બાળકો મૂલ્ય શિક્ષણ ક્યાંથી શિખશે - શાળા કે સમાજ?
શાળા અને
અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તરફથી પ્રશ્ન એવો પણ આવે છે કે બાળકો ફક્ત શાળા કે સંસ્થા પાસેથી
શીખે છે એવું નથી. તેઓ આસપાસના પર્યાવરણમાંથી - સામાજિક વ્યવહાર, વર્તનમાંથી શીખે છે
અને હા, શૈક્ષણિક સંસ્થા કરતાં તેમાંથી વધુ શીખે છે, કારણ કે બાળક વધુ સમય તેઓની વચ્ચે
હોય છે. જો બારીકાઈથી જોઈએ તો બાળકો સમાજમાંથી શીખી શાળામાં એપ્લાય કરે છે. શાળા બાળકના
એ વર્તનમાં જરૂરી ફેરફાર સાથે તેને નવા અનુભવો આપે છે. બાળક પાછું સમાજમાં જઈને પોતાના
અનુભવો એપ્લાય કરે છે. ફરી પાછું તેમાંથી સમાજના નવા અનુભવો સાથે શાળામાં આવે... આમ
શાળા - સમાજ - સમાજ - શાળા - એક સર્કલ બની બાળકને અનુભવ કરાવવાનું, સમજાવવાનું, પરોક્ષ
રીતે શીખવવાનું અને કેળવવાનું કાર્ય કરે છે. માટે તમે સમજ્યા હશો કે આવતી કાલનો સમાજ
ફક્ત શાળા ઘડશે તેવો નાગરિકોવાળો નહીં હોય, તેમાં આજના સમાજની, સામાજિક વ્યવસ્થાઓની,
માન્યતાઓની અસર વધારે હશે. એવામાં જો બંધારણ ઇચ્છે છે તેવો સમાજ ધરાવતી પેઢી બને તે
માટે આપણે શું કરી શકીએ?
બાળકને
કેળવવું તે જેમ શાળા તરીકે ફક્ત આપણા હાથની વાત નથી - આવું જાણ્યા પછી આપણને શાળા અને
સમાજ બંને વચ્ચેના સમન્વયનું મહત્વ કેટલું છે તે સમજાયું હશે. જો આપણે શાળા તરીકે બાળકોમાં
મૂલ્યલક્ષી શિક્ષણ જેમ કે - સમૂહજીવન, લોકશાહી અને સામૂહિક સમસ્યા ઉકેલ કૌશલ્યો કેળવવા
ફક્ત વર્ગખંડો કે શાળા કેમ્પસમાં મથામણ કરતાં રહીએ છીએ, વર્ગખંડોમાં આપણે કહીએ છીએ
તેના કરતાં સમાજમાં તેને વિપરીત અનુભવોનું એક્સપોઝર મળે છે. ઉદાહરણ તરીકે - બાળકોને
સમજાવી કે લોકશાહી એટલે જ્યાં અસરકર્તા સૌ લોકોને પોતાનો મત આપવાનો હક આપેલો હોય! આવું
સમજીને ગયેલ બાળકના ઘરે તેના અભિપ્રાયોને મહત્વ આપતું વાતાવરણ જો ન જુએ તો - તે બીજા
દિવસે શાળામાં કાં તો પોતાના અનુભવો સાથે વર્તે અથવા તો શાળાના શિક્ષણ પર અવિશ્વાસુ
બની શાળા સાથે જોડાયેલો રહે! હવે વિચારો કે આવી રીતે શાળા સાથે જોડાયેલ - પરંતુ પોતાના
અનુભવો સાથેની માન્યતાઓ સાથે ઉછરેલ બાળક આવતી કાલનો નાગરિક બનશે તો તે બંધારણ અંતર્ગત
ભારતીય નાગરિક કેવો હોવો જોઈએ - તે સંકલ્પનાઓમાં ફિટ બેસશે ખરો? ફરી - શું કરી શકાય?
શાળા એટલે શૈક્ષણિક સંસ્થાઓએ પોતે બનાવેલી મર્યાદાઓ
તોડવી પડશે. શાળાનું કામ ફક્ત આવતી કાલની પેઢીને ધ્યાનમાં રાખીને વર્તવાની જગ્યાએ
- આપણે સૌ આજની પેઢીમાં પણ આવા મૂલ્યોની અસરકારકતા વધે તે માટે વર્ગખંડોની બહાર - શાળા
કમ્પાઉન્ડ વોલની પેલે પાર પ્રયત્નો, પ્રવૃત્તિઓ વિસ્તારવાં પડશે. આજની પેઢી અને આવતીકાલની
પેઢી બંને માટે અને બંનેની સાથે કામ કરવું પડશે. ફક્ત એક મૂલ્ય “સમૂહજીવન” ને ધ્યાને
રાખી વાત કરીએ તો - સાથે રહેવાથી - સાથે કામ કરવાથી - સાથે બેસી સંવાદ કરવાથી - કેટલી
આર્થિક, સામાજિક, માનવીય પ્રગતિ થઈ શકે છે? તે શાળા તરીકે સમાજમાં સમજાવી તેને ઉજાગર
કરી શકીએ તો પછી આપણાં બાળકો તેના સુખદ અનુભવો સાથે શાળામાં પ્રવેશતા દેખાશે અને હા,
આપણે સમજાવેલ સમૂહજીવનનું મહત્વ - તેવા પાઠમાં તેનો ભરોસો કાયમી થશે. અમે એટલા માટે
કહી શકીએ છીએ કે શાળાએ શાળા કેમ્પસમાંની “નાગરિક ઘડતર” પ્રવૃત્તિ અને “ગ્રામોત્સવ”
આ બંનેને અનુભવ્યાં છે.
ગાંધી આશ્રમ પ્રેરિત “પ્રેરણા પ્રવાસ” માં આવેલ મિત્રોનું શાળા કેમ્પસમાં રાત્રિ રોકાણ એ શાળા માટે આનંદ અને ગૌરવની પળ હતી. “ગુજરાતનાં પ્રેરણા સ્થળોની યાદી સાથે નીકળેલ આ પ્રવાસમાં પ્રેરણા સ્થળ તરીકે નવાનદીસર હોવાનું અનેરું ગૌરવ હતું. રાત્રે સૌ સાથે જીવ્યા અને વાતો કરી - મુદ્દો હતો શાળાનાં રોજિંદા કાર્યક્રમોમાં મૂલ્ય શિક્ષણ માટેનો અવકાશ અને વાતાવરણ નિર્માણના તરીકાઓ - ચાલો તમે પણ શાળાએ કરેલા વાતાવરણ નિર્માણનો આ સંવાદ માણી શકો છો -