પાકા ઘડે કાંઠલો ચઢે !?
એક કહેવત સૌએ સાંભળી છે: "પાકા ઘડે કાંઠલો ન ચડે!" તેનો અર્થ એ છે
કે જે ઉંમરમાં જે શીખવાનું છે, તે જો ન શીખાય, તો પછીના સમયમાં શીખી શકાતું નથી. અને શીખીએ
તો પણ, તેમાં પૂરતું કૌશલ્ય મેળવી શકાતું નથી. એના માટે બીજી એક
કહેવત પણ છે: "સોળે શાન અને વીસે વાન." આ
બધી કહેવતો મૂળભૂત રીતે સમયનું મહત્ત્વ દર્શાવવા
ઘડાયેલી છે. એવું નથી કે તે અક્ષરશઃ સાચી છે. કેટલાક નરબંકાઓએ તેને ખોટી પણ પાડી
છે. કે. કા. શાસ્ત્રીજીએ ૯૫ વર્ષની ઉંમરે કમ્પ્યુટર
શીખવાનું શરૂ કર્યું ત્યારે સૌને નવાઈ લાગી હતી.
સમયે સમયે શીખતાં રહેવું એ જ આમ તો જીવનનો
ઉદ્દેશ્ય હોવો જોઈએ. કારણ કે આપણા સૌની આંતરિક માનસિક પ્રક્રિયા આવા જ આયોજન
મુજબની બનેલી છે. એવો અંદાજ છે કે વ્યક્તિની ઉંમર વધતાં તેનામાં એવા બદલાવ આવતા
હશે, જેનાથી કેટલાંક એવા સેલ્સ નાશ પામતા હોય જે તેને કેટલીક
બાબતો શીખવામાં મદદગાર બનતા હોય. પરિણામે, આપણા પૂર્વજોના અનુભવે આ કહેવત કહી હશે: પાકા ઘડે કાંઠલા ન ચડે!
|
·
રીડિંગ
રીલ્સ ·
પ્રયોગાત્મક અધ્યાપન તાલીમ (Experiential Teacher Training): ભવિષ્યના શિક્ષકો માટે
પુસ્તકિયા જ્ઞાનને બદલે બાળકોના વર્તનનો અભ્યાસ કરવો અને સકારાત્મક અનુભવો
મેળવવા મહત્ત્વપૂર્ણ છે. |
શાળા ફક્ત બાળકો માટે જ શીખવાની
જગ્યા નથી. તે શિક્ષકો અને તેનાથી આગળ વધીને કહીએ તો કેમ્પસમાં પધારતા સૌ કોઈ માટે
શીખવાની જગ્યા છે.
● બાળકો
બાળકો પાસેથી શીખે છે.
● બાળકો
શિક્ષકો પાસેથી શીખે છે.
● શિક્ષકો બાળકો પાસેથી શીખે છે કે કેવી
રીતે શીખવવું.
શાળાને સૌથી વધુ શીખવતી જગ્યા એટલા માટે કહી, કારણ કે ગામમાં સૌથી
વધારે આદાનપ્રદાનની પ્રક્રિયા થતી હોય છે અને તે પણ મોટા સમૂહમાં. પહેલાં એવું મનાતું કે ઘરનાં બાળકો સાથેના
વર્તન વડે આપણે શીખીએ છીએ કે વર્ગખંડમાં કેવી રીતે વર્તવું જોઈએ. પરંતુ હવે શિક્ષક
તરીકેના વર્ષો પછી એ શીખાયું છે કે ઘર હોય કે શાળા, આપણે "બાળક"
સાથે કેવી રીતે વર્તવું જોઈએ. અને આ શીખવા માટેનું સ્થળ પણ શાળા જ બની
છે.
શિક્ષક તરીકેના વ્યવસાયનું પ્રવેશદ્વાર એટલે બુનિયાદી અધ્યાપન. તેમાં પ્રવેશતાં જ પહેલું કામ
બાળકોના વર્તનને જાણવું હોય છે. તેથી જ તાલીમાર્થીઓ માટે બાળકો સાથેની પ્રક્રિયાઓ
માટેના પ્રસંગો ઊભા થાય, તે હેતુસર સતત શિક્ષણ, જેને અત્યારે ઇન્ટર્નશિપ
કહીએ છીએ, તે સમયાંતરે યોજાય છે.
● તેમાં ભવિષ્યના નવા શિક્ષકોએ બાળકોને અભ્યાસ કરાવવા કરતાં પણ
બાળકોનો અભ્યાસ કરવો એ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો તે મહત્ત્વનું છે.
● જો આ સમયમાં જ તેઓને સકારાત્મક અનુભવો ન મળે, તો પછીનો સમય તેમના માટે મુશ્કેલ બનશે.
અને પેલી કહેવતની જેમ જ, પછી બે વર્ષના અંતે પાકા થઈ ગયેલા તાલીમાર્થીઓ રૂપી ઘડા પર શિક્ષક રૂપી કાંઠલો
બેસાડવો અસંભવ છે.
હાલ, શાળાના ભૂતપૂર્વ પાંચ વિદ્યાર્થીઓ ભવિષ્યના
શિક્ષક તરીકે અભ્યાસ કરી રહ્યા છે. ઇન્ટર્નશિપ દરમિયાન તેઓએ જે શાળામાં ભણ્યા હતા, તે જ શાળાને શીખવા
માટેનું સ્થળ બનાવવા પસંદ કરતાં આપણી શાળામાં પહેલીવાર ઇન્ટર્નશિપનું આયોજન થયું.
એમ કહીએ તો પણ વધારે નથી કે "મોસાળમાં જમણવાર હતું અને મા પીરસનાર હતી!"
● શાળાના પ્રયત્નો હતા કે ભણવા-ભણાવવાનું તો પછી
પણ થશે, પરંતુ તેઓ પોતે બાળકો સાથેના વર્તનમાં જરૂરી
બદલાવ લાવે, જેથી ભવિષ્યમાં તેઓને વ્યવસાય પ્રત્યેનો આનંદ
જળવાઈ રહે.
● તેમની સાથે વર્ગખંડમાં કામ કરતાં બાળકોમાં
પણ શીખવા પ્રત્યેની મોજ અને આત્મવિશ્વાસ જળવાઈ રહે.
તેઓ શું શીખ્યાં તે તો આવનારા સમયમાં ખબર
પડશે, પરંતુ અમને પાકી ખાતરી છે કે અહીંયાંના અનુભવોએ તેમનામાં
બાળકોના પ્રિય અને કાર્યશીલ શિક્ષક બનવાનું બીજારોપણ કરી દીધું હશે. ચાલો, માણીએ તેઓ દ્વારા
આયોજિત છેલ્લા દિવસને.
રીડિંગ રીલ્સ
● સતત વ્યાવસાયિક વિકાસ (Continuous Professional
Development): શીખવાની પ્રક્રિયા માત્ર બાળકો કે તાલીમાર્થીઓ પૂરતી સીમિત
નથી, પરંતુ શિક્ષકો અને સમગ્ર શાળા પરિવાર માટે સતત ચાલતી
પ્રક્રિયા છે.
તાલીમાર્થી મિત્રો ધ્વારા કરાવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે ફોટો પર ક્લિક કરો > ઇન્ટરશીપ

No comments:
Post a Comment