October 01, 2022

સંયુક્ત કુટુંબજીવન - સમૂહ જીવન - શાળા જીવન ! [ નવરાત્રી મહોત્સવ ૨૦૨૨ ]

સંયુક્ત કુટુંબજીવન- સમૂહ જીવન- શાળા જીવન !

નવરાત્રી મહોત્સવ - ૨૦૨૨  🙏


રોજિંદા સમાજ જીવનમાં તહેવાર એ માનવજીવનમાં નવો જોશજુસ્સો ઉમેરવાનું કામ કરે છે. સામાજિક તહેવાર  વર્ષ દરમ્યાન આવતા એવા માઈલસ્ટોન સાબિત થતા હોય છે કે જે બગડેલા સામાજિક સંબંધોને પાટા પર લાવવાનું કામ કરતા હોય છે. તો ધાર્મિક તહેવારો ધર્મ પ્રત્યેની આસ્થાને પાકી કરવાની અને અન્ય ધર્મ પ્રત્યે આદરભાવ દ્વારા એજબીજાને જાણવાની પળ હોય છે. એવી જ રીતે રાષ્ટ્ર પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરવા રાષ્ટ્રીય તહેવારો હોય છે. સંસ્કૃતિને યાદ કરી આવનાર ભવિષ્યના આયોજનની શીખ મેળવવા માટે સાંસ્કૃતિક તહેવારો ઉજવાય છે. તો કેટલીક જગ્યાએ તે માટે મેળા ભરાતા હોય છેગામમાં રહેતા અલગ અલગ જ્ઞાતિ-જાતિ અને પ્રદેશના ગ્રામજનો સૌ સાથે મળી ઉજવી શકે તે માટે નવાનદીસર ગામથી ગ્રામોત્સવની ઉજવણી શરૂ થઈ. આમ તહેવારો હંમેશાં લોકોને એકબીજા સાથે જોડવાનું અને આનંદ આપવાનું કામ કરે છે.

બાળકો સમાજ અને શાળા બહારના પર્યાવરણમાંથી શિક્ષણ મેળવતાં રહે છે તો, શાળાનું કામ શું છે? એવા પ્રશ્નના જવાબમાં અમે પણ એ જ કહીએ છીએ કે શાળાનું કામ તહેવાર જેવું હોય છે. જેમ તહેવાર  - સમાજના સૌ લોકોને જોડે છે, જોડવાની સાથે સાથે સમૂહમાં જીવતાં શીખવે છે. તે માટેના પાયાનું કામ શાળા કરતી હોય છે. શાળામાં અને  તહેવારો જેવું પણ સમયાંતરે આવા જે કામ તહેવાર સમાજ માટે કરે છે તે જ કામ શાળા બાળકો માટે કરતી હોય છે. એટલે કે શાળા અપાતા શિક્ષણનો મતલબ  ફક્ત પાઠ્યપુસ્તક પૂરતો સિમિત નથી. શાળાકીય જીવનમાં બાળકોમાં વિકસતા વ્યક્તિત્વ વિકાસના ગુણોમાં સામૂહિક જીવનના પાઠ એ બાય પ્રોડક્ટ હોય છે. સમૂહમાં વર્તવું કેવી રીતે? સામૂહિક નિર્ણયોમાં આપણી ભાગીદારી અને ફરજોઆ બધી બાબતો બાળક શાળાકીય જીવન દરમ્યાન સમૂહમાં રહીને નાગરિક ઘડતર જેવી પ્રવૃત્તિઓ વડે શિખતો હોય છે. સમૂહ જીવનનું વર્તન અથવા તો સમૂહકાર્ય સમયે બાળકનો સ્વભાવ તેના શાળાકીય જીવન આધારિત ઘડાતો હોય છે. એટલે જ તો સંયુક્ત કુટુંબમાં ઉછરેલા બાળકો લાગણીશીલ  - સહનશીલ અને આત્મવિશ્વાસું અને સાહસિક હોય છે. શાળા બાળકો માટે આવા સંયુક્ત કુટુંબની પણ ગરજ સારતી હોય છે.

શાળામાં ઉજવાતા તહેવારો વડે બાળકોને સમૂહમાં સાથે લાવવાનું કામ બખૂબી થતું. તે પછી રાષ્ટ્રીય તહેવાર હોય કે સામાજિક કે ધાર્મિક ! આવું જ વાતાવરણ જ્યારે શાળામાં ત્યારે નિર્માણ પામ્યું જ્યારે શાળામાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું. મારો મિત્ર મારા ગામનો નથી, અથવા તો આ તો પેલા ફળિયાની છે અથવા તો આપણા મનમાં ઉદ્ભવતી ભેદરેખાઓ પૈકી એકપણ તેઓનામાં ન દેખાઈ ! સાહેબ, મારી બહેનપણીઓ સાથેનો ફોટો પાડયો તે મારી મમ્મીના મોબાઇલમાં મોકલજો. તેમાં બધાનાં ગામ અને ફળિયાં અલગ અલગ છતાં સૌ બહેનપાણીઓ સાથે અને સમૂહમાં આનંદ લઈ રહ્યાં છે ! એકબીજાની પાક્કી બહેનપણી બનવાનું નિમિત્ત પણ શાળા છે તેનું અમને ગૌરવ છે. આપણા મગજમાં ભેદ રેખાઓ ડોકાઈ આવે તે સ્વાભાવિક છે કારણ કે આપણે પરિપક્વ બની એવા સામાજિક જીવનમાં જોડાઈ ગયાં છીએ જ્યાં આપણને આવા ભેદ જોવા મળી રહ્યા છે. પરંતુ બાળકોનું તો અત્યારે શાળાકીય જીવન છે. એટલે તેઓના માનસ પટમાં આવા ભેદની કોઈ લકીર નથી. શાળાકીય જીવન દરમ્યાન જો આવી ઉજવણીઓ અને સહાભ્યાસિક પ્રવૃત્તિઓમાં સાથોસાથ રહેવાની જરૂરિયાત વારંવાર ઊભી કરીએ તો ભેદભાવ વિના સમૂહમાં રહેવું , સમૂહમાં જીવવું એ સ્વભાવ બનતાં વાર નહીં લાગે. સ્વભાવ વડે જ જીવનશૈલી બનતી હોય છે. માટે ભવિષ્યના ભેદભાવ વિનાના સમાજ નિર્માણની અપેક્ષા માટે પણ આજથી અને આવી ઉજવણીઓ સાથેના પ્રયત્નો વડે લાગી પડવું પડશે. ચાલો નવરાત્રિના આ ફોટા અમારા આ માટેના પ્રયત્નોના દસ્તાવેજ છે તો દિવાળી પર શાળાને દીપોત્સવ વડે શણગારતી ટીમના ફોટોગ્રાફ એ ભેદરહિત સમાજ નિર્માણમાં સર કરેલ પ્રથમ પગથિયા સમાન છે.

તેઓ ફક્ત પ્રકાશિત દીવડાઓ નથી, ગામ/શાળાની દીવાદાંડી પણ છે. તો આવો અમારા આંગણે આ ફોટોગ્રાફ્સ દ્વારા, અમારી લાગણીઓને ચાખવા.















વિડીયો -:  નવરાત્રી મહોત્સવ ૨૦૨૨ 


દિવાળીમાં શાળાને  શણગારતી ટીમ નવાનદીસર 




No comments: