December 26, 2015

“નાગરિક ઘડતર” નું ઘડતર

   
 “નાગરિક ઘડતર” નું ઘડતર
                        શાળામાં દરરોજ કશું એક જેવું નથી હોતું, કારણ એ જીવન છે ! જીંદગીમાં પણ હર એક દિવસ – હર એક ક્ષણ પહેલા હતી એનાથી જુદી હોય છે. ડાયનામિક હોવું એ જ એની જીવંતતાનો પરિચય છે. શાળાનું ધ્યેય શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ નાગરિક – શ્રેષ્ઠ નાગરિકથી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણનો છે ત્યારે તેના માટેની ચાવી એ આપણી “નાગરિક ઘડતર” નામની પ્રવૃત્તિ છે. આ રહી લીંક :
                    શાળાનું સંચાલન વિદ્યાર્થીઓના હાથમાં લઇ જનાર અને વિદ્યાર્થીઓને પોતાના હકો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત રાખી ખોખારો કરી બોલવાની કેળવણી આપતી આ પ્રવૃતિમાં પણ વર્ષો વર્ષ જુદા જુદા ફેરફારો આવ્યા જ કર્યા ! તેનો મૂળ હેતુ એ જ રહ્યો પણ એની અસરકારતા વધારવા રૂપે ફેરફાર થયા કરે છે. ગત સત્રમાં જૂથ બનવાની પ્રક્રિયા સમયે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ સાથે સાંકળવામાં મુશ્કેલી પડી. આખા સત્ર દરમિયાન રોજે રોજ ખાટીમીઠી થયા કરતી કે કોણ કયા જુથમાં ઉમેરાયું !
ઉકેલ સ્વરૂપે આ વખત નીચેના પગથીયા અનુસાર જૂથ નિર્માણ થયું.
ü  ૧. દરેક શિક્ષકના નામની ચીઠ્ઠી બની. જેથી ધોરણ ત્રણ થી સાતના તમામ વિદ્યાર્થીઓને સરખા ભાગે સાત જુથમાં વહેચી શકાય.
ü  ૨. વારાફરતી એક એક ધોરણના વિદ્યાર્થીઓએ ચીટ ખેંચી એટલે  તે દિવસ હાજર બધા વિદ્યાર્થીઓ જુથમાં વહેચાઈ ગયા. તેમના નામ જૂથ મુજબ નોધાઇ પણ ગયા. વિદ્યાર્થીઓના હાજરી પત્રકમાં પણ તેમના નામ સામે કોડીંગ થઇ ગયું . હવે, બીજે દિવસ સાંજની સભા મળે ત્યારે જે વિદ્યાર્થી કોઈ જુથમાં ના હોય એને ચીટ ખેંચવાની અને તે મુજબ જૂથ પસંદ થાય.
ü  ૩. જુથમાં તમામે પોતાના જૂથના નેતા અને ઉપનેતા ચુંટ્યા. તે માટેના નિયમો પૂર્વવત જ રહ્યા.
ü  ૪. નામ પસંદ થયા – આ વખત નામોનું વૈવિધ્ય પણ મજેદાર રહ્યું- કારણ પહેલા નામનો પ્રસ્તાવ રાખવાનો હક ત્રીજા-ચોથા ધોરણના વિદ્યાર્થીઓને અપાયો.
                                            છોટા ભીમ, સરદાર, બાલવીર, વિશ્વાસ, અકબર, સ્ટાર અને ઓનેસ્ટ એમ સાત જૂથ ધરાવતી અમારી આ શાળા સંસદ પોતાના કામે લાગી ગઈ છે.  પંદર દિવસ પછી તેમની કામગીરીની સમીક્ષા સંસદમાં થશે. દરેક જૂથ પોતે કરેલી કામગીરી સૌ સમક્ષ મુકશે. અપીલ કરશે કે તેમના જૂથને જ શ્રેષ્ઠ જૂથ તરીકે મત મળે. પખવાડિયાનું શ્રેષ્ઠ જૂથ પસંદ થશે. અને તેમની કામગીરી આગામી પખવાડિયા માટે બદલાશે. બધા બાળકોને બધા કન્વીનર સાથે કામ કરવાનો મોકો મળે એટલે જૂથના કન્વીનર શિક્ષકની કામગીરી નહિ બદલાય-આખા સત્ર સુધી !આ માળખાથી શાળાના કાર્યો સુગમ બને જ છે સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાની જવાબદારીઓ સમજતા થાય અને હક મેળવતા થાય એ મુખ્ય ઉદેશ્ય છે.
પ્રવૃતિમાં જીવન હજુય ધબકે છે – આપના પ્રતિભાવ મળશે તો પ્રાણવાયુનું કાર્ય કરશે.

No comments: