November 01, 2010

૫૦૦ નહિ ૫ લાખનું Teaching learning Material!


ચુંટણી પ્રક્રિયાએ લોકશાહીના દસ્તાવેજ સમાન છે અને  દરેક બાળક ચુંટણી પ્રક્રિયાથી વાકેફ બને તે માટેના પ્રયત્નો ચોકકસ સારી બાબત છે,[હા મત કોને અને શા માટે તે તો ૧૮વર્ષની ઉમર  પછીની વાત છે] પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનના એકમોમાં જ્યારે બાળકોને ગ્રામ-પંચાયત, નગરપાલિકા-મહાનગરપાલિકા, તાલુકા-જીલ્લ્લા પંચાયત વગેરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને કામગીરી  અંગેના એકમો, વિધાનસભા, સંસદ વગેરેની રચના-કાર્યો વગેરેની બાળકોને સમજ આપવાની હોય ત્યારે જાણે બાળકોને હવાના દર્શન કરાવવા જેટલું અઘરું લાગે છે,

[અને આપણે પણ ગ્રામપંચાયતનો જ આશરો લઈને વિધાનસભા કે સંસદની સમજ આપીએ છીએ,પરિણામ એ આવે છે કે જ્યારે મુલાકાતી અધિકારી મુખ્યમંત્રીનું કે વડાપ્રધાન વિષેનું  પૂછતાં બાળક સરપંચની જ વાત કરે છે]    

                              આવા એકમો હોય છે જ વર્તુળાકાર !  ક્યાંથી શરૂઆત કરવી તેની આપણને જ જો મુંઝવણ થતી હોય તો બાળકની સમજમાં તે ચિત્ર લાવવું મુશ્કેલ અથવા તો અઘરૂ છે જ,માટે જ મોટેભાગે આપણે તેવા એકમોની  શરૂઆત ચુંટણી પ્રક્રિયાની સમજ આપીને જ કરતા હોઈએ છીએ,પરંતુ જ્યારે ચુંટણીપંચ જ આપણા આંગણે ચુંટણી કામગીરી અંગેની તમામ સામગ્રી સાથે પધારેલ હોઈ તો હું માનું છું ત્યાં સુધી આવી સુવર્ણ તકનો લાભ લઈ કોઈ સાધનને નુકશાન ન થાય અથવા તો કામગીરી માટે આવેલ ઓફીસરશ્રીઓને કામ કરવામાં અડચણ રૂપ ન બનીએ તે રીતે આપણા બાળકોને બુથની મુલાકાત લેવડાવી મોક-મતદાન પ્રક્રિયાનો અનુભવ કરાવવો જોઈએ જ !

સ્થાનિક-સ્વરાજ્યની સંસ્થાઓની રચના માટેની ચુંટણી માટેનું બુથ પોતાની કે નજીકની શાળામાં હોય,અને જે ધોરણનાં બાળકોને તે સંસ્થાઓ વિશે અભ્યાસક્રમમાં શીખવાનું હોય તેવા ધોરણ-૪ના માટે તો આ સ્થાનિક-સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ તો જીવતું-જાગતું અને સોને મઢેલું  ટી.એલ.એમ. ગણીએ  તો પણ સાચું જ  છે! અમે પણ આ ચુંટણી પ્રક્રિયાનીનો લાભ આ રીતે જ લીધો અને બાળકોને ચુંટણીની આગલી સાંજે ચુંટણી પ્રક્રિયાની જાણકારી અને મોક વોટિંગ તેમજ મોક ગણતરીનો અહેસાસ કરાવ્યો. તેમને સમજાવ્યું કે આ રીતે ચુંટાય છે આપણા પ્રતિનિધિ. સમગ્ર પ્રક્રિયામાં બાળકોમાંનો ઉત્સાહ વર્ણવીને નહિ પણ કેમેરાની આંખે જોઈને જ સમજી શકશો.
બાળકોને પ્રાથમિક સમજ આપતા ચુંટણી પ્રમુખ અધિકારીશ્રી.

મતદાર  યાદી શું છે? તેમાં તેમના માતા-પિતાના નામ બતાવવામાં આવ્યા...
ચુંટણી અધિકારી તથા શિક્ષકશ્રી ગીરીશભાઈ!

ઈ.વી.એમ ની સમજ
 મોક વોટિંગ માટે તૈયાર!
તેનો  પહેલો મત- શું તે ભૂલાઈ જશે?


મતદાન પછી રીઝલ્ટ કેવી રીતે જોવા મળે?- તેની સમજ
આ  પછી શાળામાં
  • કોણે શું જોયું? 
  • આ  રીતે ચુંટણી પ્રક્રિયા વિષે તેઓ શું સમજ્યા હતા?
  • હવે તેમને શું જાણ્યું?
  • ધારોકે આપણી શાળામાં બે બૂથ હોત તો આપણે આ મોક પોલ કરવામાં શું નવું કરત?
  • હવે તમારે ચુંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિષે વધુ શું જાણવું છે?
જેવા પ્રશ્નો આપી...તેમને સમજ બનાવવાનો મોકો આપ્યો.
શું કહો છો? કેવું લાગ્યું અમારું આ શૈક્ષણિક ઉપકરણ?
તો આવતી ચુંટણીમાં તમે પણ આનો ઉપયોગ કરી જો જો  અને જોઈ શકશો સાચા શિક્ષણની એક ઝલક!


Project conducted by:  શ્રી ગીરીશભાઈ વાળંદ, વ.શિ. ધો-૪

October 21, 2010

પ્રાથમિક આરોગ્યધામની મુલાકાત

પરિણામલક્ષી પ્રોજેક્ટ કરવા માટેનું આયોજન કેવી રીતે કરીશું ?

આમ તો દરેક ધોરણમાં અને મોટાભાગના વિષયના અભ્યાસક્રમના ઘણા એકમોમાં એવા છે જેને આપણે પ્રોજેક્ટ પધ્ધતિ ધ્વારા જ બાળકોને ખૂબ સારી રીતે સમજ આપી શકીએ . પરંતુ આપણે પ્રોજેક્ટ પદ્ધતિને એટલા માટે પ્રાધાન્ય આપતા નથી કેમકે તેના માટે વર્ગખંડની બહાર અથવા તો શાળા બહાર જવાની જરૂર પડે છે. જો આપણે ધોરણ -૩-૪ ની વાત કરીએ તો આપણે આપણા બાળકોને “ કરો રમકડાં કૂચકદમ” અથવા તો “મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ ! “ શીખવવા માટે જેટલી મથામણ કરીએ છીએ તેટલી આપણે “ આપણા વ્યવસાયકારો” અથવા તો “આપણા સમાજસેવકો” એકમ શીખવવા માટે નથી કરતા, પરિણામે બને છે એવું કે બાળકોને જે જાણવાનું હોય છે તે માણે છે અને જે માણવાનું હોય છે તે જાણે છે. એટલે કે “ કરો રમકડાં કૂચકદમ” અથવા તો “મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ !” માણવાની જગ્યાએ પરીક્ષામાં કોઈ પણ કવિતાની પાંચ પંક્તિ વાળા પ્રશ્નને ધ્યાનમાં રાખી બાળક તેને મોઢે બોલતો ન થાય એટલે કે જાણતો ન થાય ત્યાં સુધી ધમા-ધમ.........જ્યારે “ આપણા વ્યવસાયકારો” અથવા તો “આપણા સમાજસેવકો” જેવા એકમો કે જેની સાથે બાળકને આખી જિંદગી કામકાજ કરવાનું છે તે એકમ બાળક ફક્ત માણે જ છે. [વર્ગખંડની અંદર જ વ્યવસાયકારો કે સમાજસેવકોના T.L.M. બતાવવા કે ગ્રામપંચાયત અથવા તો પ્રાથમિક આરોગ્યધામના મકાનોને બહારથી જ બતાવવા.......આ બધાને માણ્યું જ કહેવાય! ] આપણા ઘણા મિત્રો એવા છે કે તેઓ આવા એકમોને પૂરેપૂરો ન્યાય મળી રહે તે માટે પ્રયત્ન કરવાના ઈચ્છુંક હોય છે પણ માર્ગદર્શનના અભાવે તેઓ પરિણામલક્ષી પ્રોજેક્ટ કરી શકતા નથી તેવા આપણા મિત્રોના માર્ગદર્શન તેમજ અમારી રહી ગયેલી કોઈ ઉણપ પ્રત્યેના આપના સૂચનો મળે તે હેતુસર અમે કરેલ “ પ્રાથમિક આરોગ્યધામની મુલાકાત” પ્રોજેક્ટની રૂપરેખા અત્રે રજૂ કરીએ છીએ.
· પ્રોજેક્ટનો હેતુ નક્કી કરવો.
· આરોગ્યધામની મુલાકાત માટેના હેતુઓ
· બાળકો આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવે.
· બાળકોનો ડોક્ટર તથા દવાખાના પ્રત્યેનો ડર દૂર થાય.
· આરોગ્યધામ ધ્વારા અપાતી આરોગ્ય માટેની સેવાઓથી માહિતગાર બને.
· બાળકો આરોગ્યધામમાં ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરીનો સ્વાનુભવ મેળવે.
· બાળકો વાલી કે શિક્ષક વિના પોતાના સ્વાસ્થ્ય અંગેની તકલીફ માટે પોતે આરોગ્યધામની મુલાકાત લેતા થાય.
· પ્રોજેક્ટ માટેની તૈયારી
· મુલાકાત માટેના દિવસ અને સમય માટે ત્રણ-ચાર દિવસ પહેલા પરવાનગી મેળવી લો. [બને ત્યાં સુધી આરોગ્યધામના કામકાજ સિવાયના કલાકોમાં મુલાકાત માટેનો સમય પસંદ કરો, જેથી દર્દીઓની સારવારમાં આપણે અને આપણા પ્રોજેક્ટમાં દર્દીઓ અડચણરૂપ ન બને.]
· મુલાકાતના બે દિવસ પહેલાથી જ વર્ગના વાતાવરણને તે વિશેની મુંજવણો અને ચર્ચાઓ વડે જીવંત બનાવો.
· બાળકોને પોતાની ઘરેથી કે આસપાસથી પ્રાથમિક આરોગ્યધામ વિશેની માહિતી મેળવવા અને ત્યારબાદ તેની નોંધ કરવા ક્હો. આમ બાળકો પાસે મુલાકાત પૂર્વે [બાળક પાસે ખરી-ખોટી જે માહિતી હોય તેને સુધાર્યા વિના] પ્રાથમિક આરોગ્યધામ નામે નિબંધ તૈયાર કરાવો.
· સંખ્યા પ્રમાણે બાળકોના ગ્રુપ પાડવા અને દરેક ગ્રુપમાં એક-એક [નાની-મોટી] બિમારી ધરાવતા બાળકોને ફરજિયાત સમાવવા.
· બિમારીને કારણે વધુ ગેરહાજર રહેનાર બાળકોની યાદી બનાવી તેમને પ્રોજેક્ટ દરમ્યાન પાડેલ ગ્રુપના લીડર બનાવવા.
· મુલાકાતના સમયે......
· આરોગ્યધામમાં ગયા પછી બાળકોને ગૃપમાં બેસાડી મેડિકલ ઓફિસર ધ્વારા દવાખના અને ડોક્ટરનો ડર બાળકોમાંથી દૂર થાય તે માટે વાર્તાલાપનું આયોજન કરવું, સાથે-સાથે કર્મચારીઓની ઓળખ અને તેમની કામગીરીની વિગત બાળકો નોંધી શકે તેવી રીતે અથવા તો તેવા શબ્દોમાં આપવી/અપાવવી.
· ત્યારબાદ દરેક ગૃપમાંના બિમાર બાળકને સારવાર કેશ કઢાવવા કહેવું અને ગ્રુપના અન્ય તમામ બાળકોને કેશ કઢાવવાથી માંડી દવા લેવા સુધીની તમામ કામગીરીનું નિદર્શન અથવા જો કોઈ એક બાળક ધ્વારા શક્ય હોય તો નોંધ કરવા કહેવું.

જઈએ આરોગ્ય્ધામમાં અને જોઈએ કેમેરાની નજરે....
 
Project conducted by: મહેન્દ્રભાઈ પટેલ, વ.શિ. ધોરણ-૩
બાળકોનો ડર દૂર કરતા અને પ્રા.આ.ની કામગીરી વિશે વાર્તાલાપ કરતા મેડીકલ ઓફિસર શ્રી

ગ્રુપમાંના બિમાર બાળકનો સારવાર અર્થે કેશ કાઢતા કર્મચારી મિત્ર અને પ્રત્યક્ષદર્શી બાળકો

બિમાર બાળકની તપાસ અને સહાદ્યાયિઓનું નિરીક્ષણ

જરૂરી લોહી તપાસ એટલે કે લેબોરેટરીની મુલાકાત

લોહી તપાસના આધારે દવા સારવાર આપતા બેન શ્રી
મેડીકલ ઓફિસર શ્રી ધ્વારા સુચવેલ દવાઓ ફાર્માસીસ્ટ પાસેથી મેળવતા બાળકો
વોર્ડ અને ઓપરેશન થિયેટરની વિગતે માહિતી આપતા મેહુલભાઈ

September 19, 2010

પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?

હાલમાં ગુજરાતના ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમનું પુન:ગઠન થઇ રહ્યું છે.

તેમાં એક  વધુ વિચારવા જેવો મુદ્દો છે...

પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?

SSA ના શિક્ષણ સલાહકાર શુબીર શુક્લાએ ચર્ચાનો દોર સંભાળ્યો..જી.સી.ઈ.આર.ટી.ના નિયામક શ્રી ભાડ સાહેબ, અભ્યાસક્રમ કમીટીના સચિવ શ્રી ટી.એસ.જોશી સાહેબ, શ્રી હરેશભાઈ ચૌધરી અને જી.સી.ઈ.આર.ટી.ના રીસર્ચ એસોસીએટ્સ બધાએ સાથે મળી વિચાર કર્યો ..નિર્ણય લેવાનો તો હજુ બાકી જ છે...એટલે ઘરે આવી કેટલાક સંદર્ભો જોઈ ગયો તેમ મારી જે સમજ તો બની સાથે એક ઉપયોગી બાબત મળી તે વિનોબાજી ભાષાઓના શિક્ષણ વિષે શું માને છે? 

(અમદાવાદમાં ગાંધીઆશ્રમમાં આવેલી વિનોબાજીની કુટીર)


પૂજ્ય વિનોબાજી....

આપ પણ ભાષા અંગેની આ ચર્ચામાં જોડવા માગતા હો તો સાઈડમાં વિગતે અહી વાંચો ટેબ જુઓ..ક્લિક કરો અને આપના વિચારો જણાવો- આપણી આ નાનકડી ગોષ્ઠી ગુજરાતના ભાષા શિક્ષણને નવી દિશા આપી શકે!

September 06, 2010

Freedom- Gujarat to Global via Vanche Gujarat!

ખરેખર 15મી ઑગષ્ટ એ આપણા માટે ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવા માટેનો રાષ્ટ્રીય તહેવાર છે, આ દિવસ આપણા માટે  એ લોકોને યાદ કરવા માટેનો છે જેમણે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે પોતાનું તન-મન-ધન ન્યોછાવર કરી દીધું હતું. તે સમયે આ લોકોને આજે  જેમ કોઇને ઇચ્છિત હોદ્દો મેળવ્યા પછી  જેટલો ગર્વ હોય છે  તેટલો ગર્વ તે સમયના લોકોમાં “ સ્વાતંત્ર્ય-સેનાની બનવાનો હતો,દેશ માટે ફૂલ નહી તો ફૂલની પાંખળી જેટલું પણ કરનાર પોતાને ભાગ્યશાળી માનતા હતા, ટુંકમાં કહું તો કીડીનું  કણ અને હાથીનું  મણ દેશ માટે ન્યોછાવર થતું.

                                              (ધ્વજવંદન)

 આ સ્વાતંત્ર્ય-દિને આમારા શાળા પરિવારે “ સ્વાતંત્ર્ય-સેનાની “ બનવાનું નક્કી કર્યુ,  તે માટે અમે દુનિયાને ગુલામ બનાવનાર “ગ્લૉબલ વૉર્મિંગ“અને સામાજિક વિકાસને ગુલામ બનાવનાર સમાજમાંની બદીઓ જેવી કે અસમજતા, અજ્ઞાનતા, અજાગૃતતા વગેરેને દૂર કરવા માટેના કાર્યક્રમ  “વાંચે ગુજરાત” માટે ભલે કીડીના કણ જેટલો તો કીડીના કણ જેટલો  પણ પરિણામલક્ષી  પ્રયત્ન શરૂ કર્યો છે.


અમારી શાળાએ “ સ્વાતંત્ર્ય દિન” નિમિત્તે શાળામાં પધારેલ ગ્રામજનો સમક્ષ  ધોરણ-4ના ગુજરાતીમાં આવતા એકમ  “વાડીમાં થયો ઝગડો”-   (જેની સ્ક્રીપ્ટ તમે   શાળાની સાઈટ પરથી મેળવી શકશો) નું નાટ્ય રૂપાંતર કરી બાળકો ધ્વારા રજૂ કર્યુ, ત્યારબાદ શાળા પરિવાર ધ્વારા  ગ્રામજનોને સમજાવ્યું કે ઉનાળામાં ખૂબ જ ઠંડક આપનાર લીમડો અને આંબો “ગ્લૉબલ વૉર્મિંગ” ના કારણે પોતાનો મિજાજ ગુમાવી દેશે તો? આ ગ્લૉબલ વૉર્મિંગ માટેનો એક જ ઉપાય છે... “વૃક્ષારોપણ”.  અમે 64મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે શાળામાં પધારેલ તમામ ગ્રામજનોને એક-એક રોપો આપ્યો સાથે-સાથે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દરેક રોપાને   “સ્વાતંત્ર્ય -સેનાની “ નું નામ આપ્યું , તેમજ તે રોપો અને ભવિષ્યમાં તેમાંથી થનાર વૃક્ષ તે જ નામે ઓળખાય તે માટેનો આગ્રહ રાખ્યો. આ નાનો એવો પ્રયત્ન હતો અમારો દુનિયાને   “ગ્લૉબલ વૉર્મિંગ” રૂપી ગુલામીમાંથી બચાવવાનો.  બીજો મુદ્દો હતો સમાજિક  વિકાસને ગુલામ બનાવનાર સમાજમાંની બદીઓ અસમજતા, અજ્ઞાનતા, અજાગૃતતા  વગેરેને દૂર કરવા માટેના કાર્યક્રમ “વાંચે ગુજરાત” નો. તે માટે અમે ગ્રામજનોને જે રોપાઓ  આપી તેનું નામકરણ કર્યુ તે “સ્વાતંત્ત્ર્ય-સેનાની “ વિષેનું પુસ્તક પણ તે ગ્રામજનને આપ્યું જેથી ફક્ત તે “સ્વાતંત્ર્ય-સેનાની “ ના નામનું વૃક્ષ જ નહી પણ તે “સ્વાતંત્ર્ય-સેનાની “ વિષેની જાણ પણ હોય !  સાથે-સાથે તેની વાંચન પ્રવૃત્તિઓનો પણ વિકાસ થાય તે તો ખરૂ જ !


              (અમે સોપડી લઇ જઈએ મુને તો નથી આવડતું પણ રતીયો વાંચી હંભળાવશે!-)


                                     (આવતીકાલનું નવા નદીસર)

તમે પણ આજના  આધુનિક અંગ્રેજ એવા “ગ્લૉબલ વૉર્મિંગ” ની ગુલામીમાંથી આ પૃથ્વીને છોડાવવા માટે આધુનિક  “સ્વાતંત્ર્ય-સેનાની” બની પ્રયત્ન કરશોને ?  અમને પણ  એમ જ થતું હતું કે મારા એક વૃક્ષ રોપવાથી શું ફરક પડવાનો છે? પણ જેમ એક-એક ટીપા વડે જેમ સરોવર ભરાય છે,એક-એક કાંકરા વડે પાળ બંધાય છે તેમ એક-એક વૃક્ષ વડે જ  જંગલ બને છે, એક નાના એવા સૈનિક [મંગલપાંડે] વડે થયેલ  સ્વાતંત્ર્ય-સંગ્રામની શરૂઆત  કદાપી સૂરજ ન આથમતો હોય તેવા બ્રીટીશ સામ્રાજ્યનો ભારત દેશમાંથી અસ્ત કરી નાખે છે, તો આશા રાખીએ કે  આપણો નાનો પ્રયત્ન પણ એક દિવસ ચોક્કસ રંગ લાવશે.
        

  •  જો વૃક્ષને ઉગવાની આશા છે તો આપણે પણ કેમ થોડો પ્રયત્ન ન કરીએ?                 



August 31, 2010

પ્રજ્ઞા - સા વિદ્યા યા વિમુક્તયે!

ભારતની શિક્ષણ પદ્ધતિને જો આદર્શ પરિસ્થિતિમાં જોઈએ તો
આપણે ભૂતકાળમાં બોલતા હતા સા વિદ્યા યા વિમુક્તયે "
અને આજે બોલીએ છીએ સૌ ભણે સૌ આગળ વધે!"
બંને બાબતોમાં આજની આપણી શિક્ષણ પદ્ધતિ વાસ્તવિકતાની ધરાતલ પર ખોટી પડે છે!
1.       શું આપણી શાળામાં આવતા બધા બાળકો બધું શીખે છે?
2.       શું આપણે બધાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ?
3.       શું આપણે દરેક બાળકને પોતાની ગતિથી શીખવાનો સમય આપીએ છીએ?
4.       શું આપણે શિક્ષણ વર્ગખંડની બહાર પણ હોઈ શકે તે સ્વીકારીએ છીએ?
5.       શું આપણે Every child is special  એમ માનીએ છીએ?
6.       શું આપણે બાળકને તેની પાંચેય ઇન્દ્રિયોથી શીખવાનો મોકો આપ્યો છે?
7.       શું આપણે બાળકની વયને ધ્યાનમાં રાખી શૈક્ષણીક સાધનો બનાવ્યા છે?
8.       શું આપણે દરેક બાળકને તેને જોઈએ તેટલો આપણો સમય આપી શક્યા છીએ?
9.       શું આપણે બાળકને પોતાના મિત્ર પાસેથી શીખવાનો મોકો આપ્યો છે?
10.   શું આપણે બાળકને તેની જાતે શીખવાની તક આપી છે?
11.   શું આપણે બાળકનું સતત મૂલ્યાંકન કર્યું છે?
12.   શું આપણા બાળકો પરિક્ષાની ચિંતાથી મુક્ત છે?
·         જો જવાબ ના હોય તો સા વિદ્યા યા  વિમુક્તયે ક્યાંથી?
·         જો જવાબ ના હોય તો સૌ ક્યાંથી ભણશે?
અમને ખુશી છે કે આ બધા પ્રશ્નોને ઉકેલ આપતી નવી શિક્ષણ પદ્ધતિ આ વર્ષથી અમારી શાળામાં પહેલા અને બીજા ધોરણમાં શરુ થઇ છે
પ્રજ્ઞા – પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન
શિક્ષણક્ષેત્રે આપણી સૌની ચિંતાઓ અને વિદ્યાર્થીઓમાં અભ્યાસસ્તરનું વૈવિધ્ય બંને વધતું જાય છે.
આ વૈવિધ્ય કુદરતી અને ઇચ્છનીય છે, છતાં પણ તેને કારણે આપણી વર્ગની શૈક્ષણિક ગુણવત્તા પર પ્રશ્નાર્થ લાગતા જ જાય છે,તેમાંય આપણા વિદ્યાર્થીઓની કૌટુંબિક પરિસ્થિતિને કારણે રહેતી તેમની અનિયમિતતા,તેની અનિશ્ચિત ગેરહાજરી..ધીમે ધીમે બાળકને શિક્ષણ (જેને આપણે શિક્ષણ માનીએ છીએ-બાળકો નહિ) પ્રત્યે અરુચિ  થતી જાય છે.  આવા અનેક પ્રશ્નો અને પડકારો આપણી સામે છે તેની સામે શાહમૃગવૃતિ રાખી શકાય જ નહિ.  શિક્ષણ Dynamic  છે તો તેને બાળક સુધી પહોંચાડવાના અભિગમ પણ Dynamic જ હોવા જોઈએ.
     શિક્ષણના કેટલાક Basic છે...જેને આપને પી.ટી.સી. વખતે તેને થીયરી કહેતા હતા તે..જેને લાગતા કેટલાક પ્રશ્નો આપણે ઉપર જોઈ ગયા..તે બધાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્ય થઇ શકે તે માટેના પ્રજ્ઞા અભિગમની વાત પણ થઇ ..તેની શરૂઆતથી જ અમને કેટલીક વાતો સ્પષ્ટ થઇ રહી છે તે-
1.       અહી અભ્યાસક્રમ શિક્ષક્ના હાથમાં રહેવાને બદલે દીવાલ પર રંગીન Ladder ના રૂપે  છે. તેથી અભ્યાસક્રમ શિક્ષકે નહિ પણ વિદ્યાર્થીએ પુરો કરવાનો છે.
2.       દરેકને પોતાની ગતિ અને પોતાના સમયે શીખવાની છૂટ છે.
3.       શિક્ષક હવે સાહેબ કે બેન નથી, તે પણ સાથે બેસી(પહેલાની જેમ સામે બેસીને નહિ)તેને મદદ કરે છે. તેથી હવે તેને શાળામાં અજાણ્યું કે અતડું કશું લાગતું નથી.
4.       અહી વિદ્યાર્થીને ફક્ત શિક્ષક પાસેથી જ  શીખવું ફરજીયાત નથી તે પોતાના જેવડા-પોતાનાથી મોટા કે પોતાનાથી નાના વિદ્યાર્થી પાસેથી પણ શીખી શકે છે.
5.       અને અમને જોવા મળેલો સૌથી મોટો ફાયદો એ છે કે અહી વિદ્યાર્થી એક મુદ્દો શીખે તે દરમિયાન તેના શીખવા માટે જરૂરી તેવા બધા પગથીયોમાંથી તેને પસાર થવું જ પડે છે..જેમકે તે નવો કોઈ મુદ્દો શીખે, દ્રઢીકરણ કરે, મહાવરો કરે તેનો ઉપયોગ કરતા શીખે, તે પછી તરત તે જ મુદ્દાને લાગતું મૂલ્યાંકન થાય અને જો જરૂર જણાય તો ત્યાં જ તેનું ઉપચારાત્મક કાર્ય થાય

પ્રજ્ઞા માટેના અમારા શિક્ષકોના મંતવ્યો આ રહ્યા...
1.       “પ્રજ્ઞાથી જેટલી અનુકૂળતા બાળકોને શિખવામાં પડે છે તેના કરતાં ત્રણ  ગણી  અનુકૂળતા મને શિખવવામાં પડે છે, હવે હું દરેક બાળકને પર્સનલી ધ્યાન આપી સમજી અને શીખવી શકુ છું, હવે તો જ્યારે-જ્યારે હું બાળકને શિખવતી હોઉં છું ત્યારે શિક્ષિકાબેન ઓછી અને કાર્ડ શીખી ગયેલ બાળક વધારે લાગું છું, સાચું  કહું તો પ્રજ્ઞા એટલે  બાળકોને મન શીખવાની  સરળતા અને શિક્ષકને ફાળે બાળકને  શિખવવા માટે કરેલ મહેનતનું 100% પરિણામ !
                                                        -નીલોત્તામાબેન પટેલ [ગણિત- સપ્તરંગી ના વિષય શિક્ષક]

2.       પ્રજ્ઞામાં બાળકને  શિખવાની સાથે શિખવવા પણ મળે છે જેથી તેને  તેના મહત્વનો [હયાતીનો] અહેસાસ થાય છે,પોતે શિખશે તો જ બીજા બાળકોને તે શિખવી શકશે તેવું જાણતો હોવાથી બાળક શિક્ષક પાસેથી શિખવા માટે ઉત્સાહ બતાવે છે. પ્રજ્ઞા કાર્યક્રમ એ અનિયમિતતાનો રામ-બાણ ઇલાજ છે.” 
                             
                                     - ચંદુભાઈ બામણીયા [ ગુજરાતી- પર્યાવરણના વિષય શિક્ષક] 

અને હવે કેમેરાની આંખે જોઈએ પ્રજ્ઞા કેવી રીતે?

 બાળક સમજી શકે તેવો ચિત્રાત્મક અભ્યાસક્રમ એટલે લેડર(નિસરણી)


 વિદ્યાર્થી જાતે ત્યાંથી પોતે હવે શું શીખવા જઈ રહ્યો છે તે શોધશે.


તેને લેડર પર જેવું ચિત્ર જોયું હશે તેને આધારે તે -તેવા જ સિમ્બોલ ધરાવતી ટોપલી તરફ જશે.


 તે ટોપલીમાંથી તેને લેડર પર જોયું હોય તેવા ક્રમ મુજબનું કાર્ડ લે છે અને તેની પરના સિમ્બોલના આધારે પોતાની બેસવાની જગ્યા (છાબડી) નક્કી કરે છે.
    
અહી તે શિક્ષકસમર્થિત જૂથમાં બેસી શીખી રહ્યો છે


તેનું તે કાર્ડ મુજબનું કામ પૂરું થયા પછી તે ફરી લેડર પાસે જાય છે


અને તેના સિમ્બોલના આધારે ફરી કાર્ડ ઉપાડે છે

તે કાર્ડને આધારે પોતે ક્યાં બેસશે તે નક્કી કરે છે.


તે પોતાની જગ્યાએ બેસી -આ વખતે આંશિક શિક્ષકસમર્થિત જૂથમાં બેસી પોતાના કાર્ડ મુજબની પ્રવૃતિથી શીખે છે

આ રીતે તે પોતાની ગતિ થી શીખવાનું ચાલુ રાખે છે
આ સંદર્ભે થતા આપના પ્રશ્નો આવકાર્ય છે
સાથે સાથે શિક્ષકનો હવે શું રોલ છે આ વર્ગખંડમાં તે વિષે પણ વિગતે જોઈશું હવે પછી- 

 

August 26, 2010

આંગળાનો જાદુ- બાળગીત

સુરતના મિત્ર શ્રી પ્રકાશભાઈ પરમારે છેલ્લે મળ્યા ત્યારે એક મજાનું સ્વરચિત બાળગીત સંભળાવ્યું...
તેને શાળામાં ગવડાવ્યું તો બધા વિદ્યાર્થીઓને ખુબ ગમ્યું...અહી તે ગીતને ફોટોગ્રાફ્સથી મુકવાનો પ્રયાસ કરું છું..આશા છે ગમશે..









ગીત ગમે તો તમારા અભિનંદન પ્રકાશભાઈ સુધી પણ પહોંચાડજો.            lightmoonthesir@gmail.com

July 04, 2010

“પ્રયોગપોથી” નહી પણ “સ્વાનુભવપોથી” હોવી જોઇએ ??


પ્રયોગપોથી” નહી પણ “સ્વાનુભવપોથી” હોવી જોઇએ ??

                           બાળકોને પ્રાયોગિક શિક્ષણ આપવા માટે ખાસ આવશ્યકતા હોય છે પ્રયોગશાળાની. અને તે પણ સંપૂર્ણપણે સાધનસંપન્ન હોય તેવી !! કારણ કે પ્રયોગ માટેના અપૂરતાં સાધનો ધરાવતી શાળાને કારણે વિષય શિક્ષકશ્રી મૌખિક પ્રયોગ કરે છે અને બાળકોની પણ ઉદારતા કે મજબુરી પણ જે ગણીએ તે પણ  તે પ્રયોગને કાલ્પનિક અનુભવી પણ લે છે !!! અને પછી સૌ સાથે મળી પ્રયોગપોથી પણ ભરી દે છે. તમે તમારી પ્રયોગશાળા કે પછી  તમારા નજીકની કોઇ પ્રાથમિક શાળાની પ્રયોગશાળાનું નિરીક્ષણ કરશો તો મોટાભાગની શાળાઓ આ બાબતમાં ગરીબાઇ અને ત્યાંના બાળકો વિજ્ઞાનના પ્રયોગોનો અસંતોષ અનુભવતા હશે, તેનું એક કારણ શાળા પ્રયોગ સાધન-સામગ્રીનો અભાવ હોય છે, અને કેટલીક જગ્યાએ જ્યાં સાધન પુરતા હોય છે ત્યાં સાધ્યના પ્રયત્નોનો અભાવ જોવા મળતો હોય છે. ટૂંક્માં કારણ ગમે તે હોય મોટાભાગની શાળાઓના બાળકોને પ્રયોગશાળાનો  પુરેપુરો લાભ નથી મળતો. મિત્રો, સાધ્યના પ્રયત્નોના અભાવે ગરીબ બનેલી પ્રયોગશાળાઓ માટે અમારી પાસે કોઈ ઉપાય નથી. પરંતુ જો સાધનોના અભાવે પ્રયોગશાળા ગરીબાઈ વેઠતી હોય તો તે માટેનો એક ઉપાય પણ છે. ક્યારેક કોઈ એક પ્રયોગ માટે જરૂરી સાધનોમાંના એક નાના સાધનના અભાવે જ બાળકો પ્રયોગના પ્રત્યક્ષ અનુભવથી વંચિત રહી જતાં હોય છે. અને હા , જરૂરી થોડા આગોતરા આયોજનથી આવા વિઘ્નોને દૂર કરી શકાય છે. જેમ કે સત્રની શરૂઆતમાં જ તે સત્રમાં આવતાં પ્રયોગોમાં જરૂરી સાધનોની ચકાસણી કરી જે સાધનો ન હોય તેની ખરીદી કરી લેવી જોઈએ . હા, કેટલીકવાર અપૂરતાં શાળાફંડ કે પછી જરૂરિયાત કરતાં ઓછી જમા ગણિત-વિજ્ઞાન ગ્રાંટને કારણે પૂરતાં સાધનો લાવી શકાતાં નથી, અને પરિણામે બધા જ સાધનો હોવા છતાં એક નાના સાધનના ન હોવાને કારણે આપણી આખી પ્રયોગશાળા નકામી સાબિત થઇ જાય છે. પરંતુ જો આવી પરિસ્થિતિમાં જો શિક્ષકશ્રી પોતાની આપસુજ ધ્વારા આચાર્યશ્રીની સાથે મળી વર્ગખંડના બાળકોના વાલીઓની બેઠક બોલાવી આવા પ્રશ્નોની રજૂઆત કરે તો ચોક્કસપણે વાલીઓ પોતાના બાળકોના હિતને ધ્યાનમાં રાખી તેનો સકારાત્મક ઉકેલ લાવશે જ !! ફક્ત જરૂરી છે આપણા તરફથી આવા એક “સકારાત્મક પ્રયત્નરૂપી”  પ્રયોગની કરવાની !!! [ બીજું એ કે શ્રાવણ માસમાં બાળકોને તિથી ભોજન જમાડીએ કે પછી કોઇપણ માસ હોય...., સ્વખર્ચે બાળકો માટે પ્રયોગશાળામાં ખૂટતા સાધનો વસાવીએ –  બંનેમાં પુણ્ય સરખું જ મળશે એ અમારી ગેરંટી ]
                                હવે આવીએ એવી પ્રયોગ શાળાઓ પર કે જ્યાં ખરેખર પ્રયત્નો થાય છે ત્યાં બાળકોને પ્રયોગ બતાવવામાં આવે છે અને ત્યારબાદ પ્રયોગપોથીમાં તેની નોંધ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ અમે ફક્ત પ્રયોગ બતાવવા પૂરતાં જ નહિ બાળકો જાતે પ્રયોગ કરે એટલે કે પ્રયોગશાળા ને બદલે “વિજ્ઞાન સ્વાનુભવ-શાળા”ના અને પ્રયોગપોથી નહી પણ ‘પ્રયોગ-સ્વાનુભવપોથી’ ના આગ્રહી રહ્યા છીએ, બાળકો પ્રયોગ જોવે અને તેની નોંધ કરે, તેમ નહી પણ બાળકો પોતે પ્રયોગ અનુભવે અને જાતે તેની નોંધ કરે તેવો અમારો આગ્રહ રહેલો છે. હા કેટલાક પ્રયોગો જોખમી હોય છે પરંતુ થોડીક વધારે આપણી સાવચેતી અને બાળકની જિજ્ઞાસા-બળથી તે પ્રયોગને પણ સરળ બનાવી શકાય છે.કહેવત છે ને કે....
" ઠેસ વાગવાની બીકે ચાલવાનું  બંધ ન  કરી દેવાય, હા, ચાલતાં સમયે થોડી વધારે સાવચેતી જરૂરી છે, પણ ચાલવું તો પડશે જ ને ! "










July 02, 2010

શાળા પ્રવેશોત્સવ..રડતાં બાળ, જય ગોપાળ

      આમ તો આ બાળકો તેમના ભવિષ્યની સાથે-સાથે આપણા ભવિષ્ય માટેના આગંતુક છે, બદલાતા વાતાવરણની સાથે-સાથે પેલી અંગ્રેજી કહેવત” change is painfull[બદલાવ સારો હોય કે ખરાબ, હમેશાં  પીડાદાયક હોય છે] ની જેમ બાળકોને પણ આ શાળાના વાતાવરણના અનુકૂલન મુજબ થતા હજુ વાર લાગશે. ત્યાં સુધી તો આપણે જ તેમના  અનુકૂલન મુજબનું  શાળાનું વાતાવરણ ઉભું કરવું પડશે તે ચોક્કસ છે. પ્રવેશ મેળવ્યો એટલે તેની ઉંમર ભણવાની થઇ જ ગઇ છે તેવું માની ધોરણ પહેલાના અભ્યાસ ક્રમનું મેનુ આપી દેવાની કોઇ જરૂર નથી. ધોરણ પહેલાના શિક્ષકો માટે અમારું તો એવું કહેવું છે કે જ્યાં સુધી બાળકો તમને તેમના ઘરની/આસપાસની  અથવા તો તેની સાથે બનેલી ઘટનાઓની વાતો કોઇ પણ જાતના સંકોચ વિના કરતા ન થાય[એટલે કે તમારી સાથે વિના સંકોચે વાત કરતા ન થાય] ત્યાં સુધી પહેલા ધોરણની કોઇ ક્ષમતાઓ બાળકોમાં વિકસાવવાની શરૂઆત કરી દેવાની જરૂર નથી. કેમકે તે સમજવા માટે કદાચ બાળક માનસીક રૂપે તૈયાર ન પણ હોય્. ધોરણ પહેલાના માટે જરૂર તો હોય છે ફક્ત થોડી ધીરજની- ઘણા જ  પ્રેમની અને  પ્રવ્રુત્તિ યુક્ત-શિક્ષણની !

જોઈએ અમારા પ્રવેશોત્સવની એક ઝલક-

હવે ટુંકા સમયમાં જ સૌની સાથે હળી મળી ગયેલી કૃપાલી તે દિવસે!

સૌ વિદ્યાર્થીઓનું કાગળ અને રંગો થી સ્વાગત કરતા શ્રી નરેન્દ્રભાઈ અને મહેમાનો..

શાળાની પરંપરા મુજબ આ વર્ષે એચ.એસ.સી.ની પરિક્ષામાં ૮૨% સાથે પાસ થનાર અમારા વિદ્યાર્થીનું જાહેર અભિવાદન!

અમારી આગામી આઠ વર્ષ માટેની ટીમ-તેમના પ્રથમ ટીમ લીડર શ્રીમતી નીલોત્તમાબેન સાથે!