August 01, 2021

નિષ્પત્તિઓમાં નિમજ્જન !

નિષ્પત્તિઓમાં નિમજ્જન !

જીવન ગતિમય છે. જે રીતે સમય સતત ચાલતો રહે છે, તેમ જીવન પણ સતત આગળ વધ્યા જ કરતું હોય છે. વ્યક્તિ અટકી જાય તો પણ તેનું જીવન આગળ વધ્યા જ કરતું હોય છે. ઘણીવાર જોક તરીકે લોકો એકબીજાને કહેતા હોય છે કે કોઈપણ પ્રયત્ન વગર વધતી હોય તો તે માત્ર ઉંમર છે. આવા જોકમાં આપણે ભૂલી જઈએ છીએ કે અનુભવ પણ એવી જ બાબત છેસતત થતો રહે છે પરંતુ તે અનુભવ પછી આપણા પ્રયત્ન કઈ દિશામાં જઈ રહ્યા છે તે આપણા જીવનની પ્રગતિની દિશા નક્કી કરે છે.

મગને છગનને પૂછ્યું, “કેમ થાકેલો થાકેલો લાગે છે ?” છગન ફુલેલા શ્વાસે, ગર્વ સાથે બોલ્યો, “આજે હું આખો દિવસ ખૂબ ફર્યો.” “એમ ! ક્યાં ક્યાં જઈ આવ્યો?” “એમ ક્યાંય નહીં, ઘેર !” “તો એણે કસરત કરી કહેવાય -ફર્યો એમ નહીં.” એક જગ્યાએ ઊભા ઊભા હાથ પગ હલાવતા રહી અને હું ફરી રહ્યો છું એવા ભ્રમમાં રહીએ તો આ છગન જેવા કહેવાઈએ. એટલે શું કરી રહ્યો છું ? અને શા માટે કરી રહ્યો છું? – એ બે બાબતની સ્પષ્ટતા પહેલાં કરી લેવી જોઈએ

       આપણે સૌ પણ ક્યાંક કોઈ નવી રીતભાતથી કામ કરતાં પરિશ્રમીને જોઈએ ત્યારે શું કરી રહ્યા છો બાદનો પહેલો પ્રશ્ન આ શા માટે કરી રહ્યા છો ? –હોય છે. અને આ સવાલનો મળતો જવાબ એ જ કાર્ય નિષ્પત્તિ”  જેને સામાન્ય ભાષામાં એ કરવાથી ફાયદો શું થાય એવું કહેતા અથવા તો પૂછતાં ઘણાંને સાંભળ્યા છે. આવા પ્રશ્નો આપણે સૌ આપણા દ્વારે કોઈ નવી પ્રોડક્ટ લઈને આવનાર સેલ્સમેન તો અચૂક પૂછતાં હોઈએ છીએ. કોઈ એમબીએ થયેલ વિદ્યાર્થી જો તેની પ્રોડક્ટના ઉદ્દેશ્ય વિશે ન જાણતો હોય તો? આવા ફક્ત વ્યાવસાયિક સર્ટિધારી સેલ્સમેન પોતાની પ્રોડક્ટ ક્યારેય વેચી શકતા નથી. આ જ વાતને બીજી દ્રષ્ટિએ જોઈએ તો મોંઘી પ્રોડક્ટઆવી વ્યક્તિ પાસેથી સસ્તા ભાવે મળતી હોય તો પણ આપણે હાથ ન અડાડીએ. માટે જ કાર્યમાં સફળતા માટે ખૂબ જરૂરી છે કે તમે જે કરી રહ્યા છો તે કેવી રીતે તમને/અન્યને  ફાયદો કરશે તેની જાણકારી હોવી.

શિક્ષણ કાર્યમાં આ વાત લાગુ પડે છે. શાળામાં દિવસની શરૂઆતમાં જ જ્યારે દૈનિકનોંધ પોથી લખતાં હોઈએ છીએ ત્યારે તેમાં આપણે આજે બાળકોને શું ભણાવીશું, શેના વડે ભણાવીશું ? – આ બધુ બરાબર જાણતા હોઈએ છીએ અને લખતાં પણ હોઈએ છીએ. પણ કોઈ વાલી આવીને કદાચ પૂછે કે માસ્તર, આજે જે ભણાવવાના છો, તેનાથી મારાં છોકરાંને શું ફાયદો થાહેં ! આ પ્રશ્નનો આપણી પાસે જવાબ ન હોય તો આપણે એવા ડૉક્ટર છીએ કે જે દવા પીવડાવે છે, પણ તે દવા કઈ બિમારીમાં રાહત કરશે અને કેવી રીતે કરશે તેનાથી અજાણ છે. અધ્યયન કરી જાણીએ પણ તે પ્રક્રિયાકઈ નિષ્પત્તિ માટે કરી રહ્યા છીએ તેનાથી અજાણ હોઈએ તો આપણે પણ હમણાં વાત કરી તેવા ડૉકટરજ કહેવાઈએ. જે વ્યક્તિઓ પોતાના વ્યવસાયની પ્રક્રિયા અને ગ્રાહકનો ફાયદો નથી બતાવી શકતા તે વ્યવસાયકાર અને તેના વ્યવસાયનું આયુષ ટૂંકું અને બિચારા ગ્રાહકનું ભવિષ્ય તો અંધકારમય હોય છે.

માટે ચાલો આપણે વર્ગમાં શું કરી રહ્યા છીએ અને શા માટે કરી રહ્યા છીએ તેનાથી અજાણ હોઈએ તો આજથી જ સુસજ્જ બનીએ ! ચાલો નિષ્પત્તિઓમાં નિમજ્જન કરીએ !

No comments: