Showing posts with label પરીક્ષા. Show all posts
Showing posts with label પરીક્ષા. Show all posts

April 26, 2026

બનીએ - બાળકના ટેસ્ટી – વાલીના ટ્રસ્ટી !

બનીએ - બાળકના ટેસ્ટી – વાલીના ટ્રસ્ટી !

હાલ પરીક્ષાના પરિણામોનો માહોલ છે, આમ તો અગાઉ આપણે સૌએ મળીને [ આ અંક ધ્વારા મળ્યા એ ] વાતો કરી જ છે કે આ પરિણામો એ બાળકોના નહીં આપણા સૌના છે ! એટલે કે બાળકોના માર્કસ નહીં એ આપણા માર્કસ - આપણે બાળકોને કેટલા ટકા શીખવી શક્યા - કેટલા ગુણનું સમજાવી શક્યા ! પરિણામોના માહોલમાં આપણા સૌની અપેક્ષાઓ સંતોષાય એ તો શક્ય જ નથી  - તો વાલીઓની અપેક્ષાઓ બાળકો સંતોષી શકે તે અશક્ય જ ! આવા માહોલમાં પરીક્ષાના પરિણામો વાલીઓમાં એક મથામણ ઊભી કરે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિ લગભગ તમામ શિક્ષક - માર્ગદર્શક - સંસ્થાઓ અનુભવતા હોય છે. વાલીઓને સંતોષી શકાય તેની ટકાવારી કદાચ અલગ અલગ હોય શકે છે, પરંતુ સૌની સંખ્યાનો અંક આસપાસનો જ હોય છે. આવામાં વાલીઓનો આપણા પ્રત્યેનો ભરોશો સંતોષ અને બાળકોનો શાળા પ્રત્યેનો આત્મવિશ્વાસ જળવાઈ રહેવો  -  આ બંનેનું બેલેન્સ એ દોરડા પર ચાલતા જવા જેવુ છે.

શિક્ષક - માર્ગદર્શક તરીકે આપણે સૌ તો આપણા પ્રયત્નોને  જાણીએ અને સમજીએ. પરંતુ બાળકોનાં પરિણામો માં રહેલ ઉણપ - અને તેના વડે વાલીઓમાં આપણા પ્રત્યે ઊભો થયેલ અસંતોષ એ પણ એક સ્થિતિ છે જ કે જેને નકારી શકાય નહીં. - અને આપણે સૌએ તેને નકારવી પણ ન જોઈએ. કારણકે કેટલીક વાર એવું બનતું પણ આપણે આપણી સંસ્થામાં જોતાં હોઈએ છીએ કે આપણને ખૂબ વહાલથી માન સન્માન આપતાં વાલીઓ પણ ઓચિંતો જ કોઈક બહાના હેઠળ આપણી સાથે છેડો ફાળતાં હોય છે. આપણા પ્રત્યેનું તેને માન એના માટે એટલું ભારરૂપ બની જાય છે કે બાળકને આપણી પાસેથી દૂર લઈ જવા તે કારણો આપી આપણા પ્રત્યેના તેના માનને સંતોષતો હોય છે. અને આપણી જાણ બહાર એક એવું બાળક આપણાથી દૂર થાય છે કે જેના વાલીને આપણા પ્રત્યે અપાર વિશ્વાસ હતો. આવામાં શું કરી શકાય ? એવો જો મનમાં પ્રશ્ન થતો હોય તો ચાલો સૌ સાથે મળી વિચારીએ  -

      શું કરીએ ?

જવાબ - બાળકને પૂરો જાણીએ - અહીં જાણવાની વાત માત્ર ભણવા પૂરતી જ નહીં - તેનું વર્તન - તેનો  શોખ - તેની પસંદ -નાપસંદ વગેરે વગેરે બાબતો - એટલે કે હોલેસ્ટિક - 360 ડિગ્રીથી બાળકને ઓળખીએ ! 

      શું થશે ?

જવાબ - જેમ નવો વ્યવસાય કરતાં પહેલાં તેનો કેટલો અભ્યાસ કરીએ છીએ? જ્યાં વ્યવસાય કરવો છે તે જગ્યાથી માંડીને ગ્રાહકની અપેક્ષાઓ સુધીનો ! - કેમ - કારણ કે આપણે આપણા રોકાણ નું વળતર જોઈએ છે -  એક શબ્દ છે - કેવાયસી - મતલબ કે know your coustermor - ગ્રાહકને સમજવાની/ ઓળખવાની  મથામણ ! તેને જાણવાથી આપણે જે કરવું છે તે તેની રસરૂચીમાં ભેળવી પીરસી શકીશું. બાળકને તો જે સ્વાદિષ્ટ તે ભાવતું તેવો તેનો ટેસ્ટ હોય છે. માટે આપણે તેને સંપૂર્ણ રીતે જાણીશું તો જ તેના ટેસ્ટી બની શકીશું .

      શું કરીએ ?

જવાબ - વાલી સાથે સતત સંવાદ રાખીએ - તેના વાલી  બાળક વિશેનો આપણને  સંતોષ -અસંતોષ - બાળક વિશેના વખાણ - કે તેની ફરિયાદો ગમે તે અને હા, ગમે ત્યારે કહી શકે તેવો સંવાદ બનાવી રાખીએ. યાદ રાખજો અહીં સંબંધ બનાવી રાખવાની નહીં સંવાદ બનાવી રાખવાની વાત કહી છે. બાળક વિશેની વાલીની ફરિયાદોનો સંતોષકારક પણ બાળકને પણ ગમે તેવો ઉકેલ આપીએ. ઉકેલ સમયે દર બે ત્રણ વાક્યમાં એક વાક્ય આ બોલીએ કે તોફાન , મસ્તી, કઇંક ન આવડવું એ બધા માટે ચિંતા ન કરો. એ નોર્મલ છે. એના ઉકેલ છે. મારી ભાષામાં કહું તો સમયાંતરે બાળક વિશેની ફરિયાદોની વાલીના મનની સિટી [ કૂકરની ની જેમ ] વાગવા દો . અને હા વધારે કહું તો સીટી વગાડવા માટેના પ્લેટફોર્મ આપો.

રીડિંગ રીલ્સ :

જો બાળકોનો ટેસ્ટ ઓળખી કાઢીશું, તો વાલીઓ આપણા ટ્રસ્ટી બનશે.




      શું થશે ?

જવાબ - પહેલો ફાયદો કે બાળકના વર્તન અંગેનો વાલીનો અસંતોષ સમયસર જાણી શકાશે. જેથી સિટી ન વાગવાથી જેમ કુકર ફાટે તેવી ઘટનાઓ ટાળી શકાશે. તેની ચિંતા જો સાચી દિશામાં હશે તો બાળક પ્રત્યેનું આપણું ધ્યાન વધુ દોરાશે. જેથી સમય રહેતાં તેમાં સારું કરી શકાશે. કોઈપણ વ્યવસાય હોય - તેમાં ગ્રાહક ભગવાન છે. -  એ રીતે જોઈએ તો અહીં બાળકના વાલી - આપણા ભગવાનના પાલનહાર છે. જ્યાં સુધી એમનો ટ્રસ્ટ આપણા ઉપર બનેલો રહેશે ત્યાં સુધી ગ્રાહક રૂપી ભગવાન - એટલે કે એ બાળક આપણી પાસે - સંસ્થા પાસે છે. એ સીધી લીટીની વાત છે. - અને ટ્રસ્ટ તો ટોકથી જ વધે છે.

 

આ બધું જે વાંચ્યું તે અમારા અનુભવોનો નિચોડ છે, બની શકે કે કદાચ ક્યાંક અનુભવમાં ખોટ પણ રહી ગઈ હોય. પરંતુ એક વાત તો શિક્ષક - સંસ્થા તરીકે આપણે સૌએ સ્વીકારવી જ રહી કે બાળકના “ટેસ્ટી” અને તેના વાલીના “ટ્રસ્ટી” બનીશું તો જ આપણે તે બાળક માટે ઈચ્છીએ છીએ તે બધું જ કરી શકીશું.


April 28, 2025

મૂલવીએ આપણા મૂલ્યાંકનને !!

મૂલવીએ આપણા મૂલ્યાંકનને !!

બાળકોના મૂલ્યાંકન અંગે શિક્ષણના જાણકાર એવા સર્વે વ્યક્તિઓના હંમેશાં મતમતાંતર રહ્યા છે! બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે? એવું પૂછતાં જ મોટાભાગનાં વ્યક્તિઓનો મત વિવિધતાસભરનો સાંભળવા મળતો હોય છે. જે મત તર્કસંગતનો હોય  એટલે તેને નકારી ન શકાય. અને એટલે જ આજદિન સુધી મૂલ્યાંકન અંગેની કોઈ એક પદ્ધતિ (લેખિત સિવાયની) અમલમાં આવી નથી. પાછલાં કેટલાંય વર્ષોના લેખાંજોખાં જોશો તો સમજાશે કે જેમ જેમ જ્યાં જ્યાં જરૂર જણાઈ તેમાં ફેરફારો થતા રહ્યા છે.

મૂલ્યાંકન કરવાનું થાય એટલે હંમેશાં આપણે બાળકો ધ્યાને લેતા હોઈએ છીએ! અને તેમાંય સ્પર્ધાત્મક વાતાવરણ : પોતાને બીજાથી વધુ સારું કરવાનું છે - તેવું પર્યાવરણ બનાવતું હોય છે - પરિણામે - પોતે વધુ સારું કરવું છે - તેના કરતાં પેલાં કરતાં વધુ સારું કરવું છે - તે બાળકોમાં એ તમામ દૂષણો પેદા કરનાર બને છે જેને આપણે સૌ ઈર્ષા, અદેખાઈ, હતાશા વગેરે કહીએ છીએ.

મૂલ્યાંકન! - શું કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? “મૂલ્યાંકન” ને જોવાની દૃષ્ટિ અથવા તો કહીએ કે એક જગ્યાએ ઊભા રહીને જોવાની જગ્યાએ તેને 360 ડિગ્રીએ ફરીને જોઈએ - તો આનો જવાબ સમજવામાં સરળતા રહેશે..! એપ્રિલ માસ એટલે પરીક્ષાઓનો મહિનો - પરીક્ષા એટલે જ મૂલ્યાંકન - મૂલ્યાંકન એટલે જ પરીક્ષા! - એવી બનેલી માન્યતાને ધ્યાનમાં લઈએ તો એપ્રિલ એટલે મૂલ્યાંકનનો મહિનો! - હકીકતમાં લેખિત કસોટી એટલે જ સંપૂર્ણ મૂલ્યાંકન - ની જગ્યાએ સમજવું જરૂરી છે કે મૂલ્યાંકનનો એક ભાગ એટલે લેખિત પરીક્ષા! એટલે હવે આપણે સૌએ આ પરીક્ષાને જોવાની જગ્યા અને સમજવાની સમજણ 360 ડિગ્રી કરવી પડશે!

આપણે હંમેશાં બાળકોને એક આખા પરિણામમાં બાંધતા હોઈએ છીએ! પરંતુ બાળકોના પેપર ચકાસણીનો અનુભવ ધરાવતાં મૂલ્યાંકનકારના અનુભવ જાણીશું તો સમજાશે કે મોટાભાગનાં બાળકોનું પર્ફોર્મન્સ ચઢ-ઉતર વાળા આલેખ જેવું હોય છે. એટલે કે એક પ્રશ્નમાં ખૂબ સારું તો કદાચ પછીના પ્રશ્નમાં એકદમ ઓછું - તો પછીના પ્રશ્નમાં મધ્યમ - આવા પર્ફોર્મન્સને આપણે સૌ એક દોરામાં પરોવી પ્રશ્નની જગ્યાએ પ્રશ્નપત્રનો ગ્રેડ બનાવી દેતા હોઈએ છીએ! પરિણામે આપણે સૌ ફરીથી ગોથું ખાઈ જઈએ છીએ કે આપણે સમગ્ર વિષયને ધ્યાને લઈ લઈએ છીએ. પરંતુ આપણું કામ પ્રશ્નપત્રનું મૂલ્યાંકન કરવાનું નહોતું, આપણો મુખ્ય ધ્યેય પ્રશ્ન મુજબનું મૂલ્યાંકન કરવાનું હતું. હવે તમને ફરી પ્રશ્ન થશે કે અરે! બંનેમાં ફરક શું છે? પ્રશ્નો ભેગા થઈને બને તો પ્રશ્નપત્ર જ ને? બને તો પ્રશ્નપત્ર જ પણ મૂલ્યાંકન તો કરવાનું પ્રશ્ન મુજબ જ છે - તો જ્યારે પ્રશ્નને અલગ અલગ જોવાની જગ્યાએ સમગ્ર પ્રશ્નપત્ર તરીકે જોવાની શરૂઆત કરી છીએ, ત્યારે આપણે સૌ બાળકમાં રહેલા વિવિધ કૌશલ્યોને બારીકાઈથી જોઈ તેને મૂલવવાની તક ચૂકી જઈએ છીએ. પરિણામે જે આપણે મૂલ્યાંકનના મુખ્ય હાર્દને ચૂકી જઈએ છીએ!

આપણા ત્યાં જ્યારે જ્યારે મૂલ્યાંકન અંગેની વાત આવે ત્યારે બધાં જ બાળકોને એક જ ચેકલિસ્ટમાં ન મૂલવવા જોઈએ - આવો સંદેશો આપતું એક ચિત્ર ખૂબ શેર કરાય છે - જેમાં મૂલ્યાંકનકારની સામે બધાં પ્રાણીઓ ઊભાં છે, અને મૂલ્યાંકનકાર તેમને એક એક સ્કિલ અંગે ટાસ્ક આપી કસોટી લે છે! અને હાથીને માછલી સાથે તરવાની સ્પર્ધામાં ન ઉતારવો જોઈએ! એવો મેસેજ આપવાની વાત કરાતી હોય છે. જોકે  આ વાતને આપણે ક્લાસરૂમ કે આપણી શિક્ષણ મૂલ્યાંકન પ્રક્રિયા સાથે સરખાવી ન શકાય - કારણ કે આપણા સૌનું એટલે કે શૈક્ષણિક સંસ્થાનોનું કાર્ય જ છે કે જે બાળકો હાથી જેટલું તરી શકે છે તેઓનામાં માછલીઓ વાળું કૌશલ્ય વિકસાવવું - કાચબા જેટલું દોડી શકે છે તેનામાં હરણ વાળું કૌશલ્ય વિકસાવવું. બાળકની મર્યાદા તેની ઓળખ ન બને તે માટે પણ તેનામાં કૌશલ્યો વિકસાવવા જરૂરી છે - અને તે તમે એક શૈક્ષણિક સંસ્થા તરીકે કેટલી ઝડપે કરી શકો છો? - તેનો આધાર તમારી મૂલ્યાંકન પદ્ધતિ પર અને તેને મૂલવવા માટેની તમારી નજર પર રહેલો છે! બાકી આ એક એવી પ્રક્રિયા છે જેમાં સતત બદલાવ આવતા રહેશે.

જોવાનું એ છે કે આપણે આપણા મૂલ્યાંકનને કેવી રીતે મૂલવીએ છીએ!


May 05, 2024

પેરંટ્સ અને પ્રેશર 😡😡😡

પેરંટ્સ અને પ્રેશર 😡

એપ્રિલ માસ એટલે પરીક્ષાઓનો મહિનો ! વ્યાવસાયિક અનુભવો તો એવું કહે છે કે બાળકોને પર્ફોમન્સ બતાવવા માટેનું પ્રેશર કરતો મહિનો !

પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષકની આંખોની સામે, બાળકના હાથમાં કે વાલીની જાણમાં આવતાં જ માહોલ બદલાઈ જતો અનુભવાય છે. “વાંચવા બેસ - હવે પરીક્ષા માથા પર છે !” આવો ડાયલોગ ઘરમાં , તો “ચાલો મહાવરો કરી લઈએ, આ તો પરીક્ષામાં પૂછાશે જ” - આવા ડાયલોગ વર્ગખંડમાં શરૂ થઈ જતા હોય છે. પરિણામે જાણે કે ઘર અને શાળા બંને સત્રના અંતિમ પડાવમાં બાળકને બધું વંચાવી લેવાની લાહ્ય અને પુનરાવર્તન - મહાવરો કરાવી લેવાની હાયમાં અજાણતાં જ પર્યાવરણ ગંભીર અને પ્રેશરવાળું બનાવી દેતાં હોય છે. વિચારો કે ક્રિકેટમાં છેલ્લી ઓવરમાં પ્રેક્ષક તરીકે આપણી અપેક્ષાઓ આપણા પ્રિય ખેલાડીનું  મનોબળ વધારે છે કે તેના ઉપર પ્રેશર ઊભું કરે છે. આવા પર્યાવરણમાં બાળક પોતે ધારે તો પણ તેનું પર્ફોમન્સ તેની ક્ષમતા મુજબ ન કરી શકે તે સ્વાભાવિક છે.

બાળકની શી વાત કરવી ? આપણે આપણી જ વાત કરીએ તો પણ ખ્યાલ આવશે કે બાળકની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ? આપણે અભ્યાસ કરતાં હતાં ત્યારે આપણી મનોસ્થિતિ શું હતી ? આપણો રમવાનો મૂડ હોય તે સમયમાં વાંચવા બેસ એમ કહેનારી મમ્મી પણ આપણને દુશ્મન જેવી ભાસતી.. અને તેમાંય માતૃપ્રેમવાળો નિબંધ જો તૈયાર કરવાનો હોય તો?  તો તો આપણે માતૃપ્રેમનું મહત્ત્વ દર્શાવતું એક વાક્ય વાંચીએ અને મનોમન વિરોધાભાસવાળું વાક્ય બોલતાં જઈએ ! જેમ તે સમયે વાંક આપણો નહોતો, તેમ અભ્યાસમાં સારો દેખાવ ન કરી શકનાર બાળકનો પણ વાંક નથી. કારણ કે મજા આવે તેવું ગમતું કરવું એ આપણા સૌનો સ્વભાવ રહેલો છે.  

સાથે સાથે આપણા સૌનો સ્વભાવ એ પણ છે કે જેમાં આપણા ઉપર વધુ સારો દેખાવ કરવા માટેનું દબાણ હોય ત્યારે જ આપણે વધુ દબાણ અનુભવતાં હોઈએ છીએ ! જેટલી વધુ અપેક્ષાઓ તેટલું જ વધુ પ્રેશર, એવા દબાણ સાથે નિર્જીવ વસ્તુઓ પણ સંકોચાઈ જતી હોય તો આપણે સૌ તો જીવંત છીએ ! પરીક્ષાના પરિણામસમયમાં ધાર્યા મુજબનું ન થઈ શકતાં બાળકોમાં હતાશા અને વાલીઓમાં અજાણતાં ચીડ આવવી સ્વાભાવિક છે. બાળકોની જવાબવહી જ્યારે તેના વાલીઓ જોતા હોય તે સમય સૌથી વધુ સંવેદનશીલ હોય છે! આવા સમયે શાળા તરીકે આપણે શું કરી શકીએ ?

બાળકની જવાબવહીને જોવાની દૃષ્ટિને બદલીએ - તેઓને વિષયશિક્ષક તરીકે સતત એ વાત યાદ કરાવીએ કે આ બાળકનું નહીં પણ તેના વિષયશિક્ષક તરીકે અમારું પરિણામ છે -જેમ કે સાગરે ગણિત કે અંગ્રેજીમાં 60 ગુણ મેળવ્યાનો મતલબ અમે તેને હજુ બાકીનું નથી શીખવી શક્યા. વિષયશિક્ષક તરીકે આપણે સાગરને ન સમજાવી કે શીખવી શક્યા હોઈએ તે શીખવવા માટેની બે ત્રણ યુક્તિ પ્રયુક્તિઓ વાલી સમક્ષ રજૂ કરી તેની આપણામાં શ્રદ્ધા બને તે માટેના પ્રયત્નો કરીએ! જો વાલીની આપણામાં શ્રદ્ધા બનશે તો જ તે પોતે હળવા થશે અને બાળક પણ નિશ્ચિંત કરશે.

વર્ગશિક્ષક તરીકે જ્યારે વાલીને મળીએ ત્યારે તેમનું બાળક શાળા માટે કેમ મહત્ત્વનું છે તેની વાત કરીએ ! વ્યક્તિગત કે સામૂહિક તેની કાર્ય કરવાની કોઈ એક સ્કિલને વર્ણવીએ. જેથી માર્કના પરિણામ કરતાંય બાળક મહત્ત્વનું છે, - તે સ્વીકારતા થાય. પોતાના બાળકના કૌશલ્યથી અવગત થાય જેથી ઘરના સભ્યોની પણ બાળક તરફ જોવાની દૃષ્ટિમાં બદલાવ આવે.

શાળા તરીકે - અત્રેનાં બાળકોમાં અભ્યાસ સહિતનો સર્વાંગી વિકાસ એ શાળાની જવાબદારી છે. તેના માટે શાળાનું આયોજન અને તે માટે થયેલા પ્રયત્નો રજૂ કરીએ. જેમ ભરોસાપાત્ર હૉસ્પિટલમાં દર્દીને દાખલ કર્યા પછી ગાંવહાલાં દર્દીના દર્દ પ્રત્યે નિશ્ચિંત થઈ  જાય છે તેમ વાલીને પણ બાળકના અભ્યાસ પ્રત્યે નિશ્ચિંત  બનાવવો એ જ આપણા સૌની સૌથી મોટી જવાબદારી છે. નહીં તો આપણા સૌના અનુભવો કહે છે કે જેમ દર્દીના રિપોર્ટમાં સુધારો થવાને બદલે જો ઘટાડો થાય તો આપણે જેટલા ચિંતાતુર બની જઈએ છીએ એમ બાળકના ઘટેલા પર્ફોર્મન્સ જોઈ વાલીની મનોસ્થિતિ વણસે જ.

આપણું કામ છે કે આપણા પ્રયત્નો - આપણી યુક્તિ પ્રયુક્તિઓ - તેના દ્વારા  થનાર ઉપચાર - દર્દીને થનાર ફાયદો - વગેરેનું વાલી સાથે સતત કાઉન્સેલિંગ  કરતાં રહેવું. બાકી તો આ વખતે નહીં તો આવતે વખતે - આપણી કાળજી - આપણા આયોજન અને આપણા પ્રયત્નો વડે બાળક ખૂબ સારું કરી જ શકશે તે સત્ય છે.

હા, તેમાં શરત માત્ર એ જ છે કે વાલીને આપણામાં, આપણને બાળકમાં, બાળકને આપણી પ્રક્રિયામાં શ્રદ્ધા હોવી જોઈએ. આ શરત-વાક્યને ફરી વાંચશો તો સમજાશે કે શ્રદ્ધા પેદા થાય તે માટેનું કામ હવે કોનું છે ? આ સમજતાં સમજતાં ચાલો માણીએ