September 06, 2011

સ્વશાસનદિનની ઉજવણી......


અમારી શાળાનો....સ્વશાસનદિન..... 


શાળામાં  સ્વશાસનદિનની  ઉજવણી એટલે કે જાણે તે દિવસે બાળકો ધ્વારા  શાળા પરિવારનું પ્રતિબિંબ...આખા વર્ષ દરમ્યાન વર્ગખંડમાં શિક્ષકશ્રીએ  શૈક્ષણિક કાર્ય દરમ્યાન કરેલ આરોહ-અવરોહ સાથેનું same to same અને copy to copy  બાળક ધ્વારા પુનરાવર્તન એટલે જ સ્વશાસનદિન,....તેના ધ્વારા આપણને ઘણું જાણવા મળે છે....કે આપણે વર્ગખંડોમાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન આપણા વર્તનમાં વધારાના એવું  શું-શું કરીએ છીએ અને શું-શું કહીએ છીએ.જે પ્રત્યે આપણું ધ્યાન નથી હોતું...પણ આ તો બાળક છે,તે ફક્ત આપણા શૈક્ષણિક કાર્ય તરફ જ ધ્યાન આપે તેવી કોઈ આચારસંહિતાથી બંધાયેલો નથી હોતો, બાળક તો નિરીક્ષણ શક્તિનો ભંડાર અને અનુકરણશક્તિનો સ્ત્રોત છે,અને તેથી જ સ્વશાસન દિનના દિવસે બાળક ધ્વારા જ આપણને આપણી શૈક્ષણિક કાર્ય દરમ્યાનની ખામીઓ-ખૂબીઓ જાણવા મળે છે, અને જો આ ખામીઓ-ખૂબીઓને હકારાત્મક લઈશું  તો આપણને આજના સ્વશાસનદિન દરમ્યાનના બાળકો વર્તનથી મજા અને માર્ગદર્શન બંને મળશે.....સાથે-સાથે સ્વશાસન દિનનો મોટો લાભ આપણને એ છે કે તે દિવસે બાળકો જયારે આપણી જગ્યાએ શિક્ષણકાર્ય માટે ઉભા હશે ત્યારે ચાલુ શૈક્ષણિક કાર્યમાં આપણને તેમની કઈ વર્તણુંક શિક્ષણની લય તોડે છે તેનો પણ તેમને ચોક્કસ ખ્યાલ આવશે...
                       ચાલો....આજના સ્વશાસન દિનને  જય શિક્ષણ,જય શિક્ષકના નવા સૂત્ર વડે ઉજવીએ......... 



 પોતાના અનુભવો વહેંચતા બાળકો 
આ સિવાય સ્વશાસનદિન નિમિત્તે એવા ક્યાં પરિબળો પર ધ્યાન રાખવાથી આપણા શૈક્ષણિક પ્રક્રિયાને વધુ Sharp બનાવવા શું કરી શકાય તે કોમેન્ટમાં જરૂર લખો.

September 05, 2011

આપણા ગૌરવ સમો "શિક્ષકદિન"





શિક્ષકદિન એટલે જ આપણા વ્યવસાયનું ગૌરવ લેવાનો દિવસ..શિક્ષક સમાજનો શિલ્પી .....નિર્માણ ઔર પ્રલય ઉનકી ગોંદ મેં ખેલતે..... વગેરે અઢળક કહેવતો આપણા સમાજમાં આપણને આપણા વ્યવસાયમાં ગર્વ ઉપજાવે તેવી હજુ પણ અસ્તિત્વમાં છે,પરંતુ આ સમાજમાં આપણું સ્વરૂપ ધીમેધીમે બદલાતું જતું હોય તેવું અમને લાગી રહ્યું છે,આપણું એ સ્વરૂપ અત્યારે નથી રહ્યું જે સ્વરૂપ જોયા પછી આ કહેવતો અસ્તિત્વમાં આવી હોય...જો આપણે શિક્ષક સમાજના એક મોટા ભાગની વાત કરીએ તો તે  જમાનામાં સમાજમાં જે સ્થાને આપણે હતા તે સ્થાને અત્યારે આપણે નથી રહ્યા તે એક કડવું સત્ય અને સાથે-સાથે દુઃખદ બાબત છે, માટેના અનેક કારણો હોઈ શકે છે,એવું નથી કે બધા જ કારણોમાં આપણે જવાબદાર હોઈએ પણ..જે જે જગ્યાએ આપણી જવાબદારી બનતી હોય તેવી કેટલીક બાબતોમાં પણ આપણે ઉણા  ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે, વધારે દુઃખદ વાત તો તે છે કે આપણે આ માટેના કારણો જાણતાં હોવા છતાં તેની તેને દુર કરવા માટેનો જોઈએ તેવો મોટો કોઈ પ્રયત્ન  જોવા મળતો નથી...
આવો,આપણને ગૌરવ થાય તેવા શિક્ષકદિને આપણે એવો કોઈ સંકલ્પ કરીએ કે આપણા તરફથી થતી ખામીઓનું નિવારણ કરી આપણે ફરીથી સાચા એવા શિલ્પી બનીએ કે આપણા વ્યવસાયી વારસોને શિક્ષક બનવાનું ગૌરવ થાય.....

આવો,બાળક બનીએ !!!!






કોણ શીખવશે આપણને બાળક બનવાનું ?
Ø  
                                          આપણને જ્યારે-જયારે પણ પૂછવામાં આવે કે શું  બચપણ પાછું જોઈએ છે??? તો હું માનું છું કે બધા મોટાભાગના મિત્રોનો જવાબ હકારાત્મક મળે...કારણ કે માણસના જીવનનો સૌથી વધારે આનંદમય અને બિન્દાસ સમય જો કોઈ હોય તો તે તેનું બાળપણ છે, બાળપણમાં રમકડાં મળવાથી થયેલ આનંદની સામે આજે રોકડ[પગાર] મળવાનો આનંદ પણ વરસાદ વિનાના ચોમાસા જેવો લાગે છે, અને જો આપણને  ફરીથી બાળક બનવા મળતું હોય તો આપણે તેની કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થઇ જઈએ છીએ...પણ આજ વસ્તુ શિક્ષકના વ્યવસાયમાં કોઈ પણ કિંમત ચુકવ્યા વિના મફતમાં મળે છે..અરે!!! મફત નહિ પણ ઉપરથી પગાર રૂપે વળતર પણ મળે છે, ત્યારે કદાચ આપણો અહંકાર/ગર્વ/હોદ્દો/શરમ/આળસ જેવા કોઈ એક આપણામાંનો ગુણ[?]  આપણને વર્ગખંડોમાં આપણા બાળકોની સાથે  બાળક બની આપણને ફરીથી બાળપણ ભોગવતા રોકે છે,.માસ્ટર ટ્રેનર્સ કે રિસોર્સ પર્સન ધ્વારા અપાતી  તાલીમો અને શિક્ષણ-શાસ્ત્રીઓના ધ્વારા અપાતા માર્ગદર્શન આપણને એક એવા સારા શિક્ષક બનાવી શકશે કે જે બાળકોને સારૂ શૈક્ષણિક માર્ગદર્શન પૂરૂ પાડે... પણ બાળક સાથે બાળક બનવાનું તો આપણે જાતે શીખવું રહ્યું .......બાળકો જેમને જોતાની સાથે ખૂશ થઇ જાય છે તેવા અમારા બાળ-શિક્ષક ચંદુભાઈ.....


September 01, 2011

આપણા સૌની-"મસ્તી કી પાઠશાલા"

say....
"happy birthday" 2 NavaNadisar Primary School


              18મી ઓગષ્ટ........ અમારી શાળાનો જન્મદિવસ એટલે કે સ્થાપનાદિન.....૩૪વર્ષથી બાળકોના કીલ્લોલનો આનંદ લુંટતી અને આટલા વર્ષો સુધી બાળકોને પોતાના ખોળામાં રમાડતી-ભણાવતી અમારી શાળાના ભવનને અમે જયારે ધ્યાનથી નીરખીએ છીએ ત્યારે અમને એક પ્રૌઢ- માર્ગદર્શકના દર્શન થાય છે, ગમે તેટલા તેના પર રંગ રોગન કરાવી તેને નવીન બનાવવાનો પ્રયત્ન કરીએ,ત્યારે તે અમારે ત્યાં આવનાર મુલાકાતીઓ માટે તે સરસ મજાનું ભવન બની જાય છે,પરંતુ રંગ-રોગાનના તે ચમકારાની અસર અમારા ઉપર ન થવાનું એક કારણ એ છે કે અમારે માટે તો આ શાળા-ભવનએ ફક્ત ભવન જ નહિ પરંતુ “માતાના ખોળાનો અહેસાસ કરાવતી મૂર્તિ છે,  માં જાણે કે અમારી શાળાના બાળકોની સાથે-સાથે અમને પણ પોતાના ખોળામાં બેસાળી વહાલ કરતી હોય તેવો અહેસાસ થયા કરે છે માટે જ અમારી શાળાનું ભવન કોઈ પણ રંગમાં હોય કે કોઈ પણ ઢંગમાં, અમને તો માતાની જેમ હરપળ સદાબહાર જ લાગે છે અને તેથી જ દિવસમાં એકવાર તો બોલાઈ  જવાય છે કે 
અમને તો અહીં નોકરી કરતાં હોય તેવું લાગતું જ નથી!!!!”
અમે પણ બાળકોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય અને સાથે-સાથે શાળા સ્થાપના દિનની ઉજવણી પણ થાય તે માટે બાળકોને "કેવી શાળા ગમે??", "મને વહાલી મારી શાળા", "મારી શાળામાં હોવું જોઈએ"  પર નિબંધ-ચિત્ર-નકશો-અક્ષર લેખન, કાવ્યમાંથી કોઈ પણ એક રીતે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવાની સ્પર્ધા રાખી..જેનાથી બાળકોને અમે બનાવેલ શાળાના પર્યાવરણમાં શું ગમે છે..શું નથી ગમતું અથવા તો હજુ શું કરવા જેવું છે તેનો અમને પણ ખ્યાલ આવે...તેમણે કેવી રીતે વ્યક્ત કરી તેમની અભિવ્યક્તિ આવો જોઈએ કેમેરા વડે...........


પડોશીધર્મ...થી..રાષ્ટ્રધર્મ....સુધી

भारतमाता की जय..................

   देश हमारा....
            सब से न्यारा..
प्यारा हिन्दुस्तान..  .    

આઝાદીના ૬૪ વર્ષ...રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી......દેશ પ્રત્યેનો અહોભાવ દર્શાવવા માટેનો અને આપણી સ્વતંત્રતા માટે કમર કસનારા તેમજ દેશપ્રેમમાં તન-મન –ધન ન્યોછાવર કરી આપણને એક સ્વતંત્ર ભારતની ભૂમિ અર્પણ કરવા બદલ આપણા સ્વાતંત્ર-સેનાનીઓનો આભાર માની તેમના જીવન-ચરિત્રમાંથી દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા મેળવવાનો દિવસ એટલે જ
 “આઝાદ દિન”
આપણી ખૂબ અને ખૂબ જ સારી બાબત એ છે કે આપણો રાષ્ટ્રધર્મ[રાષ્ટ્રપ્રેમ] બહુ જ સમૃદ્ધ છે,,,,,
ક્રિકેટ હોય કે કારગિલ.................
   ભૂકંપ હોય કે ભ્રષ્ટાચાર...................
   .  લોકપાલ.... હોય કે  જનલોકપાલ...........
         આવી તમામ બાબતો કે જ્યાં આપણા રાષ્ટ્રને ફાયદો થતો  હોય ત્યાં સમર્થનમાં અને આપણા રાષ્ટ્રને નુકશાનની ભીતી હોય ત્યાં વિરોધ માટે આપણા સૌનો સૂર એક હોય છે, આપણે સૌ તેના માટે હાથમાં હાથ  મિલાવીને એક સાથે પ્રયત્નશીલ બનીએ છીએ........તેનું એક જ કારણ છે કે આપણા શિક્ષણમાં બાળપણથી રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભક્તિ વગેરે નામે “રાષ્ટ્રધર્મ” ના ગુણનો વિકાસ માટે બહુ જ ભાર મુકવામાં આવ્યો છે. પરિણામે જ આપણામાં અખૂટ  રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભક્તિ- રાષ્ટ્રધર્મનો સ્ત્રોત પ્રગટ્યો છે.....પરંતુ જયારે વાત કારગિલની છોડી કોમની આવે ત્યારે.......ત્યારે રાષ્ટ્રના સમર્થનમાં સાથે-સાથે ઉભા રહેનાર આપણે કોમની વાત થતા જ કેટલીક વાર સામ-સામે આવી જઈએ છીએ અને  જે હાથમાં-હાથ મિલાવી રાષ્ટ્રનું સમર્થન કર્યું હતું તે  જ હાથ એકબીજાને મારવા તલપાપડ બને છે...અને .તે જ હાથ રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન કરવા માટે ઉઠે છે...અને આપણો રાષ્ટ્રધર્મ તે સમયે ખોખલો સાબિત થાય છે......વાત જયારે કારગિલની  છોડી ઘર આગળ પડેલા કચરાની આવે.........ત્યારે...........ત્યારે પણ દરરોજ સાથે બેસનારા સામસામે આવી જાય છે,વર્ષોની મિત્રતા પળમાં તૂટી પળનો મતભેદ જાણે વર્ષોની દુશ્મની હોય તેવો ભાસ કરાવે છે..અને ત્યારે પણ રાષ્ટ્રધર્મ...માનવધર્મ...વગેરે હવામાં છૂમંતર થઇ જાય છે...
                             પ્રમાણિક અને મજબૂત નાગરિકતા એક ત્રીપાઈ જેવી છે.. .રાષ્ટ્રધર્મ..... માનવધર્મ...... અને પડોશીધર્મ..... આ   ત્રણ પાયાઓ જ્યાં સુધી મજબૂત નહિ હોય ત્યાં સુધી આપણે અડગ અને સાચા દેશપ્રેમી નાગરિક નહિ બની શકીશુ..કેમ કે ત્રણમાંથી એક પણ પાયો નબળો હોય તેવી ત્રીપાઈ પર આપણે ઉભા રહીએ તો આપણે કેટલા હાલક-ડોલક થઈએ છીએ તે જાણ્યા પછી આપણા રાષ્ટ્રનો વિચાર કરશો તો કદાચ આપણને સાચી હકીકત સમજ પડશે......
આપણે આ ત્રીપાઈના ત્રણ પાયાને સમાન મજબૂત કરવા માટેનો પ્રયત્ન પ્રાથમિક કક્ષાએથી જ શરૂ કરી દેવો પડશે, આપણે જેટલો બાળ-માનસમાં રાષ્ટ્રભક્તિની ભાવના પેદા કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેટલો પ્રયત્ન આપણે “માનવધર્મ” અને “પડોશીધર્મ” માટે નથી કરતા અથવા તો તેટલો ભાર-પૂર્વક નથી કરતા, પરિણામે બાળક દેશ પ્રત્યેની પોતાની ફરજો સમજે છે પણ વાત જયારે પણ પોતાની સાથે ભણતા બાળકો પ્રત્યેની પોતાની ફરજો ...પોતાની બાજુમાં રહેતા  પડોશી પ્રત્યેની પોતાની શું ફરજો છે......વગેરેથી અજાણ બાળક જયારે નાગરિક બને છે ત્યારે ફક્ત અને ફક્ત રાષ્ટ્રધર્મ બજાવી પોતાને સાચો નાગરિક હોવાનો સંતોષ માને છે.....અને જ્યાં રાષ્ટ્રથી નીચેની જયારે વાત આવે છે ત્યારે પોતે ફક્ત પોતાની બાજુ જ જૂએ છે અથવા તો પોતાને હોંશિયામાં મૂકી દે છે..
આપણે આપણા રાષ્ટ્રને જો વિકાસશીલ અને મજબૂત રાષ્ટ્ર બનાવવું હશે તો તે માટે આપણે રાષ્ટ્રધર્મની જેમ  પડોશીધર્મ...  માનવધર્મ....પ્રત્યે પણ પોતાની ફરજ વિશે પૂરેપૂરી જાગૃતતા ધરાવતા નાગરિકો પેદા કરવા પડશે, અને તે માટે પ્રાથમિક કક્ષાએથી જ આપણે બાળકમાં જેટલો રાષ્ટ્રધર્મ ઉપર ભાર મૂકીએ છીએ તેટલો જ ભાર “પડોશીધર્મ” અને “માનવધર્મ” ઉપર પણ મુકવો જ પડશે........
આવો...આ વિશે વિચારતા-વિચારતા અમારી શાળામાં ઉજવેલ સ્વતંત્રતા-દિન ની ઉજવણીની ઝાંખી કરીએ.............
દેશભક્તિ ગીત વડે ગ્રામજનોનું અભિવાદન કરતાં બાળકો 
બાળકોને દેશભક્તિ ગીતનું ગાન કરાવતી હાઇસ્કૂલ ની બાળાઓ 
.............મોં મીઠું કરતા ગ્રામજનો............
.......મોં મીઠું કરતા હાઇસ્કૂલના બાળકો..................
............મોં મીઠું કરતા બાળકો .........................
..........................મીઠાઈ લેતા બાળકો..................
 અમારી શાળાના ૧૫મી ઓગષ્ટના "આજના દિપકો "

"દિપકો" એટલા માટે કે મજાની વાત એ છે કે ઉપરોક્ત અમારી દીકરી મનીષા નાયકની સાથે-સાથે તેને અભિનંદન કાર્ડ આપનાર અમારા આ શિક્ષકમિત્ર ચંદુભાઈનો પણ જન્મદિન પણ ૧૫મી ઓગષ્ટ જ છે...

August 13, 2011

તહેવારો અને આપણી શાળા.........

પ્રાથમિક શાળમાં તહેવારોની ઉજવણી  શા માટે......????

ક્યારેક  કેટલાક માણસો ભેગા મળે અને જો તહેવારોની વાત નીકળે તો પહેલું વાક્ય મોટાભાગે “પહેલાં તો  ફલાણા તહેવારના દિવસે તો જૂઓ તો એટલો બધો તહેવારોનો માહોલ રહેતો કે અમે આમ કરતા...અમે તેમ કરતા. અને અત્યારે તો ઠીક.....લાગે જ નહિ કે જાણે આજે કોઈ તહેવાર છે........ઘણા માણસોના મોંઢે આપણે આ ફરિયાદ સાંભળીએ છીએ...કે દિવસે-દિવસે તહેવારોનું મહત્વ ઘટતું જાય છે.....તેના માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે તેમાંનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે છે કે તે માણસ કદાચ અભ્યાસકાળ દરમ્યાન  તહેવારોની ઉજવણીને  ઓછુ મહત્વ આપતી પ્રાથમિક શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય..........જેના પરિણામ રૂપે આજના તે નાગરિકમાં  બાળ-કક્ષાએ જ, તહેવારો કેવી રીતે ઉજવવા??? શા માટે ઉજવવા??? તેનું ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક તર્ક શું હોઈ શકે છે??? આવા તો કેટલાય પ્રશ્નોનું મનમાં ને મનમાં જ તે સમયે બાળ-મરણ નીપજ્યું હોઈ શકે છે અને તેના પરિણામ સ્વરૂપે તે  નાગરિક તહેવારોની ઉજવણીથી ધીમે-ધીમે અળગો થતો ગયો હોય.......સમાજ  તહેવારો પ્રત્યેની ઉજવણી ધૂમધામથી અને તે પણ શા માટે કરવી જોઈએ?[જે તે તહેવારની ધાર્મિક અને બને તો વૈજ્ઞાનિક તર્ક સાથેની જાણ]ની સભાનતા સાથેની ઉજવણી કરતો થાય તે માટે તો પ્રાથમિક કક્ષાએથી જ બાળકોને તેની સમજ આપવાની શરૂઆત કરવી રહી કારણ કે બાળકક્ષાએથી યુવા અવસ્થાની સફરમાં જ જો બાળકો તહેવારોની ઉજવણીમાં નહિ ભળતા થાય તો પછી તે બાળકો યુવાવયે તહેવારોથી અળગા રહેશે..........અને પરિણામે ઉજવણી કેવી રીતે તેનાથી અજાણ સમાજમાં કેટલાય તહેવારોમાં ઉજવણીની ખોટી રસમો ઘર કરી ગયેલી આપણને જોવા મળે છે,જો આમને-આમ ચાલ્યા કરશે તો તહેવારોની દશા અને દિશા પણ બદલાઈ જાય તો નવાઈ નહિ.....  
                  માટે જ પ્રાથમિક કક્ષાએ પણ આપણો એવો જ પ્રયત્ન હોવો રહ્યો કે જેથી બાળકો તહેવારોને માણે, તેની ઉજવણીના  મહત્વને જાણે અને પરિણામે કેટલાક તહેવારોમાં પાછળથી ઘુસી ગયેલ કેટલીક ઉજવણીની ખરાબ રસમો પ્રત્યે જાગૃત બને અને તે ખોટી રસમોના ખોટા પરિણામોથી પોતે બચે.....સમાજને બચાવે...અને તહેવારોને પણ............
આવો આ વિષે વિચારતા-વિચારતા અમારી શાળામાં ઉજવેલ “રક્ષાબંધન”ને માણીએ...........

રક્ષાબંધન વિશે તમે  શું જાણો છે??? તેના જવાબમાં બાળા......
      છોકરાઓને કંકુ-ચોખા વડે  તિલક........ 
 Gરક્ષાબંધનની ઉજવણી અને તેની મજા.......H

                          રાખડી બાંધ્યા પછી એકબીજાને  મોં મીઠું કરવતા બાળકો 
પ્રજ્ઞા વર્ગ
ખૂશ-ખૂશાલ..........

અમારી  સાથે રક્ષાબંધનની ઉજવણી કરતી અમારી દિકરીઓ......





August 01, 2011

My history by My People !

                                                  F  શા માટે જાણવો જરૂરી છે ગામનો ઇતિહાસ???                               
                                                  ઇતિહાસ વિષય પેઢીઓને જોડતો / જણાવતો અને આધુનિક સમાજ સાથે સંકલન કરતો ખૂબ જ અગત્યનો વિષય છે. સામાજિક વિજ્ઞાનનો વિષય આમ તો બાળકો સામાજીકતાને જાણે અને તેના મુજબ પોતાની ટેવોનું અનુકૂલન કરે તે માટેનો ધ્યેય હોઈ શકે છે, પણ કોઈ પણ વસ્તુના ભૂતકાળને જાણ્યા વિના આપણે તે વસ્તુ સાથે ભવિષ્યના સંબંધોને આકાર આપી શકતા નથી,અને કદાચ આપી પણ દઈએ તો પણ તે સહવાસ ખૂબ જ ઓછું આયુષ્ય ધરાવતો સાબિત થાય છે, ગામનો ઇતિહાસ જાણવો એટલે ગામના સમાજને સમજવો...ભૂતકાળમાં ગામના સમાજ ધ્વારા થયેલ કોઈ મોટી ભૂલમાંથી બાળકો શીખ લે અથવા તો સમાજમાંથી ભૂતકાળમાં કરેલ કોઈ મોટા સામાજિક ઉત્થાન માટેના કાર્ય વિષે જાણી બાળકો તેમાંથી પ્રેરણા મેળવે...ગામનો ઇતિહાસ બાળકોને જણાવવો એ ઇતિહાસ  શીખવવાનું પ્રથમ પગથિયું અથવા તો આગળના ઇતિહાસ વિષય રૂપી ઈમારતના પાયા સમાન છે,સાથે-સાથે જયારે બાળકોને તેના જ ગામનો ઇતિહાસ જાણવામાં ખૂબ જ રસ પડશે [જેમ આપણને વર્તમાન પત્રમાં સ્થાનિક સમાચાર વાંચવામાં રસ પડે છે] કારણ કે તેને તેની આંખો સામેના વ્યક્તિઓ સંબંધિત વ્યક્તિઓની અને જેના ખોળામાં રમીને મોટો થયો છે તેવા પરિચિત પર્યાવરણને સંબંધિત વાતો હશે. અને આમ ધીમે-ધીમે બાળક કોઈ પણનો ઇતિહાસ જાણવા ઉત્સુક/આતુરક બની રહેશે..પરિણામે આપણા ઘણા મિત્રોની એવી ફરિયાદ કે અરે!!! યાર આ ઇતિહાસમાં બાળકોને રસ જ નથી હોતો, પછી કેવી રીતે ઇતિહાસ શીખવવાનું??? ઇતિહાસના શિક્ષણ દ્વારા બાળક/વ્યક્તિ ઇતિહાસમાં બનેલી મોટી ઘટનાઓ એ વર્તમાનમાં શું અસરો છોડી છે તે જાણી તેના ઈતિહાસનીમાંની ખૂબીઓનો ઉમેરો અને ઈતિહાસમાંની ભૂલોનો સુધારો કરી ભવિષ્યના સમાજનું નિર્માણ કરવાનો સતત પ્રયત્ન કરે છે.   

ü કોણ ખૂબ જ સારી રીતે શીખવી/જણાવી શકે છે ‘ગામનો ઇતિહાસ’??


આમ તો કહેવાય છે કે કોઈ જે  વિષયમાં પ્રવીણ હોય તે જ સારી રીતે તે વિષય બાળકોને શીખવી શકે છે, પણ જયારે ગામના ઇતિહાસ એકમ વિષે જાણવાની વાત આવે છે ત્યારે ઉપરોક્ત બાબત જરા બદલાય છે.કારણ કે આપણે વિષય શિક્ષક તરીકે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ ગ્રામજનોમાંથી અને જો શક્ય હોય તો મોટા એવા કોઈ વડીલ જ આવા એકમને પૂરેપૂરો ન્યાય આપી શકશે તે ચોક્કસ બાબત છે,અમે પણ આવી જ રીતે અમારા ગામના ઇતિહાસથી વાકેફ થવા/જૂના ગામ નદીસરમાં મુકેલ પાળીયાના દર્શન કરવા અને તેના વિશેની વાત જાણવા જૂના નદીસર ગામના વડીલ એવા શ્રી મોતીદાદાની મુલાકાત લીધી.                                    દાદાએ પણ ગામની વાત ગામને ચોતરે જ કરીશું તો જ તેનો રંગ જામશે અને બાળકોને પણ સાચો આનંદ થશે તેવું કહી આ ઉંમરે પણ બાળકો માટે ગામના છેવાડે પાળિયા સુધી આવવા બદલ શાળા પરિવાર પણ તેમનો ખૂબ આભાર માને છે,૩ કિલોમીટર દૂર ચાલીને ગયા પણ બાળકોના હમસફર બનવાથી અમને  તે છ કિમી છ સેમી જેવા લાગ્યા હતા.....
દાદાજીની વાત સાંભળ્યા પછી પાળિયાનું મહત્વ સમજી તેની પૂજા કરતા બાળ-મિત્રો 
 સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને વંદન કરતા બાળકો..
નદીસર ગામમાં આવેલ અતિ પૌરાણિક શિવ મંદિરની મુલાકાતે...
બાળકોની સાથે-સાથે ગામ  વિશેની અન્ય જાણકારી મેળવતા શિક્ષક શ્રી 
બાળકો સાથે ગામ વિશેની અન્ય રસપ્રદ વાતચીતો કરતા અને સાથે-સાથે "ગામના ઇતિહાસ" ફોર્મેટની માહિતી આપતા  અમારા સૌના વડીલ એવા શ્રી બાબુકાકા 
અત્રેની શાળાએ બનાવેલ ફોર્મેટ ગામનો ઇતિહાસ   

  કેવો લાગ્યો અમારો આ પ્રોજેક્ટ અને હજુ શું વધારે સારૂ કરી શકાય તે કોમેન્ટમાં ચોક્કસ લખજો.