November 14, 2020

“ટીચ_વા કરતાં શીખવાના પ્રયત્નો કરીએ.”

ટીચ_વા કરતાં શીખવાના પ્રયત્નો કરીએ.”

જ્યારે મોહનદાસે ચોરીની કબૂલાત કરતી ચિઠ્ઠી પોતાના પિતાને આપી હતી એ સમયે તેમના પિતાએ તેમને તમાચો માર્યો હોત તો ?” તો ભારતને કે દુનિયાને કોઈ ફરક પડયો હોત ?

થોડીવાર વાંચવાનું બંધ કરી આ વિશે વિચારી જુઓ...

તમારા મનમાં એક જવાબ બનાવી જુઓ.

એ સમયે  શારીરિક શિક્ષા આપીને કરમચંદભાઈએ શોર્ટકટ અપનાવ્યો હોત તો ! - આપણને ગાંધી ના મળ્યા હોતસરદાર, ધ્રુવ ભટ્ટ, ઓશો રજનીશના બચપણ વિશે વાંચીએ/જાણીએ (આ નામ તો એટલે આપું છું કે તે બધા પ્રખ્યાત છે.) ત્યારે સમજાય કે માણસનું વલણ ઘડતર તેના બચપણમાં જ થઈ જાય છે.

બાળકને જન્મ આપવાનું કાર્ય સમાજ જેટલી ગંભીરતાથી લે છે એનાથી એક ટકા જેટલી ય કાળજી બાલઉછેરની લેવાતી નથીબાકીના બધા સજીવો કરતાં માણસ આ જ રીતે  જુદો પડે છે. બાકીના બધા સજીવો પોતાની રીતે  પોતાના બચ્ચાને તેની શક્તિ અનુસાર ખિલવવાનું કામ કરે છે.

    તમે એવું અવલોકન કર્યું છે કે એક કૂતરો પોતાના બચ્ચાને એટલા માટે લડતો હોય કે, “જો આ બાજુના ફળિયાવાળા  કાળુંકાકાનો ગલું તો તારાથી એક મહિનો નાનો છે તોય ભસતો થઈ ગયો !” ના - આપણા કરતાં તેઓ પોતાના બચ્ચાને કેવી રીતે ઉછેરવા તે બરાબર સમજે છે. તેઓ તેને શિખવામાં સહાયક થાય છે. આપણે માણસો કાંતો ખૂબ કાળજી લઈએ કાંતો સાવ ન લઈએ. બંને બાબતોમાં આપણી સ્વાર્થવૃત્તિ જ હોય છે. આપણે આપણને અનુકૂળ લાગે ત્યારે કાળજી લેવા માંડીએ અને જ્યારે આપણને અનુકૂળ ના હોય તો બાળકને તેના હાલ પર છોડી દઈએ. આપણે આપણાં બાળકમાં આપણાં અધૂરાં સપનાં ઉછેરવા માંગીએ છીએ.. તેના માટે ભલે તેનાં બધાં સપનાં ચકનાચૂર થઈ જવાના હોય તો થઈ જાય.

અધૂરામાં પૂરું માણસોએ તો પછી શાળાઓ ખોલી. થોડું ઘણું ઘરમાં મા અને બાપે બાકી રાખ્યું હોત તે બધુ શાળામાં આપણાં જેવા શિક્ષકો પૂરું કરે.

બાળકોને શીખતા કરવા દેવાને બદલે તેમને શીખવાડી જ દેવાનું વલણ આપણે અપનાવી લીધું. ને ઘરમાં માતા પિતાએ શાળાએ તેનામાં શું ભર્યું છે તે ચકાસવાનુ કામ ઉપાડી લીધું.

અને આ વાત હજુ આપણી સામે છે. હજુ ય કેટલાય બાળકોને શારીરિક અથવા માનસિક રીતે ટીચ_વામાં આવે છે.

ઉકેલ શું છે ? ઉકેલ આપણી નજીક છે.

જેને માત્ર ગુજરાતનાં કે ભારતના નહીં વિશ્વભરના માતાપિતાઓ માટે દાખલો બેસાડયો તેને ગુજરાતીમાં એટલું લખ્યું છે કે દરેક શિક્ષક અને માતાપિતા માટે ગાઈડ બની જાય. પણ આપણી સાથે સામાન્ય રીતે થાય છે તેમ અહિયાં જીવી ગયેલા માણસની ઓળખ આપણને બહારના વ્યક્તિથી થાય એમ ગુજરાત હજુ ગિજુભાઈની ઓળખ કોઈક આપવા આવે તેની રાહ જુએ છે.

વકીલાતનો વ્યવસાય છોડીને બાળકોને ભણાવવાનું શરૂ કરવું. ને તે ય નાના બાળકોને ભણાવવાનું કામ શરૂ કરવું. એ આજે ય આપણને અશક્ય લાગે તેવી વાત છે. ઇન્ટરનેટ પર ગિજુભાઈ વિષે ઓછું છે પણ જેટલું છે એટલું વાંચશો  તોય તમને સાચું નહીં લાગે. - આવું કોણ કરે ? જે યુગમાં સોટી વાગે સમસમ જ શિક્ષણનો મંત્ર ગણાતો હતો ત્યારે તેમની સાથે રમતો રમી, ગીતો ગવડાવી, વાર્તાઓ કહી શિખવવાનું શરૂ કરનાર ખરેખર હશે ? અથવા તેઓ સાચે જ એમ કરી શકયા હશે ! નવાઈ કરતાં વધુ - “હોતું હશે ! - આમ તે કોઈ કરતું હશે !” એવી લાગણી વધુ થશે.

કારણકે હજુ ય આપણે વિષયો ભણાવી દેવાના મૂડ અને મોડમાં છીએ. હજુય આપણે ઘરમાં કે શાળામાં આવતી મુશ્કેલીઓને ‘ઉપલા અધિકારી સમજતા નથી’ કે ‘બાળકો સમજતા નથી’. એમ નીચે કે ઉપર ઉલાળી દઈએ છીએ. જરૂર છે - ગિજુભાઈની જેમ શાળાને માહિતી ભરવાનું કારખાનું બનાવી દેવાના બદલે પ્રયોગશાળા બનાવવાની. ગિજુભાઈ એકલા જ હતા ને સિસ્ટમ પણ એ જ હતી - છતાં તેમને જે સાચું લાગ્યું તે તેમને વિચાર્યું, વલોણું કર્યું, નવનીત વહેંચ્યુ.

ભારતના ચોપડે નોંધાયેલા બાળદિનના બીજા દિવસે ગિજુભાઈના જન્મદિને શાળાએ ફરી બાળકો ટિચાય નહીં તે માટે પ્રયત્ન કરતાં રહેવાનો નિર્ધાર કર્યો.

ગિજુભાઈને જાણીએ અને થાય એટલા અમલમાં મૂકીએ એ આજના યુગની જરૂરિયાત છે. બચાપણમાં મળેલી એ બધી લાગણીઓની સરવાણી જ ભવિષ્યમાં દરિયો છલકાવશે.

ચાલો, સાથે સાથે ગતવર્ષની વાત પણ યાદ કરી લઈએ > વાંચો >>>  ગીજુભાઈ

No comments: