમયે રસ્તા પર જે કાંઈ ઈંટો કે પથ્થરના ટૂકડા મળે તે લેતાં આવવાનું નક્કી થયું.
v વાત મધ્યાહન ભોજનરૂમના કાને પહોંચી ......રસોઇયા રાજેશભાઈએ “ગોરમટી” [લીંપણ માટે છાણમાં ભેળવવાની એકજાતની લાલ માટી] લાવી આપવાનું કહ્યું અને તેમનાં પત્ની અને મદદનીશ જુગાબેને લીંપણ માટેની જવાબદારી સ્વીકારી...મોટી છોકરીઓએ અને શિક્ષિકાબેને તેમાં મદદ કરવાની જવાબદારી આયોજન પાસેથી છીનવી લીધી....
v અને છેલ્લે નક્કી કર્યો બનાવવાનો સમય..જરૂરી તમામ ચીજવસ્તુ આવી જાય પછીના શનિવારે શાળા સમય પછી...
                                 સૌએ મળીને એટલા દિલથી મહેનત કરી કે ઇકોક્લાસનું ધાર્યા કરતાં પણ વધારે સુંદર સર્જન અમે કરી શક્યા. જેના ઉપર બેસી અમે અને બાળકો પ્રાચીનકાળમાં રૂષિમુનીઓના સમયની આશ્રમશાળાઓનો અને આધુનિક જમાનાની ટેબલ કોન્ફરન્સનો પણ અહેસાસ મેળવી શકીએ છીએ...      













"ઇકોક્લાસ"-"ઋષિઓની કોન્ફરન્સ"-વિશેના આપના અભિપ્રાયો સહ...

કોણ બાળક..??? કોણ શિક્ષક...???

શાળામાં હોળી-ધૂળેટીની ધૂમ.....
કોણ બાળક..??? કોણ શિક્ષક....???


અમારા ફોટોગ્રાફ્સ જ તમને  કહી દેશે કે કેવો હતો અમારી શાળામાંના ઉત્સવનો રંગ !!!!










 “Happy holi”

March 16, 2012

શિક્ષણની ઉપયોગીતા....

તમે બાળકોને જે શિક્ષણ આપો છો તે તેના જીવનમાં ક્યારે અને કેવી પરિસ્થિતિમાં ઉપયોગી નિવડશે, તે  શિક્ષણ આપનારા શિક્ષક તરીકે તમે જાણો છો??

બાળકોને જો પુછવામાં આવે કે પૃથ્વી પર સૌથી વધારે કંટાળાજનક સ્થળ કયું??? તો મોટાભાગના બાળકોનો જવાબ હશે કે “અમારો વર્ગખંડ [હા,મારી શાળા એવો જવાબ નહી મળે,કારણ કે શાળામાં મૂક્ત વાતાવરણ બનાવવું અને તેને લાંબા સમય સુધી ટકાવી રાખવું શક્ય છે, પણ વર્ગખંડમાં ગમે તેટલું મુક્ત વાતાવરણ ઉભું કરો તો પણ તેને વધારે સમય જાળવી શકાશે નહી,[અને એટલે જ તો આપણે આપણી ટ્રેનિંગમાં પણ કેટલીક વાર પાણી પીવા જવાના બહાને ટ્રેનીંગ-વર્ગની બહાર નીકળીને થોડી મુક્તિનો આનંદ લઇ લઈએ છીએ...]ચાર દિવાલોની વચ્ચે જ બેસી આખી દુનિયા વિશેનું માર્ગદર્શન/શિક્ષણ/સમજ આપી શકે તેવો શિક્ષક/શિક્ષણવિદ્/માર્ગદર્શક આપણા વચ્ચે ભાગ્ય જ મળશે.. અને તેમાં પણ સામાજિક વિજ્ઞાન /પર્યાવરણ/વિજ્ઞાન ટેકનોલોજી વગેરે વિષયોમાંના એકમો હું બાળકોને વર્ગખંડમાં જ શીખવી શકું છું તેવું જો હું કહું તો માની લેજો કે તે મારો ફક્ત વહેમ હશે અથવા તો મોટામાં મોટું ગપ્પું!!! કારણ કે બાળકો આવા વિષયો અને તેમાંના મોટાભાગના એકમોને જાણવા માટે શાળા હોઈ શકે છે પરંતુ તેને સમજવા માટે તો શાળા બહારનું તેને લગતું પર્યાવરણ જ તેનું સૌથી અસરકારક T.L.M. હોઈ શકે છે...આવા એકમોમાં જો શાળા બહારના પર્યાવરણનો ઉપયોગ કર્યા વિના જ પરીક્ષાલક્ષી  અભ્યાસક્રમના ભાગરૂપે વર્ગખંડોમાં જ ગમે તેટલી મહા-મહેનતથી શીખવી દઈશું  તો પણ આ શીખવેલ “ગોખણ-જ્ઞાન”ને પરીક્ષા સુધી બાળકના સ્મૃતિકોશોમાં સાચવી રખાવવું ખૂબ જ મુશ્કેલ અને પોતાના અગામી જીવન માટે ઉપયોગી બને તે માટે ચિરસ્થાયી બનાવવું તો અશક્ય જ સમજવું !!! બાળકોને આવું ચિરસ્થાયી અને તેથી તેના અગામી જીવનકાળમાં ઉપયોગીતાના હેતુ સાથે અમારી શાળા ગત વર્ષની જેમ આ વર્ષમાં પણ પ્રયત્નશીલ રહી જે આપ અમારા  વધુ ફોટોગ્રાફ્સમાં જોઈ તથા જાણી પણ શકશો....
સ્થળ પર જઈને બોરીબંધની સમજ-રૂબરૂ શિક્ષણ  




ચેકડેમની મુલાકાત...ઉપયોગીતા અને જરૂરિયાતની સમજ 


શાળા મેદાનમાં જ ખેતતલાવડીનું નિદર્શન  


પોતે મેળવેલ સમજનું વર્ગના બાળકો સામે વિવરણ .અને ત્યારબાદ ચર્ચા અને પ્રશ્નોત્તરી...

March 09, 2012

નિબંધ એટલે શું...????



                                                                                                                                                    .                                                 આપણા મોટા ભાગના મિત્રો જ્યારે પણ બાળકોને કોઈ વિષય પર નિબંધ લખવા આપે છે,ત્યારે તે બાળકો માટે તે નિબંધ-નિબંધ નહિ પણ શ્રુત-લેખન અથવા તો અનુલેખન બની જતો હોય છે, કારણ કે મોટાભાગે આપણે નિબંધ લેખન કરાવવા માટે નિબંધમાળાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો આપણને તે વિષય અંગેની જે જાણકારી હોય છે તે બાળકોને જણાવી [થોપી] બાળકો પાસે અનુલેખન જ કરાવીએ છીએ અને તેને નિબંધનું નામ આપીએ છીએ. પરંતુ ખરેખર નિબંધમાં બાળકોના લેખન રૂપી વિચારોની મૌલિકતા જળવાતી નથી. સાથે-સાથે જયારે નિબંધ લેખનની ચકાસણી કરતાં હોઈએ છીએ ત્યારે આપણે પણ બીબાઢાળ રીતે કાં તો નિરીક્ષક અધિકારી અથવા તો નિબંધ-માળાને ધ્યાનમાં રાખી ચકાસણી કરતાં રહીએ છીએ,પરિણામે દિવાળીના તહેવારમાં આજદિન સુધી કોઈ દિવસ પોતાના કે આસપાસના આંગણમાં દિવાળીના દિવસોમાં રંગોળી જાતે પૂરેલી કે પછી તેના આસપાસમાં પણ કોઈ ઘરે પૂરેલી ન જોઈ હોવા છતાં બાળકે  દિવાળી’  વિશેના નિબંધમાં લખવું પડે છે કે “ દિવાળીના દિવસે લોકો પોતાના આંગણામાં ....., નિબંધ લેખન એ દરેકનો તે વિષય-વસ્તુ  પરનો સ્વતંત્ર વિચાર છે એટલે કે બાળક પોતે અથવા તો પોતાની આસપાસનો સમાજ  દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવે છે તેના લેખિત વિચારો એટલે તે બાળકનો દિવાળી વિશેનો નિબંધ ! તેને અનુલેખન બનાવી બાળકોના વિચારોને બાંધવા જેવું કામ ઘણીવાર આપણે જાણે-અજાણે કરી નાખીએ છીએ, [ દિવાળી નો નિબંધ એ તો ફક્ત એક ઉદાહરણ જ છે ]                    
                                                                                                       અમે તો માનીએ છીએ કે આપણી શિક્ષણ પદ્ધતિ પણ નિબંધ રૂપી હોવી જોઈએ, જેમાં  જે તે શીખવવાના એકમ વિષે બાળકોની રજૂઆત અને પછી જ તેમાં ખૂટતાં શિક્ષણની આપણા[શિક્ષક] ધ્વારા પુર્તતા....

કોઈ વિષય પર પોતાના અનુભવો / વિચારોને લેખિત સ્વરૂપમાં રજૂ કરવા એટલે જ તો નિબંધ લેખન !
આપનું શું કહેવું છે????..........