January 26, 2025

સર્વે ભવન્તુ સુખિનઃ

સર્વે ભવન્તુ સુખિનઃ

દરેક પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આપણે એક લોકશાહી દેશમાં રહેવાના ગૌરવથી ઝગમગી ઊઠીએ છીએ. બંધારણ વિશે ચર્ચાઓ થાય છે અને જેમ મહાન પુસ્તકો સાથે થતું આવ્યું છે, તેમ બંધારણ પણ એક પવિત્ર ગ્રંથ બની જાય છે. પરિણામે, એના અભ્યાસની જગ્યાએ તેના નામનું  રટણ માત્ર થવા લાગે છે.

નિયમોની બાબતમાં હરેશભાઈ સાહેબે ટાંકેલી એક વાત હંમેશા માર્ગદર્શક બની રહે - નિયમો કેટલા પાળવાના એ મુખ્ય મુદ્દો નથી, પરંતુ નિયમો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે એ સમજવું અને એ ઉદેશ્યનું રક્ષણ કરવું મહત્ત્વનું છે. લોકશાહી એ માત્ર શાસનની પદ્ધતિ નથી, પણ એ એક જીવનશૈલી છે.

બહુમતી જેને ઇચ્છે, તે વ્યક્તિ સમાજનો પ્રતિનિધિ બને, અને તે પોતાના વિવેક મુજબ કાયદા બનાવે. એ વ્યક્તિ વિસ્તારના તમામ નાગરિકોની વતી નિર્ણયો લે—આ એક વ્યવસ્થા છે અને સમૂહ જીવન માટે આવશ્યક પણ છે. પરંતુ શું લોકશાહી એટલી જ સીમિત છે?

નિર્ણય લેવા માટે પ્રતિનિધિ પસંદ કરી લેવામાં જ લોકશાહીની જવાબદારી પૂરતી માનવી એ સોનાની જાળનો ઉપયોગ માછલી પકડવામાં કરવા જેવુ કામ છે. એક તંદુરસ્ત સમાજ ત્યાં હોય છે, જ્યાં લોકશાહી એક જીવનશૈલી બની જાય છે. જ્યાં લોકો એકબીજા સાથે ચર્ચા શીખે, સમસ્યાઓના એકથી વધુ ઉકેલ શોધવાનો પ્રયાસ કરે, ભાવનાત્મક ઉગ્રતા છોડીને તર્કસંગત નિર્ણયો લે. આવા લોકો મળીને જે સમાજ રચે છે, તે ખરેખર લોકશાહીયુક્ત પ્રસન્ન સમાજ બને છે.

સમાન સ્તરે રહીને ચર્ચાઓ કાર્યની ગતિ ધીમી કરી શકે છે, કેટલાક કિસ્સાઓમાં ગુણવત્તા પર પણ અસર થઈ શકે છે. તેમ છતાં, આ પ્રક્રિયા રોકવી ન જોઈએ, કારણ કે લોકો વચ્ચે વિચારવિમર્શ થવો અને સહયોગ વધવો એ લોકશાહીના મહત્વના ગુણધર્મો છે. આપણે પરફેક્શન  પાછળ દોડવાની જગ્યાએ સમાન સ્તરીય લોકશાહી પસંદ કરવી જોઈએ.

પરફેક્શનનો વિચાર જ એકાંગી છે, કારણ કે તેમાં કોઈ એક વ્યક્તિ કે તંત્રએ નક્કી કરેલા માપદંડો અનુસાર કાર્ય થવું જરૂરી ગણાય. પરંતુ તેની સામે, જો સૌ સાથે રહીને વિચાર-ચર્ચા કરે, નિર્ણય લે અને સહઅસ્તિત્વ જાળવી શકે, તો એ વધુ આનંદપ્રદ જીવનશૈલી બની શકે.

આપણી નદીસર પ્રાથમિક શાળાએ સહજતા અને આનંદમય જીવનશૈલીના આશીર્વાદ છે. અહીં ઉજવણીમાં ‘પરફેક્ટ’ થવાને બદલે ‘સહભાગી’ થવાને વધારે મહત્વ આપવામાં આવે છે. શાળાના પ્રમુખ અને તમામ લીડર્સની ટીમે જે આયોજન કર્યું, તેમાં સહભાગિતાનો તત્ત્વ સ્પષ્ટ દેખાયા !. ધ્વજવંદન કરનારથી લઈને ધ્વજ રક્ષક અને સ્કૂલ બેન્ડ - બધું છોકરીઓની લીડરશીપમાં આયોજિત થયું. હંમેશાની જેમ, રિતેશની નાનકડી વક્તૃત્વ સ્પીચ, કોઈકનું એક પ્રેરણાદાયી ગીત પર પરફોર્મન્સ !

આ બધી તો ઘટનાઓ હતી, પણ મૂળ તત્વ ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ નો  મંત્ર છે અને રહેશે.






January 23, 2025

મમતામયી મહિસાગર !

મમતામયી મહિસાગર !

“પ્રકૃતિ” નો આનંદ એ માનવ જીવનનો એક અગત્યનો હિસ્સો રહ્યો છે. પ્રકૃતિ હંમેશાં આપણને એક અનેરો આનંદ આપી આપણા જીવનમાં નવી ઊર્જા સંચારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. એટલે જ તો ઘણા બધા તહેવાર આપણી પ્રકૃતિમાં થતા ફેરફારોને આધારે ઉજવાતા આવ્યા છે, અરે હા તમે આ વાંચતાં હશો ત્યારે જ આવો એક તહેવાર નજીકના સમયમાં પોતાને ઊજવવા આવી રહ્યો છે. યાદ કરો !!

માનવનો મૂળ સ્વભાવ પ્રકૃતિ પ્રેમી તરીકેનો રહ્યો છે. એનું કારણ પણ છે કે માનવ જીવન એ પણ પ્રકૃતિનો પોતાનો જ એક ભાગ છે. તેની સાથે ગૂંથાયેલા જીવનને માણતાં માણતાં કરોડો વર્ષોની ઉંમર માનવે ધારણ કરી છે. એટલે જ આપણા મૂળમાં પ્રકૃતિ એ સ્વભાવ તરીકે વણાઈ ગઈ છે. આપણું અસ્તિત્વ જ જેના આધારે ટકેલું છે, - તેનાથી દૂર થવું અથવા દૂર રહેવું અશક્ય છે. પરંતુ વર્ષો પછી બદલાતી માનવ ટેવો - વિકસતી જતી માનવ જીવન શૈલી અને જરૂરિયાતો સંદર્ભે કુદરતી ના ઓપ્શનમાં તેના જેવી જ કુત્રિમ પૂર્તતાઓ એ આપણને પ્રકૃતિથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ તો પૃથ્વી પર પ્રકૃતિથી દૂર થવું તો શક્ય જ નથી - પરંતુ તેની નિકટતાનો અહેસાસ આપણે આપણી સંવેદનાઓમાંથી ખોઈ ચૂક્યા છીએ. આવી બની ચૂકેલી આપણી જીવનશૈલીમાં બદલાવ કેવી રીતે લાવી શકાય? - શાળા કક્ષાએ બાળકોમાં કેવી ટેવો વિકસાવી શકાય તેના મનોમંથને જ શાળાએ કૂકૂન સાથે હાથ મિલાવ્યા હતા.

કૂકૂન દ્વારા બાળકોમાં આસપાસની પ્રકૃતિને - એટલે કે આસપાસનાં જીવજંતુ - પક્ષી - પ્રાણી - વનસ્પતિ - બધાંને કેવી રીતે માણવા સાચવવા - જાળવવા અને સાથે સાથે તેઓને જાણવા ની દ્રષ્ટિ આપવાના પ્રયાસ કર્યા. બાળકો પણ પોતાની આસપાસના માહોલમાં તે અંગે જાગૃત થયાં. શાળા કેમ્પસમાં - સાહેબ, મેં તો આજે આવું પતંગિયું જોયું હતું, સાહેબ મારા ઘરની પાસે લાંબી ચાંચ વાળું એક પક્ષી હતું - મેં પહેલીવાર જોયું. - આવા ડાયલોગ સંભળાતા થયા. બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેની આવી નજર પેદા કરવા બદલ શાળા કૂકૂનની આભારી છે. શાળાનું કામ તેને જાળવી રાખી તેમાં નવીનતાઓ ઉમેરવાનું છે.

આવી જ નવીનતાઓ માટે શાળા દર વર્ષે એક દિવસ - પ્રકૃતિનો આભાર માનવા / માણવા જાય છે. દર વર્ષે શાળા દ્વારા યોજાતા પર્યટન આવા જ ઉદ્દેશ્ય દ્વારા શરૂ કરાયેલ પ્રવૃત્તિ/પ્રસંગ નો જ એક ભાગ છે. ગામની નજીક આવેલ મહીસાગર નદી કે જેને અમે સૌ માતા તરીકે માનતાં/માણતાં આવ્યાં છીએ તેને વર્ષે એકવાર મળવા જઈએ છીએ. જેમાં થતી ક્રિયાઓ ખૂબ જ આહલાદક હોય છે. પગપાળા જવું ખેતરો ખૂંદવા - કોતરો ઓળંગવા - ચાલવું - દોડવું - ઊંચકવું - નાચવું - ગાવું - રમવું - કૂદવું - લટકવું - ઊછળવું - માનવ જાત આનંદમાં આવે અને જે જે કરે તે તમામ વર્તન આ પ્રવાસમાં માણવા મળતી હોય છે. એટલે જ તો શાળા દર વર્ષે ગ્રામોત્સવની જેમ જ આ તહેવારની રાહ જોઈને બેઠી હોય છે. પરંતુ આ વખતે પર્યટન માટેના આયોજન સમયે થયેલ કેટલીક ઘટનાઓ ઉત્તેજના પેદા કરનારી હતી..

આમ તો દર વખતે દિવાળી વેકેશન પૂર્ણ થાય અને શાળા ખૂલે કે તરત જ કેબિનેટમાં નિર્ણય લેવાઈ પર્યટનનો દિવસ નક્કી થઈ આયોજન થઈ જતું. પરંતુ આ વખતનું વાતાવરણ કંઈક અલગ હતું. દિવાળી વેકેશન બાદ ન નિવારી શકાય તેવા અને બાળકોએ વ્યસ્ત રહેવા પડે તેવા કાર્યક્રમો સતત અને સળંગ આવતા રહ્યા. એવામાં કેબિનેટ પોતે જ વ્યસ્ત હોય - કેબિનેટમાં પર્યટનનો મુદ્દો આવ્યો ખરો પણ ઉભરાની જેમ ! ચર્ચાનો અભાવ અને પ્રવાસ સચિવના સ્વભાવગત [ કહેશે તો કરીશું ] ને કારણે સમય વહેતો ગયો પણ પર્યટન જેવું કોઈ પ્રાર્થના સભામાં જાહેર ન થયું. બીજી બાજુ બાળકોમાં “બાહુબલી“ ના રાજ્યાભિષેક સમયના પેલા દ્રશ્યની જેમ ગણગણાટ શરૂ થયો હતો અને ચર્ચાઓમાં વારંવાર “પર્યટન ક્યારે“ વાળો સૂર સંભળાવવા લાગ્યો ત્યારે અમારો પ્રવાસ સચિવ જાગ્યો. અને જાહેરાત કરી દીધી કે પરમ દિવસે પર્યટન !

પ્રવાસ સચિવની ઓચિંતી જાહેરાતે આખી કેબીનેટને કામે લગાડી. કોણ શું કરશે - કોણ શું સંભાળશે તેની તાત્કાલિક સત્તાઓ સોંપાઈ.. અને શાળા બાળ પ્રવાહ નીકળ્યો માતાને મળવા - ગત આખું વર્ષ તાજામાંજા રાખ્યાં તેનો આભાર માનવા અને આવતા વર્ષ આખાય પંથકને આનંદમાં રાખજો તેવા આશીર્વાદ માંગવા !

ચાલો માતાને ખોળે જઈ પ્રકૃતિના આનંદને માણવા અને તે આનંદને માંગવા માટે યોજાતા પ્રસંગને ક્લિક કરી માણીએ !  >> ક્લિક કરો > અને માણો !