May 25, 2017

પૂર્વગ્રહ છોડે, એ જ ઉપગ્રહ છોડી શકે !


પૂર્વગ્રહ છોડે, એ જ ઉપગ્રહ છોડી શકે !
બાળકો દરેક બાબત વિષે વિચારતા રહે છે. તેમના રમકડાથી લઇ મમ્મીની સાડી કે પપ્પાના પાકીટ સુધી તેમના મગજમાં વિચારો ઘુમરાતા રહે છે. એમણે મોટેરાઓની જેમ વિચારવાથી થાક નથી લાગતો ! તેમણે મન આવા વિચારો કરવા – રમકડાના ઘર/ગાડી માં નવા નવા બદલાવ કરવા એ બધું “કામ” નહિ રમત હોય છે અને તે રમત રમતમાં જ આપણને નવા આઈડીયાઝ ભેટ કરે છે.
   આપણી પાસે કોઇપણ કામનું સરલીકરણ અથવા તો નવીનીકરણ કરવા સીમિત તર્ક હોય છે, અને તેનું સૌથી મોટું કારણ હોય છે આપણા પૂર્વગ્રહો ! આપણે દરેક કામને જોતી વખતે આપણા જ્ઞાનને આધારે તે કેમ ના થાય તે વિચારવા ટેવાઈ જઈએ છીએ. બાળકો તો બસ એમની કલ્પનાની પવન પાવડી લઈને એ ય આખા બ્રહ્માંડની સફરે ઉપાડી જાય તેવા છે. આનું એક ઉદાહરણ જોવા મળ્યું  બાળકોમાં રહેલી આવી સર્જનાત્મકતા અને તર્ક શક્તિને વિકાસવાવમાં મદદ મળે તેવા એક વર્કશોપમાં – જ્યાં ૫ થી ૮ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ એન્જીનીઅરીંગ કરતા વિદ્યાર્થીઓ કરતા લોકોની સુખાકારી વધારવા અંગે વધુ આઈડીયાઝ આપ્યા. આ વર્કશોપનું આયોજન  યુનિસેફ-જી.સી.ઈ.આર.ટી. અને સૃષ્ટિ સંસ્થાએ ગ્રામભારતી અમરાપુર ખાતે કર્યું. ગુજરાતમાંથી ૧૦ શાળાઓને આમંત્રણ હતું. આપણી શાળાના ત્રણ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકે આ વર્કશોપમાં ભાગીદારી કરી.
  એમણે જુદા જુદા અનુભવોમાંથી પસાર કરવામાં આવ્યા ! એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો, ગ્રાસરૂટ ઇનોવેશન કરનારા વ્યક્તિઓ – હા, આપણે થ્રી ઈડિયટ્સમાં જોયેલી એવી જ શાળા ત્યાં રચાઈ ! એમાં જે સ્કૂટર બતાવ્યું છે તેનો આઈડિયા જેનો હતો એ જહાંગીરભાઈએ પણ ત્યાં બાળકો સાથે સમય વિતાવ્યો ! પ્રોફેસર અનીલ ગુપ્તા સર, ચેતનભાઈ, ભાવેશભાઈ જેવા વ્યક્તિઓ સાથે વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ જુદા જુદા સમયે ચર્ચા કરી. જુદા જુદા ગામડામાં જઈ ત્યાંના વ્યક્તિઓને તેમની મુશ્કેલીઓ પૂછી. તે મુશ્કેલીઓની નોંધ કરી આવ્યા બાદ તે નિવારવા શું કરી શકાય તે માટેની ચર્ચા કરી. તે આધારિત પ્લાન લખ્યો, ચિત્રો બનાવ્યા અને તે બધા સમક્ષ રજુ કર્યા ! ઇન શોર્ટ ખરા અર્થમાં જીવનને સ્પર્શતું શિક્ષણ તેમણે ત્યાં મેળવ્યું.
              હવે તો બસ શાળા ખુલે અને તેઓ ત્રણ સૌને પોતાના અનુભવો શેર કરશે અને તે પછી આવતા વર્ષે આવા વર્કશોપમાં કોણ જશે તેની ચર્ચાઓ ચાલશે ! આમ જ તેમને અમે રક્ષીશું કે તેઓ આપણી જેમ જ્ઞાન મેળવી પૂર્વગ્રહો ધરાવતા ના થાય અને સતત દરેક બાબતમાં શું સંભાવના રહેલી છે તે ચકાસતા રહે ! શું ખબર વર્ષો પછી કોઈ વૈજ્ઞાનિક નવા નદીસર પ્રાથમિક શાળાનો ઉલ્લેખ તેની લીડરશીપ હેઠળ અવકાશમાં છોડાયેલા ઉપગ્રહ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહે કે, I want to thank my Nava Nadisar Primary School for helping me to preserve my curiosity !”

No comments: