November 01, 2017

કોચિંગ અને ટીચિંગ !!


કોચિંગ અને ટીચિંગ !!

       મિત્રો, ક્યારેય બારીકાઇથી વિચાર કર્યો છે ખરો , કે ટીચિંગ અને કોચિંગ વચ્ચે શું ફરક છે? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વર્ગખંડોમાં થતું કાર્ય એટલે શિક્ષણ અને કોઇપણ એક કૌશલ્ય અંતર્ગત અપાતું માર્ગદર્શન એટલે કોચિંગ !
                       સમાજમાં શિક્ષક કરતાંય કોચ એવો શબ્દ વપરાય ત્યારે વ્યક્તિની નિપૂર્ણતાનો કાલ્પનિક ગ્રાફ વધી જતો દેખાતો હોય છે ! તેની વાતો ને ધ્યાનથી સાંભળવામાં અને સ્વીકારવામાં પણ આવતી હોય છે ! વર્ગખંડોમાં કેટલીકવાર એવું બને છે કે “ શિક્ષક તરીકે હું જ સાચો છું, બધી મને જ ખબર પડે, હું જે રીતે શીખવું તે જ સાચું છે !!” – આવી અંધ/આત્મવિશ્વાસ સાથે બાળકો સમક્ષ રજુ થઈએ છીએ. પરિણામે બિનજરૂરી શૈક્ષણિક પદ્ધતિઓ વડે પણ વર્ગકાર્ય ધમધમતું દેખાતું હોય છે. એ વર્ગકાર્યની મહેનતમાં પણ પરસેવો પડતો હોય છે અને લોહીનું પાણી થતું હોય છે – પણ જયારે પરિણામ આવે ત્યારે એટલું અનપેક્ષિત હોય છે કે પરસેવો પાડેલા શરીરે ફરીથી પરસેવો લાવી દે છે ! કદાચ ત્યારે ખબર પડે છે કે બાળકોને સમજ્યા વિના જ જે શિક્ષણ પદ્ધતિમાં આપણે બાળકોને સમજાવવામાં પરસેવો પાડી રહ્યા હતા – તે  જ સમયે બાળક પણ તે વિષય વસ્તુને સમજવામાં એટલો જ પરસેવો પાડતો હતો ! દરેકને એક પદ્ધતિ વડે શીખવવા માટે જે સમયે આપણે લોહીનું પાણી કરી રહ્યા હતા ત્યારે – તે પદ્ધતિથી સમજી ન શકનાર બાળકોનું પણ સમજવાની મથામણમાં લોહીલુહાણ જ થઇ રહ્યા હતા ! અને આવા સમયે આપણે બાળકોની સમજણ પર સવાલો પેદા કરી દેતા હોઈએ છીએ.
                      જયારે બીજી તરફ નજર કરીએ તો કોચ શું છે ? –“મારા માટે મારા કોચે તૈયાર કરેલું આયોજન પરફેક્ટ જ હશે” – અને કોચ પોતે પણ તેના તાલીમાર્થી માટે સતત વિચારીને આયોજન કરે છે. આપણે પણ કોચની જેમ વિચારવું પડશે જ ! આયોજન એ પ્રથમ પગથીયું છે શૈક્ષણિક કાર્ય માટેનું ! બીજું પગથીયું –દરેક બાળકનું વ્યક્તિગત સચોટ નિદાન કરી શકો તેવી કોચની જેમ નિદર્શન ક્ષમતા હોવી જોઇએ – ત્રીજું પગથીયું – વર્ગખંડમાં જેટલાં પ્રકારના બાળકો હોય – તેટલા પ્રકારની  એક વિષયવસ્તુ શીખવવાની શિક્ષણ પદ્ધતિઓના માસ્ટર હોવા જોઈએ – ત્યારે જ બાળક પણ આત્મવિશ્વાસ સાથે શીખશે અને આપણે પણ આત્મવિશ્વાસ સાથે શીખવી શકીશું – અને તે પણ પરસેવો પાડ્યા વિના અથવા તો લોહીનું પાણી કર્યા વિના – આપણું અને બાળકોનું પણ !!
તો ચાલો પ્રથમ સત્રાંત પરિણામને નજરે રાખી વિચારીએ કે ગયા સત્રમાં કયું બાળક આપણી  શિક્ષણ પદ્ધતિઓને  નથી સમજી શક્યું – તેવાં બાળકોને સમજવાની મથામણ કરી નવા સત્રનું આયોજન કરી લઈએ !!
કોઇપણ વિષય વસ્તુ શીખવવાની એક કરતાં વધુ શિક્ષણ પદ્ધતિ જાણે તે જ શિક્ષક !!

3 comments:

dhanesh said...

ખૂબ સુંદર
રાકેશભાઈ તમે ગુજરાતની શાન છો

Unknown said...

Sunder RAKESHBHAI

Unknown said...

કોચનો મહિમા કર્યો પણ શિક્ષકનું મહત્વ તેનાથી વધારે છે. પરિભાષા અને ભૂમિકા બન્ને રીતે...એટલે કોચનાં ક્રિયાકલાપો શિક્ષકના કાર્યમાં સમાહિત છે પણ કોચમાં શિક્ષકનાં કર્તૃત્વોનો સમાવેશ થતો નથી એ સમજીને કોચ જેવું કાર્ય કરવામાં વાંધો નહીં