June 30, 2013

ચર્ચાસેતુ -: બાળક અને સમાજ....

ચર્ચાસેતુ -: બાળક અને સમાજ  


  મિત્રો તમારૂં નાનું બાળક જયારે કોઈ તમારા મિત્રની સાથે વાત કરે ત્યારે તમને કેવો  અનુભવ  આનંદ થાય છે??? તમને થશે કે આ પ્રશ્નને અને આજના આ ધોરણ-૫ ના સામાજિક વિજ્ઞાનના પ્રોજેક્ટ “ગામના ઈતિહાસ” ને વળી શું સંબંધ ??? હોઈ શકે........ સંબંધની નહી તમારા પ્રશ્નની વાત કરું છું. પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આશરે ૮-૯ વર્ષની ઉંમર સુધી તો બાળકને મોટેભાગે કાં તો સ્વજનો - કાં તો શિક્ષકો સાથે/સામે વર્તવાનું હોય છે. બાળક પણ આ ઘર/મહોલ્લો  અને શાળા આ બે પર્યાવરણથી જ પરિચિત હોય છે કે જેમાં તે ખુલી શકે. પરંતુ જયારે બાળક ધોરણ પાંચમાં પ્રવેશ કરે છે ત્યારે પર્યાવરણ વિષય બે ભાગમાં વહેંચાય છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન.
           સામાજિક વિજ્ઞાન વિષયમાં સમાયેલા વિભાગો પૈકી- બાળકને  ઈતિહાસ ધ્વારા સમાજનું મહત્વ જાણવાનો  – રાજનીતિશાસ્ત્ર ધ્વારા સમાજની વ્યવસ્થાને સમજવાનો  – ભૂગોળ શાસ્ત્ર દ્વારા પ્રદેશને અનુરૂપ સામાજિક જીવનશૈલી સાથે અનુકૂલન સાધવાનો  એક પ્રયાસ રહેલો છે. અત્યાર સુધી સ્વજન અને શિક્ષક સાથે/સામે કામ કરતાં બાળક સામે જયારે ધોરણ-૫ના પ્રથમ એકમમાં જ “ગામના ઇતિહાસ” ના પ્રોજેક્ટ અંતર્ગત સમાજ સામે જવાની અને સાથે સાથે વાર્તાલાપ કરવાની જયારે જરૂરિયાત ઉભી કરાવવામાં આવે છે, ત્યારે આપણા મનમાં બાળકોની માહિતી મેળવવાની શક્તિ વિષે કુશંકાઓ  પેદા થાય તે સ્વાભાવિક છે ! તે સમયે બાળક ‘માહિતી લાવે’ તેના કરતાં ‘માહિતી લેતા’ શીખે તેને મહત્વ આપીએ. બાળક આપણા ઘરે આવેલ કોઈ આપણા મિત્ર સાથે જયારે સહજતાથી વાત કરે છે ત્યારે, વાતચીતના આનંદ કરતાંય આપણને વધારે આનંદ તેના વર્તનનો હોય છે.
ધોરણ ૫ નું સામાજિક વિજ્ઞાન એ બાળકના સમાજ જીવનના ઘડતરનો પાયો છે અને આ સમયે તમે જેટલી વધારે મહેનત કરશો, ભવિષ્યનો સમાજ તેટલો જ વધારે ભવ્ય ઘડાશે....
                નવાનદીસર શાળાના બાળકોને પણ “ગામના ઈતિહાસ” પ્રોજેક્ટ માટે સમાજની વચ્ચે જઈ વાર્તાલાપ કરવો પડ્યો – જરૂર જણાઈ ત્યાં તેમણે વિષય શિક્ષક-મિત્રનો પણ સહારો લીધો. બાળકોએ પ્રોજેક્ટ ધ્વારા  બધું ઘણું નવીન જાણ્યું, પરંતુ હું ફરીથી કહું છું કે અમારો મુખ્ય અને મુખ્ય ઉદેશ્ય તો બાળકો અને સમાજ વચ્ચે ચર્ચા-સેતુનો જ હતો, ચાલો જોઈએ કેવો રહ્યો અમારો ઉદેશ્ય અને બાળકોનો પ્રોજેક્ટ
શું - શું પૂછીશું ગામ વિશે?? - પ્રોજેક્ટ ફોર્મેટ વિશે બાળકોને સમજ આપતા વિષય શિક્ષકમિત્ર
પાળિયાને જોવા / જાણવા 
યાત્રાનો અલ્પવિરામ ...

વીરતાના પ્રતિક પાળિયા સાથે બાળકો...
આસપાસની સફાઈ 
પૂંજા- પરંપરાના ભાગરૂપે 

પાળિયા સાથે વણાયેલી વાત બાબુકાકાના મુખે....
"ગામનો ઈતિહાસ" પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન રૂપ મુલાકાત-
વિષય શિક્ષકશ્રી K.B.C.માંના લાઈફ લાઈનની જેમ હાજર  ...



ગામના તમામ વિસ્તાર કવર થઇ શકે તે મુજબના આયોજન પ્રમાણે વિવિધ ગૃપ મુજબ મુલાકાત કરતાં બાળકો  




ફરીથી કહીએ છીએ કે "અમારો મુખ્ય અને મુખ્ય ઉદેશ્ય તો બાળકો અને સમાજ વચ્ચે ચર્ચા-સેતુનો જ હતો..."
[પ્રક્રિયામાં હજુ શું વધારો કરી શકાય ...??? - આપના વિચારોની રાહ જોઈશું ] 

June 15, 2013

“અમારી પેઢી તમારા ભરોસે" = શાળા પ્રવેશોત્સવ



સમાજ ઉવાચ -: “અમારી પેઢી તમારા ભરોસે"
 = શાળા પ્રવેશોત્સવ 
                                     હવે તો “શાળા-પ્રવેશોત્સવ” એ પ્રાથમિક શાળાઓની ઓળખાણ બની ગયો છે. તમને કોઈ પૂછે કે તમે શું કરો છો?? અને જો તમે કહો કે પ્રાથમિક શિક્ષક છું. તો પૂછનારના બીજા વાક્યમાં “પ્રવેશોત્સવ”નો  ઉલ્લેખ હશે જ !! દરેક ધર્મની સાથે જેમ જે તે ધર્મનો મુખ્ય તહેવાર જોડાયેલો હોય છે, તેમ હવે તો “પ્રવેશોત્સવ” પણ શાળા [શિક્ષક] ધર્મનો મોટો અને મુખ્ય તહેવાર બની ગયો છે. શાળા પ્રવેશોત્સવનું એક બીજું પાસું એ પણ છે કે “શાળા પ્રવેશોત્સવ” ની ઉજવણીનો ઉત્સાહ શાળાના શિક્ષકો કરતાં પણ વધુ પ્રવેશપાત્ર બાળકોના ઘરોમાં જોવા મળે છે. 
કારણ... પોતાનું વહાલસોયું [ અને મહોલ્લાનું પણ ખરું ] સંતાન આજે શૈક્ષણિક કારકિર્દીમાં પ્રવેશ કરી રહ્યું છે. આ ઉત્સવની શરૂઆતમાં એવું લાગતું હતું કે પ્રવેશોત્સવ એટલે વાલીઓ પહેલાં છૂટક-છૂટક નામાંકન માટે આવતાં હતાં તેને બદલે એક જ દિવસે બધા બાળકોનો પ્રવેશ અપાઈ જાય. પરંતુ  જેમ-જેમ વર્ષો જતાં જાય છે તેમ-તેમ આ તહેવાર લાગણીઓથી સભર બનતો જાય છે. પહેલાં જેમ એક વાલી આવીને બાળકને દાખલ કરાવી જતો, તેની જગ્યાએ ગામ આખું પોતાની નવી પેઢી શાળાને સોંપતા હોય તેવો ભાવ પેદા થાય છે. શાળા વતી સરકારશ્રીમાંથી પધારેલ પ્રતિનિધિ કુમકુમ તિલક કરી તે બાળકોનું ઘડતર કરવા માટેનો સ્વીકાર કરે છે. તે સમયે જો આપણી લાગણીઓના ચેતાતંતુઓ જાગૃત હોય તો સમાજ આપણને કેટલી મોટી જવાબદારી સોંપી રહ્યો છે તેનો અહેસાસ કરવો જ રહ્યો.
   આજે અમે એમ નહિ કહીએ કે શાળા પરિવારે “પ્રવેશોત્સવ’ ઉજવ્યો, પરંતુ અમારા પટાંગણમાં જે રીતે આ વર્ષે પ્રવેશોત્સવ-૧૩ની ઉજવણી થઇ તે માટેના સાચા શબ્દો છે કે અમે અને સમાજે મળી “પ્રવેશોત્સવ” ની ઉજવણી કરી. વાલીઓના ચહેરા પરનો ઉત્સાહ અમારામાં જોશ ભરવાનું કામ કરતો હતો તો તેમની આંખોમાં છુપાયેલી અપેક્ષાઓ  આ બાળકો માટે અમારે કેવી અને કેટલી યુક્તિ પ્રયુક્તિઓ ધ્વારા પરિશ્રમ કરવો પડશે તેનું ગણિત ગણાવતી હતી. સરકારી પ્રતિનિધિ તરીકે પધારેલ શ્રી પી.કે.વાસ્તવ સાહેબ [ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી,પંચમહાલ ] પણ જાણે અંતર્યામીની જેમ પોતાના વક્તવ્યમાં જ અમારી મુશ્કેલીઓને વાચા આપી વાલીઓને વિનંતી કરી રહ્યા હતા કે
“ ક્લાસ-1 અને ક્લાસ-2 તરીકેની ફરજ દરમ્યાન કામગીરીની વ્યસ્તતામાં પણ હું મારા બાળકો માટે રોજ એક કલાક ફાળવું છું, તો તમે પણ તમારાં બાળકો માટે ઘરે રોજ એકાદ કલાક તો ફાળવજો.”ખરું કહું તો ઉજવણી સમયના અમારી શાળાના પટાંગણનું ઉત્સાહિત વાતાવરણનું વર્ણન કરવા અમે અસમર્થ છીએ,પણ હા અમે તમને બતાવી શકવા સમર્થ છીએ ખરા !! અને તે માટે મારે અને તમારે ટેકનોલોજીનો આભાર માનવો જ રહ્યો.

પધારેલ મહેમાનશ્રી પી.કે.શ્રીવાસ્તવ [ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,પંચમહાલ] ને   શાળા પરિવાર અને ગ્રામજનો વતી આવકારતી બાળાઓ ..

દેશભક્તિ ગીત.....
શાળા તરફથી સ્વાગત .....

માઈક્રોફોનની સાથે-સાથે સંચાલન પણ જેના હાથમાં હતું તે અમારો દીકરો  -:  રાવળ કુલદીપ ....
યોગાસનોનું નિદર્શન 

કાર્યક્રમના કેન્દ્ર તેવા પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી ચોકલેટ વડે મોં મીઠું કરાવી બાળકોને વિદ્યાર્થી જીવનમાં આવકારતા મુખ્ય મહેમાનશ્રી , લાયજનશ્રી તથા SMC અધ્યક્ષશ્રી 
આંગણવાડીના બાળકોને આવકાર...
કિશોરીઓને અર્પણ...

ગતવર્ષના શ્રેષ્ઠીઓને....




" મારી માં " -:ભરવાડ સોનલ 
જંગલ બચાવો - જીવન બચાવો - વિશે 
સ્વામીવિવેકાનંદ જયારે બાળક હતા... 


પ્રેરક પ્રવચન ધ્વારા શિક્ષણનું મહત્વ જણાવતાં મુખ્ય મહેમાનશ્રી...
મને આ  શાળાની ઈર્ષા આવે છે..
સૌનો આભાર.......... 
પ્રજ્ઞા વર્ગની મુલાકાત 
અમારા પ્રેરકબળ સમા સૌ ......










[ મિત્રો,કેવી લાગી ઉજવણી ??? ]

June 09, 2013

પ્રવેશોત્સવની ઝાંખીઓ.....


પ્રવેશોત્સવની ઝાંખીઓ.....
પ્રાથમિક શાળાઓનો સૌથી મોટો ઉત્સવ “પ્રવેશોત્સવ” જયારે થોડા જ સમયમાં આવી રહ્યો છે,ત્યારે નવાનદીસર શાળાના પટાંગણમાં ભૂતકાળમાં ઉજવાયેલ આ ઉત્સવની ઝાંખી કરાવતી લીન્કો...




         શાળા પ્રવેશોત્સવ-૨૦૧૦





શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ 




             શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨

May 04, 2013

રમકડાં.............



રમકડાં – શું તમારી TLMની યાદીમાં સમાવિષ્ઠ છે?

                           “રમવું એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે.” આવું કોઈ બાળકે ક્યારેય કહેવું પડ્યું નથી. આપણા સમાજે પણ બાળકોને આ હક માટે કહેવું પડે તેવું આચરણ રાખ્યું નથી. “બાળક છે એટલે રમવું તો પડે જ ને !” - તેવું માનનારા આપણે જયારે શિક્ષકની ભૂમિકામાં પધારીએ છીએ ત્યારે આપણું ‘માનવું’ અથવા તો ‘વર્તન’ આ બાબતમાં બદલાઈ જાય છે. બાળકે શાળાના પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો એટલે તેને “શિક્ષણનો અધિકાર” મળ્યો, પરંતુ તેને મળેલ આ મોટા અધિકારને કારણે  રમવું  – તોફાન કરવું  – જીદ કરવી – પોતાની મરજી મુજબનું કામ કરવું જેવા નાના-નાના અધિકારો પર આપણે કાતરકામ  કરીએ છીએ. પ્રથમ તેનો ભોગ બને છે બાળકોના એ રમકડાં કે જે તેની નજર સામેથી સીધા દેશીહિસાબ/ચોપડીઓમાં જતાં રહે છે. જેને ચોપડીમાં બતાવી-બતાવીને આપણે ભણાવતાં હોઈએ 
ત્યારે તેને જોઇ-જોઈને બાળક મનમાં રમતાં હોય છે.
 એટલે કે આપણે મોટરકાર બતાવીને “મ” શીખવતાં વર્ગખંડમાં હોઈએ ત્યારે બાળક તો કદાચ તે મોટરકારમાં બેસી વર્ગખંડની બહાર કાલ્પનિક સફરે નીકળી પણ ગયો હશે !!!  ક્યારેક ક્યારેક પ્રશ્ન થાય છે કે બાળકને તેના વર્તન/સ્વભાવને અનુકૂળ વર્ગખંડ બનાવવો??? કે પછી આપણા વર્ગખંડને મેચ થઇ જાય તેવો બાળકનો સ્વભાવ બનાવવા પ્રયત્ન કરવો?? બાળકને સમજવા માટે તેના રમકડાં પણ આપણને ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. વર્ષની શરૂઆતમાં જ કંઈક એવું આયોજન કરીએ કે બાળકોના પોતાના ઘરે રમતાં તૂટેલાં-ફૂટેલાં તમામ રમકડાં લાવે. વ્યક્તિગત બાળકની અને તેને લાવેલ રમકડાંની યાદી કરીએ. જેનાથી બાળકોને એકબીજાના રમકડાં રમવા મળશે. રમકડાંની આપ-લે એકબીજાને નજીક લાવવા અને એકબીજા સાથે સંવાદ કરવા મજબૂર કરશે. સાથે-સાથે બનાવેલ યાદી આપને ભવિષ્યમાં TLM તરીકે કોઈ રમકડાંની જરૂર પડશે ત્યારે સરળતાથી મળી પણ રહેશે... 






આ બધી વાતોનું જો PM કરશો વાતની શરૂઆત ભલે બાળકના લાભની કરીએ પરંતુ છલ્લે ફાયદો તો આપણા ભાગે પણ આવે તો છે જ ને... ??  

અભ્યર્થના સહ શુભેચ્છાઓ



 અભ્યર્થના સહ શુભેચ્છાઓ....

                           શાળા પરિવારનું એક અંગ કે, જેની હાજરી આઠ-આઠ વર્ષ સુધી પોતાના કલરવથી શાળાકીય પર્યાવરણને ગુંજતું રાખતું હતું,પોતાની કુતુહલતાથી ઉભા થતા પ્રશ્નો વડે વર્ગખંડોને હર્યાભર્યા બનાવી દેતું હતું, હું આઉટ હોતી સાહેબ,તમે તો પક્ષપાત કરો છો અથવા તો “તમે તો અંચાયડા છો,મારે નથી રમવું” જેવા પ્રેમાળ આરોપો વડે મેદાનને કોર્ટ બનાવી દેતું હતું. આજે તે અંગ શાળામાંથી વિદાય લઇ રહ્યું  છે,ત્યારે અગામી દિવસોમાં તેમની ગેરહાજરી શાળાને ચોક્કસ વ્યથિત કરશે. Every child  has something special ! દરેક બાળકમાં સ્વભાવગત કંઈકને કંઈક ખાસ હોય છે. જેમ કે અમારા બિલદાર પ્રકાશના વર્તનમાં કામ સમયની ગંભીરતા હોય કે પરમાર સેજલનું વાચાળ વર્તન  અથવા તો મહેરા પીન્ટુની પ્રશ્નો રૂપી કુતુહલતા... આ બધી વસ્તુઓ જ આપણને બાળકની સાથે લાગણીઓથી બાંધી દે છે. એવું નથી કે બાળકો ફક્ત શાળામાંથી શીખીને જ જાય છે, દરેક બાળક શાળાને પણ કંઈકને કંઈક શીખવતો જાય છે ! તેના કારણે જ તો આપણે સૌ વગર ડીગ્રીના “બાળ-મનોચિકિત્સકો” બની શકીએ છીએ. જેનો ફાયદો આપણને અગામી વર્ષોમાં બાળકના વર્તનને સમજવામાં મળી રહે છે. માટે અમે એમ પણ કહી શકીએ કે આ ફક્ત બાળકો જ નહિ પરંતુ પોતાના વર્તનથી શીખવનાર શિક્ષકો પણ વિદાય લઇ રહ્યા છે. એક દીકરીના કન્યાદાન કર્યા પછીના પિતાનું દુઃખ જો તમે જાણ્યું/જોયું હોય તો આ તો એક સાથે ૨૮ દીકરા-દીકરીઓની વિદાય એક પરિવારે સહેવાની પળ છે; ત્યારે શાળા પરિવાર માટે આ પળ ખૂબ પીડાદાયક બની રહી છે. પરંતુ અમારા માટે મન મનાવવાની બીજી બાજુ એ પણ છે કે આ દીકરા-દીકરીઓ શૈક્ષણિક પ્રગતિ-રૂપે પોતાની ઉજ્વળ કારકિર્દીમાં આગળ ધપવા માટે અમને છોડી રહ્યા છે, ત્યારે શાળા પરિવાર આ તમામ બાળકોને અગામી કારકિર્દીમાં પ્રગતિ માટેની શુભેચ્છાઓ પાઠવે છે, તેમજ જ્યાં જ્યાં અમારી જરૂર પડેશે ત્યાં પૂરેપૂરી મદદે રહેવાની ખાત્રી પણ આપે છે. બાળકોના વાલીઓને અમે અભ્યર્થનાપત્ર ધ્વારા વિનંતિ કરીએ છીએ કે બાળકને અગામી વર્ષોમાં તેની શૈક્ષણિક કારકિર્દી માટે અનુકૂળ વાતાવરણ પૂરૂં પાડશો, જેથી શાળા અને સમાજની આઠ વર્ષની મહેનત વડે ખીલેલા આ છોડ કરમાઈ ન જાય....                 
ગતવર્ષનું આયોજન જોવા માટે ક્લિક કરો >>>>> અભ્યર્થના

May 02, 2013

વિદ્યાર્થીઓની કાંધે “વિદ્યા”ની અર્થી....



વિદ્યાર્થીઓની કાંધે “વિદ્યા”ની અર્થી....


વિદ્યાર્થી પક્ષે પરીક્ષા પૂરી થાય અને શિક્ષકોની પરીક્ષા શરૂ થઇ જાય છે.
  Ø કોઈકે તૈયાર કરેલા પ્રશ્નોપત્રોમાં મારા વિદ્યાર્થીઓ શું સમજ્યા છે તે ચકાસવું? 
કે પછી..
 Ø મેં આપેલા અધ્યયન અનુભવો બરાબર હતા કે સુધારાની જરૂર છે તે ચકાસવું ?
                         એવી અવઢવ વચ્ચે જ પરિણામપત્રક બની જાય છે – અને વિદ્યાર્થીને લેબલ લાગી જાય છે. ખરેખર તો આપણે નિદાન કરવાની ક્રિયાને ઉપચાર સમજી બેઠા છીએ.એક પરિસ્થિતિને આધારે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ.                તમે ડોકટર પાસે જાઓ છો. તે તમારી સાથે વાતચીત કરે છે. સ્ટેથોસ્કોપ અને થર્મોમીટર વગેરે વડે તમારા શરીરને ચકાસે છે. બ્લડ ટેસ્ટ કરાવે છે....પછી તમને કહે છે, “જુઓ તમને ડેન્ગ્યું થયો છે, જે ગંભીર છે.” અને પછી કોઈ દવા સૂચવ્યા વગર કહે છે, “ચાલો, ત્યારે આવજો !!” શું આવું બને છે ? કોઈ ડોકટર તમને તમારી બીમારી માત્રનું નામ કહી તમને આવજો કહી દે તો તમે શું કરો ?
                             આપણે આપણી પરીક્ષાઓ વડે કૈક આવું જ કરી રહ્યા છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે પ્રાથમિક શાળામાં લીધેલી કસોટી એ વિદ્યાર્થીની સિદ્ધિ ચકાસવાની કસોટી નથી. આપણે કયો વિદ્યાર્થી સારો -કયો નબળો - એ ચકાસવાનું કામ નથી કરવાનું ! આપણા માટે તો વિદ્યાર્થીએ આપેલ આ  ટેસ્ટ એ નિદાનના તારણ સુધી પહોચાવાનું સાધન છે. હવે, જયારે સમજાય કે ક્યા વિદ્યાર્થીને કયા પ્રકારની મુશ્કેલી છે – પછી તેમને તે મુશ્કેલીનું લેબલ ચિપકાવી બીજા પાસે મોકલી દેવા એ એક બાબત છે અને તેની વિગતોને નોધી અને અન્ય શિક્ષકને રીફર (!) કરવા એ બીજી !
                 ઉત્તમ રસ્તો તો એ છે કે જેમ ડોકટર આપણી શારીરિક મુશ્કેલીને અનુરૂપ ઈલાજ કરે છે તેમ આપણે પણ વર્ગની – વિદ્યાર્થીઓની સમસ્યાઓને અનુરૂપ ઈલાજ શોધીએ !નહીતર વિદ્યાર્થીઓને કાંધે જ વિદ્યાની અર્થી ઉઠી જશે !
મુલ્યાંકન પ્રક્રિયા અંગેના તમારા અનુભવો અમારી સાથે વહેચશો તો ગમશે.


May 01, 2013

કેમ્પસ....!!!



કેમ્પસ....!!!

શાળા એટલે શું તેના વિશે આપણે ઘણુંબધું જાણીએ/સમજીએ/વિચારીએ છીએ, પણ શાળાનું પ્રતિબિંબ જેમાં સમાયેલું છે એટલે કે શાળા કેવી હશે તેનો અંદાજ જે-જે વસ્તુઓ પરથી ઉપરથી લગાડવામાં આવે છે તેની યાદીમાં સૌથી ટોચ ઉપર છે શાળા કેમ્પસ ! ચોખ્ખું ઘરનું આંગણું ચોખ્ખો ઘરનો ચોક....” ગવડાવી આપણે બાળકોને  જેમ ઘરની આંતરિક વ્યવસ્થાનો અંદાજ તેના આંગણા/ચોક પરથી લગાડવાનું સમજાવીએ છીએ, તેમ શાળાનો અંદાજ પણ શાળા કેમ્પસ પરથી જ બંધાઈ જાય છે. [આપના વિચારોની દિશા જો  નિરિક્ષકો તરફ જતી હોય તો તેને સીધી કરું કે આ વાત આપણા અગામી વર્ષમાં આવનાર નવા બાળ-મહેમાનોની છે !] કેમ્પસ આકર્ષક હોવું તે બાળકોને આકર્ષિત કરતી સ્કીમોની યાદી તરફી નજર રાખી વિચાર કરીએ તો તે પ્રાથમિકતા હોઈ શકે છે પણ અગ્રીમતા નહિ. [હા, કેટલીક જગ્યાએ "આકર્ષિત કેપમ્સ” એ વાલીઓ માટે પ્રાથમિકતા & અગ્રીમતા બંને હોય છે,પણ તેમનાં જ બાળકોને પૂછો તો કદાચ છેક-છેક સુધી તેનો તે બાળકો ઉલ્લેખ કરશે પણ નહિ] ચાલો કદાચ આપણો વિષય બદલાઈ જશે, અહિં વાત બાળકોની કરી રહ્યા છીએ બાળકોને કેવા કેમ્પસ આકર્ષિત કરી શકે છે ? તમે જો બારીકાઈ પૂર્વક તમારા બાળકોનું નિરિક્ષણ કરશો તો બાળકો ઘરનાં આંગણાની એવી જગ્યા વધુ પસંદ કરશે કે તમારે વારંવાર સુચનાઓ આપવી પડતી હશે કે, “આટલી બધી ખુલ્લી જગ્યા છોડી ત્યાં ક્યાં ખૂણામાં/કચરામાં/માટીમાં જઈને રમે છે.?"
 હવે આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે કે આટલી બધી ખુલ્લી સરસ જગ્યા [આપણા મતે] છોડી બાળક ત્યાં રમવા કેમ જાય છે?? શું તે તેની મરજી છે કે મજબૂરી??? સ્વર્ગ વિશેની આપણી મોટી-મોટી ચર્ચાઓના અંતને જો એક વાક્યમાં સમાવવું હોય તો કોઈનું અને કોઈપણ  જાતનું "ડીસ્ટર્બન્સ વિનાનું સ્થળ" એટલે સ્વર્ગ ! આપણી જેમ બાળકો માટે પણ આ સ્વર્ગ એ અગ્રીમતા હોય છે, પણ કદાચ તે માટે સ્વછતાનો ભોગ આપવો પડે તો તેઓ આપી દેતાં હોય છે. જો આપણો વધુ આગ્રહ સ્વછતા હોય તો બાળકો માટે સ્વચ્છ જગ્યા પર "નડવું નહિ" રૂપી અઘોષિત હક તેમને ભોગવવા દઈ "સ્વચ્છ સ્વર્ગ " ઉભું કરવું જ રહ્યું. બીજું કારણ - આપણે આપણા ઘરના કચરાનું વર્ગીકરણ કરી તો તેમાં ફક્ત ધૂળ-માટી જ નથી હોતી ઘરની એવી તમામ નાની-નાની તૂટેલી વસ્તુઓ હોય છે જે આપણા માટે નકામી-ફેકી દેવા જેવી વસ્તુ માત્ર હોય છે.  જેમકે- આપણા માટે ખોવાઈ ગયેલી બોટલનું ઢાંકણ બાળક માટે પોતે બનાવેલ વિમાન કે મોટરકારનું વ્હીલ હોય છે, આપણા માટે ખાલી થઇ ગયેલ માચીસ તેના માટે માટીના બનાવેલ ઘરની તિજોરી પણ હોઈ શકે છે. ટૂંકમાં જેટલેથી કોઈ વસ્તુનું મહત્વ આપણી નજરમાંથી ખતમ થઇ જાય છે ત્યાંથી બાળ-નજરમાં તેના ઉપયોગની શરૂઆત થાય છે. આવો, શાળા કેમ્પસને ફક્ત સ્વચ્છ જ નહિ...બાળકો માટે સ્વર્ગ સમાન બને તેવા ‘અ-નિયમોથી’ સંચાલિત હોવું જોઈએ ! તેથી બાળકોએ શાળામાં સુરક્ષિત કરેલા ખૂણાઓને આપણા નિયમોથી પ્રદુષિત કરવાનું ટાળીએ !


April 12, 2013

સ્વ-મુલ્યાંકન...



ગુણોત્સવ- 2013  

ગુણોત્સવ -૧૩ દરમ્યાન શાળા સ્વમુલ્યાંકન સમયે શાળામાં  ઉપસ્થિત સાહેબશ્રી એમ.એચ.ખુમાર  [ઉપ સચિવશ્રી ,શિક્ષણ વિભાગ,ગાંધીનગર ]

  પેપર કવર પર સહી કરતાં શાળા વ્યવસ્થાપન સમિતિ  નવાનદીસરના અધ્યક્ષશ્રી - લક્ષ્મણભાઈ પરમાર  
  ગુણોત્સવ - એક દિવસ માટે વર્ગખંડો સોંપ્યા SMC સભ્યશ્રીઓને ....
SMC સભ્યશ્રી પણ આખરે છે તો એક વાલીને ... "પોતાની દિકરી કેવું લખે છે" તે જાણવાની  ઉત્સુકતાને ન જ  રોકી શક્યા...!!!

  શ્રુતલેખન ..... 
 ગુણોત્સવ પરીક્ષા દરમ્યાન ઉકેલ માટેની મથામણોનું એક દ્રશ્ય 
 કચૂકાઓ વડે ઉકેલ મેળવતો ધોરણ-૨નો પ્રજ્ઞા બાળક...
અમારી શાળા અને શાળામાં ઉજવાયેલા આજના ગુણોત્સવ વિશે ઉપસચિવશ્રીના જ શબ્દોમાં ...