આ પ્રવેશોત્સવમાં જ્યારે દેવ, નાઝમીન, સેજલ,
હિમાલી અને નિકિતા યોગ નિદર્શન કરતાં હતાં ત્યારે તેમનું વિડીયો શૂટિંગ કરનાર હિતેશ
એ આપણી શાળાનો પહેલો વિદ્યાર્થી કે જે જીલ્લા કક્ષા સુધી યોગની સ્પર્ધામાં પહોચ્યો હોય ! – એ વાતને આજે ૧૦ થી વધુ વર્ષ થઇ ગયાં. શાળામાં યોગનો પાયો નાખનાર પ્રકાશભાઈ
(પી.કે) અત્યારે અન્ય શાળામાં ફરજ બજાવે છે, પરંતુ તેમણે ઉભી કરેલી એ ધરોહરથી દર
વર્ષે અલગ અલગ વિદ્યાર્થી તાલુકા/જીલ્લા સુધી તો પહોંચી જ જાય છે.
એમણે
શાળાના મિજાજને અનુરૂપ યોગનું ડ્રાઈવિંગ પણ બાળકોના હાથમાં આપી દીધું. અને
પ્રાર્થના સંમેલનમાં સમય મર્યાદામાં યોગ, પ્રાણાયામ અને મુદ્રા કરાવવાનું લેખિત
તૈયાર કર્યું, અને તે લેખિત બાળકોને
આપ્યું.... તે મુજબ પ્રાર્થનામાં દરરોજ યોગાસન, મુદ્રા અને પ્રાણાયામ થવા લાગ્યા.
અને તેની અસરમાં જ હવે યોગાસન એ આપણા બાળકો માટે આસાન બાબત છે.
દરરોજના યોગ માટેની સૂચનાઓ અને શાળાના બાળકો વડે તેનું સરળતાથી નીદર્શન કરી શકે તેવા આયોજનના આ ઉમંગને સૌ સુધી વહેંચવા માટે પ્રકાશભાઈ – પી.કે.
એ તૈયાર કરેલી સામગ્રીને ડીઝીટલ બનાવી તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. તે માટેની આ રહી એક લીંક...
.....અને આ વર્ષે શાળા પ્રવેશોત્સવના દિવસે બાળમેળો આયોજિત કરવાનું કહ્યું – ને
આપણો વર્ષોથી થીજી ગયેલો કમ્ફર્ટ ઝોન તૂટ્યો ! સોશિયલ મીડિયા પર “આમ તે કઈ ચાલે ?”
“આ તો શક્ય જ નથી !” થી લઇ ને “વાહ, શાળામાં પગ મુકતા બાળકોને શાળા વર્ગમાં હાર
બંધ ગોઠવાયેલી નહિ પણ ‘મસ્તી’ ના મૂડમાં જોવા મળશે !” જેવા પ્રતિભાવો જોવા મળ્યા !
આપણી શાળાને તો ભાવતું’તુ ને
વૈદે કીધું ! દર વર્ષે આયોજન થઇ જતું એમ આયોજન કર્યું– પણ આ વખત સંગીત અને થીયેટર
એવા બે સ્ટોલ રદ્દ કર્યા. પાંચ સ્ટોલ નક્કી થયા. બીજા દિવસે આયોજન મળ્યું એમાં સમય
સવારનો હતો એટલે ફરી ફેરફાર થયો કે જો પ્રવેશોત્સવ પછી બાળમેળો હોય તો સાત જૂથના
સાત સ્ટોલ જ રાખીએ. સૌએ શક્ય તેટલી બધી શક્યતાઓ ચકાસી લીધી. શિક્ષકો અને જૂથ
નેતાઓને એક જ વાતની મીઠી ફિકર કે દર વર્ષે પરફેક્ટ કરીએ ત્યારે કોઈ મુલાકાતી હોતા
નથી. હવે જયારે આવતીકાલે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને અન્ય મહેમાનો આવે ત્યારે જો
આપણું પ્રદર્શન દર વર્ષ જેવું ના હોય તો “દશેરાના દિવસે ઘોડું ના દોડ્યું” એ કહેવત
આપણને લાગુ પડી જાય.
પ્રવેશોત્સવમાં બાળકો માટે
પીન્ટુભાઈ એનર્જીથી ભરપૂર એવું.. “મેરે દિલ સે આ રહી આવાઝ... સ્વચ્છ ભારત હો જિસ
પે હો હમ કો નાઝ” લઈને આવ્યા હતા. અમૃત વચન માટે અઘોષિત હરીફાઈ થઇ ગઈ અને હાર્દિકને
ચાન્સ મળ્યો. જગદીશ અને વૈભવ એના હરીફ મટી એનું નામ નક્કી થતા જ સહયોગી બની ગયા ! બીજું
કોઈ નૃત્ય રાખવું છે? એના જવાબથી ખબર પડી કે “ચાર ચાર બંગડીનો ફીવર હજુ અકબંધ છે
!” (એ અલગ વાત છે કે માત્ર બે દિવસ અને અડધા અડધા કલાકની પ્રેકટીસથી એમના
સ્ટેપ્સમાં પરફેક્શન ના આવ્યું અને એ ગીત મહેમાનોના આવતા પહેલા રજુ કરી દેવાનું
ઠરાવ્યું. યોગાસન માટે તો એક કહેતા ચાર વિદ્યાર્થીઓ તૈયાર જ હોય.
બીજી બાજુ ઓફિસમાં કયા કયા
વિદ્યાર્થીઓનું સન્માન હોય તેની ચર્ચામાં – પરિપત્ર મુજબ ૩ થી ૮ ના અને
એન.એમ.એમ.એસ.માં મેરીટમાં આવેલા પાંચ તો ફાઈનલ હતા જ. સાથે આ વખતની એસ.એસ.સી.ની
પરીક્ષામાં નદીસર હાઈસ્કૂલ કે જ્યાં આજુ બાજુના ૧૦-૧૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ
પ્રવેશ મેળવે તે બધામાં અમારો રવિ ૮૩% સાથે કુમારમાં પ્રથમ અને સોનલ ૭૪% સાથે
છોકરીઓમાં પ્રથમ આવ્યા હતા. એ ગામ માટે ગૌરવ જ હતું. વળી, સોનલ તો ભરવાડ સમાજમાંથી
દસ પાસ કરનારી પ્રથમ છોકરી હતી. એટલે એમનું સન્માન નક્કી થયું. ઊંડે ઊંડે થતું કે
આ બધું જ પરીક્ષાના પ્રદર્શન પર આધારિત હતું તો એમાં “ગત શૈક્ષણિક વર્ષ દરમ્યાન
ખેલ મહાકુંભમાં જીલ્લા કક્ષા સુધી પહોચનાર નાયક હંસા અને પરમાર સેજલનું સન્માન નક્કી
થયું. હવે બાકી રહેતી કળાઓ - તો કલા ઉત્સવમાં તાલુકામાં વિજેતા થયેલા ત્રણેય
વિદ્યાર્થીઓને પણ સાંકળી લેવાયા !
આયોજનો પૂરાં થયાં અને – નવમી
જુનની સવારથી શાળા એક ઉત્સવ માટે તૈયાર હતી. ધીમે ધીમે ગામમાંથી અને આજુ બાજુના
ગામમાંથી માણસોનું આગમન સાથે શાળાના પાડોશી નટુભાઈએ સેટ કરેલી મ્યુઝીકની વ્યવસ્થા
ઉત્સાહ વધારતી હતી. નગીનભાઈ સામેથી પૂછીને ખાસ ખુરશી, સ્ટેજની વ્યવસ્થા કરી ચુક્યા
હતા. (અને બંને વ્યવસ્થાઓ માટે તેઓએ અમારી પાસેથી વિનંતી છતાં કોઈ આર્થીક વળતર લીધું નહિ. – બસ – એક જ વાત – તમે આટલું કરો છો તો અમારાથી જેટલું થઇ શકે એટલું
તો અમે કરીએ !)
શ્રી કે.બી.ઝવેરી, જીલ્લા વિકાસ
અધિકારી સાહેબ, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ગોપાલભાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી
ભાથીભાઇ, ગામના સરપંચ બહેન રેખાબેન, પોતાનાં કામ પડતાં મૂકી અમારી સાથે જોડાયેલા
ગ્રામજનો સાથે અમે અમારા આયોજનને સાકાર કર્યું.નવા ખીલું ખીલું થયેલા ચહેરાઓ સ્ટેજ પર જઈ સરપંચશ્રી તથા ગામલોકો દ્વારા અપાયેલી
કીટ લઇ હસતા હસતા – અંદર શું હશે તેના આશ્ચર્ય સાથે એક બીજાના મોં તાકતા – અમારા
ભાગે મલકાટ એ જ કે “સેજલ, નાઝમીન,દેવની ટીમના યોગાસન” “સ્વચ્છ ભારતનું નૃત્ય” અને
હાર્દિકની ધમાકેદાર સ્પીચ - તમામે ખુબ તાળીઓ ઉઘરાવી !
ઝવેરી સાહેબનું પ્રાસંગિક ઉદબોધન
એ માત્ર પ્રાસંગિક ના રહેતાં જાણે અમારા માટે ઉત્સાહનું ટોનિક બની ગયું. એમના
વક્તવ્યને એમણે એ દિવસ પૂરતું મર્યાદિત ના રાખ્યું – એક અધિકારી કેવી રીતે આખી
ટીમને મોટીવેટ કરી શકે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમના સ્ટેજ પરથી બોલાયેલા
શબ્દો અને તેમણે શાળા જોતાં જોતાં “અમારા બાળકોના આત્મ વિશ્વાસ, નિર્ભયતા અને કાર્યક્રમમાં
બાળકોને કેન્દ્રમાં રાખ્યા ! વગેરે ચર્ચા કરી અમને જે ગૌરવ મહેસુસ કરાવ્યું; એ
અમને આ નવા ફૂલડાંઓની માવજતમાં પ્રેરણા આપશે જ !
હા, બાળમેળામાં પહેલા ધોરણના
બાળકો માટે મજા હતી પણ બધા બાળકો બધા સ્ટોલ પર દર વર્ષની જેમ જઈ શક્યા નહિ. સમયની
મર્યાદા નડી. જમ્યા પછી બધા જુથે પોતે શું
કર્યું તેનો મૌખિક અહેવાલ ટૂંકમાં કહ્યો અને સૌ – ગૌરવ અને આનંદ સાથે – નવા ફૂલને
સાચવવાના મુક કોલ સાથે છુટા પડ્યા !
કાર્યક્રમોના સંચાલક - મનીષા ધોરણ -8
મનુષ્ય તું બડા મહાન હૈ....
સ્વછતાં નું મહત્વ
યોગ
સ્વછતાં અને આપણે-: અમારો હાર્દિક
શ્રી ઝવેરી સાહેબ [IAS] જીલ્લા વિકાસ અધિકારીશ્રી , પંચમહાલ
દિપકભાઈ તેરૈયા એ વર્ણવેલી બાળક સાથેના
વર્તનની આ સરખામણી સૌ શિક્ષકોએ સમજવા જેવી છે.
ઉનાળાના સમયમાં
બાળક મમ્મીને કહે છે તું મને બગીચામાં લઇ જઈશ?
મમ્મીનો શરતોરૂપી તીરો યુક્ત
જવાબ – “હા પણ પહેલાં તું
બધું જમી લે”– “થાળીમાં કશું છોડીશ
નહિ, તો જ !” જમ્યા પછી બાળક “મમ્મી બગીચામાં? – મમ્મી – “હા, બપોરે ઊંઘી જા
તો જ ! સાંજે પાંચ વાગે જઈશું.” બગીચામાં જતાજતા પણ બાળકનો હાથ
પકડી રાખે – ન તો આમ કે ન તો તેમ ચાલવા દે – ન તો દોડવા દે કે ન તો કુદવા દે – કે
જે બાળકનો સહજ સ્વભાવ છે. જાણે કે બાળકને કોઈ પ્રાણીની જેમ દોરી લાવે. બગીચામાં
પેસતાં જ – “જો મારી આંખો સામે જ રમજે, ક્યાંય આડો અવળો ન થાતો કે થતી !” “હું એક
બુમ પાડું એટલે તરત જ આવી જવાનું !” એની રમત પુર બહારમાં હોય – હિંચકો ભાગમાં
આવ્યો હોય કે ચકડોળે મસ્તી ઘૂમરાવા માંડે કે મમ્મીની બુમ આવે “ચલ જો, આ પાણી પી
લે” અને જો બાળક ના પડે તો ધમકી “હવે જો તને બગીચે જ
ના લાવું !” એ બગીચાની ધમકી વશ બાળક આવીને પાણી પી જાય – આવી કેટલીય ટકટક અને કેટલીય શરતો સાથે બાળક બગીચે
જઈ આવે...
એ જ બાળક દાદાને – “દાદા, બગીચામાં લઇ
જશો?” દાદાનો જવાબ- “હા, જઈએ.” “ક્યારે જઈશું?” “તારે ક્યારે જવું છે?” અને બાળકની
પ્રાયોરીટી શરૂ થાય. રસ્તામાં બાળક દાદાનો હાથ પકડે અને રસ્તાની એક સલામત બાજુએ
ચાલે, સાથે સાથે ખાડા ટેકરાનું દાદાને ધ્યાન દોરે. બગીચામાં પહોંચતા દાદાને બેંચ પર
બેસાડી, પોતે રમવા જવાનું જાહેર કરે અને દિશા પણ બતાવે કે દાદા હું આ બાજુ રમું
છું. મમ્મીને બુમો પાડી બોલાવવું પડતું હતું તે જ
બાળક થોડી થોડી વારે દાદા પાસે આવી
પૂછ્યા કરે કે “દાદા ફાવે છે કે નહિ ?”
હવે
આપણે જ નક્કી કરવાનું છે કે બાળકનું વર્ગખંડોમાં જતન કરવા અને આપણા સમીપ લાવવા
મમ્મી જેવી ટકટક ઉપયોગી બનશે કે પછી દાદાએ ઉભું કરેલું બાળક માટેનું પરોક્ષ અભયારણ્ય
?
બાળકો દરેક બાબત વિષે વિચારતા રહે છે. તેમના રમકડાથી લઇ
મમ્મીની સાડી કે પપ્પાના પાકીટ સુધી તેમના મગજમાં વિચારો ઘુમરાતા રહે છે. એમણે
મોટેરાઓની જેમ વિચારવાથી થાક નથી લાગતો ! તેમણે મન આવા વિચારો કરવા – રમકડાના
ઘર/ગાડી માં નવા નવા બદલાવ કરવા એ બધું “કામ” નહિ રમત હોય છે અને તે રમત રમતમાં જ આપણને
નવા આઈડીયાઝ ભેટ કરે છે.
આપણી પાસે કોઇપણ કામનું સરલીકરણ અથવા
તો નવીનીકરણ કરવા સીમિત તર્ક હોય છે, અને તેનું સૌથી મોટું કારણ હોય છે આપણા
પૂર્વગ્રહો ! આપણે દરેક કામને જોતી વખતે આપણા જ્ઞાનને આધારે તે કેમ ના થાય તે
વિચારવા ટેવાઈ જઈએ છીએ. બાળકો તો બસ એમની કલ્પનાની પવન પાવડી લઈને એ ય આખા
બ્રહ્માંડની સફરે ઉપાડી જાય તેવા છે. આનું એક ઉદાહરણ જોવા મળ્યું બાળકોમાં રહેલી આવી સર્જનાત્મકતા અને તર્ક
શક્તિને વિકાસવાવમાં મદદ મળે તેવા એક વર્કશોપમાં – જ્યાં ૫ થી ૮ ધોરણમાં ભણતા
વિદ્યાર્થીઓએ એન્જીનીઅરીંગ કરતા વિદ્યાર્થીઓ કરતા લોકોની સુખાકારી વધારવા અંગે વધુ
આઈડીયાઝ આપ્યા. આ વર્કશોપનું આયોજન
યુનિસેફ-જી.સી.ઈ.આર.ટી. અને સૃષ્ટિ સંસ્થાએ ગ્રામભારતી અમરાપુર ખાતે
કર્યું. ગુજરાતમાંથી ૧૦ શાળાઓને આમંત્રણ હતું. આપણી શાળાના ત્રણ વિદ્યાર્થીઓ અને
એક શિક્ષકે આ વર્કશોપમાં ભાગીદારી કરી.
એમણે જુદા જુદા અનુભવોમાંથી પસાર
કરવામાં આવ્યા ! એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ રાજ્યોમાંથી આવેલા
વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો, ગ્રાસરૂટ ઇનોવેશન કરનારા વ્યક્તિઓ – હા, આપણે થ્રી
ઈડિયટ્સમાં જોયેલી એવી જ શાળા ત્યાં રચાઈ ! એમાં જે સ્કૂટર બતાવ્યું છે તેનો
આઈડિયા જેનો હતો એ જહાંગીરભાઈએ પણ ત્યાં બાળકો સાથે સમય વિતાવ્યો ! પ્રોફેસર અનીલ
ગુપ્તા સર, ચેતનભાઈ, ભાવેશભાઈ જેવા વ્યક્તિઓ સાથે વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ જુદા
જુદા સમયે ચર્ચા કરી.જુદા જુદા ગામડામાં જઈ ત્યાંના વ્યક્તિઓને તેમની મુશ્કેલીઓ
પૂછી. તે મુશ્કેલીઓની નોંધ કરી આવ્યા બાદ તે નિવારવા શું કરી શકાય તે માટેની ચર્ચા
કરી. તે આધારિત પ્લાન લખ્યો, ચિત્રો બનાવ્યા અને તે બધા સમક્ષ રજુ કર્યા ! ઇન
શોર્ટ ખરા અર્થમાં જીવનને સ્પર્શતું શિક્ષણ તેમણે ત્યાં મેળવ્યું.
હવે તો
બસ શાળા ખુલે અને તેઓ ત્રણ સૌને પોતાના અનુભવો શેર કરશે અને તે પછી આવતા વર્ષે આવા
વર્કશોપમાં કોણ જશે તેની ચર્ચાઓ ચાલશે ! આમ જ તેમને અમે રક્ષીશું કે તેઓ આપણી જેમ
જ્ઞાન મેળવી પૂર્વગ્રહો ધરાવતા ના થાય અને સતત દરેક બાબતમાં શું સંભાવના રહેલી છે
તે ચકાસતા રહે ! શું ખબર વર્ષો પછી કોઈ વૈજ્ઞાનિક નવા નદીસર પ્રાથમિક શાળાનો
ઉલ્લેખ તેની લીડરશીપ હેઠળ અવકાશમાં છોડાયેલા ઉપગ્રહ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહે કે, “I want to thank my Nava Nadisar Primary School for helping me to preserve my
curiosity !”
શાળામાં વેકેશન
પડવાનો અર્થ છે કે પાઠ્યપુસ્તકને વિરામ આપવો– બાળકો માટે વેકશન એટલે પરમાનંદ ! બાળકોને ગમે તે કહો તો જવાબ એટલો
જ હોય છે કે ભણવા સિવાયનું તમે જે કહેશો તે બધું જ કરીશું ! ત્યારે થાય છે કે આપણે
બાળકોના મનમાં વર્ગખંડોમાંની પ્રક્રિયાઓને ફકતને ફક્ત ચોક અને ટોક પુરતી સીમિત કરી
બોરીંગ બનાવી દીધી છે. પરિણામે બાળકના મનમાં ઘર કરી ગયું છે કે વેકેશન એટલે ન ભણવા
દિવસો. કેટલીક જગ્યાએ તો શિક્ષકો તરફથી પણ આવો જ પ્રતિભાવ મળતો હોય છે – ત્યારે
પ્રશ્ન થાય કે વર્ગખંડોમાંની પ્રક્રિયા શીખનાર બાળકને
નથી ગમતી – શીખવનાર શિક્ષકને નથી ગમતી તો પછી તેમાં બદલાવ લાવી રસિક બનાવવાની
જવાબદારી કોની ? બાળકને શીખતો કરવો એ આપણો મુખ્ય ધ્યેય છે પરંતુ તેને શીખવાની
પ્રક્રિયાઓમાં રસિકતા ઉભી થાય તેની જવાબદારી પણ આપણી છે – બાળકો અલગ અલગ છે – તેમ
તેમનો રસ અને રસ્તો અગલ અલગ હોઈ શકે છે – આપણે શિક્ષક તરીકે જેટલા બાળકો એટલા જ
પ્રકારના લેન્સનું નિર્માણ કરવું પડશે કે જે બાળકની જરૂરિયાત મુજબની ક્ષમતા ધરાવતાં
હોઈ –અગલ અલગ બાળકના પસંદગી મુજબના આકારના હોય – પરંતુ તેમાંથી બધા બાળકને સરળ રીતે એ જ સમજાઈ જતું હોય જે આપણે તેને
સમજાવવા માંગતા હોઈએ ! બાળકોની શીખવાની ક્ષમતાનો સીધો આધાર પ્રક્રિયા પર રહેલો છે-
માટે જ શિક્ષક પૂર્ણ ત્યારે જ કહી શકાય જયારે એક જ એકમ માટે જેટલાં પ્રકારના બાળકો
તેટલી પદ્ધતિઓથી શીખવવા માટેની ક્ષમતા ધરાવતો હોય ! જે શિક્ષકો આવી ક્ષમતા
ન ધરાવતાં હોય તે શિક્ષક માટે સ્લો લર્નર ચાઈલ્ડ ની જેમ સ્લો ટીચર નું લેબલ લાગતું
હોય છે. શું આપણે ‘આ’ કેટેગરીમાં
તો નથીને ! તે જાણવા આપણે આપણે આ વેકેશનમાં એ બાળકોને નજર સામે રાખી ચિંતન કરવું
રહ્યું જે બાળકો આ વર્ષના તમામ એકમો અભ્યાસક્રમની સંકલ્પનાઓ સમજી શક્યા નથી !! ચિંતન
એ વાતનું કે શું આપણી પાસે તે શીખવી શકવાની અન્ય કોઈ આવડત હતી ? હતી તો શું કામ ન
કરી શક્યા ? અને નથી તો વેકેશનમાં વિદ્યાર્થી બની ક્યાંથી શીખી લઈએ ? તમે જોયું
હશે કે મોનોટોનસ બની કરેલ વર્ગખંડોમાંની મહેનત સપ્લીમેન્ટરી સુધી નથી પહોંચતી અને પરીક્ષાના
પરિણામ આપણી ચિંતાઓમાં વધારો કરતાં હોય છે – ત્યારે ચિંતાને તિલાંજલી આપી ચિંતન
તરફ વધી આ વેકેશનમાં સજ્જ બનીએ હવે નવા વર્ષના બાળકો માટે – સૌ શિક્ષકોનું વેકેશન
ચિંતનમય બની રહે તેવી શુભેચ્છાઓ !!!
જો કે એવું જ લખાયેલું છે શિક્ષકના લલાટે !
વૃક્ષ પર તેના જીવનકાળ દરમ્યાન લાગતા દરેક ફળને તે મિસ કરતુ જ હશે. પણ એનું “વૃક્ષત્વ”
એમાં જ છે કે એ ફળને પોતાનાથી વિખૂટું પાડે ! એમ આપણું “શિક્ષકત્વ” એમાં જ છે કે
આપણે એક બાળકને કિશોર અવસ્થા સુધી જવામાં તેના સાથી બનીએ અને પછી હળવેકથી તેની
આંગળી છોડી-તેના નવા આયામો તરફ પ્રેરિત કરીએ.
મુશ્કેલ તો હોય છે (કદાચ એટલે અમે એક પણ વખત
આઠમાં ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ નથી યોજ્યો) હા, અભ્યર્થના માટે મળીએ – પણ
એમાં તો વાલીઓ હોય – બીજા બધા ધોરણના વિદ્યાર્થીઓનો કલબલાટ હોય – અને અમે સહજતાથી
છુટા પડી જઈએ – કોઈકવાર એવો વિચાર આવે કે જો વિધિસર – હવે આપણે નહિ મળીએ એવું
કહેવું – કાલે શાળાનો દરવાજો ખુલશે અને તમે અહી દરવાજે નહી હો- એવું વિચારવું –
આંખો ભીંજવી જાત !
આ વખત શાળામાંથી આવા ૨૧ વિદ્યાર્થીઓ પોતાનો
આગામી પંથ કાપવા અમને વણબોલાયેલી રીતે “અલવિદા” કહી ગયા ! રવિ કે જે એના મામાને
ત્યાં રહી ભણ્યો એ તો વિધિસર રીતે બધા શિક્ષકોને કહી આવ્યો કે હવે મળીએ ના મળીએ !
અને એને જોઈ લાગ્યું કે જીવનમાં કોઈ “એક દિવસ” આપણને અચાનક મોટા કરી નાખે છે –
એમની સાથે પસાર કરેલા વર્ષો
એક પછી એક પસાર થઇ રહ્યા છે.....
પોતાનામાં જ રમમાણ રહેતો
અલદીપ કેવી સહજતાથી હવે બીજાને મદદ કરતો થયો – વિશાલ તો જાણે શાળાનો પર્યાય –
પોતાના ધોરણની હાજરી પૂરવાથી માંડી – એ ધોરણમાં સરાસરી કાઢવી-આખી શાળાની કુલ હાજરી
શોધવી – ક્વીઝ તૈયાર કરવી- જાણે એ શિક્ષક બનવા જ જન્મ્યો હોય (એ જુદી વાત છે કે
એને કેમિકલ એન્જીનીઅર બનવું છે !) શાળાને તાલુકા કક્ષાએ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ
વખત ગજવનાર સંજય – જીલ્લામાં ગોળાફેંક જીતનાર હંસા – અને જેને સમગ્ર વર્ષ દરમિયાન
આખી શાળાને વાંચતી કરવામાં અમુલ્ય ફાળો આપ્યો એવી મનીષા ! પોતાની આગવી છટાથી
શાળાના વિવિધ કાર્યક્રમોમાં સંચાલન કરતો જયપાલ ! તો વિજ્ઞાનમાં કૈક શીખે/ક્યાંક
વાંચે/જુએ ને તરત જ તેના આધારે તેવું રમકડું બનાવવા મથતા અતુલ અને ફૈઝાન ! માંડ
કૈક બોલે એવી અસ્મિતા – ને ક્રિકેટનું બેટ પકડે તો રોજ ધોકો લઇ નીકળી પડતા
છોકારાઓની બોલીંગના છોતરા કાઢી નાખે એવી શીતલ ! પોતાની વિષમ (બધાના સાપેક્ષમાં)
સ્થિતિમાં ય પોતાની અંદરનું હીર જાળવી રાખનાર હરેશ અને ધવલ ! જેને પોતાની
કોઠાસૂઝથી નાગરિક ઘડતરની બાળ સંસદ પોતાનો સિક્કો જમ્વ્યો એવો પ્રિન્સ અને દરેક
બાબતને દિલથી સ્વીકારી મચી પડતો ધવલપુરી ! પોતાના અભ્યાસ સાથે જેમણે પોતાના ઘરને
પણ સાચવ્યું એવા દિનેશ અને સચિન ! મધ્યપ્રદેશથી અહી રહેવાનું અને તેમાંય ઘણા
અઠવાડિયા બીજા ગામમાં તેમ છતાં શાળામાં શક્ય તેટલા દિવસ ભણવાનું રાખ્યું એવો અજય !
ઘેટાં બકરાં અને ગાયો- ઘરે જઈ લેશન કરવાનો તો ઠીક પણ - ચોપડી ઘેર ના લઇ જવાય એવા
કેટલાય મહિના હોય – તેમ છતાં આ શાળાકીય શિક્ષણમાં તાલમેલ કરતો હરેશ ભરવાડ ! આ બધાએ
અમને ઘણા અનુભવો આપ્યા છે – અમારાથી રીસાયા છે – અમને લડ્યા છે – અમે એમના પર
ગુસ્સે થયા છીએ. એમની બેદરકારીને ઝાટકી છે – એમની આંખો દડદડ કરતી દડી પડી છે.
પ્રેમથી પસવાર્યા છે- એવા આ એકવીસ પૂર્જાઓ
અમને સતત ઉર્જા આપશે જ –
અને એટલા જ અમે એમને મિસ પણ
કરીશું !
અગાઉના વર્ષની અભ્યર્થના સભા માટે માણવા માટે ક્લિક કરો >>> અભ્યર્થના
પ્રાથમિક શિક્ષણ ના સમતોલન
માટે મહત્વના પાયાઓમાં વાલી એટલે કે સમાજ એ પણ વિદ્યાર્થી અને શિક્ષક જેટલું જ
મહત્વ ધરાવે છે. બાળકોના શિક્ષણ માટે ફકતને ફક્ત શાળા કે શિક્ષક જ મથતો રહે તો
બાળકના શિક્ષણની ગતિ ગોકળગાયની ગતિએ વધતી રહે અને તેનાં પરિણામો પણ ખુબ જ લાંબો સમયગાળો
માગી લેતાં હોય છે. ગ્રામીણ કક્ષાએ બાળકોના શિક્ષણ પ્રત્યે વાલીઓની નીરસતા અને
શાળા સંસ્થાનો પ્રત્યે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અરુચિ બહોળા પ્રમાણમાં જોવા મળે છે
અને ઘણા કારણમાં આ પણ એક મોટું કારણ શિક્ષણના પરિણામમાં અસંતોષ માટેનું જોઈ શકાય
છે. ઘણી જગ્યાએ સમાજની શિક્ષણ પ્રત્યેની ફક્ત બેજવાબદારી પુરતું ન રહેતાં બાળકોને
શાળાની હાજરીમાં પણ અવરોધો ઉભા કરતાં જોઈ શકાય છે અને પરિણામ એ આવે છે કે જ્યાં
શાળા અને સમાજ ભેગા મળી મહેનત કરે છે અને જેટલું પરિણામ મળે છે તેટલું પરિણામ મેળવવા શિક્ષક મથતો જોવા મળી રહે છે.
કહેવાય છે કે એક હાથે તાળી ન પડે ! – સમાજ અને શિક્ષક સાથે મળી જો પ્રયત્ન કરે તો
જ બાળકમાં શિક્ષણ અસરકારક બની શકે. અજાગૃત વાલીના બાળક ને
શાળા સુધી લાવવા માટે શિક્ષકે એટલો પ્રયત્ન કરવો પડે છે જેટલો ફૂટબોલની રમતમાં એક
ખેલાડીએ ગોલ કરવા માટે કરવો પડે છે, અને વાલી પણ એટલો જ પ્રયત્ન શિક્ષકને ગોલ ન
કરવા દેવા માટેના પ્રયત્નોમાં હોય છે. આવા પ્રયત્નો શિક્ષકે ફકતને ફક્ત
એકવાર નહિ પણ તે બાળક માટે સમયાંતરે અને કોઈકને કોઈક બાળક માટે રોજેરોજ કરતા રહેવો
પડે છે. પરિણામે આવા બાળકને વર્ગખંડ સુધી
લાવવામાં જ શિક્ષકની મોટાભાગની એનર્જી
વપરાઈ જતી જોવા મળે છે. અને તેની અસર શિક્ષકના શિક્ષણકાર્ય પર અને તેને કારણે
સ્વાભાવિકપણે શૈક્ષણિક પરિણામો જોવા મળે છે જે કેટલીકવાર નિરાશા અને હતાશા જન્માવે
છે. ત્યારે મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે બાળકના શિક્ષણમાં સમાજની જવાબદારી કેટલી ?
ગ્રામીણ કક્ષાએ શિક્ષણનું સ્તર નીચું આવવામાં
વાલીઓની અજાગૃતતા એ કારણને મોટું ગણવામાં આવે છે. ફરિયાદ છે કે વાલીઓ પોતાના
બાળકોના શિક્ષણ પ્રત્યેની જવાબદારીથી દૂર રહે છે અથવા તો અજાગૃતતા બેજવાબદારીભર્યુ
વલણ ઉભું કરે છે. એનો સીધો સાદો અર્થ આવા સમાજને બેજવાબદાર ગણાવે છે કે જેઓ પોતાના
બાળક પ્રત્યેની જવાબદારીઓથી ભાગી રહ્યો છે. તે ઘણા અંશે વ્યાજબી પણ છે. પરંતુ
મિત્રો આપણે કેટલીક શાળાઓમાં દિવાલોસૂત્રોમાં એક સૂત્ર આ પણ વાંચીએ છીએ કે “ શાળા
એ સમાજનું ઘડતર કરે છે “ – જો એ સૂત્રને સાચું માનીએ તો અત્યારનો આપણા માટે લાગતો
આ બે/જવાબદાર સમાજ એ પણ આપણાવ્યવસાયિક
પૂર્વજોની દેણ છે તે સ્વીકારવું જ રહ્યું. હવે આ સ્થિતિમાં શું થઇ શકે તે બાબતમાં
વિચારવું રહ્યું – સરકાર આ માટે કઈંક કરી શકે તે તો તેણેસમાજમાં શિક્ષણ અને તેના ધ્વારા કેળવણી આવે તે
માટે શિક્ષક તરીકે નિમણુંક કરી અને શૈક્ષણિક સંસ્થાનો ઉભા કર્યા. આપણે જયારે આજના
વાલીનીતરફ કોઈ ફરિયાદ ફેંકીએ છીએ ત્યારે
પ્રશ્ન આપણા વ્યવસાયિક પૂર્વજો તરફ પણ ડોકિયું કરે છે. વિચારો કે આપણી જ બે ચાર
પેઢી પાછા જઈ ડોકિયું કરશું તો આપણી પેઢી પહેલાંથી આવી કેળવાયેલી નહોતી ત્યારે
કોઈક એવી વ્યક્તિ તો હશે જ કે જેણે આપણી એક પેઢીની કેળવણી પાછળ નોધપાત્ર પ્રયત્ન
કર્યો હશે – જેની ફલશ્રુતિરૂપે આજે આપણે કેળવાયેલ વ્યક્તિ તરીકે ગણના થાય છે. આપણે ગ્રામ્યકક્ષાએજમીની કક્ષાએ કાર્ય કરતાં હોઈ, જે તે સમાજની વચ્ચે રહેતાં હોઈ આપણે જ મુશ્કેલીને
અનુભવતાં હોઈ શિક્ષણમાં સમાજની શાળા કે શિક્ષણ પ્રત્યેની અરુચિ અને અરસિકતા દુર
કરવા માટે આપણે સરકાર કરતાં પણ વધુ અસરકારક વ્યક્તિ છીએ તે હકીકત આપણે સ્વીકારવી એ તેનો પ્રથમ ઉકેલ છે. બીજા
પ્રયત્નોમાં....
·સમાજ સાથે સંવાદ ઉભો થાય તેવી તકો ઝડપવી...
·શિક્ષણ માટે સક્રિય વાલીઓનો ઉપયોગ સામાજિક
જાગૃતિ માટે કરવો...
·વર્ગખંડોમાંની મહેનત વાલીઓ સુધી પહોંચાડવા
સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો... શાળા – ગામનું વોટ્સ અપ ગ્રુપ
·શાળાકીય પ્રવૃતીઓને ડિસ્પ્લે કરવા ગામના શેરી
મહોલ્લાને પ્લેટફોર્મ બનાવવું જેમ કે મહોલ્લા પ્રાર્થના સમાંરભ
·સ્થાનિક સામાજિક – સાંસ્કૃતિક પ્રસંગોમાં અને
સામુહિક કાર્યક્રમોમાં યોગદાન આપી પોતાની હાજરીની / ભાગીદારીની નોંધ લેવડાવવી -
·વર્ગખંડના દરેક બાળકના વાલીની વ્યવસાયિક
પ્રવૃત્તિથી વાકેફતા કેળવવી જેથી બાળકની ગેરહાજરી નિવારવાના ઉકેલો વિશે કોઈ વચલો
માર્ગ શોધી વાલીને માર્ગદર્શિત કરી શકાય
આ બધા જ પ્રયત્નો
ધ્વારા આપણે ૧૦૦% સફળ થઈશું – બતોર શરત એક કે વિલ થી અને દિલથી લાગી જવું પડશે
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની મિજાજે “मस्ती की पाठशाला” એવી નવાનદીસર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. જો આપ એક શિક્ષણ રસિક હો તો "આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે સાથે-સાથે તે એક ‘‘સમાજ ઉપયોગી’’ નાગરિક પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં અમે બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રાખ્યો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપશ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે. Contact us on : nvndsr1975@gmail.com આ ઉપરાંત આપ અમારી શાળાને ફેસબુક https://www.facebook.com/navanadisar પર પણ નિહાળી સુચનો આપી શકો છો. અમારી મુલાકાત બદલ આભાર સહ – નવાનદીસર પ્રાથમિક શાળા પરિવાર !!!! શાળાના મિજાજને જાણવા માટે લોગો પર ક્લિક કરો !!
જો તમે શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !
શિક્ષકમિત્રો, બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ[આજ્ઞા] માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટે કોઈપણ જાતની ગરણી વિના સીધી જ મગજ [માન્યતા]માં ઉતારી દેતાં હોય છે.અને તે જ કારણે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે “ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.” મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું એવું જ માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે. આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. મિત્રો,બાળકે આપણા પર મૂકેલ આ વિશ્વાસ તથા વર્તમાન સમાજે “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ તેમનો “અંધવિશ્વાસ” નથી- તે હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું .
અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"
૧ લી મે, ૨૦૧૦ (ગુજરાત સ્થાપનાદિન) થી આપણી નવા નદીસર પ્રાથમિક શાળાએ તેનું ઈ-મુખપત્ર શરૂ કર્યું છે. જેનું નામ છે બાયોસ્કોપ. જેને અમે દર માસની પહેલી તારીખે પ્રકાશિત કરીશું.-અમારા માટે બાયોસ્કૉપનો ઉદ્દેશ શાળામાં ચાલતી પ્રવ્રુત્તિઓને પ્રોત્સાહન મળે, શાળાની પ્રવ્રુત્તિઓમાં રહેતી ત્રુટિઓ અને શિક્ષણકાર્યમાંની કોઇ મુંઝવણોમાં આપશ્રી જેવા અનુભવીશ્રીઓનું માર્ગદર્શન મળી રહે તેમજ કોઇ શાળાને પ્રેરણાત્મક સ્ત્રોત મળી રહે તે માટેનો છે. જો આપ આ અંકને આપના મેઈલ બોક્ષમાં ઇચ્છતા હો તો “Get Bioscope” લખી અમને મેઈલ કરો .. અમારું ઈ- સરનામું છે- nvndsr1975@gmail.com [ મિત્રો, અમારા અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના સંગ્રહસ્થાને પહોંચવા ઉપરોક્ત ફોટોગ્રાફ પર ક્લિક કરો .]
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉજવાતા ગુણોત્સવના બેનર પર આપણી શાળાની બાળાઓને મળેલું સ્થાન.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...
"જો તમે મુખ્યમંત્રી નહિ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોત તો?
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?
દિવ્યભાસ્કરના શાળા વિશેના લેખને વાંચવા ઉપરના image પર ક્લિક કરો
" मस्ती की पाठशाला " વિશે ...
"ભેલપૂરી" - ઈ-મેગેજીનમાં શાળા વિશેનો આ આર્ટિકલ વાંચવો તમને ગમશે [image પર ક્લિક કરો ]
શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે
શાળાએ અનુભવેલી સંવેદનાઓના લેખને વાંચવા ઉપરોક્ત image પર ક્લિક કરો.
બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?
'બાળ-સ્વચ્છતાં" - વિગતે વાંચવા IMAGE પર ક્લિક કરો
નાગરિક ઘડતર
અમારી શાળાને સ્વયં-સંચાલિત બનાવી બાળકોમાં એક જવાબદાર નાગરિકનો ગુણ વિકસાવતી પ્રવૃત્તિને જોવા ઈમેજ પર ક્લિક કરો.
આઝાદી એટલે સમાન તક !!!
શાળામાં ઉજવાયેલ ઉજવણીને માણવા IMAGE પર ક્લિક કરો
શાળા પહોંચે સમાજ સુધી !
શાળાનું પ્રાર્થના સંમેલન ગામમાં જ [ વિગતો માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો ]
ઇકોક્લાસ
જાણે કે ઋષિઓની કોન્ફરન્સ [વિગતે જાણવા ઉપરોક્ત image પર ક્લિક કરો ]
A Model School
BALA [A Model School ] ને વિગતે જાણવા ઈમેજ પર ક્લિક કરો
ચક્કીબેનનું ઘર
પ્રજ્ઞા શિક્ષણ
વિગતે વાંચવા માટે image પર ક્લિક કરો
સાયમન ગો બેક!
ઇતિહાસ શિક્ષણ..આ રીતે પણ...તે વખતે ખરેખર તેમને શું અનુભવ્યું હશે..?? જરા અનુભવી લઈએ!
ગાંધીહાટ
"ગાંધીહાટ" અન્વયે બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી જેમ કે પેન-પેન્સિલ-નોટબુક-રબર-સંચા વગેરે દરેક ખાનામાં વ્યવસ્થિત ગોઠવી તેના પર સ્પષ્ટ વંચાય તેમ તે વસ્તુની કિંમત લખેલી હોય છે.કોઈ બાળકને જયારે,જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તે બાળક જાતે જ ત્યાંથી જરૂરી વસ્તુ લઇ તેની બાજુમાં રહેલા ખુલ્લા ખાનામાં તે વસ્તુની કીમત પ્રમાણેના પૈસા મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. દર પંદર દિવસે જયારે,જ્યારે જૂથોની કામગીરી બદલાય ત્યારે તે બાળકો ગાંધી હાટનો હિસાબ જે તે જૂથના નેતાને સુપ્રત કરી દે છે. ગાંધીહાટમાં ખૂટતી વસ્તુઓ લાવવા માટે જવાબદારી સંભાળતા જૂથના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીનો સંપર્ક કરે છે. આવી નાનકડી પ્રવૃત્તિથી બાળકોમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થાય છે. જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરતા શીખે છે. જાણે અજાણે સૌ સહકારથી જીવવાનો ગુણ કેળવે છે.
આજના ગુલાબ
બાળકો માં સ્વચ્છતાનો ગુણ વિકસાવવો એ ખુબ જ અઘરી બાબત છે. કારણકે દોડવું,કુદવું ,ધૂળમાં રમવું,પડવું વગેરેની કોઈ વાત કરે કે તરત જ આપણને બાળકો જ દેખાય. બાળકોની આવી સ્વાભાવિક રમીતિયાળ અને તોફાની પ્રવૃતિઓ ન અવરોધાય અને સ્વચ્છતાનો ગુણ વિકસાવવો તે જરૂરી છે. "આજના ગુલાબ " પ્રવૃતિથી અમે તેમ કરવામાં અમે લગભગ સફળ રહ્યા છીએ. રોજ પ્રાર્થના સમયમાં બે મીનીટનો સમય ફાળવી...ધોરણવાર બાળકોને ઉભા કરવામાં આવે છે. જે જૂથને પ્રાથના સંમેલનની કામગીરી ફાળવેલ હોય તે જૂથના બાળકો અન્ય વિધાર્થીઓને તપાસે છે. જેમાં *વાળ ઓળેલા છે કે નહિ?*તેલ નાખેલું છે કે નહિ?*નાખ કાપેલ છે કે નહિ?*યુનિફોર્મ ધોયેલો છે કે નહી?* શરીર પર નો મેલ સાફ કરેલ છે કે નહિ? જેવી બાબતો ધ્યાનમાં રખાય છે. તપાસનાર જૂથ ધોરણવાર એક -એક બાળકનું નામ જાહેર કરે છે. તેને ઢોલકની ત્રણ તાલ - બધાની ત્રણ તાલીનું માન અપાય છે. શિક્ષક્ તે બાળકોના નામ ધોરણવાર શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર નોધે છે.આનાથી કેટલક સુખદ પરિણામો અમને મળ્યા છે તેમાં બાળકો સમયસર શાળાએ આવે છે...સ્વચ્છ રહેવાની તંદુરસ્ત હરીફાઈ .... રોજ સ્નાન કરવાની ટેવ..હાથ ધોઈનેજ જમાય તેવી ટેવ...મળ્યા તે ઉપરાંત વાલીઓમાં પણ પોતાના બાળકની સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે તે વધારાનો ફાયદો.
ખોયા-પાયા
"ખોયા-પાયા" નું હાર્ડબોર્ડનું ખોખું અમે ઓફીસ રૂમની બહાર લગાવેલ છે. જેમાં બાળકોને વર્ગ ખંડ કે મેદાનમાંથી કોઈ વસ્તુ મળશે તો તે ખોયા -પાયમાં મૂકી દેશે. જ્યારે કોઈ બાળકની વસ્તુ ખોવાઈ ગઈ હશે તો પણ તે અન્ય જગ્યાએ શોધવાનો સમય વેડફ્યા વગર ખોયા-પાયામાંથી જ મેળવી લેશે. અહી બાળકો પોતાના સિવાયની બીજાની વસ્તુ પોતાની પાસે ના રખાય તેવી સમજ કેળવશે ..ચોરીની કુટેવ હશે તો દુર થશે ...વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળશે. અહી વિધાર્થીઓમાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ સમજાવવો. તેમને સમજાવવું કે ફક્ત જરૂરી વસ્તુઓ જ "ખોયા-પાયા "ના બોક્ષમાં મુકવી
ઉત્સવો
બાળકો તહેવારોની ઉજવણી હમેશા પોતાના ઘરના -શેરી-મહોલ્લાના રસ્તાઓ પર કરવાનું પસંદ કરે છે.પરંતુ જો તહેવારના દિવસે શાળાનું વાતાવરણ તેમના ઘર જેવું બનાવી દઈએ તો?