June 14, 2014

નવી પેઢીનું સ્વાગત...


નવી પેઢીનું સ્વાગત- “પ્રવેશોત્સવ”

  પહેલા ધોરણમાં બાળકનો પ્રવેશ એટલે જાણે કે “આનંદોત્સવ”. દરેક વાલી પોતાના બાળકને ભણાવવા માટે ઇચ્છુક હોય છે. ફક્ત ભણાવવા પુરતું ભણાવવા માટે જ નહિ, પરંતુ દરેક વાલીની મનમાં એવી ઈચ્છાઓ પણ હોય છે કે પોતાના મહોલ્લામાં હોંશિયારમાં હોંશિયાર બાળક તરીકે પોતાના બાળકનું જ નામ હોય. વર્ગખંડોમાંની બેઠક વ્યવસ્થાની વાત હોય કે પછી મૂલ્યાંકનની !!! દરેક વાલી ઈચ્છે છે કે મારો બાળક તેના વર્ગમાં અગ્રેસર હોય. પરંતુ આ વાત જો ઊંડાણમાં અથવા તો કહીએ કે ગ્રામ્યકક્ષાએ ફરજ બજાવતાં  શિક્ષક સમક્ષ કરશો તો મારે કે તમારે તે શિક્ષકની થોડી નારાજગી સહેવી પડે તો નવાઈ નહિ. તે શિક્ષકની નારાજગી પણ સ્વાનુભવે ઉદભવેલી પ્રતિક્રિયાનો એક ભાગ હોય છે. મિત્રો, ઘણીવાર આપણી શાળાના કેટલાંક અનિયમિત બાળકોના વાલીને મળવા અથવા તો બાળકને નિયમિતપણે શાળામાં મોકલવા માટે સમજાવવા જતાં ઘણા કડવા અનુભવો પણ થતાં જોવા મળે છે. કેટલાંક વાલીઓનું વર્તન જાણે કે એવું સાબિત કરતું જોવા મળે છે કે જાણે બાળકના શિક્ષણ માટે તેને કોઈ પરવા જ નથી. ત્યારે તેનું વર્તન આપણને હતાશ કરી દે છે. આ તો વિચાર થયો આપણા તરફી હતાશાનો.                            
   હવે વિચાર કરીએ તે વાલીઓનો કે જેઓ ખુદ શિક્ષણના અભાવે વર્ષોથી નકારાત્મક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. શિક્ષણના અભાવે પોતાનામાં રહેલી સ્કીલ્સને વ્યવસાયમાં ફેરવી નથી શકતા અને પરિણામે તેમની સ્કીલ્સ વ્યસનોની પાછળ ક્યાંકને ક્યાંક દબાઈ જતી જોવા મળે છે. શિક્ષણના સ્વાદથી અજાણ તે વાલીની અજાગૃતતાનો ભોગ તેની પછીની પેઢી એટલે કે તેના બાળક પણ બને છે.... પછી તેનો બાળક... પછી તેનો બાળક... આ પરંપરા ક્યાં સુધી ચાલશે ? તે માટેનો હું તમને એક તર્ક આપું.... આપણે આપણી એ પેઢીને યાદ કરીએ કે જે પહેલીવાર શિક્ષિત બની હતી. હોઈ શકે છે કે તમે કે હું અથવા આપણે એક/બે/ત્રણ પેઢીથી શિક્ષીત હોઈશું અને તે સમયે આપણી જે તે પેઢીને કોઈ સારા ગુરુ/ઋષિ/શિક્ષક મળ્યા હશે કે જેણે આપણા તે દાદાને શિક્ષણમાં જોડવા કદાચ એડી ચોટીનું જોર લગાવી દીધું હશે અને તેના ફળ સ્વરૂપે જ કદાચ આપણે સુયોગ્ય  રીતે જીવી રહ્યા છીએ. બસ, આ જ રીતે આપણે પણ હજુ સુધી શિક્ષણની ઘરેડમાં સામેલ ન થઇ શિક્ષણથી દૂર ભાગતી તે પેઢીઓને શિક્ષણ વડે બેઠા કરવા માટે તેની આ પેઢીને તો સામેલ કરવા એડીચોટીનું જોર લગાવવું જ પડશે. આવા જ જોરદાર પ્રયત્નમાં જ્યારે અજ્ઞાની વાલીનું વર્તન જો આપણને હતાશ કરે ત્યારે એ ગુરુને યાદ કરજો જેણે મારી કે તમારી પહેલી પેઢીને શિક્ષિત કરવા માટે આપણી જેમ હતાશ થયા વિના સતત પ્રયત્નમાં રહી કાર્ય કર્યું હતું . મિત્રો, શાળામાં પ્રવેશોત્સવની જ્યારે વાત આવે છે ત્યારે શાળા ફકતને ફક્ત નાના બાળકોને પ્રવેશ આપે છે તેવું ન માનશો ! જાણજો કે દર વર્ષે શાળા એક નવી પેઢીને પ્રવેશ આપી રહી છે, અને આ પેઢીઓને સિંચન કરવાનું કામ આપણે જેટલું તકેદારી પૂર્વકનું કરશું તેટલો જ દેશ, સમાજની સાથે આપણને પણ આપણી પોતાની ભવિષ્યની પેઢી વૈચારિક સમૃદ્ધિવાળી મળશે. શાળાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી. અમારો ઉત્સાહ એ પ્રવેશ પામનાર બાળકોના વાલીઓના ઉત્સાહથી ઉત્સાહિત હતો. શાળાના પટાંગણનું વાતાવરણ તો શબ્દો ધ્વારા કદાચિત વર્ણવી ન શકાય તેવું હતું
અત્યાર સુધીમાં શાળાએ ઉજવેલા “પ્રવેશોત્સવ”ને માણવા > “અમારા પ્રવેશોત્સવ”























No comments: