March 20, 2024

આંખોથી અંદર જોવું - Each life on 🌎 earth is important 🤝

🌎 આંખોથી અંદર જોવું 👀

        જ્યાં રહીએ છીએ એના ખૂણે ખૂણામાંથી આપણે જે જોઈએ છે  તે બધું જ નીચોવી લઈએ છીએ.  સતત એ મથામણમાં રહીએ છીએ કે કેવી રીતે પ્રકૃતિને સ્રોતમાં બદલી શકીએ અને આ દોડમાં એ સાવ વિસારે પડી જાય છે કે -

“વિશાળે  જગ વિસ્તારે  નથી  એક જ માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ!

                                                                      -: ઉમાશંકર જોશી

આ વિસારે પાડવાના પરિણામે મનુષ્યને જે જે મુશ્કેલીઓ શરૂ થઈ છે એ પણ આપણે ભોગવી જ રહ્યા છીએ ! એક પછી એક કુદરતની રચાયેલી આ કરામતો ને માણસને ઉપયોગી “સ્રોત” બનાવી દીધી એમ એમ મનુષ્ય માટે જીવનનો એ ટુકડો અકુદરતી થતો ગયો ! આ વણઝાર - કુદરતને અકુદરતી સ્રોત બનાવવા તરફની આ વણઝાર અકલ્પ્ય રીતે આગળ વધી રહી છે. સતત  માણસને પોતાનું હોવાપણું ડંખી રહ્યું છે.  તે જે છે, જ્યાં છે, જેમ છે: ત્યાં રહી શકવાની જે કુદરતી શક્તિ હતી તે ગુમાવી રહ્યો છે.  એ દોડમાં છે કે કેવી રીતે હું આજે જે છું ત્યાંથી બીજો કોઈક જ્યાં છે ત્યાં પહોંચી જાઉં. બીજી જગ્યાએ પહોંચી જાઉ, બીજાની જેમ જીવું !  અને આ દોડમાં હાથીના પગ નીચે સસલા કચડાય તેમ માણસની પોતાની શાંતિ કચડાઈ રહી છે !

 અકારણ ગુસ્સો, ચીડ, નિરાશા, હતાશા, અકથ્ય અકળામણ -  ને એવું જાણે કે હવે ભીતર એવું કશું રહેવા જ નથી દીધું જે કુદરતે આપણી અંદર ભર્યુંભાદર્યું કરેલું.  હવે એ જે કંઈ છે આપણને “ભરેલા હોવાનો અનુભવ તો આપે છે” -  એમ માની ચાલે જઈએ છીએ. એ અકુદરતીમાંથી કશુંય  દૂર કરવાની હિંમત તો શું  - વિચાર પણ કરી શકીએ એવી માનસિક સ્થિતિમાં આપણે નથી. કારણ એ જ કે એ ખાલી થાય તો ભરવું શું  ? અને આ તો ગ્લાસમાંની હવા જેવું છે.  હવા પોતે એની મેળે ખાલી થાય નહીં એમાં આપણે બીજું કશુંક ભરવું પડે આ ભરવું પડે તો ભરવું શું ?

        આપણામાં રહેલા આ અકુદરતી ને બદલે કુદરતને સ્થાપિત કરવા આપણી સૌ સંગાથે જે જીવે છે તેમને મળવા માટે અમે શનિવારે નીકળ્યા. રોજેરોજ જે વર્ગખંડમાં શાંત હોય જ નહીં : જેમના મોઢામાંથી દલીલો, ચર્ચાઓ, પ્રશ્નો, વાંધા-વચકા, બૂમો નીકળ્યા જ કરતી હોય એવા બાલવાટિકાથી આઠમા સુધીના બધાં અમે શાળાથી કિલોમીટર જેટલા દૂર એક તળાવ સુધી જવાનું નક્કી કર્યું. ... રસ્તામાં જતા અને આવતાં જે જે અવાજો થાય એ માત્ર સાંભળવા. જીવજંતુ, પાંદડાં, ઝાડ, ઝાડી - ઝાંખરાં, પાણી, પથ્થર બધું જ નિહાળીએ - એક પણ શબ્દ બોલ્યા વગર!

આંખોની બહાર નીકળીને તો રોજે રોજ જોઈએ છીએ. કોઇકવાર એ આંખોની પાછળ, અંદરની દુનિયામાં શું શું થાય છે એ જોવું હોય તો મૌન એ પહેલું પગથિયું છે. એમને આ મૌનના જાદુનો અનુભવ કરાવવા સવારની સભામાં ત્રણ બાબતો વિશે ટૂંકી ચર્ચા કરી : 

1. આપણે શું કરીશું?   2. શા માટે કરીશું ?    3. કેવી રીતે કરીશું ?

        નીકળ્યા - દૂર ગગનમાં વિહરતાં પંખીઓ તરફ મંડાતી આંગળીઓને એ જોઈને એકબીજાની આંખોમાં ઊભરી આવતો મલકાટ ! કોઈક પક્ષીનો અવાજ આવે કે તરત જ કાન તરફ થતી આંગળીઓ - કોઈક થી બોલાય જાય તો શશસસસસઅઅઅઅઅ... કરી થતું મૌન રહેવાનું રિમાઇન્ડર.  તળાવના પાણીમાં ઊંડે સુધી દેખાતી સજીવસૃષ્ટિ, ડૂબકી મારતી જળકૂકડી, કીડી, મકોડા, ઝીણાં પીળાં ફૂલ, જુદા જુદા રંગના પથ્થરો, કરોળિયાનાં જાળાં, પક્ષીઓના માળા - ઈંડાં..

       ક્યાં યાદી માંડીએ ! આ જોઈ જુઓ અને એ પણ જોજો કે આ અનુભવી પરત આવેલા સૌ કેટલી તન્મયતાથી એ વાતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ આખું જગત કેવા તણાવાળાથી જોડાયેલું છે !

😍😍 માણો – Each life on earth is important





































































કાર્યક્રમનો  વિડીયો સમયમાં...