September 30, 2025

શિક્ષણના ટેકા 

શિક્ષણના ટેકા é



દરેક વ્યક્તિ સતત શિખતો રહે છે. એવું આપણે સાંભળ્યું છે. અને જો શિક્ષક તરીકે તમે કાર્યરત હશો તો અનુભવ્યું પણ હશે. શાળા બહાર રહેલ બાળક પણ તેના પહેલા દિવસે તમે કરેલી કોઈ વાતમાં ઊછળી ઊછળી ને પોતાના અનુભવો કહેતો હોય છે.


ત્યારે મનમાં થાય કે બ્રહ્માંડમાં શીખ્યા વગર કોઈ રહી શકતું નથી. [ [ હવે જો તમને તમારા વર્ગખંડમાંના એ બાળકો યાદ આવ્યાં હોય કે તમે જે શીખવો છો તે તેઓ શીખ્યાં નથી - તો તમે આજે શીખી લો કે કેમ ન શિખાય એવું એ શીખી રહ્યાં છે. 😀 ] આસપાસમાં દેખાતું - અનુભવાતું - સંભળાતું - આ બધું સજીવને [ સજીવ એટલા માટે કહું છું કે દરેક જીવ પોતાની પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવા જીવે છે. અથવા તો એમ કહીએ કે જીવવા અનુકૂલન કરે છે. - હવે આ અનુકૂલન સાધવાનું પણ તે ક્યાંકથી તો શીખ્યો હોવો જોઈએ ને

ત્યારે હવે સૌને પ્રશ્ન થાય કે શીખવું નેચરલ છે તો પછી કુત્રિમ પ્રક્રિયાઓ શૈક્ષણિક સંસ્થાઓ શા માટે ઊભી કરાઇ  ?

હા, પ્રશ્ન વ્યાજબી પણ છે. વિચારો..

સજીવ સૃષ્ટિ કેટલા અબજ  વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી. તેમાંય માનવ અસ્તિત્વ લગભગ ૩ લાખ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. તો તેની સામે શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે કોઈ પ્રક્રિયા આધારિત શિક્ષણ કાર્ય કરાવવું - આ બધુ  હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું. હવે અસ્તિત્વ આવ્યા પછીના સમય થી લઈને જ્યારે આપણે શીખવા શિખવવાનું અનૌપચારિક ફોર્મેટ પહેલીવાર ક્યાંક શરૂ થયું હશે તે સમય સુધીના ગાળામાં પણ માનવ વિકસતો રહ્યો છે. એનો સીધો અર્થ થાય છે કે તે ઔપચારિક રીતે નવું નવું શિખતો રહ્યો છે. તો જ શક્ય છે કે આપણે આવું કઈક શીખવું જોઈએ અથવા તો શીખવવું જોઈએ એવું વિચારવા સમર્થ બન્યો હોય ને ?

તો ફરી પ્રશ્ન ત્યાં જ ઊભો કે - તો પછી શૈક્ષણિક સંસ્થાઓ શા માટે શરૂ થઈ હશે ? - રૂકો જરા સબર કરો 😀

પાછા ફરી અત્યારની શૈક્ષણિક પ્રક્રિયાઓ અને સંસ્થાઓ તરફ - અત્યારની સામાજિક સ્થિતિઓ તરફ જઈએ ! એક જમાનો એવો હતો જે જાણવા - જોવા માટે કેટલોય પ્રવાસ કરવો પડે. જ્યારે હાલની સ્થતિમાં ટેકનોલોજી કહીએ પછી ટેકનોલોજી ને કારણે ખૂબ બહોળો અનુભવ ધારક સમાજ - બંને આજે બાળકના જન્મ પૂર્વેથી તેનામાં એટલો બધો આનુભાવિક માહિતી ઈનપુટ કરી રહ્યાં છે કે જેને મેળવવા માટે માણસની અડધી ઉંમર વહી જતી અને તો પણ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડયા પછી મળતો - આજે આપણી સામેની આ જ પેઢી છે કે જે રોજેરોજ અઢળક શીખી રહ્યો છે. તેને જો આપણે વિઝયુંલાઇઝ કરવું હોય તો “વેલ” સાથે કરી શકો છે. જેમ વેલાની વૃધ્ધિ દિવસે ન વધે તેટલો રાત્રે અને રાત્રે ન વધે તેટલો દિવસે વધતો જાય છે તેવું જ બાળકનું શીખવું રાત દિવસ વધતું રહેતું હોય છે. હા પેલા વેલની જેમ જ !

ફરી તમે પૂછશો - તો શૈક્ષણિક સંસ્થાઓ....   હવે સબર કરવાની જરૂર નથી 😀

વેલ સૌથી ઝડપથી વધતી વનસ્પતિ છે - પરંતુ યાદ કરો કે આપણા બગીચામાં વેલની વધુ વૃધ્ધિ [ સમૃધ્ધિ ] અને  આકર્ષકતા માટે આપણે તેને જ્યાં ત્યાં નીચે ગૂંચાળાઈ જવાને બદલે તેને ટેકા આપીએ છીએ. એનું કારણ શું ? કારણ કે તેને આપણે ઇચ્છિત આકાર આપવા માટે અને તેના વૃધ્ધિમા ઝડપ માટે તેને ટેકા કરીએ છે. શિક્ષણનું પણ આવું જ છે. શૈક્ષણિક સંસ્થાઓ તરીકે આપણું કામ આવું જ કઈક છે. બાળકોના આનુભાવિક જ્ઞાન રૂપી વેલને વર્ગખંડની પ્રક્રિયાઓ પર જેમ જેમ ટેકતા જઈશું બાળકોનું શીખવાનું - સમજવાનું ખૂબ સમૃધ્ધ બનતું જશે !

યાદ રાખી કે વર્ગખંડની પ્રક્રિયાઓ દરમ્યાન ધીમે વાંચતો હોય કે આપણે ઉકેલ માટે ફેંકેલ કોયડામાં દર વખતે મુંજાતો હોય ! - આ વેલને આપણા ટેકાની ખૂબ જરૂર છે !

રીડિંગ રીલ્સ:

v શિક્ષકની ભૂમિકા: શિક્ષકનું કામ માત્ર જ્ઞાન આપવાનું નથી, પરંતુ વિદ્યાર્થીના કુદરતી શીખવાના વેગને ટેકો આપવાનું અને માર્ગદર્શન પૂરું પાડવાનું છે.

v શિક્ષકને એક માળી સાથે સરખાવવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીને તેના પોતાના જ્ઞાન રૂપી વેલાને આગળ વધારવામાં મદદ કરે છે, ખાસ કરીને જ્યારે તે મુશ્કેલી અનુભવે.









September 18, 2025

એસિમિલેશનથી એકોમોડેશન: શીખવાની અદભૂત દુનિયા !

એસિમિલેશનથી એકોમોડેશન: શીખવાની અદભૂત દુનિયા !

બાળકોની દુનિયા ખરેખર અજબ-ગજબની હોય છે. ક્યારેક આપણે સમજી શકતા નથી કે તેઓ કેવી રીતે અને કોની પાસેથી શું શીખે છે. Jean Piagetએ આ રહસ્યને ઉકેલતા જણાવ્યું કે બાળકો નિષ્ક્રિય રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાને બદલે, પોતાના પર્યાવરણ સાથે સક્રિયપણે ક્રિયા-પ્રતિક્રિયા કરીને શીખે છે. આ પ્રક્રિયામાં, તેઓ કોઈ વસ્તુ સાથે પ્રયોગ કરે છે, તેને તોડીને ફરીથી જોડે છે, અને નકામી ગણાતી વસ્તુઓ, જેમ કે ખાલી બોટલ કે કાગળના ટુકડા, વડે કંઈક નવું બનાવે છે. આ પ્રવૃત્તિઓ તેમને બે મુખ્ય પ્રક્રિયાઓ દ્વારા શીખવામાં મદદ કરે છે: એસીમીલેશન (Assimilation) અને એકોમોડેશન (Accommodation). એસીમીલેશનમાં, બાળક નવી માહિતીને પોતાના હાલના માનસિક માળખાં (સ્કીમા)માં ફિટ કરે છે. જ્યારે એકોમોડેશનમાં, તે નવી માહિતીને સમાવવા માટે પોતાના સ્કીમામાં સુધારો કરે છે અથવા તો નવા સ્કીમા બનાવે છે. આ સતત ચાલતી પ્રક્રિયાઓ બાળકોમાં જિજ્ઞાસા કેળવે છે અને તેમને પોતાની રીતે જ સમસ્યાઓનું નિરાકરણ કરતા શીખવે છે.

 આ વખતે આપણી નવા નદીસર પ્રાથમિક શાળાના બાળકોના સ્કીમાનો વિસ્તાર કરવાની એક અનોખી તક ઊભી થઈ. ટૂંકું સત્ર, રજાઓ અને અન્ય કાર્યોની વચ્ચે જ્યારે વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનો પત્ર આવ્યો, ત્યારે અમે પણ થોડા દિવસ માટે અચકાયા. જોકે, શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખે તાત્કાલિક એક ખાસ કેબિનેટ બોલાવી, જેમાં બધા ગ્રુપના લીડર અને સચિવો હાજર રહ્યા. આ બેઠકમાં જૂની કૃતિઓની યાદી, રાજ્યકક્ષાના પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓ અને ક્લસ્ટર કક્ષા માટેની પાંચ મુખ્ય કૃતિઓ વિશે ચર્ચા થઈ. એક લેખિત માર્ગદર્શિકા તૈયાર થઈ: દરેક ગ્રુપ એક-એક કૃતિ બનાવશે અને જો કોઈ ગ્રુપ કૃતિ ન બનાવે તો તેના પોઈન્ટ્સ માઇનસ કરવામાં આવશે. સૌથી મહત્ત્વનો નિર્ણય એ લેવાયો કે કૃતિના વિચારથી લઈને તેના નિર્માણ સુધી શિક્ષકોનો કોઈ સહયોગ લેવો નહીં. તેમાં થોડી (કે ઘણી) માથાકૂટ થઇ તો શિક્ષકોને ચાર્ટ બનાવી આપવાની છૂટ મળી. શિક્ષકોની ભૂમિકા ફક્ત કૃતિને રજૂ કરવા માટેનો ચાર્ટ બનાવવા પૂરતી સીમિત રહી.

આટલું નક્કી થયા બાદ, બાળકોએ જાતે જ કામ કરવાનું શરૂ કરી દીધું. શિક્ષકોને ખબર પણ ન હતી કે તેઓ શું કરી રહ્યા છે. એક દિવસ પ્રદર્શન રૂમમાં જતાં જણાયું કે તે કોઈ કબાડખાનું હોય તેમ વસ્તુઓ વેર-વિખેર હતી. જૂની કૃતિઓ તોડીને નવી કૃતિઓ બનવા લાગી હતી. બાળકોએ પોતે જ ઓનલાઈન વસ્તુઓ મંગાવી લીધી હતી.

જ્યારે ક્લસ્ટર કક્ષાના પ્રદર્શન માટે રજિસ્ટ્રેશનનો સમય આવ્યો, ત્યારે અમે આશ્ચર્યચકિત થઈ ગયા. પાંચ ગ્રુપની પાંચ કૃતિઓને બદલે, તેમણે કુલ ૧૫ કૃતિઓ તૈયાર કરી હતી! તે પણ જુદા જુદા આઈડિયા, રો મટીરીયલ અને સાવ નજીવા ખર્ચ સાથે.

આ સમગ્ર પ્રક્રિયામાં, બાળકો તો શીખ્યા જ પરંતુ, આપણા માટે શીખવાનું જો કંઈ હોય તો તે એ હતું કે જો મોટેરાઓ તરીકે આપણે તેમની વિચારવાની પ્રક્રિયામાં દખલ ન કરીએ, તો તેઓ આપણા કરતાં પણ વધુ સારી અને નવી રીતે વિચારી શકે છે. હવે તમે જ વિચારો કે જો શિક્ષકોએ દખલગીરી કરી હોત, તો કૃતિઓની સંખ્યા ૧૫ હોત? એક હોત કે પછી……??

રીડિંગ રીલ્સ

v  સ્વયં-શોધ દ્વારા શિક્ષણ (Self-discovery Learning): બાળકોને જાતે જ પ્રયોગ કરવા અને સમસ્યાઓ ઉકેલવાની તક આપવાથી, તેઓ વધુ સારી રીતે શીખી શકે છે.

v  શિક્ષકોની સીધી દખલગીરી વગર બાળકોએ જૂની કૃતિઓ તોડીને ૧૫ નવી અને જુદા જુદા આઈડિયા વાળી કૃતિઓ તૈયાર કરી, જે તેમની સ્વયં-શીખવાની ક્ષમતા દર્શાવે છે.

v  Jean Piagetનો સિદ્ધાંત: એસિમિલેશન અને એકોમોડેશન: બાળકો નવા જ્ઞાનને તેમના હાલના માનસિક માળખામાં સમાવીને (એસીમીલેશન) અથવા તેમાં સુધારો કરીને (એકોમોડેશન) શીખે છે.

વિજ્ઞાન-ગણિત પ્રદર્શન માટે જૂની વસ્તુઓ અને વિચારોનો ઉપયોગ કરીને બાળકોએ નવી કૃતિઓ બનાવી, જે પિયાજેના આ બંને સિદ્ધાંતોનું ઉદાહરણ છે. >> આગળ માણો પ્રદર્શન !






















VIDEO -: 


September 12, 2025

તેણે શું કરવું જોઈએ ?

તેણે શું કરવું જોઈએ ?

20 વર્ષથી શાળાનું સમગ્ર સંચાલન કરતા આપણા આ બાળકો માટે સ્વશાસન દિન હવે સંચાલન કરવાનો મોકો તરીકે નવીન રહ્યો નથી, પરંતુ આ દિવસ તેઓને થોડા વધુ ફેશનેબલ કપડાં પહેરવા, સૂટ-પેન્ટ ઇન-શર્ટ કરવું, સાડી પહેરવી કે જરા વધુ ગ્લેમરસ થઈને શાળામાં આવવા જેવા બહાનાઓ પૂરા પાડે છે. સામાન્ય રીતે પાંચમી સપ્ટેમ્બરે જ્યારે શિક્ષક દિન હોય છે, ત્યારે સ્વશાસન દિન ઉજવાય તેવી એક પરંપરા બંધાઈ ગઈ છે. આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરે રજા હતી, તેથી ચોથી સપ્ટેમ્બરે સ્વશાસન દિન ઉજવવાનો પત્ર મળ્યો.

પત્ર મળતાની સાથે જ શાળાના ઉપપ્રમુખ નિર્જલાનું રિએક્શન એટલું જ હતું કે આપણે ચોથીએ ન ઉજવી શકીએ કારણ કે હવે જોઈએ તે પ્રમાણે ઉજવણી કરવાની હોય તો આપણી પાસે માત્ર ત્રણેક જ દિવસ રહે છે અને એટલામાં અમારા બધાથી તેનું આયોજન થઈ શકશે નહીં. તેથી તેણે ઔપચારિક રીતે ગ્રુપના લીડરો વગેરે સાથે ચર્ચા કરી અને સ્વશાસન દિન માટે બારમી સપ્ટેમ્બરનો દિવસ પસંદ કર્યો. તેમાં એનું લોજીક જોઈને લાગ્યું કે તેઓને હવે શીખવા જેવી બાબતોની કાળજી લેતા આવડી ગઈ છે. તેણે વિચાર કર્યો કે જો શુક્રવારે આપણે સ્વશાસન દિન ઉજવીએ તો શનિવારે બેગલેસ ડે હોય ત્યારે તેના વિશેના અહેવાલ લખવા, પોતાના અનુભવ વ્યક્ત કરવા જેવા આયોજનો થઈ શકે.

આટલું નક્કી થયા પછી તેણે જે રીતે શાળાની પ્રિન્સિપાલ બનીને સમગ્ર દિવસ માટેના આયોજનો કર્યા છે તે તેની આવડત જ નહીં, પરંતુ શાળાની રોજ-બ-રોજની કાર્યરીતિનું પણ પ્રતિબિંબ હતી. કેટલા શિક્ષકોની જરૂર પડશે, કયા તાસ ક્યારે અને કેવી રીતે ફેરવવામાં આવશે અને "સ્વશાસન દિન છે એટલે આજે તો કશું શીખવાનું થયું નથી" એવી કોઈ જ ભાવના કોઈના મનમાં ઊભી ન થાય અને બરાબર જે શીખવાનું આયોજન હોય તે બરાબર શીખવાય તે માટે થઈને તેણે લેખિત આયોજનો તૈયાર કર્યા. જેમકે દરેક તાસ માટે બેસ્ટ ટીચર્સ હશે અને જરૂરી નથી કે મોટા છોકરાઓ કે છોકરીઓ જ નાના ધોરણમાં ભણાવવા જાય. ધોરણ પાંચ કે છનો વિદ્યાર્થી પણ ધોરણ આઠમાં તાસ લઈ શકે, માત્ર તેની રસરુચિ અને આવડત હોવી જોઈએ.

આ પ્રકારે તેણે આયોજન કરી બપોરે 2 વાગ્યે મધ્યાહન ભોજન પૂરું થાય પછી રિસેસ દરમિયાન જ એક મીટિંગ લીધી. એ મીટિંગ વખતે તેનો સૂચનાઓ આપવા માટેનો જે ટોન હતો તે કદાચ એક સારી લીડરશીપ કોને કહેવાય તે શીખવા જેવું હતું. એ રેકોર્ડિંગ બરાબર થઈ શક્યું હોત અને અમે તમારી સાથે શેર કરી શક્યા હોત. તેણે તેની વાતમાં “તમારે કયા ધોરણમાં કયો વિષય લેવો, તેના હાલના વિષય શિક્ષક કોણ છે, અત્યારે કયા ટોપિક ચાલી રહ્યા છે, એ ટોપિક અને બાકી રહેલા દિવસો મુજબ જોવા જઈએ તો શુક્રવારે તમારે તેમાંથી કયા ટોપિક વિશે ચર્ચા કરવાની થશે, તે ચર્ચા તમે કઈ અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને કરશો, કેવા કેવા પ્રકારના ટીચિંગ લર્નિંગ મટિરિયલનો ઉપયોગ કરી શકશો, ક્લાસ નેવિગેટરનો ઉપયોગ કેવી રીતે કરશો” જેવી બાબતો અને એની સાથે “આપણું શીખવાનું કેમ મહત્વનું છે” એ બધી જ ચર્ચાઓ કરી.

ફરી 12મી સપ્ટેમ્બરના દિવસે પણ તેણે એક મોટી સામુહિક બેઠક લીધી અને લીડરશીપનું બીજું પાસું બતાવ્યું કે “હું બધા જ ધોરણમાં ફરીશ અને જોઈશ કે કોણ પોતે કરેલા આયોજન મુજબ કામ કરી રહ્યું નથી અને ક્લાસ નેવિગેટર બરાબર કરી રહ્યું નથી. તો એ તમામ બાબતો કે જેવું તમે નક્કી કર્યું છે તે પ્રકારે કાર્ય થાય તેવું કરજો અને મારી જ્યાં જરૂર પડે ત્યાં મને જણાવજો.”

અમે સૌ શિક્ષકો તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આપણા કામમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટેની અલગ જ મીટિંગ લઈને બેઠા હતા. ફોટોગ્રાફ્સ, વિડિયોઝ વગેરેનું કામ એક બીજી તરફ ચાલી રહ્યું હતું. તેમના બધાના ફીડબેક સાંભળ્યા પછી અમને પણ ખૂબ મજા પડી. એક નિર્જલાનો ફીડબેક હતો, “અરરર ટાંટિયા ફરી ગયા. ભાષાભવનથી જ્ઞાનભવન અને જ્ઞાનભવનથી ભાષાભવન ફરી ફરીને એવું થયું કે આના કરતાં એકાદ ધોરણમાં એકાદ વિષય લઈ લેવો વધુ સારો.” પરંતુ આ વિડિયો જોઈને તમે સૌ કહો કે તેને એકાદ ધોરણમાં બેસીને એકાદ વિષય લઈ લેવો સારો કહેવાય કે આ પ્રકારની લીડરશીપનું ઉદાહરણ પૂરું પાડવું એ વધુ સારું કહેવાય? > વિડીયો

રીડિંગ રીલ્સ :

v નેતૃત્વના ગુણ : આયોજન અને દૂરંદેશી: તેણે સ્વશાસન દિનની ઉજવણી માટે માત્ર એક દિવસને બદલે આયોજન માટે પૂરતો સમય લીધો. તેણે ઉજવણી પછીના દિવસનું પણ આયોજન કર્યું જેથી અહેવાલ અને અનુભવો વ્યક્ત કરી શકાય.

v વ્યવસ્થાપન અને ટીમવર્ક: તેણે એકલે હાથે બધું કરવાને બદલે ગ્રુપ લીડર્સ અને સચિવો સાથે બેઠક યોજી, તેમને જવાબદારીઓ સોંપી અને સૌને સાથે રાખીને કામ કર્યું.

v સચોટતા અને સ્પષ્ટતા: તેણે માત્ર કામ પૂરું કરાવી દેવાને બદલે  દરેક તાસ માટે વિષય, અધ્યયન નિષ્પત્તિ અને ટીચિંગ-લર્નિંગ મટીરીયલ જેવી બાબતોનું લેખિત આયોજન તૈયાર કર્યું.

v માર્ગદર્શન અને નિરીક્ષણ: તેણે આયોજનની સાથે સાથે જરૂર પડ્યે મદદ અને માર્ગદર્શન આપવાની ખાતરી આપી. તેણે નિરીક્ષણ પણ કર્યું જેથી કાર્ય નક્કી કરેલા માપદંડ મુજબ થાય.

























VIDEO