April 01, 2019

આપણી સમસ્યાઓ અને તેને જોવાની દૃષ્ટિ !



આપણી સમસ્યાઓ અને તેને જોવાની દૃષ્ટિ !

દરેક વ્યવસાય સમસ્યાઓથી ભરેલો છે. અને દરેક વ્યવસાયી તેને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. પછી તે કોઈ સામાન્ય સંસ્થા કે નામાંકિત કંપની કેમ ન હોય? – તે સૌ પોતાની પ્રૉડક્ટની બજાર માંગ વધારવા અથવા તેને ટકાવી રાખવા સતત પ્રયત્ન કરતી રહે છે. માર્કેટ વ્યૂ નો સતત ખ્યાલ રાખી, અભ્યાસ કરતા રહેવો  અને તેના ધ્વારા પોતાની પ્રૉડક્ટમાં બદલાવ લાવી બજારમા ટકી રહેવા પલ-હરપલ સતત ગ્રાહકોનો સંપર્ક અને ગમા અણગમાનો અભ્યાસ ચાલતો હોય છે. સામાન્ય નિયમ છે કે સમયાંતરે બદલાવ લાવે તે જ બચે, ના બદલાય તે નામશેષ થાય !
આપણો શિક્ષકનો વ્યવસાય પણ તે પૈકી એક છે. આપણું નસીબ છે કે “શિક્ષક” – એ ખૂબ પવિત્ર વ્યવસાયના લીસ્ટમાં સામેલ છે. પરંતુ બદલાવ અને આધુનિકતા એ દરેક વ્યવસાયની આવશ્યકતા છે, તેમાં આપણો વ્યવસાય પણ બાકાત ન હોઈ શકે ! આપણો વર્ગખંડ બાળકોની કીલકીલારીઓની અને સાથે-સાથે ઘણી ચેલેન્જીઝ સહિત આપણી રાહ જોતો ઉભો હોય છે. ત્યારે આપણી તેના પ્રત્યેની દ્રષ્ટિ તેમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. બાળકો સાથેનો લગાવ આપણને તેમાં સૌથી વધારે મદદરૂપ થતો હોય છે. એક વ્યવસાયિક શિક્ષક તરીકે વર્ગખંડમાં પ્રવેશીએ ત્યારે બાળકો પ્રત્યે ગ્રાહકની જ દ્રષ્ટિ જ ઉભી થાય છે. પરિણામે બાળકોના અભ્યાસ માટેના વિઘ્નો એટલે કે સમસ્યાઓને પણ આપણે એ જ દ્રષ્ટીએ જોયા કરીએ છીએ. જેમાં ઉકેલ આપણા હાથની વાત ન હોય તેમાં આપણાથી થાય તેટલો પ્રયત્ન પણ ન કરી આખું વર્ષ સમસ્યાઓ વાગોળવામાં આપણી એનર્જી વપરાઈ જતી હોય છે. કેટલાંક કેસમાં તો આપણને પણ ખબર હોય છે કે આ વાલી તો ક્યારેય બાળકને ચાહીને નહિ ભણાવે, ત્યારે આપણે મગજમાં વાલીને ધ્યાને રાખી બાળક સાથે ડીલ કરતાં હોઈએ છીએ. પરંતુ એકવાર એ ડીલને બાજુએ રાખી દિલને વચ્ચે લાવીએ. વ્યવસાયી શિક્ષક ને બદલે માં-સ્તર બની બાળક તરફ મમતાભરી નજર નાખીએ તો અનુભવાશે કે વાલીના વાંકે તેના બાળકને સમાજમાં નિરક્ષર રહેવા માટે ન છોડી શકાય. [ કારણ > આપણી જવાબદારી કેટલી ? ] આવા કિસ્સામાં દિમાગ ને બદલે દિલથી એટલું જ વિચારાય કે આપણે આપણે તેની માં-સ્તર હોવાનાં નાતે વધુમાં વધુ કેટલું ભલું કરી શકીએ છીએ. જો દિમાગ સાથે વર્ગખંડમાં પ્રવેશીશું તો સમસ્યાઓની ભરમાર જ પહેલી નજરે પડશે, જો દિલથી પ્રવેશીશું તો બાળકોનો પ્રેમ નજરે પડશે – અને જો દિલ અને દિમાગ સાથે વર્ગખંડમાં પ્રવેશીશું તો – બાળકોનો પ્રેમ અને સમસ્યાઓના ઉકેલ નજરે પડશે. કારણ અમે પહેલાં પણ કહ્યું છે કે .. જ્યાં પ્રેમ છે ત્યાં બધા જ ઉકેલ નીકળી આવે છે. અને પ્રેમ ત્યાં જ થાય છે જ્યાં સંવાદનું અસ્તિત્વ છે. આપણે આપણા વર્ગખંડોમાં કેટલાં બાળકો સાથે રોજેરોજ અનૌપચારિક સંવાદ કરીએ છીએ? વિચારશો તો ખ્યાલ આવશે કે જે બાળક  સાથે ઓછો સંવાદ કર્યો છે તેના વાલીનો સંપર્ક વધારે કરવો પડ્યો હશે ! માટે જ ચાલો નિશ્ચય કરીએ કે છેલ્લી પાટલી સુધીના બાળકો સાથે સંવાદ કેળવીશું. અને તો જ દરેક બાળકો સાથે પ્રેમ થશે – અને એકવાર બાળકો સાથે પ્રેમ થઇ જશે પછી વર્ગખંડોમાં જીવાવાનું શરુ ન થાય તો કહેજો !!!