December 29, 2012

મેનેજમેન્ટ શિક્ષણ....


 નાતાલની ઉજવણીનું આયોજન -મેનેજમેન્ટ શિક્ષણ

બાવળની ડાળીમાં રંગીન થર્મોકોલના દાણા પરોવી christmas tree  બનાવતાં બાળકો..
કોઈપણ કાર્ય સફળતા તેમાં જોડાયેલ વ્યક્તિઓની બે શક્તિઓને આધારિત હોય છે.
૧. આયોજનશક્તિ                ૨. નિર્ણયશક્તિ
...અને આ બંનેની જરૂરિયાત જીવનના હર ક્ષણે રહે છે.
    ખરીદી-વેચાણ-પ્રવાસ-શિક્ષણ-ડ્રાઈવિંગ-પેઈન્ટીંગ-કૂકિંગ- કે પછી સેલિબ્રેશન ! તમારે તેના માટે આયોજન કરવું પડે અને કાર્ય મધ્યે તેમાં કરવા પડતા ફેરફારો માટે નિર્ણયો લેવા જ પડે – જે ત્વરિત હોવા જોઈએ ! તમારા શાળાના(તમારા કાર્ય ક્ષેત્રના) પરિપ્રેક્ષ્યમાં આ બાબતને ઓળખવાનો પ્રયાસ કરશો તો જણાશે કે કેટલાક વ્યક્તિ વગર એક નાનકડું કાર્ય પણ થઇ શકતું નથી – તો તેની ફક્ત હાજરી માત્રથી અટપટા લાગતા કાર્યો સંપન્ન થાય છે ! – કારણ – ઉપરની બે શક્તિઓ !
આ શક્તિઓ ફક્ત પુસ્તકો વાંચવાથી કેળવી શકાતી નથી ! જીવનના કૌશલ્યો તો જીવનમાંથી જ પ્રાપ્ત થાય.
શિક્ષણને જીવન સાથે જોડવા શાળા પરિવાર ઉત્સવોની ઉજવણી કરે છે....તો આ વખતે પણ ગત વર્ષની જેમ નાતાલની ઉજવણી કરવાનું વિચાર્યું – પહેલા ગત વર્ષની ઝલક જોઈ લો : નાતાલ-૨૦૧૧ !
શાળામાં બનાવેલ  christmas tree
      ઉજવણીનું આયોજન માટે એક ટીમ બનાવાઈ...તેમણે નક્કી કર્યું કે ક્યારે ઉજવણી કરવી અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો. આયોજન મુજબ સવારથી જ દરેક પોત પોતાના કામમાં લાગી ગયા...કોઈકે મુખ્ય રસ્તાની આસપાસ આવેલા વૃક્ષોનો શણગાર કર્યો તો કોઈકે તોરણ બાંધવાની જવાબદારી નિભાવી ! સ્વપ્નીલભાઈની જવાબદારી હતી Santa Claus  ને તૈયાર કરવા. તો વળી કુલદીપે વાંધો ઉઠાવ્યો કે Santa Claus બનતા પહેલાં મને ખબર તો હોવી જોઈએ ને કે Santa Claus  કોણ હતા- આ ઉજવણી કેમ થાય છે...??
ઈન્ટરનેટ પરથી સ્વપ્નીલભાઈ તેને માટે બે લેખ લાવ્યા તો આયોજન બદલાયું કે હવે અમારા Santa Claus  તમામને પહેલા તેમની ઓળખ આપશે અને નાતાલ થી માંડીને નવા વર્ષ સુધીની વિગતો કહેશે !
      આવી તો ઘણી બાબતો થઇ – જેમકે ગયા વર્ષ કરતા સરૂના ઝાડ વધુ મોટા થઇ ગયા છે તેની પર શણગાર કેવી રીતે કરીશું – તો એના ઉપાય માટે તેઓ જ એક તૂટેલો થાંભલો લઇ આવ્યા. Merry Christmas  થર્મોકોલમાંથી બનાવ્યું ને દીવાલ પર લગાડવા જતા જ તેમાંથી C તૂટી ગયો – તે તૂટેલા C ને માપોમાપ ફરી તાત્કાલિક બીજો C બનાવવા આખી ટીમ લાગી ગઈ ! તેમના  સુચનથી વધુ ચોકલેટ્સ ખરીદાઈ- તો વળી બે નવી રમતો પણ ઉમેરાઈ !
      આમ, ૪-૦૦ થી ૫-૩૦ સુધી ચાલેલી આ ઉજવણી માટે વિદ્યાર્થીઓને બે દિવસ ઘરે અને શાળામાં આયોજન કરવું પડ્યું, તો ખરા સમયે ઉભા થયેલા પ્રશ્નોમાંથી ઉપાયો શોધી નિર્ણયો પણ લેવા પડ્યા !-
આયોજન-તૈયારી અને ઉજવણીના કેટલાક દ્રશ્યો...

સંતાક્લોજ જ ના જ મુખે Santa Claus  ની વાત 




શણગાર કેવી રીતે ?? ક્યાં શેનું શુસોભન કરીશું.....તેની ચર્ચા... 





હું રોજ સવારે વહેલો ઊઠીશ.....સંકલ્પ કરતો બાળક...!!!
નાતાલની ઉજવણી રસપ્રદ રમતોત્સવ વડે.......!!!








               આ સિવાય જીવન કૌશલ્યોના સાહજિક વિકાસ માટે બીજી કઈ પ્રવૃતિઓ સોપી શકાય તે બાબતના સૂચનો અમને મળશે તેવી આશા સહ – આપ સૌને
....Happy New Year !

December 22, 2012

મારી બકરી...!!



બાળકોને આપીએ વૈજ્ઞાનિક નજર...


મારી બકરીવિજ્ઞાનની નજરે

                                 આપણી આસપાસના પર્યાવરણીય અને વાતાવરણીય વસ્તુઓનું અને ઘટનાઓ સૂક્ષ્મ નિદર્શન  એટલે જ વિજ્ઞાન ટેકનોલોજીનું શિક્ષણ. આ એક એવો પણ વિષય છે કે કેટલીક બાબતોમાં તો આપણને જે દેખાય છે તે નથી તે સાબિત કરી જે છે તેને આપણી સામે મૂકી આપણો ભ્રમ દૂર કરે છે.આ વિષય બાળકોને વિદ્યાર્થી જીવનમાં આનંદ અને આશ્ચર્ય આપે છે તેમજ સાથે-સાથે વિજ્ઞાનનું શિક્ષણ બાળકને અગામી સામાજિક જીવનમાં  ઘણા પ્રકારના મુશ્કેલ કામને સરળ તેમજ ઉકેલ મેળવી આપનારૂ પણ બને છે.ક્યારેક આ વિષય સજીવોમાં સંવેદનાના નામે બાળકોમાં પશુ-પંખી -પ્રકૃતિ વગેરે પ્રત્યેની લાગણીઓમાં વધારો પણ કરે છે.. પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજીનું અસરકારક શિક્ષણ મેળવ્યા પછી બાળક દરેક બાબતોને તે દ્રષ્ટિએ જોતો, સમજતો અને ઉકેલતો થાય છે. આપણે જોઈએ છીએ કે પ્રાથમિક કક્ષાએ વિજ્ઞાન વિષય માટે આપણો અથવા તો વાલીઓનો પણ અભિગમ  એટલો પ્રબળ નથી હોતો જેટલો અંગ્રેજી અથવા તો ગણિત માટે હોય છે.આપણે એ વાત તરફ ઓછું ધ્યાન આપીએ છીએ કે બાળક ભણીને આગળ કોઈપણ ક્ષેત્રમાં જોડાશે તેને વિજ્ઞાનનો એટલે કે વૈજ્ઞાનિક ઢબનો તો સહારો લેવો જ પડશે..પછી તે કારીગરશ્રી હશે...કોન્ટ્રાક્ટરશ્રી હશે કે  કલેકટરશ્રી...દરેકે પોતાનું કામ સરળતાથી પાર પાડવા માટે એક વૈજ્ઞાનિક નજરની જરૂર પડશે જ અને આ નજર બાળકોમાં આપણે પ્રાથમિક કક્ષાએથી જ વિકસાવવી/આપવી પડશે, અને હા. ..કદાચ તેનાથી આપણને તુરંતનો મોટો ફાયદો એ પણ થશે કે આપણે આપેલ આ વૈજ્ઞાનિક નજરનો ઉપયોગ કરી બાળકોને કોઈ એકમમાં આપેલ મુંજવણ ભર્યા માર્ગદર્શનને સરળ બનાવવાનું બાળક શીખી લે તો પણ નવાઈ નહિ હોં...બસ આવા જ એક પ્રયત્ન સાથે નવાનદીસરે ધોરણ-૬માં ‘પ્રાણીજગત” એકમ અંતર્ગત  “આવો,આપણી આસપાસના રહેતા સજીવોનું અવલોકન કરીએ..” નામનો project કર્યો...તેમાં બાળકોને ઘણુંબધું જાણવા મળ્યું...પરંતુ એક project ના ધ્યેય બહારની વાત અમારા બાળક સંદીપ વાઘરીને [જેની આ બકરી છે] જાણવા મળી કે “વારંવાર છીંકો ખાવી અને ચામડી ધ્રુજાવવી એ બકરીની લાક્ષણીકતા છે..નહિ કે કુટેવ...!!!” આ ઉપરાંત પણ આ જ એકમમાં જયારે જીવજંતુઓનું અવલોકન કરવાની વાત આવી ત્યારે પુસ્તકના પાન નંબર-૪ પર આવેલ પ્રવૃત્તિ મુજબનું જીવજંતુઓને પકડવા માટેનું કોચર બનાવવાનું થયું ત્યારે ચર્ચાએ ગતિ પકડી અને તે ચર્ચાનો અંત કહું તો બાળકોએ પસ્તાવો કર્યો કે “આજ સુધી અમે જાણતાં  ઘણા જ કીડી-મંકોડા-ઈયળોને નુકશાન પહોચાડ્યું છે...’ ચાલો,જોઈએ કે અમારા આ બાળકોએ કેવું "કોચર" બનાવ્યું અને  પોતાનાં અને પોતાની જ આસપાસના સજીવોને રોજ કરતાં કેવી અલગ નજરથી જોયા....


કોચર બનાવી ચેક કરતાં બાળકો.....
જીવજંતુ પકડતો બાળક
પકડાયેલ જીવજતુંનું અવલોકન 


કોચરમાં પકડાયેલ જીવજંતુ..
કોચર ચેક કરતાં બાળકો.....


કોચરમાં પકડાયેલ જીવજંતુ..
અવલોકનમાં શું શું જોયું...





આપણી આસપાસના સજીવોનું અવલોકન પૈકી વાછરડો અને નીચેના ફોટોગ્રાફમાં ભેંસનું બારીકાઇથી  અવલોકન કરતાં બાળકો....

December 08, 2012

બાળકની એ..આંખો...!!!!


                 
આપણા મોટાભાગના મિત્રો બાળકોને ભગવાનની જેમ માને છે,
પણ....કેવી રીતે ખબર છે....???


                                                              માણસનું મન ચંચળ તો છે જ પણ સાથેસાથે એક એવા સ્વભાવવાળું છે કે જે  સ્વભાવવાળું આપણું વર્તન જોઈ  ભગવાનની પણ આંખો પહોળી અને કપાળ કરચલીગ્રસ્ત બની જતા હશે ! મોટેભાગે માણસનો સ્વભાવ જ એવો પડ્યો છે કે જ્યારે પણ પોતાનું કોઈ મોટું અને મુશ્કેલ કામ પાર પડી જાય [સફળતા મેળવે] તો તે  તરત જ તેનો જશ પોતાને મળે તે માટેના દાવા કરવા લાગી જાય છે; જેમ કે આ કામ હતું તો મુશ્કેલ,પણ મેં આવો નિર્ણય કર્યો-મેં આવી બુદ્ધિ વાપરી-મેં આવું કર્યું-તેવું કર્યું વગેરે.....[ અને ખોટું પણ નહી હોય,કદાચ તેના પ્રયત્નોથી તે કામમાં તે સફળ પણ થયા હશે..] પણ જ્યારે તે મોટા અને મુશ્કેલ  કામમાં કોઈક કારણસર નિષ્ફળતા  મળે તો...તો ..પહેલું તો આવી બને તે કામમાં જોડાયેલ અન્ય લોકોનું ! તેમના ઉપર તે કામ નિષ્ફળ થવા માટેના જવાબદારી થોપવા માટેના  કારણોનો વરસાદ અને જો કોઈ જ કારણ ન મળે તો બિચારા ભગવાન તો છે જ ને ! એટલે કે ભગવાનને ગમ્યું તે ખરું! જાણે ભગવાને તેનું કામ નિષ્ફળ બનાવવા માટે ખાસ રસ દાખવ્યો હોય ! પછી તમે જ વિચારો કે આવું સાંભળ્યા પછી ભગવાનની પણ આંખો પહોળી અને કપાળ કરચલીગ્રસ્ત ન બની જાય ?   
                        
             આવું જ ઘણીવાર આપણી  શાળામાં/વર્ગખંડમાં બંને છે. શાળામાં/વર્ગખંડમાં આપણું કામ હોય છે એવું શૈક્ષણિક કાર્ય કરવાનું કે જેથી બાળકો સરળતાથી, આનંદમય અને અસરકારક રીતે શીખી શકે, એટલે કે પરિણામ લક્ષી  શિક્ષણકાર્ય. આ કામ શિક્ષક [આપણામાટે આમ તો ખૂબ જ અઘરૂ(!) હોય છે, તે માટે આપણે બધા ખૂબ જ મહેનત પણ કરતા હોઈએ છીએ અને આપણા વર્ગખંડમાં મોટાભાગના બાળકોના કિસ્સામાં આપણે સફળ પણ થતા હોઈએ છીએ. કોઈ વખત વર્ગખંડની ચકાસણી આવી સફળતા  [૮૦% પરિણામ] આપણને જ્યારે મળે આપણે પોતે કરેલ પ્રયત્નો, પોતે અપનાવેલ શિક્ષણ પદ્ધતિ વગેરે વિશેની ચર્ચા શરૂ કરી દઈએ છીએ, એટલે કે ૮૦% પરિણામ મેળવવા માટેનો જશ પોતે લેવાનું શરૂ કરી દઈએ છીએ.[સાથે-સાથે હું કહું છું કે જશ લેવામાં કંઈ જ ખોટું નથી] પણ આપણી શિક્ષણ પદ્ધત્તિ અને આપણી પ્રયુક્તિઓને ન સમજી શકનાર બાકીના ૨૦% બાળકોની જ્યારે વાત આવે છે ત્યારે આપણે આપણી તે ૨૦% બાળકોને અનુરૂપ પદ્ધત્તિઓ, પ્રવૃત્તિઓનો  સ્વિકાર કરવાને બદલે દોષના  ટોપલામાંથી એક-એક કારણ  તે બાળકો પર ફેંકવા લાગીએ છીએ અને તે સમયે શિક્ષકશ્રી અને તેમની શિક્ષણ પદ્ધતિને ન સમજી શકનાર તે ૨૦% બાળકોની આંખો અને કપાળ ઉપર જણાવેલ ભગવાન જેવા જ થઇ જાય છે - જાણે આપણને કહેતાં હોય કે - અરે સાહેબ , આ તો તમારી આ શૈક્ષણિક પદ્ધતિ અમને ન સમજાયી, એટલે અમને ન આવડ્યું, બાકી અમે તો થોડા શીખવું નહિ એવું નક્કી કરીને બેઠયા હોઈશું ???