November 30, 2025

વાલી છો તો વાંચતાં શીખો !

વાલી છો તો વાંચતાં શીખો !

દિવાળી વેકેશન દરમિયાન રૂબરૂ કે ટેલિફોનિક રીતે વાલી મિત્રો સાથે વાતચીત થતી, ત્યારે તેમની ફરિયાદ રહેતી: "સાહેબ, શાળાઓ ક્યારે ખુલશે? અમે તો કંટાળ્યા આ છોકરાઓથી!" બાળકોના ઘરમાં તોફાનોથી કંટાળેલા વાલીઓ જ્યારે પોતાનો ગુસ્સો હસતાં હસતાં કાઢતાં અને આવું કહેતાં, ત્યારે અમારો જવાબ હોય છે: "અમારાં બાળકોને સાચવજો, શાળા ખૂલે ત્યાં સુધી અમે તમને સાચવવા આપ્યાં છે." આ જવાબ સાંભળીને હળવા સ્વરમાં તેમનો પ્રત્યુત્તર બનતો કે, "આજે જ પાછાં લઈ જાઓ." વાલીઓ સાથેનો આ સંવાદ અમને વાલીઓ સાથેના જ નહીં, પણ બાળકોના સાથેના વહાલનો પણ આનંદ આપે છે.

વેકેશન પૂર્ણ થતાં જ શાળાઓ શરૂ થાય, એટલે આ જ વાલી મિત્રોની ચિંતા બદલાતી નજર આવે છે. શિક્ષણ કાર્ય શરૂ થાય કે તરત જ તેઓ બાળકોના વાંચન, બાળકોના હોમવર્ક અને બાળકોના પરીક્ષાના પર્ફોર્મન્સ માટે ચિંતિત બને છે.

બાળકોના શિક્ષણ અંગે ચિંતિત વાલીઓ પ્રથમ સત્રની પરીક્ષાનું પરિણામ જોઈને મોટેભાગે વધારે ચિંતિત લાગતા અને સંભળાતા હોય છે. હોય પણ કેમ નહીં? કારણ કે તે વાલી છે. તેમનું બાળક ભણીગણીને આગળ વધે અને ભવિષ્યમાં ખૂબ સારું કરે, તેવી અપેક્ષાએ જ તો તેઓ શાળાએ મોકલે છે. તેવામાં બાળકોનું પ્રદર્શન થોડુંય નીચે આવતું જણાય તોય ચિંતા થવી સ્વાભાવિક છે.પરંતુ કેટલીકવાર બાળકોના ભવિષ્યની ચિંતામાં બાળકોના વર્તમાનને અજાણતાં એટલું પ્રેશરાઇઝ કરી દઈએ છીએ કે પછી તો ઉજ્જવળ ભવિષ્યને બદલે ઉજ્જડ થશે તેવું વર્તન બાળકોમાં આવવા લાગે છે.

લખવું અને વાંચવું એ જ શીખવાની પદ્ધતિ છે, તેવું માનતા મોટાભાગના વાલીઓ બાળકોને નવું વિચારવું અને તેના વડે નવું કરવું—આ માનસિક અને શારીરિક કસરતથી દૂર રાખતા હોય છે. પરિણામે બાળકમાં રહેલો તેનો મુખ્ય ગુણ -કુતૂહલતા - નવું જાણવાની ઈચ્છાઓ — સમયાંતરે તેનામાંથી અદૃશ્ય થઈ જતી હોય છે. પરિણામે બાળકમાં અજાણતાં જ ભણવાની પ્રક્રિયા માટે નિરસતા આવી જતી હોય છે.

તમે ઘણીવાર ઘણાં બાળકો માટે સાંભળ્યું હશે: "જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ ભણવામાં ઓછા થતા જાય છે!"

      એનું એકમાત્ર કારણ આપણે સૌ : એટલે કે વાલીઓ કે કેરટેકર - એવા આપણે છીએ.

      આપણે બાળકોને ઝડપથી કોશેટામાંથી બહાર કાઢી ઉડાડવા મથીએ છીએ.

      ચાલવાના પૂરતા અનુભવો લઈ આગળ વધવા દેવાને બદલે દોડાવવા મથીએ છીએ, તેથી જ ભણવાની પ્રક્રિયામાં રસ રહેતો નથી.

શાળા વર્ષમાં બે વાર, એટલે કે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં, વાલીઓ સાથે સ્નેહ મિલન યોજે છે. જેમાં શાળાનો ઉદ્દેશ્ય વાલીઓની ચિંતાની ચિંતા કરવાનો હોય છે. શાળાની ચિંતા એ પણ હોય છે કે વધુ પડતી કાળજીના નામે બાળકોમાં અકાળ ગંભીરતાનું ઇન્સ્ટોલેશન વાલીઓ દ્વારા ન થઈ જાય.

જો બાળકમાં શીખવા માટેના જરૂરી બધા જ ફંક્શન ઊડી જશે, તો પછી બાળકને "પાંખો વગરનું પક્ષી" બનાવવા માટેના જવાબદાર આપણે હોઈશું. માટે જ વાલી સ્નેહ મિલનના પ્રથમ સેશનમાં શાળાનો પ્રયત્ન હોય છે કે વાલીઓને જાણ થાય કે તેમની માર્કશીટ વાંચીને ચિંતા અમે કરીશું, તમે બાળકને વાંચતાં શીખો! 

રીડિંગ રીલ્સ

      બાળકો પર વધુ પડતા દબાણને કારણે તેમની શીખવાની પ્રક્રિયામાં નિરસતા આવે છે. માર્કશીટ પર ધ્યાન આપવાને બદલે બાળકના વર્તમાનને સમજવું જરૂરી છે.

      વાલીઓએ માર્કશીટ વાંચવાને બદલે બાળકને 'વાંચતાં શીખવું' જોઈએ, એટલે કે તેના રસ અને કુતૂહલને સમજવું જોઈએ.