August 15, 2019

આઝાદીની રક્ષા !



આઝાદીની રક્ષા !

બંને રાષ્ટ્રીય પર્વની ઉજવણી વર્ષોથી કરતા આવ્યા છીએ. એ બાબતમાં આપણે શિક્ષકો વધુ નસીબદાર છીએ. શાળા, કોલેજમાં ભણતા ત્યાંથી લઈને આજે શિક્ષક તરીકે કાર્ય કરીએ છીએ ત્યાં સુધી વર્ષે બે વખત એ તિરંગાને સલામી આપી શક્યા છીએ.
વર્ષો વર્ષની એ જ પરંપરા છે છતાંય ક્યારેય જૂની નથી લાગી. અઠવાડિયા અગાઉથી જ આ વખત શું કરીશું ?  ની ચર્ચાઓ શરૂ જ થઇ જાય. સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનું સરનામું હવે બદલાઈને ગ્રામોત્સવ થઇ ગયું છે. છતાં દરેક વખતે કોઈને ને કોઈકને થોડો થોડો ચસકો તો રહે જ.
આ વખતે તો આઝાદી સાથે “બંધન” હતું. અલબત્ત રક્ષા માટેનું. એટલે ગામમાંથી આવનારા બધા વધુ સમય નહિ આપી શકે એવું લાગ્યું... પણ વકૃત્વ સ્પર્ધા તો હોય કે નહિ ? નો જવાબ “હોય ને !” અપાઈ તો ગયો. વિષય જેને જે ગમે તે વિષે બોલી શકે એવું નક્કી કર્યું. પણ બધા રક્ષાબંધન ઉજવવાના મૂડમાં વધુ લાગ્યા. અમે યાદ કરાવ્યું કે છેલ્લે તમે જ તમારું મૂલ્યાંકન કરો છો. મારું મૂલ્યાંકન મારા વડે > એમાં તમારા મિત્રો તમારા ગુણ ના મુકવા દે તો પછી ફરિયાદ ના કરતા. અને ૧૪ મી ઓગષ્ટે એ વાતે એવી તો અસર કરી કે વકતૃત્વ માટેના નોમીનેશન આવ્યા પંચાવન !
૧૪ મી ઓગષ્ટની બપોર પછી બે કાર્યક્રમ નક્કી થયા. રાખડીઓ બનાવવી અને શાળા છૂટવાના સમયે રક્ષાબંધન ઉજવવી અને વકતૃત્વ સ્પર્ધા યોજવી. બંને સમાંતર કાર્યક્રમો ચાલ્યા. એક બાજુ કેટલાક પોતાનાથી રજુ થવાય એટલો રજુ થવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે બીજી બાજુ રાખડીઓ બની રહી હતી. વકતૃત્વ સ્પર્ધા આ વખતે અમને નવા ચમકારા આપી ગઈ. કોઈ દિવસ પ્રાર્થનામાં “આજ ના રોકસ્ટાર”માં ય ભાગ ના લેનાર આજે માઈક સામે ઉભા હતા. કેટલાક ત્રણ ચાર લીટી બોલીને બેસી ગયા..કે યાર ઘેર જોરદાર બોલતો હતો પણ ના બોલાયું ! ને કેટલાક પાંચ મિનિટથી વધુ બોલ્યે જ જતા. તેમાંથી ત્રણને ૧૫મી ઓગષ્ટે બોલવાની ટિકિટ મળી. આટલા બધા સ્પર્ધક અને ત્યારબાદ રક્ષાબંધન... ઉપરથી વરસાદી વાતાવરણ... આવતીકાલે તોરણ વગેરે કોણ બનાવશે ? એવું આયોજન કરવાનું તો ચુકાઈ જ ગયું.
રાત્રે “આપણું નવાનદીસર” વોટ્સેપ ગ્રુપમાં ફોટોઝ અને વિડિયોઝ મળવાના શરૂ થયા તો સમજાયું કે અમે ભૂલી ગયા હતા...ગામ નહિ.  તિરંગાને સલામી આપી બધા વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો.
રોજ તમારા બાળકોને પૂછો કે -
“આજે શાળામાં સવારથી સાંજ સુધી શું કર્યું?
“આજે શું શીખ્યા ?”
“શું વાંચવા કે લખવા આપ્યું છે?
આનાથી તેઓ પોતાનો આખો દિવસ એકઠો કરવાની ટેવ પાડશે..અને તમને પણ તે રોજ શું શીખે તેનો ખ્યાલ આવશે.
પરસ્પર લાગણીઓ વહેંચી રાષ્ટ્રીય પર્વ  ઉજવી, ભગિની-બંધુ પર્વ ઉજવવા છુટા પડ્યા !
 




















👇🎦👇

રાષ્ટ્રીય પર્વ  ઉજવણી માં બાળકોનું વક્તુત્વ ! 


👇🎦👇



👇🎦👇 



👇🎦👇

👇🎦👇


August 01, 2019

👦👧બાળકોની કુતુહલતા અને આપણા વૈચારિક બ્લૉક !



👦👧બાળકોની કુતુહલતા અને આપણા વૈચારિક બ્લૉક!
બાળકો કુતુહલ સભર હોય છે, બાળકો જિજ્ઞાસુ હોય છે – આપણા શૈક્ષણિક વક્તવ્યમાં શણગાર બનતું આ વાક્ય શિક્ષક તરીકે અથવા તો વાલી તરીકે આપણે સ્વીકાર્યું છે ખરું ? તેનું એક ઉદાહરણ આપું...એક બાળકના વાલી તરીકે વિચારો કે તમે બાળકો સાથે બેસી વાતો કરી હોય તેવો સમય દિવસમાં કેટલો ? બે પાંચ કે પંદર મિનીટ ! આપણું મન ત્યાંથી જ ભરાઈ જતું હોય છે ! જયારે શિક્ષક તરીકે હોઈએ  અને વર્ગખંડની જો વાત કરીએ તો પણ બાળકો સાથે સંવાદનું અસ્તિત્વ ૩૫ કે ૪૫ મીનીટના તાસમાં બે ચાર મિનિટ  બાકીનો સમય તો એક તરફી માહિતી પીરસવામાં જ પૂરો થઇ જતો હોય છે. આપણે એ વાતથી સતત અજાણ છીએ કે બાળકોની કુતુહલતા સંતોષવાથી જ બાળકમાં નવી જિજ્ઞાસા પેદા થાય છે! અને શિક્ષણકાર્યની સફળતા માટે આ એક અનિવાર્યતા છે કે શીખનારમાં જિજ્ઞાસા સતત પ્રજ્જવલિત રહેવી જોઈએ. તે એક અગનગોલા જેવી છે.  જો તમે બાળકોની જિજ્ઞાસાઓ સંતોષતા નથી તો તે આગની જેમ સમી જાય છે. બાળકની વૃત્તિ ઉપર “આપણે જાણવું પણ નથી અને શીખવું પણ નથી” - વાળી નકારાત્મકતાની રાખનું પડ ચઢી જાય છે. આવા પડ સાથે મોટો થયેલો વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં સીમિત બની રહે છે. માટે જ પ્રથમ તો એ જ કે બાળપણથી જ બાળકો સાથે થયેલ વાતો અને તે વાતો દ્વારા સંતોષાયેલ જિજ્ઞાસા બાળકોમાં જાણવાની વૃત્તિને વધુ સતેજ બનાવે છે, જે તેને આગામી જીવન પર્યંત દરેક ક્ષેત્રમાં નવું નવું શીખવા પ્રેરે છે. પછી તો  કહેવત છે ને કે જે જિંદગીભર શીખતો રહે છે તે નિષ્ફળ થાય જ નહિ !
👉હવે જે લોકો પોતાના બાળકો સાથે સંવાદ કરવાનો  દાવો કરે છે તેમના માટે - ભાગ ૨
બાળકો સાથે બાળપણમાં સંવાદ કરતાં આપણે સૌને -  પહેલો પ્રશ્ન એ કે આપણે બાળકો સાથે સંવાદ કરતી વખતે કઈ બાબતો  ધ્યાને લઈએ છીએ? તો મોટાભાગનાનો જવાબ હશે ઉંમર અને કેટલાંકનો જવાબ ઉંમર અને વિષય ! આપણે વિચારીશું તો ખ્યાલ આવશે કે બાળકો સાથે સંવાદ કરવા માટેના આપણે વિષયો નક્કી કરી રાખ્યા હોય છે . અથવા તો કહું તો એક વૈચારિક બ્લોક બનાવી દીધો હોય છે. ચાર વર્ષનું બાળક મળે તો તરત છોટા ભીમ ની વાતો કરવા લાગી જઈએ અને આપણી આપણા મિત્રો સાથેની ચંદ્રયાનની ચર્ચા સાંભળી તે જ બાળક કંઈક પૂછે તો – [ ક્યારેક ] તને ખબર ન પડે તેવું કહી તે વાતને ટાળતા હોઈએ છીએ. તેનું મુખ્ય કારણ તે આપણે બાળકો સાથે સંવાદના નક્કી કરેલ બ્લોક છે. તે જ સમયે ચંદ્રયાન તેને ખબર પડે કે ન પડે તે વિષય ધ્યાને લીધા વિના જો તેની જીજ્ઞાસા માટે ચંદ્રયાનની માહિતી તેની સમજ મુજબની ભાષામાં પૂરી પાડવામાં આવે તો જ તેની તેવા વિષયો બાબતની સમજ બનતી જશે. માટે જ બાળકો સાથે સંવાદ કરો ત્યારે બાળકોની જ એ ગીતની પંક્તિઓ સતત મનમાં ગાતા રહો – તું નાનો , હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો !
     માટે જ સાર એ જ કે બાળકો સાથે સતત સંવાદ કરો – અને સાર બે -  નાના બાળકો સાથે સંવાદ માટેના માનસ બ્લોક દુર કરી બાળકો સાથે વાતો કરો ! પરિણામ તમારે જોવું હોય તો અમારી પાસે એક નમૂનો  છે –  નમૂનો એટલે કે ઉદાહરણ [ જો કે વિડીયો જોયા પછી તમને પણ થશે કે ખરેખર આ નમૂનો જ છે🤣😂
મળો અમારા મહમંદ ઉર્ફે ફિરદૌસને è click

July 11, 2019

મત - સંમત [ Child President Election 2019 ]


                        મત – સંમત 

બાળક સમાજનું જ એક અંગ છે એટલે સ્વાભાવિક છે કે તે સમાજની અસરો સાથે જ શાળામાં પ્રવેશે ! શાળા પ્રવેશ પહેલા જ તે અભ્યાસક્રમને અક્રમિક રીતે જાણતો જ હોય છે. જે આપણા માટે ખૂબ વર્ગખંડ કાર્ય સરળ બનાવનારુ  બને છે. પરંતુ એક સિક્કાની બે બાજુ છે. કેટલીક બાબતો એવી પણ હોય છે કે જેના માટે ઈરેઝર લગાડવું પડે. કારણ કે આપણું કામ ભવિષ્યના સમાજને વર્તમાનની બદીઓ મુક્ત કરવાનું પણ છે જ. [યાદ કરો, પ્રલય અને નિર્માણ ... વાક્યને કે જે આપણે ગર્વથી સમાજને સંભળાવીએ છીએ.]
શળામાં થતી પ્રવૃતિઓ બધા જ બાળકો સાથે મળીને સહકારથી કરે તે માટે આપણે સૌ ખૂબ જ માઇક્રો આયોજન કરતા હોઇએ છીએ. આપણા સૌનો ધ્યેય પણ એ જ હોય છે કે દરેક બાળકો જાતે, જોડીમાં કે જુથમાં શીખે..
જૂથ કે જોડીમાં શીખતી વખતે.....
  1. બાળકોને એકબીજા સાથે સંવાદ વડે વિચારોની આપ-લે કરે.
  2. કાર્યભાર વહેંચણી દરમ્યાન બીજા બાળકોને જોઈ જવાબદારી સ્વીકારતાં થાય. (કારણકે, જવાબદારી ન સ્વીકારવી એ વર્તમાનનું એક દુષણ જ છે.)
  3. સાથે રહેવા દરમ્યાન સમૂહમાં કામ કરવાની રીતીનીતિ થી અવગત થાય. જેથી જાણી શકે કે બધું આપણે કહીએ તેમ જ ન થાય. પોતાનું છોડી બહુમાન્ય નિર્ણયો સ્વીકારતાં થાય.
  4. ફક્ત ખુદનું સારું નહિ ટીમનું સારું કામ દેખાય તે માટેની ભાવના વિકસતી જાય.
આ બધી પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરાવી બાળકોમાં ભવિષ્યના સમૂહ જીવન માટેના ગુણોનો વિકાસ એ જ આપણો ઉદેશ્ય હોય છે.

      એટલે જ કહી શકાય કે આવી શાળા પ્રમુખ ચૂંટણી જેવી શાળાકીય પ્રવૃત્તિ માં શાળા પરિવારનો મોટો રોલ તે પ્રક્રિયાના અંતે જ હોય છે. જેમાં હારેલાં બાળકોને પણ જીતાડવાનું અને વિજેતાની જેમ જીવડાવવાનું કામ આપણું છે. ચૂંટણીના અંત બાદના  આપણા વારંવારના આવા પ્રયત્નોને કારણે બાળકોમાં ખેલદિલી અને સામુહિકતાના ગુણો સહજ રીતે તેમના જીવનનો હિસ્સો બનતા જાય છે.. જેના પરિણામ રૂપે  ભવિષ્યનો સમાજ સમુહમાં જીવતો, વિજયને વહેંચતો  અને ખેલદિલી પૂર્વક હાર સ્વીકારતો સર્જાશે !  આવી જ આશાઓ સાથે શાળા પરિવારે જાહેરનામું બહાર પાડ્યુ પછી જે જે થયું તે તમામ પ્રક્રિયા ને માણીએ Electoral  ભાષામાં !