August 13, 2024

નાગરિક ઉઘડતર - બાળકોનું, બાળકો માટે, બાળકો વડે !

નાગરિક ઉઘડતર - બાળકોનું, બાળકો માટે, બાળકો વડે !

માણસ જિંદગીભર શીખતો રહે છે. શીખવું એક એવી પ્રક્રિયા છે કે તમે શીખવા ન ઇચ્છો તો પણ તે અટકે નહીં ! ઊલટાનું તમે ન શીખવાનું નક્કી કરો તે પણ એક નવું શીખવાનું છે. શિક્ષક માટે તો આ ભારપૂર્વક કહેવાયું છે કે સતત શિખતો રહે એટલે કે જીવનભર વિદ્યાર્થી બની રહે તે જ શિક્ષક પોતાનામાં શ્રેષ્ઠતા લાવી શકે. શિક્ષક બનવાનું એટલે જ નવું નવું જાણવાનું -સમજવાનું - શીખવાનું અને શિખવવાનું !

આપણે સૌ સતત બાળકો સાથે કાર્ય કરતાં આવ્યાં છીએ એટલે બાળકોના માનસને આપણે ખૂબ સારી રીતે સમજતાં હોઈએ છીએ.  એનાથી ઊંધું વિચારીએ તો ચાર - પાંચ વર્ષ આપણા સૌ સાથે વર્ગખંડોમાં કામ કરતાં કરતાં આપણાં બાળકો આપણને ખૂબ સારી રીતે જાણી ગયાં હોય છે. એટલે જ તો શાંતિલાલ સાહેબને તો એક જ વાર કહેવું પડશે .. ગોપલસાહેબને વારંવાર યાદ કરાવવું પડશે. દર્શનાબેનનું કામ તો ચોક્કસ છે. આ વાત તો આ સાહેબને જ કહેવાય ! - આ બધું તેઓ પણ શીખી ગયાં હોય છે. જેમ શાળામાં આવતા કેટલાક પરિપત્રો  સમયે આપણો બળાપો હોય છે કે આમ નહીં,  આ કાર્યક્રમ આ રીતે કરવાનો કહ્યો હોત તો મજા આવત - આપણી જેમ બાળકોનો પણ એવો જ બળાપો હોય છે - કે આમ નહીં,  પણ આ રીતે આપણે કેમ્પસને, આ રીતે નહીં આ રીતે પ્રવૃત્તિ કરીએ વગેરે વગેરે.. [ આમાં તમારા જેટલા બળાપા હશે તેના કરતાં પણ વધારે આપણા બાળકોના હશે ]

2008માં નાગરિક ઉઘડતર પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે શાળાનો ઉદેશ્ય એ જ હતો કે શાળામાં 10 શિક્ષકોની સામે 300 બાળકો છે. એટલે કે જેઓ વધુ ફોર્સમાં શાળા કેમ્પસમાં હોય છે તેઓના હાથમાં શાળાનું સંચાલન સોંપાય ! શાળાનું સંચાલન સોંપવા માટેની પહેલી શરત હતી કે બાળકોને એમ્પાવર કરવામાં આવે તો જ તેઓ જવાબદારી સ્વીકારતાં થાય. આપણે સૌ જાણીએ છીએ કે જવાબદારીઓનો સ્વીકાર ત્યારે જ શક્ય છે જ્યારે ફક્ત જવાબદારીઓ જ નહીં સત્તા પણ સાથે મળી રહે.

શાળા એટલે - બાળકની, બાળક માટે અને બાળક વડે ચાલતી સંસ્થા

શાળાકીય પ્રવૃત્તિઓ જેમના માટે કરવાની છે, તેઓ પોતે જ આ અમે કેવી રીતે કરીશું? એવું નક્કી કરતાં થાય પછી  શાળા સંચાલનની તમામ ચિંતાઓ દૂર થઈ જાય. ઘણીવાર એવું બને કે શાળામાં કોઈક નવીન પ્રવૃત્તિ સૌએ ભેગાં મળી શરૂ કરી હોય, શરૂ શરૂમાં દરેકનું ધ્યાન હોય…. ધીમે ધીમે બીજી નવીન પ્રવૃત્તિ ઉમેરાતાં જૂની (પણ બાળકો માટે ઉપયોગી)  પ્રવૃત્તિ અસ્ત થતી જતી હોય છે. પરંતુ તેનાથી વિપરીત બાળકોનો એક સ્વભાવ એ હોય છે કે તેઓને સોંપાયેલ દરેક કામ તેઓ મહત્વના કામ તરીકે છેક સુધી કરતાં હોય છે. જવાબદારી  સોંપાયેલ પહેલા દિવસ જેટલી જ ચીવટ તેઓની લગાતાર જોવા મળતી હોય છે. પરિણામે આપણને સતત દરેક કાર્ય પ્રત્યે જાગૃત રાખવાનું કામ પણ તેઓ કરતાં હોય છે. તેઓના આવા સ્વભાવના કારણે જ દરેક કાર્યમાં તેમના અનુભવ ખૂબ જ અસરકારક બની રહે છે.

શાળા સંચાલન એ  જટિલ પ્રક્રિયા છે. - એવું આપણે સૌ માનતાં હોઈએ છીએ. પરંતુ નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ અંતર્ગત જેમ જેમ બાળકોએ અમારી શાળાની સંચાલનની  જવાબદારીઓ નિભાવવાનું શરૂ કર્યું તેમ તેમ તેઓએ શાળાને સરળ ઉકેલ આપ્યા છે. દોડધામ કરાવતા પ્રવાસ કે પછી યુનિફોર્મ જેવી બાબતોમાં તો કાઠું કાઢ્યું છે. [ તેઓએ પસંદ કરેલ યુનિફોર્મને સરકારશ્રીએ પોતાના બેનરમાં સ્થાન આપ્યું હતું. ]

લોકશાહી ઢબે સૌ સાથે મળી કામ કરતાં કરતાં ઘડાઈ ગયેલ અમારી સંસદના લીડર - ઉપલીડર શાળા મુલાકાતે આવેલ ઘણીબધી શાળા વ્યવસ્થાપન સમિતિઓના પ્રશ્નોને ઉકેલ આપે છે.  શાળા સંચાલનમાં ઘડાઈ ચૂકેલ બાળકો પૈકીનાં પ્રમુખ અને ઉપપ્રમુખને જિલ્લામાં તજજ્ઞ અન્ય શાળામાં સંચાલન માટેની તાલીમ આપવા માટેનું આમંત્રણ મળે છે ત્યારે આનંદ અને ગૌરવ બંને થાય.

कभी कभी मास्टरजी होकर हम सोचते है कि सबकुछ बच्चें ही कर लेते है तो हम यहाँ क्या कर रहे हैं? કારણ કે નવાઈની વાત એ છે કે નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ વડે હવે બાળકોનું ઊઘડતર કરવાનું કામ પણ બાળકો જ કરે છે !

“સ્કૂલ મેનેજમેન્ટ કોર્સ” સમાન આપણી આ નાગરિક ઉઘડતર પ્રવૃત્તિ ને વિગતે જાણવા ક્લિક કરો. 



No comments: